Friday, December 21, 2012

શેખાદમ આબુવાલાની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ



"કોઈની આંખનું ન અંજન છે
 કોઈના ગાલ પર ન ખંજન છે
 સન્ત શોધી રહ્યા છે શા માટે ,
 એ નિરાકાર છે નિરંજન છે"
સૂફી પરંપરામાં ખુદાને માશુકા માની પ્રેમ અને ઈબાદત કરના અનેક સૂફી સંતોના વિચારોનો પડઘો શેખાદમ અબુવાલાના ઉપરોક્ત શેરમાં અનુભવાય છે. મારા એક મિત્ર અને જુના પુસ્તકોના ચાહકના નાનકડા ગ્રંથાલયમાંથી હાલમાંજ ઈ.સ. ૧૯૮૬મા મિત્ર શ્રી ચિનુ મોદી સંપાદિત "આદમથી શેખાદમ સુધી" નામક શેખાદમ અબુવાલાનો નાનકડો ગઝલ સંગ્રહ મળી આવ્યો. કોઈ માનવીને અનાયાસે ધૂળમાંથી સોનાનો કણ મળી આવે અને જે ખુશી તે અનુભવે તેવી ખુશી તે દિવસે મેં અનુભવી.એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીને અર્પણ કરેલ આ ગઝલ સંગ્રહમા શેખાદમ આબુવાલાનો શાયરાના મિજાજ અને તેમના હદયમાં ધબકતા અધ્યાત્મિક સૂફી વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્ત થયા છે. પુસ્તકની પ્રસ્તાવનાના આરંભમાં જ ચિનુ મોદીએ એ વાતનો સ્વીકાર કરતા લખ્યું છે,
"સાધુ-સંતો-ઓલિયા-પીરની સાવ સાદી લાગતી વાણીનો મર્મ, જીવનના કોઈ ગહન અનુભવને વાચા આપી દેતો હોય છે-એમ શેખાદમની ગઝલના કેટલાક શેર ઉપરની સાદગીથી ન છેતરાવતો, ઝેનબુદ્ધિઝમના ઊંડાણ,આપણ શેખાદમના કેટલાક શેર દાખવી શકયા છે"
"ગુનગુનાતી હૈ, ન ગાતી હૈ, ન ચિલ્લાતી હૈ
 મૌત આતી હૈ તો ચુપકે સે ચલી આતી હૈ"
મૌતની ફિતરતને બખૂબી આલેખતા આ શેરમાં શેખાદમની સરળ શબ્દો સાથેની અસરકારક રમત જોવા મળે છે. મૌત માનવ જીવન માટે સનાતન સત્ય છે. કુરાને શરીફમાં કહ્યું છે, "દરેક જીવને મૌતનો સ્વાદ ચાખવાનો છે" મૌતના આગમન,તેના સમય અને સ્થિતિથી પામર માનવી કદાપી વાકેફ થઇ શકતો. જીવનના એ સત્યને શેખાદમે તેના ઉપરોક્ત શેરમાં આબદ રીતે સાકાર કર્યું છે.મૌતની અનિશ્ચિતતા છતાં જીવનને પળપળ માણી લેવાની ખેલદિલી પણ સૂફી પરંપરાનો એક ભાગ છે. કેટલાક સૂફી સંતો ખુબ જ સગવતા ભર્યા જીવનને જીવ્યા છે. એ જ ભાવોને વ્યક્ત કરતો શેખાદમનો એક શેર માણવા જેવો છે.
"કયાં હજુ મોત છે થયું પગભર
 જિંદગી ચાલ જીવીએ ક્ષણભર"  
મૌતની આવી અનિશ્ચિતતાનો દરેક સામાન્ય માનવી ભય રાખે છે. જયારે સૂફીસંત અનિશ્ચિત મૌતના આગમનને ઉજવણી સમજે છે. સૂફીસંતોની મઝારો પર ઉજવાતા ઉર્શો તેની સાક્ષી છે. એજ રીતે માનવીના દુનિયામાં આગમન અને વિદાયની પળ મોહમાયા અને સબંધોના તાણાવાણામા આપણને વસમી લાગે છે. પણ સૂફીસંત માટે તો તે એક સામાન્ય ઘટના છે. જે જન્મ્યું છે, તેનો નાશ સ્વાભાવિક છે. બંને ઘટનાઓમાં આઘાત કે પ્રત્યાઘાતને બિલકુલ સ્થાન નથી. એ વિચારને સાકાર કરતા શેખાદમ લખે છે,
"ફૂલ ખીલે કે ખરે, પંખી જીવે કે મારે
 બાગને સરખું બધું, ના "અહો" ના "અરે"
પાપ અને પુણ્યનું તત્વ જ્ઞાન દરેક ધર્મના પાયામાં છે. પુણ્ય અર્થાત સારા કર્મો માનવીને જન્નત કે સ્વર્ગમાં લઇ જાય છે. જયારે ખરાબ કે અનૈતિક કર્મો માનવીને દોઝક કે નર્કમાં લઇ જાય છે. સામાન્ય માનવી તેના ડરને કારણે સત્કાર્યો તરફ વળે છે. મુલ્યનિષ્ઠ સમાજની રચના માટે તે જરૂરી છે.પણ સૂફી વિચાર સત્કાર્યો માટે ડરને કેન્દ્રમાં નથી રાખતો. તે તો કહે છે માનવીનો જન્મ જ માનવ સેવા અને મુલ્યોના જતન માટે થયો છે. તે તેની પવિત્ર ફરજ છે. ખુશી હોય કે ગમ, બહાર હોય કે પાનખર  જીવનના દરેક તબક્કામાં સત્કાર્યોના માર્ગને પકડી રાખો. તો પાપ ધોવા ન ગંગાની જરૂર પડશે, ન ઝમઝમની જરૂર પડશે. શેખાદમ તેના એક શેરમા અખાની શૈલીમાં લખે છે,
"ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશે
 ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે
 હું પાપ ના કરું એ ખરું પણ જરી વિચાર
 ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે"
શેખાદમની કેટલીક રચનાઓએ તેમને ઘણીવાર કટ્ટરપંથી મોલવીના રોષનો ભોગ બનાવ્યા હતા. શ્રી ચિનુ મોદી આ અંગે લખે છે,
"શેખાદમની અમુક રચનોથી ઉશ્કેરાઈ, એક ધર્મના વડાએ એને "કાફર" ગણેલા.
 "નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો
  એ રીતે કૈકવાર અકારણ ખુદા મળ્યો
  પયગંબરી નથી મળી તો પણ થઇ કમાલ
  ઊંચું હશે અમારું ય ધોરણ ખુદા મળ્યો
  આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે
  નાસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો"
આવી બેબાક સૂફી રચનાઓના નાયક શેખાદમ આબુવાલાએ ગુજરાતી ગઝલને આમ વર્ગ સુધી પહોચાડવામાં પાયાના પથ્થરનું કાર્ય કર્યું છે. આજે ખુદાના દરબારમાં શેખાદમ બેઠા હશે અને ત્યાં પણ  ખુદાને સંબોધીને કહેતા હશે,
"શૂન્યતા છે એટલે હોવાની વાત
હું કરું છું કયાં તને જોવાની વાત"

Sunday, December 16, 2012

હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુ : ડૉ. મહેબૂબ દેસાઈ



૨૫ ડીસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ  ક્રિસમસ અથવા નાતાલનો ઉત્સવ ઉજવ્યો.ભગવાન ઈસુ જેમને ઇસ્લામમાં હઝરત ઈસા મસીહા અને "કલિમતુમમીનલ્લાહ" તરીકે ઓળખવામાં આવે છે. "કલિમતુમમીનલ્લાહ" અર્થાત પ્રકૃતિ વિરુદ્ધના અલ્લાહના આદેશનું પરિણામ. ભગવાન ઇસુનો જન્મ ખુદા કે ઈસુના આદેશ માત્રથી થયો હતો. માટે જ તેમને ઈશ્વરના પુત્ર કહેવામા આવ્યા છે. કુરાને શરીફમાં હઝરત ઈસા કે ભગવાન ઇસુના જન્મનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે. કુરાને શરીફના પારા ત્રણમા સુરતુલ આલે ઈમરાનમા હઝરત ઈસા (ઈસુ)ના જન્મની વિગતો આપતા કહેવામાં આવ્યું છે,
"હે મરિયમ, અલ્લાહ તને પોતાના એક ફરમાનની ખુશખબરી આપે છે. તને એક પુત્રનો જન્મ થશે. તેનું નામ મસીહ ઈસા ઇબ્ને મરિયમ હશે. અને તે આખિરતમાં સન્માનિત થશે. અલ્લાહના સમવર્તી બંદામાં તેને માનવમાં આવશે. લોકો સાથે તે પારણામાં પણ વાત કરશે. અને મોટી વયે પહોંચીને એક સદાચારી પુરુષ બની રહેશે"
આ સંભાળી મરીયમે કહ્યું,
"પરવરદિગાર, મને બાળક કેવી રીતે થઇ શકે ? મને કોઈ પુરુષે હાથ સુધ્ધા નથી લગાડ્યો"
ઉત્તર મળ્યો,
"આવું જ થશે. અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે. તે જયારે કોઈ કામ કરવાનો નિર્ણય કરે છે ત્યારે માત્ર કહે છે "કુન" અર્થાત "થઇ જ" અને તે થઇ જાય છે"
કુરાને શરીફની આ ઘટના જેવી જ ભગવાન ઇસુના જન્મ અંગે ખ્રિસ્તી ધર્મના ગ્રંથોમાં પણ એક કથા છે. "ભગવાન ઈસુ" (અનુવાદક : રમણલાલ સોની અને ઈસુદાસ કવેલી, પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પ્રકાશન,અમદાવાદ) નામક પુસ્તકમાં ઇસુના જન્મનું વર્ણન આપતા લખવામા આવ્યું છે,
"પ્રણામ  હે મરિયમ, તું પ્રસાદ પાત્ર છે. પ્રભુ તારી સાથે છે. જગતની સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે"
દેવદૂતના આવા વચનો સાંભળી મરિયમ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ કેવા પ્રકારના પ્રણામ ! ત્યારે દેવદૂતે કહ્યું,
"ગભરાઈશ નહિ મરિયમ, ઈશ્વર તારા પર પ્રસન્ન છે. તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે. તેનું નામ ઈસુ રાખજે. એ મહાન થશે. અને પરમાત્માનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાઉદનું રાજસિંહાસન આપશે. અને તે યુગોના યુગો સુધી ઇઝરાઇલની પ્રજા પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત  નહિ"
આ વિધાન સત્ય સાબિત થયું. અને જગતમાં ઈસા મસીહાનું આગમન થયું. પણ દરેક ધર્મ પુરુષને પોતાના વિચારો અને ઉપદેશો લોકોને સમજાવવામાં પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમ ભગવાન ઇસુના જીવનમાં પણ બન્યું. ભગવાન ઈસુને પોતાના શિષ્યોને પ્રારંભમા ઉપદેશ આપતા ઘણી મુશકેલીઓ સેહવી પડી. તેથી ઘણીવાર તેમને એક જ ઉપદેશ વારંવાર આપવો પડ્યો હતો. એમાંનો એક ઉપદેશ એ હતો કે,
"મારે અને જિંદગીમા મારા ભાગીદાર થનારાઓએ દુઃખનો જામ પીવો પડશે. અને મૃત્યુની દીક્ષા લેવી પડશે. એ અનુભવ ગમે તેટલા આકરા હોય પણ તેનો સ્વાદ સૌએ ચાખવાનો છે"
આમ જગતમાં ખુદાના પુત્ર ભગવાન ઈસુ (હઝરત ઈસા મસીહા)એ  જગતને સત્ય, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો. તેમના ઉપદેશો અને આચરણમા માત્રને માત્ર સત્ય જ હતું. તેઓ કહેતા,
"મુર્ખાઓ જ્ઞાન અને શિક્ષણને તુચ્છ માને છે"
"તું તારી સ્ત્રીમાં જ હંમેશા સંતોષી અને આનંદિત રહે. પર સ્ત્રી પર આશક થવું યહોવાહને છેતરવા સમાન છે"
"જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને રોટલી આપ. અને તરસ્યો હોય તો પાણી આપ"
"તું તારા પુત્રને શિક્ષા કરીને પણ સત્યના રસ્તે ચડાવ. મોટો થઇ તે તને દુવા આપશે"
 એકવાર એક યુવાન ભગવાન ઈસુ પાસે આવ્યો. અને બોલ્યો,
"હે ખુદા, નાનપણથી હું ધર્મના નૈતિક મૂલ્યોને વળગી રહ્યો છું. જેમ કે ખુન ન કરવું. વ્યભિચાર ન કરવો. ચોરી ન કરવી. મા-બાપણે માન આપવું. છતાં મને આત્મ સંતોષ નથી"
ઈસુએ તે યુવાન સામે જોયું. તેના વૈભવી લિબાસ અને આભૂષણો જોઈ ઈસુ બોલ્યા,
"તારી પાસે જે કઈ છે તે બધું વેચી નાખ અને જે કઈ ઉપજે તે ગરીબોમાં વહેચી દે. એ જ તને સંતોષ આપશે"
ઇસુના ઉપદેશોમાં રહેલ આવી માનવતા અને તેના આચરણ અંગે ઘણા અગ્રેજ ચિંતકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. એ મુજબ "ધી કોડ ઓફ ક્રાઈસ્ટ" ગ્રંથમા જીરાલ્ડ હર્લ્ડે લખે છે,
"ઇસુના ઉપદેશોની વાતો સાચી માનવી આપણને વસમી લાગે છે. કારણકે એ ઉપદેશો આપણા ચારિત્રની કસોટી કરવા માંગે છે. સૌથી મોટી અને મુખ્ય સમસ્યા તો ઇસુના ગીરી પ્રવચનની છે. એ ગીરી પ્રવચન સાચું હતું, એમ આપણે માની શકીએ. આપણા વર્તમાન જીવનમાં તેનો અમલ કરવામાં અડચણ ન આવે, તો ઇસુની સુવાર્તાઓના બાકીના બધા કથનો તો એના કરતા ઘણા ઓછા અસંભવિત લાગે એમા શંકા નથી"
ભગવાન ઇસુના ઉપદેશો અંગે જાણીતા ચિંતક બર્નાડ શો કહે છે,
"ઇસુના ઉપદેશમાં વિદ્યુત જેવી શક્તિ છે. તેને માટે યોગ્ય યંત્ર શોધવાની જરૂર છે. એવું યંત્ર કે જે તેમના ઉપદેશોને માનવજાતિના કલ્યાણ માટે વ્યવહારમાં મૂકી શકે. અને તેના પરિણામે માનવા સમાજમાં ભારે ક્રાંતિ સર્જાય"
આવા નીતિ વચનોના પોષક હઝરત ઈસા મસીહા અર્થાત ભગવાન ઈસુનું સમગ્ર જીવન માનવ સેવામા વ્યતીત થયું હતું. અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન ક્રિસમસની સાચી ઉજવણી તેમના ઉપદેશોના આચરણમાં રહેલી છે.

Tuesday, November 20, 2012

શિક્ષણ અને ધર્મ : ડો. મહેબૂબ દેસાઈ



જન શિક્ષણ અંગે વિશાદ છણાવટ કરવા હાલમાં જ ત્રીજી જન શિક્ષા પરિષદ ૧૯ થી ૨૩ નવેંબર દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ અને લોકભારતી,સણોસરાના ઉપક્રમે યોજાઈ ગઈ. પરિષદમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચાઓ થઇ. શિક્ષણના વ્યવસાયકરણના વિકૃત સ્વરૂપ અંગે પણ છણાવટ થઇ. એક સમયે શિક્ષણ સેવાના સ્વરૂપે પ્રચલિત હતું. આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં શિક્ષણ ધર્મ અને આશ્રમ શાળાઓ સાથે અતુટ રીતે સંકળાયેલું હતું. પ્રાચીન સમયમાં સમાજમાં ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. આ વર્ણ વ્યવસ્થા સાથે તેના વ્યવસાયો પણ નિશ્ચિત હતા. એ મુજબ બ્રાહ્મણો ધર્મના અર્થ ઘટનનું અને શિક્ષણનું કાર્ય કરતા હતા. એ જ રીતે એ સમયે વ્યક્તિના જીવન કર્મને પણ ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું હતા. ૧ થી ૨૫ વર્ષ દરમિયાન વ્યક્તિ બ્રમચર્ય વ્રતનું પાલન કરતો. ગુરુના આશ્રમમાં રહેતો. ગુરુની સેવા કરો. આશ્રમનું કાર્ય કરતો. ભિક્ષા માંગવા જતો. અને સાથે સાથે ગુરુ પાસેથી જ્ઞાન પણ મેળવતો. આશ્રમના કુદરતી વાતાવરણમાં મેળવેલ એ જ્ઞાન પુસ્તકિયું જ્ઞાન ન હતું. એ સાચા અર્થમાં જીવન જ્ઞાન હતું. આપણાં જાણીતા શાયર નિદા ફાજલીએ તેમના એક શેરમાં આવી જ કંઈક વિભાવનાને શબ્દ દેહ આપતા લખ્યું છે,

"ધૂપ મેં નીકલો, ઘટાઓ મેં નહાકર દેખો
ઝીંદગી કયા હૈ કિતાબો કો હટા કર દેખો"

પ્રાચીન સમયની આપણી આશ્રમ શાળાઓ આપણી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ જેવી હતી. ગાંધીજીએ આપેલ બુનિયાદી શિક્ષણના વિચાર સાથે તે મહંદ અંશે સામ્ય ધરાવે છે. એ પછી મધ્યકાલીન ભારતમાં તુર્ક-અફઘાન શાસન અને મોઘલ શાસનકાળ દરમિયાન મકતબ અને મદરેસાઓ શિક્ષણનું કેન્દ્ર બન્યા. મોટેભાગે આવા મદ્રેસાઓ મસ્જિતમાં ચાલતા. ફજર(પ્રભાત)ની નમાઝ બાદ મદ્રેસા શરુ થતા અને છેક ઝોહર(બપોર)ની નમાઝ સુધી ચાલતા. એમાં ધાર્મિક જ્ઞાન સાથે જુદા જુદા વિષયનું જ્ઞાન પણ આપવામાં આવતું. એ સમયે પણ ઉસ્તાદ કે મૌલવીના શિષ્ય સાથેના સબંધમાં વેતન કેન્દ્રિ સ્થાને ન હતું. ઉસ્તાદ વેતન એટલું જ લેતા જેટલી તેમની જરૂરિયાત હતી. કારણ કે શિક્ષણ સેવા સાથે સંસ્કારો અને મુલ્યોના જતનનું કાર્ય પણ કરતુ હતું. પણ મેકોલ નામના અંગ્રેજે ભારતીય શિક્ષણના સમગ્ર માળખાને બદલી નાખ્યું. જેમાં શિક્ષણ કેળવણી ન રહેતા. માત્ર વહીવટી કારકુનો બનાવવાનું કારખાનું બની ગયું. આજે પણ શિક્ષણનું એ જ માળખું આપણે યથાવત જાળવી રાખ્યું છે.પરિણામે શિક્ષણનો  સેવા,સંસ્કારો અને મુલ્ય સાથે દૂર દૂર સુધીનો નાતો રહ્યો નથી. શિક્ષણના મુલ્યો અને સંસ્કારોને વ્યક્ત કરતા ઇસ્લામ યુગના બે દ્રષ્ટાંતો જાણવા જેવા છે. બે ઉમદા દ્રષ્ટાતો ઇસ્લામ યુગમાં જાણીતા છે.

હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઇમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠયા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડયા અને બંને વરચે ઝઘડો થયો. કોણ ગુરુને ચંપલ પહેરાવે? અંતે ગુરુએ ન્યાય કર્યો બંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હારૂન રશીદને આ ઘટનાની જાણ થઇ. તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઇમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
આપે મારા રાજકુમારો પાસે ચંપલ ઉપડાવી, તે આપને પહેરાવવાનું કહ્યું હતું?’
હજરત ઇમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઇમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવાર એક નજરે હજરત ઇમામ કસાઈને જૉઈ ખલીફા હારૂન બોલ્યા,
આપે મારા રાજકુમારોને આપના ચંપલ ઉચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઇજજત કરવાના સંસ્કારો આપ્યા છે.
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જયારે હજરત ઇમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડયો. થોભો, મેં આપને જવાની આજ્ઞા હજુ નથી આપી.
પોતાના આસન પરથી ઊભા થઈ. ખલીફા હારૂન રશીદ ગુરુ પાસે આવ્યા અને તેમને દસ હજાર દિનાર આપતા બોલ્યા, ‘આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું આછું છે. છતાં સ્વીકારીને આભારી કરો.
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.
ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક અન્ય કિસ્સો માણવા જેવો છે.
અલીગઢના અપાર ધનાઢય મૌલવી ઇસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઇરછા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત મૌલાના કાસીમ નાનોતવીનો સંપર્ક સાઘ્યો. ગુરુ હજરત કાસીમે શિષ્ય ઇસ્માઇલ સામે એક નજર કરી પછી પોતાની શરત સંભળાવતાં કહ્યું,
તમને હદીસનો અભ્યાસ તો કરાવું પણ તનખ્વાહ(વેતન) મારી ઇરછા મુજબ લઈશ.
શિષ્ય ઇસ્માઇલે તરત કહ્યું, ‘આપ કહો તે તનખ્વાહ (વેતન) મને મંજૂર છે. અને ગુરુ-શિષ્યનો નાતો બંધાયો.  એક માસને અંતે વેતન આપવાનો સમય આવ્યો ત્યારે ગુરુ કાસીમે કહ્યું,
 ‘મને માત્ર પંદર રૂપિયા તનખ્વાહ આપો. આ સાંભળી ધનાઢય શિષ્ય ઇસ્માઇલ તો અવાક બની જોઈ રહ્યો. માત્ર પંદર રૂપિયા !. પણ આવા જ્ઞાની ગુરુ પાસે દલીલને અવકાશ ન હતો. એટલે મૌન રહી પંદર રૂપિયા આપી દીધા. એકાદ માસ થયો ત્યાં તો એક દિવસ ગુરુ કાસીમે પોતાના ધનાઢય શિષ્યને કહ્યું, ‘મારે તનખ્વાહ બાબત તારી સાથે વાત કરવી છે.
શિષ્ય ઇસ્માઇલ તો ખુશ થયો. તેને લાગ્યું વેતનમાં વધારો કરવાનો પ્રસ્તાવ ગુરુ મૂકશે. પણ ગુરુ કાસીમ બોલ્યા, ‘આ માસથી મને પંદરને બદલે માત્ર દસ રૂપિયા જ વેતનના આપજો.
હવે ધનાઢય શિષ્યથી ન રહેવાયું, ‘આપ જેવા જ્ઞાની પાસેથી હદીસનું ગૂઢ જ્ઞાન મેળવવું એ તો તકદીરની વાત છે છતાં આપ આટલું ઓછું વેતન શા માટે માગો છો ?’
હજરત કાસીમ બોલ્યા, ‘પંદર રૂપિયા મારી જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતા હતા. મારા કુટુંબનું ખર્ચ દસ રૂપિયા અને પાંચ રૂપિયા મારા વાલીદ (પિતા)ને આપતો. પણ ગઈ કાલે તેમનું અવસાન થયું એટલે હવે પાંચ રૂપિયાની મારે જરૂર નથી. જે પૈસાની જરૂર ન હોય તેનો બોજો મારે શા માટે વહન કરવો જૉઈએ?’ આટલું કહી ગુરુ કાસીમે વિદાય લીધી.
આજે શિક્ષણ સેવા ન રહેતા વ્યવસાય બનું ગયું છે. શિક્ષણમાં જ્ઞાન કરતા માહિતીનું મહત્વ વધ્યું છે. ત્યારે ઉપરોક્ત દ્રષ્ટાંતો આપણી આદર્શ શિક્ષણ પરપરાગતના અવશેષો માત્ર બની રહ્યા છે.

Thursday, November 15, 2012

ધંધુકાના સુન્ની મુસ્લિમ દેસાઈ : ડૉ. મહેબૂબ દેસાઈ




ગુજરાતમાં મુસ્લિમ શાસકોના આગમન પૂર્વે પણ આરબ વેપારીઓનો ગુજરાતના દરિયા કિનારા સાથેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો.ખંભાત અમે ઘોઘા જેવા પ્રાચીન બંદરો પર આરબ વેપારીઓ જહાંજોમાં માલ ભરીને આવતા. આવા વેપારીઓને કારણે જ ગુજરાતના બંદરો ઉપર ઇસ્લામિક સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર છેક પ્રાચીન સમયથી થયો હતો. તેનું ઉમદા દ્રષ્ટાંત ઘોઘામાં આવેલ આઠમી સદીની સૌથી પ્રાચીન મસ્જિત છે. જે આજે પણ પ્રાચીન સમયના હિંદુ-મુસ્લિમ સંબંધોની યાદ આપતી ખંડેર હાલતમાં હયાત છે. એ દરમિયાન મુસ્લિમ સંતો અને મુસ્લિમ શાસકોએ ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોને સહારે ઇસ્લામનો ફેલાવો ગુજરાતમાં કર્યો હતો. પરિણામે ગુજરાતમાં અનેક જાતિઓએ  સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. તેમાં સ્વેચ્છાએ ઇસ્લામનો અંગીકાર કરનાર "દેસાઈ"અટક ધરાવતા ધંધુકાના મુસ્લિમ સુન્ની વહોરાઓ નોંધપાત્ર છે.

મુસ્લિમ દેસાઈ અટકને આજે પણ હિંદુ સમાજ અચરજની નજરે જુએ છે. કારણે કે મુસ્લિમ સમાજમાં "દેસાઈ" અટક મોટે ભાગે જોવા મળતી નથી.તેથી તેઓ આવી દેસાઈ અટક ધરાવતા મુસ્લિમોને વટાળવૃતિનો ભોગ બનેલા હિંદુઓ તરીકે ઓળખે છે. પણ તે સાચું નથી. વટાળવૃતિમાં ભય અને બળનું તત્વ સમાયેલું હોય છે. જયારે સ્વેચ્છાએ ઇસ્લામ અંગીકાર કરવામાં ઇસ્લામ પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત થાય છે. ઐતિહાસિક આધારોએ સિદ્ધ કર્યું છે કે દેસાઈઓએ સ્વેચ્છિક રીતે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. દેસાઈ અટકની ઉત્પતિ અંગે ઇતિહાસમાં કોઈ સ્પષ્ટ નિર્દેશો જોવા મળતા નથી.પણ તેના શબ્દાર્થને ધ્યાનમાં રાખી તેનું અર્થઘટન કરવામાં આવેલ છે. એ મુજબ "દેસાઈ"નો અર્થ રાજ્યની સેવા બદલ રાજ્યેએ આપેલ બક્ષિશનો માલિક. અથવા રાજ્યની સેવા બદલ રાજ્ય દ્વારા મળતું વર્ષાસન. એ સંદર્ભે દેસાઈ અટક દેસાઈ સમાજના મુસ્લિમ શાસકો સાથેના મીઠાં સંબધો સૂચવે છે. ટૂંકમાં રાજ્ય તરફથી મળેલ બક્ષિશ કે વર્ષાસન મેળવનારને દેસાઈ કહેવામાં આવતા.મોઘલ સમયમાં આવી દેસાઈગીરી મેળવનારા મુસ્લિમો અસ્તિત્વમાં આવ્યા હતા. "દેસાઈગીરી" મેળવનારા પ્રજાએ મોઘલ બાદશાહ જહાંગીરના સમયમાં ઇસ્લામનો સ્વેછીક અંગીકાર કર્યાના આધારો સાંપડે છે.
ઈ.સ. ૧૬૧૭ના ડિસેમ્બર માસમાં જહાંગીર ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. ઈ.સ. ૧૬૧૭ ડીસેમ્બર થી ઈ.સ. ૧૬૧૮ ઓક્ટોબર સુધી તે ગુજરાતમાં રોકાયો હતો.તેની સાથે શાહજહાંની બેગમ મુમતાઝ પણ ગુજરાતમાં આવી હતી. જેણે ૨૪ ઓક્ટોબર ૧૬૧૮ના રોજ ઔરંગઝેબને જન્મ આપ્યો હતો.
બાદશાહ જહાંગીરના ગુજરાતમાં રોકાણ દરમિયાન તેણે રાજ્યના અનેક વફાદાર સેવકોની સેવાને બિરદાવી તેમને જાગીરો, જમીનો તથા ઇનામ ઇકરામ આપ્યા હતા. એટલે કે તેમને "દેસાઈગીરી" બક્ષી હતી. આ દેસાઈગીરી મેળવનારા કેટલાક લોકોએ જહાંગીરની મહોબ્બત અને ઇસ્લામના ઉમદા સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. એ રીતે સુન્ની વહોરા સંપ્રદાયના "દેસાઈ"ઓ અસ્તિત્વમાં આવ્યા હતા. ગુજરાતના મુસ્લિમો પર ઊંડું સંશોધન કરનાર શ્રી કરીમમહમંદ માસ્તર તેમના પુસ્તક "મહા ગુજરાતના મુસલમાનો"માં નોંધે છે,
"ધંધુકા, કાવી અને જંબુસરના કેટલાક સુન્ની વહોરાઓ મૂળ "રાવળિયા" હતા."
રાવળિયા એટલે રાજકીય સબંધ ધરાવનાર. રાવળિયા શબ્દ પરથી રાવલ શબ્દ ઉતરી આવ્યો છે. દેસાઈઓ મુસ્લિમ શાશકોના વફાદાર સેવકો હતા. એટલે જ મુસ્લિમ શાસકોએ તેમને ઇનામ-ઇકરામ આપી દેસાઈગીરી આપી હતી. એ બાબત દેસાઈઓના મુસ્લિમ શાસકો સાથે મીઠાં રાજકીય સબંધો વ્યક્ત કરે છે. પરિણામે તેમને રાવળિયા કહેવામાં આવ્યા હતા.
શ્રી કરીમમહંમદ માસ્તર દેસાઈ આ અંગે આગળ લખતા કહે છે,
"ધંધુકામાં દેસાઈની અટક ધરાવતા કેટલાક સુન્ની વહોરા કુટુંબો ગામડાના સમાન્ય વહોરાથી નિરાલા છે. અલગ છે. દેસાઈ કુટુંબના મૂળ પુરુષ રાજપૂત હતા અને જહાંગીર બાદશાહના વખતમાં સ્વેચ્છાએ મુસ્લિમ થયા હતા.બાદશાહની એ વખતની સનદ હજુ તેમના કુટુંબોએ જાળવી રાખી છે."
 દેસાઈ સુન્ની વહોરાઓના રીતરીવાજો, પહેરવેશ અને ભાષા પર ગુજરાતીપણાની ઘાડ અસર જોવા મળે છે. જેમાં તેમના ગુજરાત પ્રદેશ સાથેના મૂળભૂત સંસ્કારો જોઈ શકાય છે. દેસાઈઓ ઘરમાં ગુજરાતી ભાષા જ બોલે છે. તેમના પહેરવેશમાં સ્ત્રીઓ મોટે ભાગે સાડી પહરે છે. જયારે પુરુષો સામાન્ય ગુજરાતી પોષકને પ્રાધાન્ય આપે છે. આ ઉપરાંત દેસાઈના લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી સંસ્કારો જોવા મળે છે. જેમ કે ઇસ્લામમાં મામેરું વગાડવાનો રીવાજ નથી. પણ દેસાઈઓના લગ્નમાં તે જોવા મળે છે. દેસાઈઓ મોટે ભાગે લગ્ન સબંધો દેસાઈઓમાં જ કરવાનું પસંદ કરે છે.  તેઓ મોટે ભાગે કન્યા બહારથી લાવતા નથી કે કન્યા બહાર આપતા નથી. જો કે બદલાયેલા આધુનિક સમયમાં આ નિયમને દેસાઈઓ વળગી રહ્યા નથી.મલેક, શેખ વહોરા જેવી મુસ્લિમ જાતિઓમાં લગ્ન સંબધો બાંધવાનો સિલસિલો હવે શરુ થયો છે.
કરીમ મહંમદ માસ્તર આગળ લખે છે,
"એક વર્ગ તરીકે તેમનું ભાવી ઉજળું છે. તેમનામાં કેટલાક તેમના છોકરાઓને અંગ્રેજી કેળવણી આપતા થયા છે. હવે તો એ સમાજમાં યુનિવર્સિટીની દરેક પદવી ધરાવતા યુવક યુવતીઓ જોવા મળે છે"

આજે તો દેસાઈ કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ સ્ત્રી અને પુરુષો બંનેમાં એંસી ટકા જેટલું વધ્યું છે.દેસાઈઓની આજની પેઢીમાં શિક્ષિત વેપારીઓ, દાક્તરો, વકીલો, શિક્ષકો, પ્રોફેસરો, સરકારી કર્મચારી અને ઉચ્ચ અધિકારીઓનો મોટો ફાલ જોવા મળે છે. ધંધુકા જેવું નાનકડું ગામ છોડીને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં વસેલા દેસાઈઓ આજે પોતાના સમાજ સાથે રાજ્ય અને રાષ્ટ્રની સેવામાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

(તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અભિનંદન ગ્રંથ "ડો. મહેબૂબ દેસાઈ :વ્યક્તિત્વ અને વાડ્મય"
સંપાદકો : એમ. જે. પરમાર અને અન્ય, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદમાંથી સાભાર)

Saturday, November 10, 2012

વિશ્વના પ્રથમ સત્યાગ્રહી : ઈમામ હુસૈન : ડો. મહેબૂબ દેસાઈ



૧૬ નવેમ્બરે મુસ્લિમ માસ મહોરમનો આરંભ થાય છે. મહોરમ હિજરી સંવંતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મહોરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ , શોક કે દુ:ખ. આ જ માસના ૯ અને ૧૦માં ચાંદે હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી.સત્ય અને અસત્યની એ લડાઈમાં ઈમામાં હુસેન શહીદ થયા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુ:ખનો માસ છે. મોહંમદ સાહેબ (સ.અ.વ.)ના પુત્રી હઝરત ફાતિમા (ર.અ.)ના નિકાહ હઝરત અલી (ર.અ.) સાથે થયા હતા.તેમના સંતાન હઝરત ઈમામ હુસૈન (ર.અ.) કરબલાના યુદ્ધમાં તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ થયા.એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઈમામ હુસેનનો જન્મ મદીનામાં ૫ શાબાન હિજરી સંવંત ૪મા થયો હતો. નાના હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.)નો ખોળો ખુંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઈમામ હુસેનની ઈબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. ૨૫ વખત પગપાળા હજજ કરનાર ઈમામ હુસેનની સખાવત ચોમેર પ્રસરેલી હતી. વયોવૃદ્ધ , અશક્ત અને આબરૂદાર માનવીઓને ઈમામ હુસેન મોં માંગી મદદ કરતા. બેરોજગારોને એક હજાર દીનાર અને એક હજાર બકરીઓ વિના હિચકિચાટ તેઓ આપી દેતા. એકવાર એક નિર્ધન, પણ આબરૂદાર માનવી આપના દ્વારે આવ્યો. એક નાનકડી ચબરખીમાં તેણે લખ્યું,
" હું અત્યંત ગરીબ છું . જવનો એક દાણો ખરીદવા જેટલા પૈસા પણ મારી પાસે નથી. માત્ર એક વસ્તુ મારી પાસે છે, અને તે મારી આબરૂ . તેને વેચવા આપની પાસે આવ્યો છું.આપ તેની જે કિંમત આંકો તે મને મંજુર છે."
હઝરત ઈમામ હુસેન આ ચબરખી વાંચી બહાર દોડી આવ્યા. પેલા આબરૂદાર માનવીના હાથમાં દસ હજાર દીનાર મુકતા આપે ફરમાવ્યું,
"હાલ તુરત આનાથી વધારે રકમનો બંદોબસ્ત મારાથી થઇ શકે તેમ નથી. આપ એમ જ સમજ જો કે આપે સવાલ નથી કર્યો અને મેં આપની આબરુની કિંમત નથી આંકી" આવા ઉદાર,સખાવતી અને ખુદાની ઇબાદતમાં હંમેશા લીન રહેતા.

કુફા શહેરની પ્રજા તાનાશાહ યઝદીના અત્યાચારી શાસનથી ત્રાસી ગયા હતા.કુફાની પ્રજાએ વારંવાર તેની જાણ હઝરત ઈમામાં હુસૈનને કરી હતી. અને યાઝાદીના અત્યાચારોથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી. પરિણામે હઝરત ઇઅમામ હુસૈને તેની તપાસ કરવા જનાબ મુસ્લિમ બિન અકીલ ને કુફા મોકલ્યો.
પ્રજાની ફરિયાદ સાચી લગતા હઝરત ઈમામ હુસૈને  હિજરી સન ૬૧ (ઈ.સ.૬૮૦)મહોરમ માસની બીજી તારીખે પોતાના ૭૨ સાથીઓ સાથે કુફા તરફ પ્રયાણ કર્યું. કરબલાના મૈદાન પાસે "કુરાત"ના કાંઠે સૌએ પડવા નાખ્યો. પણ યઝદીના ૩૬૦૦૦ના લશ્કરે તેમને ઘેરી લીધા.અને હઝરત ઈમામ હુસૈનના પડાવના તંબુઓ તોડી નાખ્યા. છતાં ઇઅમામ હુસૈન અસત્ય અને અત્યાચાર સામે ઝૂકવા તૈયાર ન થયા. અને કહ્યું,
"હું શહદાતમાં મુક્તિ જોવું છું"
મહોરમની દસમી તારીખે હઝરત ઇઅમામ હુસૈન અને તેમના સાથીઓને યુદ્ધ કરવું પડ્યું. એ યુદ્ધ આત્મરક્ષણ માટેનું હતું.  હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ જયારે દુશ્મન યઝીદના લશ્કરથી ઘેરાય ગયા ત્યારે પણ તેમનો આ સ્વભાવ યથાવત હતો. મહોરમ માસની ૭, ૮ અને ૯મી તારીખે તો પાણીના એક એક બુંદ માટે નાના મોટા સૌ તડપતા હતા. છ માસના બાળક અલી અસગર ત્રણ ત્રણ દિવસથી પાણી મળ્યું ન હતું.  ૯ અને ૧૦મી વચ્ચેની રાત તો કતલની રાત હતી.યઝીદના ચાર હજાર ઘોડેસવારોએ અહિંસાના પુજારી સમા ઈમામ હુસેનના ૭૨ સાથીઓને ઘેરી લીધા.ત્યારે હઝરત ઈમામ હુસૈન બોલી ઉઠ્યા હતા,
"માનવ મુલ્યો અને આદર્શોનો નાશ થઇ રહ્યો છે.સદાચાર અને નીતિમત્તાનું પ્રમાણ ઘડામાં રહેલા પાણીના ટીપા જેટલું જ રહ્યું છે. દુરાચાર અને અનીતિનું આચરણ વ્યાપક છે. આ સ્થિતિમાં સત્યને માર્ગે ચાલનારે પોતાની જાતને વહેલામાં વહેલી તકે અલ્લાહને હવાલે કરી દેવી જોઈએ" ૧૩૬૪ વર્ષ પૂર્વે હઝરત ઈમામ હુસૈને ઉચ્ચારેલા આ એક સત્યાગ્રહીની સાચી મનોદશા વ્યક્ત કરે છે.

અને એટલે જ કરબલાના મૈદાનમાં હિંસાને રોકવા હઝરત ઈમામ હુસેને પોતાની જાતને અર્પણ કરતા યઝદીને સંદેશો પાઠવ્યો હતો,
" મને મારી નાખો, કેદ કરી લો પણ મારા નિર્દોષ સાથીઓ, બાળકો, સ્ત્રીઓ ને ન મારશો "
પણ ક્રૂર યઝદી તેમની વાત ન માન્યો અને પોતાનું વિશાલ લશ્કર ઈમામ હુસેનના સાથીઓ
પર છોડી મુક્યું . ઈમામ હુસેનના સાથીઓએ હિંમતભેર તેનો સામનો કર્યો. ઈમામ હુસેનના સંતાનો પણ પિતાના આદેશ અનુસાર એક પછી એક મૈદાને જંગમાં અસત્યના યુધ્ધમાં જોડાયા હતા અને શહીદ થયા હતા. જેમકે હઝરત અલીઅકબર. જયારે તેમના પુત્ર હઝરત જૈનુંઅલ આબીદીન બીમારીને કારણે યુધ્ધના મેદાનમાં અવસાન પામ્યા હતા. સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, નીતિ અને અનીતિની એ લડાયમાં હઝરત ઈમામ હુસેનન ૭૨ સાથીઓ પણ યઝદીના વિશાલ લશ્કરને ભારે પડ્યા હતા. અને યઝદીને પીછેહટ કરવી પડી અને તેથી તે ઉશ્કેરાયો. યુદ્ધના તમામ નિયમો નેવે મૂકી તેણે આડેધડ કતલેઆમ શરુ કરી. અને આમ હઝરત ઈમામ હુસેન અને તેમના સાથીઓ શહીદ થયા. એ દિવસ હતો ૧૦ મોહરમ ,શુક્રવાર હિજરી સંવંત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ. ઈમામ હુસેનની આ શહાદતના શોકમાં મોહરમ માસમાં મુસ્લિમો શોક પાળે છે. ઈમામ હુસેન માટે દુઆ કરે છે અને તેમની શહાદતને આંસુભીની આંખે યાદ કરે છે.

Wednesday, October 31, 2012

ધર્મ અને સમાજ : ડો. મહેબૂબ દેસાઈ



વ્યક્તિ સામાજિક પ્રાણી છે. પણ તેને માનવી બનાવવાનું કાર્ય ધર્મ કરે છે. સંસ્કૃત ના એક શ્લોકમાં કહ્યું છે, "આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ ચારે વૃત્તિઓ માનવી અને પશુમાં સરખી છે. પણ ધર્મ માણસને પશુથી અલગ પાડે છે."
અર્થાત પશુથી માણસને જુદો પાડનાર ભેદરેખા તે ધર્મ છે. નદી કિનારે બેસીને સ્નાન કરતા એક સાધુ નદીમાં તણાતા એક વીંછીને પાણીના પ્રવાહમાં તણાતા રોકવા વારંવાર તેને પકડી પાણીથી દૂર કરતા હતા. અને એ વીંછી વારંવાર ડંખ મારતો હતો. કોઈએ એ સાધુને તેમના આવા ગાંડપણ અંગે કહ્યું,
"એ વીંછીને આપ શા માટે વારંવાર છેડો છો ?" સાધુએ વીંછીના ડંખની પીડાને સહેતા કહ્યું,
"આવો નાનકડો જીવ પણ તેનો સ્વભાવ છોડતો નથી તો પછી હું તો માનવી છું. હું મારો તેને બચાવવાનો માનવીય ગુણ કેવી રીતે છોડી શકું ?"
ધર્મ માનવીને સાચા અર્થમાં માનવી બનાવે છે. પણ ધર્મનો દેખાડો અનિવાર્ય નથી.તેને ઘરની બહાર લાવી તેનું અવમુલ્યન કરવું જરૂરી નથી. કારણ કે ધર્મ એ વ્યક્તિની અત્યંત અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. અને તે છે માતા-પિતા અને મઝહબ. વ્યક્તિને તેના માતા-પિતા જન્મદત્ત મળે છે. માનવી કયારેય તેની પસંદગી કરી શકતો નથી. ઇસ્લામમાં તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કુરાને શરીફમાં કહ્યું છે,
કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબને સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.
વળી, દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી.દરેક મઝહબ શ્રેષ્ટ છે.તેની શ્રેષ્ટતાને સાહજિક રીતે સ્વીકારવી જોઈએ. તેને માન આપવું જોઈએ. તેનો જીવનમાં અમલ કરવો જોઈ.  પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા સાબિત કરવા સંઘર્ષ કરે છે. તેની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળીમાનવી પોતાના મઝહબને શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. મારો મઝહબ શ્રેષ્ઠ છેઆપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમાજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.
૧૯૯૧ના ઓક્ટોબરમાં મેં કલકત્તામાં આવેલ બેલુર મઠની મુલાકાત લીધી હતી.ત્યારે આસપાસ કોઈ મસ્જિત ન હોઈ મેં મઠના સ્વામીજીને પૂછ્યું હતું,
"સ્વામીજી, આવતી કાલે શુક્રવારની નમાઝ હું બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી શકું ?"
મારો પ્રશ્ન સંભાળી બેઘડી તો આસપાસ બેઠેલા સાધુ-સાધવીઓમાં સોપો પડી ગયો. પણ સ્વામીજીએ અંત્યત સહજતાથી કહ્યું,
"મહેબૂબભાઈ, ધ્યાનખંડ ઈશ્વર-ખુદાની પ્રાર્થના માટે જ બનાવવામાં આવ્યો છે. તે સર્વ માટે ખુલ્લો છે." અને તે દિવસે મેં શુક્રવારની નમાઝ બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી. સમગ્ર નમાઝ દરમિયાન એક સ્વયંસેવક મારી આગળથી કોઈ પસાર ન થાય તેની તકેદાર રાખતો ઉભો રહ્યો. કારણ કે નમાઝ સમયે નમાઝ પઢનારની આગળથી પસાર થવાથી નમાઝની રકાત ખંડિત થઈ જાય છે. આવી અન્ય ધર્મ પ્રત્યેની ઈજ્જત જ સમાજમાં શાંતિ અને એખલાસ સ્થાપે છે.  
મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો જય જીનેન્દ્ર” કહું છું. રાજપૂત વડીલને જય માતાજી, તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને જય સ્વામીનારયણ” અચૂક કહું છું. પરિણામે મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.
આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પ્રાપ્ત થશે. મસ્જિતમાં નમાઝ પઢવામાં માટે વઝું અનિવાર્ય છે. તો પછી મંદિરમાં પ્રાર્થના માટે પ્રવેશતા પૂર્વે હાથ મો ધોઈ પવિત્ર થવાની ક્રિયા શા માટે ન સ્વીકારી જોઈએ ? પવિત્ર સ્થાન માટે ના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. અને તો જ દરેક ધર્મ અંગે માન અને પવિત્રતા સમાન રીતે સમાજમાં સ્થાપિત થશે.
 ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને તમારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો સૌ પ્રથમ શરત એ છે કે અન્યના મઝહબને ઈજ્જત બક્ષો. તેનું માન જાળવો. અને એ પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો.

Saturday, October 20, 2012

પ્રોફે. મહેબૂબ દેસાઈનો અભિનંદન ગ્રંથ




૨૮ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ભાવનગરના શિવશક્તિ હોલમાં યોજાનાર ડો.મહેબૂબ દેસાઈના અભિવાદન સમારંભમાં ડો. જયંતિ રવિ, કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ,ગુજરાત રાજયના હસ્તે વિમોચન થનાર ડો. મહેબૂબ દેસાઈનો અભિનંદન ગ્રંથ 
પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ 

Monday, October 15, 2012

ધર્મનું વ્યક્તિગત મહત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. માતા-પિતા અને મઝહબ. માતા-પિતા જન્મદત્ત છે. તેની પસંદગી શક્ય નથી. ઇસ્લામ તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતને પણ સ્વીકારતો નથી. કુરાને શરીફમાં કહ્યું છે,
“કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબ સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.

દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી. પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળી, માનવી પોતાના મઝહબ શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. “મારો મઝહબ શ્રેષ્ઠ છે, આપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.

મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો “જય જીનેન્દ્ર” કહું. રાજપૂત વડીલને “જય માતાજી” તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને “જય સ્વામીનારયણ” અચૂક કહું. મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને “સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.

આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પણ મળશે. ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને મારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો પ્રથમ અન્યના મઝહબને ઈજ્જત બક્ષો અને પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો. ઇસ્લામના અનુયાયીઓ કયારેક જાહેરમાં નમાઝ અદા કરતા હોઈ છે. ત્યારે તેમને મળતી સગવડતા અને માન અન્ય મઝહબને પણ આપવાની માનસિક તૈયારી તેમણે રાખવી જોઈએ. 

Saturday, October 13, 2012

ધર્મ એટલે શું ? : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તમા તેને અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ.  માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુધ્ધના મેદાનમાં કહ્યું હતું,
"દેહ અને દેહમાં રહેલ આત્માનો ભેદ જ તું ભુલી ગયો છે. આત્મા અમર છે. માટે તું તારો ધર્મ બજાવ"
શ્રી કૃષ્ણએ  અર્જુનને જે ધર્મ નિભાવવાની,અદા કરવાની વાત કરી, તે કોઈ હિંદુ મુસ્લિમ સંપ્રદાય નથી. તે તો જીવનના નૈતિક મુલ્યોને અનુસરવાનું કાર્ય છે. અર્થાત આપણે જેને ધર્મ  માનીએ છીએ તે તો ધર્મનું ઉપરનું આવરણ માત્ર છે. ક્રિયાકાંડોનું  નિર્જીવ માળખું છે. તેમાં ક્યાય ધર્મ નથી. માત્ર કોઈ પણ સંપ્રદાયના સિદ્ધાંતો અને નિયમો ધર્મ ન બની શકે. અલબત્ત આ નિયમો સિદ્ધાંતો આપણને નૈતિક માર્ગે ચાલવાનું કહે છે. પણ એમ તો આપણો ભારતીય ફોજદારી ધારો પણ આપણને માનવ હિંસા કરવાની ના પાડે, ચોરી કરવાની ના પાડે છે. અને તેમ કરવા બદલ સજાનો આદેશ પણ આપે છે.  છતાં આપણે તેને રામાયણ,ગીતા,કુરાન કે બાઈબલનો દરજ્જો આપતા નથી. તેને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું પુસ્તક જ માનીએ છીએ.

કારણે કે ધર્મ  નૈતિક મુલ્યોના જતન અને અમલ સાથે આધ્યાત્મિક શુદ્ધિ તરફ આપણે દોરે છે. મુલ્યોને જીવનમાં ઉતારી ખુદા ઈશ્વરની પ્રાપ્તિ તરફ લઇ જાય છે. સંપ્રદાયોને ઈશ્વર કે ખુદા સાથે ઝાઝો સંબંધ નથી. તેમના માટે તો તેના સિદ્ધાંતોનો અમલ જ મુખ્ય છે. જયારે ધર્મના કેન્દ્રમાં મુલ્ય નિષ્ઠ માર્ગે ઈશ્વર સમીપ જવાની તલબ કેન્દ્રમાં હોય છે. સાચા ધર્મ સિદ્ધાંતો કે નિયમોના આડંબરમાં રાચતો નથી. તેને તો મુલ્યનિષ્ઠ જીવન અને ઈશ્વર કે ખુદાનો ડર જીવનના કેન્દ્રમાં હોય છે. અને એટલે એવા ધર્મમાં માનનાર ન તો કોઈનું ધર બાળે છે. ન કોઈ મંદિર કે મસ્જિતને તોડે છે.
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ પરીષદમાં આપેલ હિંદુ ધર્મનો આદર્શ એ જ ધર્મ ને વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું,
"મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ, પરંતુ સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ"
કિશોરલાલ મશરૂવાળા ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા કહે છે,
"વૈદિક કે પારલૌકિક ધર્મનો હેતુ મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ,એકતા,સદાચાર,ન્યાય,નીતિ,સુખમય સમાજ જીવન તથા અનેક સદગુણો અને સારી ટેવો નિર્માણ કરવાનો હોવો જોઈએ. મનુષ્યની સ્વતંત્ર રીતે વિવેક અને વિચાર કરવાની શક્તિનો વિકાસ કરવાનો હોવો જોઈએ. કલ્પનાઓ,વહેમો વગેરેમાંથી બહાર કાઢનાર હોવો જઈએ. અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે, પરાવલંબનમાંથી સ્વાવલંબન, અશક્તિમાંથી શક્તિ પત્યે જવાની જે પ્રાણીની માત્રની સ્વાભાવિક ગતિ છે તેને મદદ કરનાર હોવો જોઈએ"

મોટે ભાગે આપણે ધર્મના નામે રૂઢિઓ, પરંપરાઓ અને અંધ વિશ્વાસમાં જકડાયેલા છીએ. કોઈ ધર્મે આવા માનવવિહોણા પ્રતિબંધો મુક્યા નથી. એ આપણા જ ઉભા કરેલા છે. કારણ કે આપણે ધર્મને સંકુચ અર્થમાં સમજીએ છીએ. પણ સાચા અર્થમાં મનુષ્યનું જીવન કાર્ય જ તેનો સાચો ધર્મ છે.મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"ઇસ્લામ એટલે શું ?"
તેમણે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું,
"ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"
માનવીના વાણી વર્તનમાં ધર્મ પ્રગટે છે.જેમ સત્યનું પ્રમાણ શબ્દ નથી પણ જીવન છે તેમ ધર્મનું પ્રમાણ કાર્ય છે. અંગ્રેજ ચિંતક કોયલર કહે છે,
"દીપક બોલતો નથી, પણ પ્રકાશ આપે છે.એમ ધર્મ એ બાહ્ય દેખાવ નથી, એ તો આંતરિક પ્રક્રિયા છે."
સત્યની શોધની તૈયારી એ જ ધર્મની શિક્ષા છે. માટે જ ગાંધીજીએ કહ્યું છે,"સત્ય એ જ પરમેશ્વર છે"
કુરાન-એ-શરીફમાં પણ કહ્યું છે,
"ધર્મ એટલે એવો માર્ગ જે કુમાર્ગોથી અલગ અને સ્પષ્ટ હોય. જે વ્યક્તિ કુવાસનાઓને ત્યજી દે. અને ખુદા કે ઈશ્વર પર શ્રધ્ધા રાખે તે ધાર્મિક છે"
એટલે ધર્મિક હોવા માટે હિંદુ કે મુસ્લિમ હોવું જરૂરી નથી.જીવનને નૈતિક મુલ્યો પ્રમાણે જીવતો માનવી જ સાચો ધાર્મિક છે. માનવી માનવી વચ્ચે પ્રેમ પ્રગટાવે તે જ સાચો ધર્મ. જ્યાં મારું તારું નથી ત્યાં જ પરમાત્માની પ્રાપ્તિણો આરંભ થયા છે. ચિત્તને બધી ગ્રંથીઓથી મુક્તિ તરફ લઇ જવાનો માર્ગ ધર્મ છે. ધર્મ એટલે આંતરિક ખોજ.

Saturday, September 29, 2012




તૈયાર થઈ રહેલા મારા અભિવાદન ગ્રંથનું મુખપૃષ્ઠ 



Sunday, September 9, 2012

તિલક : એક અનુભવ :: ડૉ. મહેબૂબ દેસાઈ


૭,૮ સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના નાનકડા શહેર બડવાનીમા શહીદ ભીમા રાવ સરકારી કોલેજમા "ક્ષેત્રીય ઇતિહાસના વિવિધ આયામો" વિષયક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુ.જી.સી.ના સહયોગથી કરવામાં આવ્યું હતું. એ સેમિનારની એક સેશનના ચેરપર્સન તરીકે ઉપસ્થિત રહેવા ૬ સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી બડવાની જવાનું થયું. ૭મી શુક્રવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન સેમિનારનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો. ઉદઘાટન સમારંભમા યજમાન તરફથી સ્ટેજ પણ બેઠેલા તમામ મહેમાનોનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું. મારા મસ્તક ઉપર પણ કંકુ અને ચોખાનું સુંદર તિલક કરવામા આવ્યું. એ પછી ઉદઘાટન સમારંભ બે ત્રણ કલાક ચાલ્યો. લગભગ ૧૨.૪૫. થઈ એટલે મેં યજમાન કોલેજના આચાર્ય ડૉ. શિવનારાયણ યાદવ સાહેબની રજા લેતા કહ્યું,
" યાદવ સાહેબ, આજે શુક્રવાર છે એટલે હુ જુમ્માની નમાઝ માટે જવા ઈચ્છું છું. નમાઝ પછી લગભગ ત્રણ વાગ્યે હું  પરત આવી જઈશ"
અને યાદવ સાહેબે મને બાઈજ્જત મસ્જિત સુધી પહોંચાડવા ગાડીની વ્યવસ્થા કરી આપી. અને હું બડવાનીની જુમ્મા મસ્જિતમાં જુમ્માની નમાઝ અદા કરવા નીકળ્યો. નાનકડા બડવાનીમા એક જ સુન્ની જમાતની જુમ્મા મસ્જિત છે. તેની બાંધણી જોતા તે વર્ષો જૂની ભાસે છે. મસ્જિતના દરવાજા પાસે ડ્રાયવરે ગાડી ઉભી રાખી. હુ ગાડીમાંથી બહાર નીકળ્યો એટલે કેટલીક આંખો મને નવાઈથી તાકી રહી. ૬૦ હજારની વસ્તી ધરવતા બડવાનીમા કોઈ નવા માનવીના આગમનની તે ક્રિયા હશે તેમ માની મેં એ તરફ ધ્યાન ન આપ્યું. અને ડ્રાઈવરને કહ્યું,
"મેહુલભાઈ, આપ ખાના ખા કે એકાદ ઘંટે બાદ મુઝે લેને આ સકતે હૈ. નમાઝ અદા કરતે મુઝે ઇતના વક્ત તો લગ હી જાયગા"
મસ્જિતના દરવાજે ચંપલ ઉતારી હુ મસ્જિતમા પ્રવેશ્યો. અને સ્વાભાવિક અંદાજમાં કુદરતી ક્રિયા અર્થે પેશાબખાનામા પ્રવેશ્યો. પાંચેક મીનીટ પછી બહાર આવી મેં વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરવા વઝુંખાના તરફ કદમો માંડ્યા. ત્યાંજ કેટલાક ટોપી અને દાઢીધારી બુઝુર્ગો અને યુવાનએ મને ઘેરી લીધો. તેમાના એક યુવાને મને સિધ્ધો જ પ્રશ્ન કર્યો,
"આપ યહાં ક્યુ આયે હૈ ?"
હું તેના પ્રશ્નનો કઈ જવાબ આપું તે પહેલા પરિસ્થિતિને પામી જતા એક બુઝુર્ગે મને અત્યંત નમ્ર સ્વરે કહ્યું,
"એક ગેર મુસ્લિમ હોને કે નાતે હમ આપ કા હમારી મસ્જિતમેં સ્વાગત કરતે હૈ. લેકિન અભી જુમ્મા કી નમાઝ કા વક્ત હો રહા હૈ. હમારી આપ સે ગુઝારીશ હૈ, આપ ઇસમે કોઈ ખલેલ ન કરે. અગર આપ હમારે સાથ નમાઝ અદા કરના ચાહતે હૈ તો હંમે દેખ કર હમારી તરહ ઈબાદત કર સકતે હૈ. પર ઇસકે લીયે આપકો હમારી તરહ વઝું (નમાઝ માટે પવિત્ર થવા હાથ મો ધોવાની ક્રિયા) કરના પડેગા ઔર મસ્તક પરસે  તિલક દૂર કરના પડેગા"

હવે મને સેમીનારના ઉદઘાટન સમારંભમા મારા મસ્તક પર કરવામા આવેલ અભિવાદન તિલકનો ખ્યાલ આવ્યો. અને મારા ચહેરા અને હદયમાં નવાઈ સાથે સ્મિત પ્રસરી ગયું. મારા જ મુસ્લિમ બંધુઓ મારા મસ્તક પરના તિલકને કારણે મને ગેર મુસ્લિમ કે હિંદુ સમજી રહ્યા હતા. પણ સાથે સાથે મસ્જિતમાં આવતા હિંદુઓ પ્રત્યેના તેમના મૃદુ વ્યવહારને જોઈ મને અતિ આનંદ થયો. પ્રસરતી જતી સદભાવનાની તે ઉમદા નિશાની છે. અમારી વાત દરમિયાન ઘણાં મુસ્લિમો અમારી આસપાસ વીંટળાઈ વળ્યા હતા. એટલે વધુ સમય સ્પષ્ટીકરણ ન કરી હુ જુમ્માની નમાઝનું વાતાવરણ ખરાબ કરવા માંગતો ન હતો. એટલે મેં કહ્યું,
"અસ્લ્લામ અલયકુમ વ રહ્મ્તુલ્લાહ"
મારા મુખે શુદ્ધ એરેબીકમાં ઇસ્લામિક સલામના ઉચ્ચારો સાંભળી સૌને નવાઈ લાગી. મારા સલામનો સૌ મુસ્લિમોએ જવાબ વળ્યો,
"વાઅલયકુમ સલામ"
અને પછી તેમને વિમાસણમાંથી મુક્ત કરતા હું તુરત બોલી ઉઠયો,
"જનાબ, મેં એક પ્રોફેસર હું. મેરા નામ દાક્તર મહેબૂબ દેસાઈ હૈ. મેં આપ હી જૈસા સુન્ની મુસ્લિમ હું. મેં ગુજરાત સે આપ કે શહર કી સરકારી કોલેજ કે સેમીનાર આયા હું. સેમિનાર કે ઉદઘાટન સમારંભમેં તિલક લગાકર મેરા અભિવાદન કિયા ગયા થા. મેં તો વો તિલક ભૂલ હી ગયા થા. આપને મુઝે યાદ દિલા દિયા, ઇસકે લીયે મેં આપ સબકા બહોત શુક્ર્ગુઝાર હું"
મારી વાત સાંભળી મને ઘેરીને ઉભેલા તમામ મુસ્લિમોના ચહેરા પર હળવાશની રેખાઓ પ્રસરી ગઈ. સૌ એ મારી સાથે મુસાફો (હસ્તધૂનન) કરવા હાથ લંબાવ્યા. મેં તેમની એ મિત્રાચારીનો મુસાફો કરી પ્રતિભાવ આપ્યો. અને સૌ જુમ્માની નમાઝ માટે મસ્જિતમા ગોઠવાવા લાગ્યા.પણ એક સફેદ દાઢીધારી વૃધ્ધે મને સલાહ આપતા કહ્યું,
"આપ સે ગુઝારીશ (વિનંતી) હૈ કી મસ્તક પર સે તિલક દૂર કરને કે બાદ હી આપ નમાઝ અદા કરે. ઇસ્લામ કે મુતાબીક તિલક કરના યા ઉસ કે સાથ નમાઝ અદા કરના જાઈઝ નહિ હૈ"
મેં તેમને કહ્યું,
"જનાબ, મેં ઇસ્લામિક નિયમો સે વાકિફ (પરિચિત) હું. વઝું કરતે વક્ત મેં તિલક નિકાલ દુંગા"
અને મેં વઝું કરવા વઝુંખાના તરફ કદમો માંડ્યા. પણ ત્યારે મારુ મન ધર્મોના રીવાજોની તુલનામા મગ્ન હતું, એક ધર્મ જે તિલકને માન-અભિવાદન માને છે, જ્યારે બીજો ધર્મ એ જ તિલકને સ્વીકારતો નથી. પણ મારું હદય ભારતના મજહબો વચ્ચેની આ ભિન્નતામા જ એકતાનો આનંદ અનુભવી રહ્યું હતું. કારણકે આઝાદીના ૬૫ વર્ષોમાં આપણે એકબીજાના ધર્મ સ્થાનો, રીતરીવાજો અને વિશિષ્ટતાઓનું સન્માન કરતા શીખ્યા છીએ, તેનું આ પ્રસંગ ઉત્તમ ઉદાહરણ છે.   

Tuesday, September 4, 2012

૧૮૫૭નો પ્રથમ પત્રકાર શહીદ : મૌલવી મુહમ્મદ બાકર :: ડૉ. મહેબૂબ દેસાઈ




૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આપણે આઝાદીની ઉજવણી કરી. પણ આઝાદીના યજ્ઞમાં આહુતિ આપનાર હજુ પણ અનેક સ્વાતંત્ર શહીદોથી આપણે અજાણ છીએ. એવા જ એક શહીદ છે ઇસ્લામના શિયા કીરકાના મૌલવી મુહમ્મદ બાકર. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમા ફકીરો, મૌલવીઓ અને સંતોનું પ્રદાન ઇતિહાસના પાનાનો પર અદભૂત છે. પણ તેની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી. મૌલવી મુહમ્મદ બાકર (૧૭૭૦ થી ૧૮૫૭)ને  આપણા રૂઢિગત ઇતિહાસમાં ભલે કોઈ ન ઓળખતું હોઈ, પણ દિલ્હી અભિલેખાગારની ફાઈલોમાં હજુ તેમનો આત્મા સળવળી રહ્યો છે. કારણ કે તેઓ ૧૮૫૭ની ક્રાંતિના  પ્રથમ પત્રકાર શહીદ હતા. મૌલવી મુહમ્મદ બાકરના પૂર્વજો ઈ.સ.૧૧૨૪-૧૭૧૨ દરમિયાન ઈરાનથી દિલ્હી આવી વસ્યા હતા. તેમના દાદાનું નામ મૌલાના મુહમદ અશરફ હતું. અને પિતાનું નામ મૌલાના મુહમ્મદ અકબર હતું. તેમના પિતા ઇસ્લામના મોટા વિદ્વાન હતા. મૌલવી મુહમ્મદ બાકર ઈ.સ ૧૮૨૫મા દિલ્હી કોલેજમાંથી સ્નાતક થઈ, એ જ કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે જોડાયા હતા. જો કે આજે દિલ્હી કોલેજનું નામોનિશાન દિલ્હીમાં જોવા મળતું નથી.

ઈ.સ. ૧૮૩૬-૩૭મા મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ ઉર્દૂ અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" શરુ કર્યું. જેમાં તેમણે મધ્યકાલિન ભારતીય સમાજ અને સંસ્કૃતિ વચ્ચે સમન્વય સાધવામા સૂફીસંતો અને તેમની મઝારોએ આપેલા પ્રદાનનો ઇતિહાસ આલેખવાનો આરંભ કર્યો હતો. એ યુગમાં આવી ધાર્મિક સમભાવની વાતને વાચા આપવી એ અંગ્રેજીની ભાગલા પાડીને શાસન કરવાની નીતિ વિરુધ્ધ હતી. પરિણામે અંગ્રેજ સરકારના રોષનો ભોગ "દિલ્હી ઉર્દૂ અખબાર"  અને તેના તંત્રીને થવું પડ્યું. પણ તેની જરા પણ પરવા કર્યા વગર મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબારની સમભાવની નીતિને ચાલુ રાખી. આ ઉપરાંત એ યુગમાં ઇસ્લામના બે ભાગો શિયા અને સુન્ની વચ્ચેના વિવાદો પણ પરાકાષ્ઠાએ હતા. મૌલવી મુહમ્મદ બાકરે પોતાના અખબાર " દિલ્હી ઉર્દૂ અખબાર" દ્વારા એ ભેદો વચ્ચેની ખાયને બુરવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા. આજે તો " દિલ્હી ઉર્દૂ અખબાર" ના જુજ અંકો અર્થાત ૮ માર્ચ ૧૮૫૭ થી ૧૩ સપ્ટેમ્બર ૧૮૫૭ સુધીના માત્ર ૧૬ અંકો જ રાષ્ટ્રીય અભિલેખાગાર, દિલ્હીમા ઉપલબ્ધ છે. એ પછી તેના પ્રકાશન પર અંગ્રેજોની સખ્તાઈ વધતા ૧૨ જુલાઈ ૧૮૫૭ના રોજ " દિલ્હી ઉર્દૂ અખબાર" નું નામ બદલીને  "અખબારુલ જફર" કરવામા આવ્યું હતું. જેથી તે ૧૮૫૭ના યુગની અંગ્રેજ શાસકોની કુટનીતિને લોકો સુધી પહોંચાડતું રહી શકે. રાષ્ટ્રીય અભિલેખાગારના " દિલ્હી ઉર્દૂ અખબાર" ના દસ્તાવેજ ક્રમ બી-૧૨ના પત્ર સંખ્યા ૩૨મા મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"લખનૌના મુખ્ય આયુક્તના સચિવ જ્યોર્જ કોપ્પરને ભારત સરકારના લખનૌના સચિવ જી.એફ. એડમિનસ્ટનએ ૧ ડીસેમ્બર ૧૮૫૭ના રોજ પત્રમાં લખ્યું હતું "શ્રીમાન ગવર્નર જનરલ બહાદુરે હિન્દુઓને મદદ કરવા ૫૦૦૦૦ હજાર રૂપિયા મંજુર કર્યા હતા. જેથી તેઓ અંગ્રેજો સામે લડતા મુસ્લિમ વિદ્રોહીઓ સામે લડી શકે. પણ મને જણાવતા દુઃખ થાય છે કે આપણી એ યોજના નિષ્ફળ ગઈ છે. જેથી અમે હિન્દુઓને મદદ કરવાનો એ વિચાર પડતો મૂકીએ છીએ"
૧૮૫૭ના એ યુગમાં અખબારોની અંગ્રેજ શાસન વિરુધ્ધ લખવાની પદ્ધતિ પણ " દિલ્હી ઉર્દૂ અખબાર"ના ૧૮ મેં ૧૮૫૭ના અંકમાં જોવા મળે છે. એ અંકમાં મૌલવી મુહમ્મદ બાકર લખે છે,
"એક માનવીને સ્વપ્નું આવ્યું. તેણે સ્વપ્નમાં જોયું કે હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબ અને હઝરત ઈસા (ખ્રિસ્તી ધર્મના ભગવાન ઈસુ) બંને ભારતમાં ચાલી રહેલ કત્લેઆમ જોઈ રહ્યા છે. એ જોઈ હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)સાહેબે હઝરત ઈસાને કહ્યું,
"તમારા અનુયાયીઓ વિદ્રોહીઓ થઈ ગયા છે. મારા બંદાઓના દુશમન થઈ ગયા છે. તેઓ મારા ધર્મને નષ્ટ કરવા કત્લેઆમ કરી રહ્યા છે"
આ સાંભળી હઝરત ઈસા (ભગવાન ઈસુ) બોલી ઉઠ્યા,
"જે વિદ્રોહી થઈ ગયા છે. અને જે માનવજાતની કત્લેઆમ કરી રહ્યા છે તે મારા સંતાનો નથી. તેઓ તો શૈતાનના અનુયાયીઓ છે. મેં તો મારા બંદાઓને માનવજાતની સેવા કરવાનો આદેશ આપ્યો છે"
૮ માર્ચ ૧૮૫૭, ૧૧ રજબ હિજરી સન ૧૨૭૩ રવિવારના અંકમાં મૌલવી મુહમ્મદ બાકરે સૌ પ્રથમ કુરાને શરીફની એક આયાતને ટાંકતા લખ્યું છે,
"આપણે સાચા રસ્ત્તે ચાલવું જોઈ અને અલ્લાહની ઈબાદત કરવી જોઈએ"
૧૦ મેં ૧૮૫૭ના અંકની શરૂઆતમાં જ મૌલવી મહંમદ બાકર લખે છે,
"બનારસની ૩૭મી રેજીમેન્ટના સૈનિકોએ લખ્યું છે કે જો રીવાના રાજા અંગ્રેજો સામે લડવા તૈયાર હોઈ તો તેઓ ૨૦૦ ભારતીય સૈનિકોની ફોજ તેમની મદદ માટે મોકલવા તૈયાર છે. પરંતુ  એ પહેલા તો અંગ્રેજોએ રીવાના રાજાની ધરપકડ કરી તેમને નાગોડમા કેદ કરી લીધા હતા"

આવા જલદ અખબારના તંત્રી મૌલવી મુહમ્મદ બાકરની ૧૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ અગ્રેજ સરકારે ધરપકડ કરી. અને તેમને જેલમાં નાખવામાં આવ્યા. દિલ્હી ગેટની જમણી બાજુ શેખ ફરીદે એક ધર્મશાળા બનાવી હતી. તેને અંગ્રેજ શાસકોએ જેલ બનાવી દીધી હતી. ત્યાં મૌલવી મુહમ્મદ બાકરને રાખવામાં આવ્યા. અને ત્યા જ મૌલવી મુહમ્મદ બાકરને ગોળીએ વીંધી કે ફાંસીએ ચડાવી મારી નાખવામાં આવ્યા. અને આમ એક દેશ ભક્ત પત્રકારની કલમ હંમેશ માટે શાંત થઈ ગઈ. મૌલવી મુહમ્મદ બાકરને અંગ્રેજોએ આપેલી આ સજા માટે અંગ્રેજ ચોપડે ત્રણ ગુનાઓ નોંધ્યા હતા. એક, તેઓ દેશ ભક્ત હતા. બે, તેમણે અગ્રેજો વિરુધ્ધ જેહાદ જગાડી હતી. અને ત્રણ, તેઓએ હિંદુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવા પોતાની કલમને કામે લગાડી હતી.