Wednesday, October 19, 2011

સરદાર પટેલને મળેલ માનપત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ


શ્રીયુત વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ

બારડોલીના વીર સરદાર,

સ્વાતંત્રતા પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધીમા હિન્દુસ્તાને જે લડતો ચલાવી તે સર્વમાં બારડોલીની લડત સૌથી વધારે અપૂર્વ અને યશસ્વી થઈ શકી છે. તે આપના કુનેહ ભર્યા દ્રઢ અને પ્રમાણિક નૈતૃત્વને આભારી છે. અને તેથી સારા હિન્દુસ્તાનમા આપે જે નામના મેળવી છે તેના માટે અમો આપને અભિનન્દન આપીએ છીએ.
મહાત્મા ગાંધીના સત્યાગ્રહના સિધ્ધાંતને હિન્દોસ્તાનની હાલની પરિસ્થિતિમા અમલમાં મુકવો એ અશક્ય છે એવું માનનાર હિન્દી નેતાઓ, અને, એ સિધ્ધાંત તોફાની અને દેશને નુકશાન કર્તા છે તેવું માનનાર અન્ય હિંદીઓને તથા સરકારને આપે બતાવી આપ્યું છે કે તે સિધ્ધાંત અશક્ય, તોફાની કે નુકસાનકારક નથી. ઉલટું એક શસ્ત્રહીન પ્રજાનું અમોધ સાધન છે.
બારડોલીની પ્રજામાં આપે નવા પ્રાણ રેડી "મરવું , પણ મારવું નહિ" એ સુત્ર સમજાવી, સાર્વભૌમ બ્રિટીશ સરકાર જેવી મહાસત્તા સામે બહાદુરીભરી લડત ચલાવી,સરકારને નમાવી, સેંકડો વર્ષથી કચડાઈ રહેલી એ ખેડૂત પ્રજાને ન્યાય અપાવ્યો છે. તેનાથી આપનું નામ હિન્દોસ્તાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
આપની જાહેર સેવાના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે. નાગપુર, બોરસદ ખાતેની સત્યાગ્રહની જાણીતી ચળવળ આપે દીપાવી ત્યારથી જ હિન્દુસ્તાને આપની સમર્થ શક્તિનો અનુભવ કર્યો. ત્યાર પછી અમદાવાદ મ્યુનીસીપાલીટીમા સતત પરિશ્રમ કરી તેના વહીવટને અનુપમ બનાવી આપની શક્તિનો વધુ પરિચય કરાવ્યો. અને ગઈ સાલની ભયંકર અને આફત કારક અતિવૃષ્ટિથી નિરાધાર બનેલી ગુજરાતી પ્રજાની જે સેવા આપે બજાવી છે તેને માટે આખું ગુજરાત આપનું સદાનું ઋણી રહશે. પણ આ બધી સેવાઓને ટપી જાય તેવી બારડોલીની લડતથી આપે સમગ્ર હિન્દુસ્તાનમા આપનું નામ અમર કર્યું છે.
આપ એક એવા ગુજરાતી છો, અને અમદાવાદના નાગરિક છો : અને દેશને ખાતર ફકીરી લઈ સેવા વૃતિ સ્વીકારી, દેશની ભીડના પ્રસંગે આપ આત્મભોગ આપી પ્રજા પક્ષે ઉભા રહો છો, તેથી અમો અભિમાન પૂર્વક માનપત્ર આપવા પ્રેરાયા છીએ.
અન્તમાં પરમ કૃપાળુ પરમેશ્વર આપને દીર્ઘાયુ બક્ષે, અને આપના નેતૃત્વ નીચે સમસ્ત હિન્દુસ્તાન અનેક મુશ્કેલીઓ વટાવી પોતાના જન્મસિદ્ધ એવા સ્વરાજ્ય હક્કને પ્રાપ્ત કરે એવી અમો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.


અમો છીએ
આપના ગુણાનુરાગી
ભગુભાઈ કેશવલાલ (પ્રમુખ )
અને સભ્યો

ધી અમદાવાદ કેસ્ટર સીડ્ઝ મરચન્ટ એસોસિએશન

ઈ.સ. ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી તુરત બારડોલીના કડવા પાટીદાર શ્રી ભગુભાઈ કેશવલાલ પટેલ દ્વારા અમદાવાદની ઢાંકવા ચોકી પાસે આવેલા શાંતિવિજય પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલ આ માનપત્ર ઘણી ઐતિહાસિક બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે.

૧. ઉપરોક્ત માનપત્રમાંથી ફલિત થાય છ કે ૧૯૨૦-૨૧ના અસહકાર આંદોલન પછી ગાંધીજીના સત્યાગ્રહના વિચારોને અંગ્રેજ શાસકો સાથે કેટલાક ભારતીય નેતાઓ પણ "અશક્ય, તોફાની કે નુકસાનકારક" માનવા લાગ્યા હતા. અને તેના પરિણામે જ સ્વરાજ્ય પક્ષની સ્થાપન થઈ હતી. જેના મુખ્ય નેતા ચિતરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ અને મોતીલાલ નહેરુ હતા. એ દ્રષ્ટિએ બારડોલી સત્યાગ્રહે ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના વિચારોને પુનઃપ્રજા અને નેતાઓનો વિશ્વાસ બક્ષ્યો હતો. જેના કારણે જ ગાંધીજી ઈ.સ. ૧૯૩૦ની સવિનય કાનુન ભંગની લડત માટે પ્રજા અને નેતાઓનો સહકાર પામી શકાયા હતા. પણ એ સત્ય પણ ઇતિહાસમાં નોંધાયેલું છે કે બારડોલી સત્યાગ્રહ વખતે એક પણ વાર ગાંધીજીએ બારડોલીની મુલાકાત લીધી ન હતી. કારણ કે ગાંધીજીના વિચારો પ્રત્યેની પ્રજા અને નેતાઓની વિશ્વનિયતાને પુનઃ સ્થાપિત કરવામા સરદાર પટેલે પોતાની સમગ્ર શક્તિ અને રાજકીય વ્યક્તિત્વ દાવ પર લગાવ્યું હતું. જો તેઓ તેમાં સફળ થાય તો તે ગાંધીજીના સિદ્ધાંતોની જીત બની રહે. અન્યથા સરદારની નેતાગીરીની ક્ષતિ બની રહે. આવા ઉમદા આદર્શો સાથે આરંભાયેલ બારડોલી સત્યાગ્રહ સરદાર અને ગાંધી બંને માટે સફળ પુરવાર થયો હતો.

૨. આ જ માનપત્રમાં સરદારના બીજા અનેક સેવાકીય કાર્યોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમકે સરદાર પટેલે અમદાવાદના નાગરિક તરીકે અમદાવાદ નગરપાલિકાની જે સેવા કરી હતી, તેનો અત્રે ઉલ્લેખ જોવા મળે છે. ઇસ. ૧૯૧૭મા તેઓ અમદાવાદ નગપાલિકાની કોર્પોરેટરની ચુંટણી લડ્યા હતા. અને તે જીત્યા પણ હતા. એ પછી ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૨૮ દરમિયાન તેમણે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું હતું. અમદાવાદ નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રમુખ તરીકેની સરદાર પટેલની ભૂમિકા આજે પણ બહુ ઉજાગર થઈ નથી.

૩. આ ઉપરાંત ૧૯૨૬-૨૭મા સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિના સકંજામાં સપડાયું હતું. ત્યારે પણ સરદારે ગુજરાતની અદભૂત સેવા કરી સમગ્ર ગુજરાતને તે મહામારીમાંથી બહાર આણવામા ભારે જહેમત લીધી હતી.

ટૂંકમાં સરદાર પટેલનું આ માનપત્ર સમાજ અને ઇતિહાસના આયના સમાન છે. જે એ યુગના સાચા ચિત્રને આપણી પાસે સાકાર કરે છે.


******************************************************************************

Wednesday, October 12, 2011

વકફ : દાનનો ઇસ્લામી તરીકો : ડૉ.મહેબૂબ દેસાઈ

શિમલામાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી અર્થાત ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાનના પુસ્તકાલયમાંથી આજે એક વિશિષ્ટ ગ્રંથ મળી આવ્યો. કે.પી.શર્માએ લખેલ "મુસ્લિમ વિધિ" નામક આ ગ્રંથમાં ઇસ્લામિક વિધિઓ સાથે વકફ અંગે એક લાંબુ પ્રકરણ છે. આજે ભારતના મોટાભાગના રાજ્યોમાં મુસ્લિમ વકફ બોર્ડની રચના કરવામા આવેલ છે. છતાં આમ મુસ્લિમોમાં તે અંગે સ્પષ્ટ સમજનો અભાવ જોવા મળે છે.
"વકફ" શબ્દની ઉત્પતિ આમ તો ઇસ્લામના ઉદય પછી થઈ છે. વક્ફનો શાબ્દિક અર્થ થાય છે
નિષેધ, રોકવું કે બાંધવું. વકફ સંપતિને એ રીતે રોકે છે, બાંધે છે કે તેની માલિકી માત્ર ખુદાની થઈ જાય છે. એ પછી તે મિલકતની આવક માત્ર પવિત્ર, ધાર્મિક અને સેવાકીય કાર્યો માટે જ વાપરી શકાય છે. જો કે કુરાને શરીફમાં વકફ અંગે કોઈ સીધો ઉલ્લેખ નથી. પણ કુરાને શરીફની કેટલીક આયાતો જે દાન અને ખૈરાત સબંધિત છે તે વક્ફના વિચારના મૂળમાં છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"તેની સંપતિમાં ભિખારીઓ અને જાતી બહિષ્કૃત લોકોનો ઉચિત ભાગ છે"
"તમે સદકાર્યોનું સુખ ત્યાં સુધી નહી મેળવી શકો જ્યાં સુધી તમે જેને ચાહો છો તેને દાન નહી આપો અને તમે જે કઈ આપો છો તેની સચ્ચાઈ ખુદા બખૂબી જાણે છે."
વકફ અંગે એક કથા ઇસ્લામિક ઇતિહાસમાં જાણીતી છે. એકવાર હઝરત ઉમરને ખૈબર (કાબુલ)મા અત્યંત કીમતી જમીનો પ્રાપ્ત થઈ. તેના ઉપયોગ અંગે મશવરો કરવા તેઓ હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યા. અને પૂછ્યું,
"હુઝુર, આ જમીનોનું શું કરીશું ?"
મહંમદ સાહેબે ફરમાવ્યું,
"એ સંપતિને સ્થિર કરી દો અને તેની આવકને સેવાકીય કાર્યમાં ખર્ચો"
હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)નું આ નાનકડું વાક્ય વકફના વિચારના મૂળમાં છે. હઝરત ઉમરે મહંમદ સાહેબના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. તે જમીન ન તો તેમણે વેચી, ન દાનમાં આપી, ન તેની કોઈ વસિયત કરી, ન તેનો કોઈ ઉતરાધિકારી રાખ્યો. માત્ર તે જમીન ખુદાના નામે રાખવામા આવી.અને તેની આવકમાંથી નિયમિત જરૂરતમંદોને મદદ કરવામા આવતી. તેમાંથી ગુલામો મુક્ત કરવામા આવતા. યાત્રીઓના આવાસ અને ભોજન માટે ખર્ચ કરવમાં આવતો અને અતિથીઓના સત્કાર માટે પણ તેમાંથી ખર્ચ કરવામાં આવતો.
એ અર્થમાં મુસ્લિમ વકફ વિધિ અધિનિયમ ૧૯૧૩ની ધારા ૨ મુજબ "વકફ"ની સરલ વ્યાખ્યા આપતા કહી શક્ય કે,
"ઇસ્લામમાં ઈમાન રાખનાર કોઈ પણ વ્યક્તિ દ્વારા મુસ્લિમ વિધિ અંતર્ગત માન્ય ધાર્મિક, પવિત્ર અને દાનના ઉદેશ્ માટે પોતાની સંપતિનું સ્થાહી ધોરણે ખુદાના નામે સમર્પણ કરવું." આ વ્યાખ્યાને સ્પષ્ટ કરતા કહી શકાય કે વકફ માટે નીચેની બાબતો આવશ્યક છે.
૧. કોઈ પણ સંપતિનું સ્થાહી સમર્પણ
૨. સંપતિનું સ્વામિત્વ ખુદાના નામે રાખવું.
૩. સંપતિને વકફ કરનાર પુક્ત અને સક્ષમ હોવો જોઈએ
૪. તે વકફ કરનાર સંપતનો કાયદેસરનો વારસદાર હોવો જોઈએ.
૫. વકફ થયેલ સંપતિનું શરતી સ્થળાંતર ન થઈ શકે.
૬. એકવાર વકફ થયેલી સંપતિ પુનઃ પ્રાપ્ત થતી નથી.
૭. વકફ થયેલ સંપતિ હસ્તાંતરિત ન થઈ શકે.
ઇસ્લામમાં વકફ ધર્મ અને સમાજની ઉન્નતી માટે કરવામા આવે છે. આવા ઉદેશ માટે "ધાર્મિક, પવિત્ર અને ખૈરાત" શબ્દો પ્રયોજાયા છે. અલબત વકફ શરિયતના આદેશ મુજબ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વક્ફના કેટલાક નોંધપાત્ર ઉદેશો નીચે મુજબ આપી શકાય.
૧. મસ્જિત તથા ઉપાસના અર્થાત નમાઝના સ્થાન માટે.
૨. સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે.
૩. જલસેતુ કે પુલ માટે.
૪. ગરીબોને ભિક્ષા કે મક્કાની હજયાત્રા કરવવા સહાય કરવા માટે.
૫. મોહરમના મહિનામાં તાજિયા રાખવા માટે.
૬. મહોરમ માસમાં ઉંટો અને ઘોડા ઉપલબ્ધ કરાવવા માટે.
૭. ઈમામવાડાની મરામત કરવા માટે.
૮. પીર અને સંતોની મૃત્યુતીથી અર્થાત ઉર્ષની ઉજવણી કરવા માટે.
૯. મસ્જિતમા રોશની કરવા માટે.
૧૦. કુરાને શરીફના અધ્યયન માટે.
૧૧. મક્કામા હજયાત્રીઓને વિનામુલ્યે રહેવા માટે મકાન બનાવવા માટે.
૧૨. ફકરો અને ગરીબોને દાન આપવા માટે .
૧૩. દરગાહ કે પીરની કબર માટે.
એકવાર સંપતિ કે મિલકતને વકફ કર્યા પછી તેના માલિકનો તેના પાર કોઈ અધિકાર રહેતો નથી. વકફ સંપતિના વહીવટ માટે મુતવલ્લીની નિયુક્તિ કરવામા આવે છે. મુતવલ્લીના કાર્યોના નિરીક્ષણ અને નિયંત્રણ માટે કાયદામાં કેટલીક જોગવાઈઓ આપવામાં આવી છે. આમ વકફ થયેલ સંપતિનું સંચાલન મુતવલ્લી અને તેના કાયદાઓ દ્વારા થાય છે.
આજે ભારતમાં અનેક વકફ બોર્ડ અસ્તિત્વમાં છે. પણ તેમાં મહદઅંશે કટ્ટરપંથી, અંધવિશ્વાસુ અને અશિક્ષિત મુસ્લિમો હોવાને કારણે વક્ફના નાણા મીઠાઈ વિતરણ, રોશની અને સુશોભન જેવી તુચ્છ બાબતોમાં ખર્ચાય છે. પરિણામે મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક કે શૈક્ષણિક વિકાસ થતો નથી. વક્ફના નાણા શાળા-કોલેજના સંચાલન, વિદ્યાર્થી છાત્રાલયો અને એવા જ સમાજપયોગી કાર્યો પાછળ જયારે ખર્ચતા થશે ત્યારે મુસ્લિમ સમાજના વિકાસ અર્થે અન્ય દિશામાં ચાતક નજરે જોવું નહિ પડે-આમીન.

Saturday, October 8, 2011

અંકુર સિંચ્યાનું સંભારણું :ડૉ. મહેબૂબ દેસાઈ*

એ સમય હતો ૧૯૭૪નો. હું તાજો બી.એ. થયો હતો. એ યુગમાં મને લેખકો અને કવિનું અદભૂત આકર્ષણ હતું. પણ તેમને મળવાનો કે તેમની સાથે વાત કરવાનો કયારેય મોકો મળ્યો ન હતો. એ દિવસોમાં નાટકના માધ્યમ દ્વારા હું અને જાણીતા કવિ શ્રી. નાથાલાલ દવેનો પુત્ર અરવિંદ અનાયાસે મિત્રો બની ગયા. મિત્રતા કેળવાયા પછી ખબર પડી કે તે કવિશ્રી નાથાલાલ દવે નો પુત્ર છે. પછી તો નાટકના રિહર્સલ માટે અરવિંદને ત્યાં અવારનવાર જતો. ત્યારે સફેદકફની લેંઘો અને પગમાં ગાંધી ચપલ સાથે બગીચામા વિચાર મગ્ન અવસ્થામાં ટહેલતા અરવિંદના પિતાજીને હું જોતો. ત્યારે મનમાં કુતુહલ જાગતું કે આટલી ચિંતન અવસ્થમાં બગીચામાં ફરતા ફરતા તેઓ શું વિચારતા હશે ? અંતે એક દિવસ હિમ્મત કરી મેં અરવિંદને પૂછ્યું,
"બાપુજી, બગીચામાં ટહેલતા ટહેલતા રોજ શું વિચારે છે ?"
"બાપુજી, બગીચામાં ફરતા ફરતા કવિતા રચે છે"
પછી તો અરવિંદ સાથે ખાસ્સી બે વર્ષ ઘનિષ્ટ મૈત્રી રહી. એ દરમિયાન એકવાર મુ. નાથાલાલભાઈ સાથે વાત કરવાની તક સાંપડી. એટલે મેં મારા મનની દ્વિધાને વ્યક્ત કરતા તેમને પૂછ્યું,
"આપ આટલા સુંદર કાવ્યોનું સર્જન કેવી રીતે કરી શકો છો ?"
ચહેરા પર બાળક જેવું સહજ સ્મિત પાથરતા તેઓ બોલ્યા,
"હું કાવ્યોનું સર્જન નથી કરતો, થઈ જાય છે."
જો કે એ સમયે તેમના એ જવાબમાં મારી શ્રધ્ધા ઝાઝી કેળવાઈ ન હતી. પણ છતાં આટલા મોટા કવિ સાથે દલીલ કેમ કરાય ? એમ માની હું તેમની વાત મૌન બની સાંભળી રહ્યો. એ પછી પાંચેક વર્ષ પસાર થઈ ગયા. ઈ.સ ૧૯૭૮માં ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડ્યો. એ દરમિયાન જ મેં થોડું લખવાનું પણ શરુ કર્યું હતું. જનસત્તા ગ્રુપના રંગતરંગ અને ચાંદનીએ વખતે ખાસ્સા લોકપ્રિય હતા. રંગતરંગના સંપાદક શ્રી રતિલાલ જોગી હતા. જ્યારે ચાંદનીના સંપાદક શ્રી. વિષ્ણુભાઈ પંડ્યા હતા. રંગતરંગમાં હું જીવનચરિત્રો લખતો અને ચાંદનીમાં મારી પત્ની સાબેરાના નામે લઘુકથાઓ લખતો. અલબત્ત આ રહસ્ય આજે પણ વિષ્ણુભાઈ જાણતા નથી. આજે પ્રથમવાર તે જાહેરમાં વ્યક્ત કરું છું. પણ એ સમયે મને કયારેય લખવા માટે માહોલ, મૂડ કે સામગ્રીની ગુણવત્તાની મહત્તા સમજાય ન હતી. હું તો એમ જ માનતો હતો કે લેખન એક એવી ક્રિયા છે કે જે તમે ધારો ત્યારે કરી શકો છો. અલબત્ત મારી એ માન્યતને એક વધુ ઘટનાએ ઠેસ પહોંચાડી.

ગાંધી મહિલા કોલેજના એક કાર્યક્રમમાં ભાગ લેવા મા.ઉમાશંકરભાઈ જોશી ભાવનગર આવ્યા.કોલેજના આચાર્ય શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદીએ મને તેમને મુકુન્દભાઈ પારાશર્યને ત્યાં પહોંચાડવાનું કાર્ય સોંપાયું. મને બરાબર યાદ છે એ દિવસોમાં મારી પાસે ગુજરાત સરકારના સાહસ દ્વારા તૈયાર થયેલું ગીરનાર સ્કુટર હતું. એ દિવસે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પાવન બની ગઈ. મા.ઉમાશંકરભાઈ મારા
સ્કુટરની પાછળની સીટ પર બેઠા. મેં સ્કુટર હંકાર્યું. લગભગ પાંચ સાત મિનિટના એ સાનિધ્યમાં મેં ઉમાશંકરભાઈને મારો જુનો અને મને સતત મુંઝવતો પ્રશ્ન પૂછ્યો,
"આપ આટલા સુંદર કાવ્યો કેવી રીતે સર્જો છો ?"
મારા સ્કુટરની પાછળની સીટ પર મારો ખભો પકડીને બેઠેલા ઉમાશંકરભાઈ બોલ્યા,
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત્ત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
તેમનો એ જવાબ મારા હદયમાં ઉતરી ગયો. પણ તે સમજવા જેટલી સમજ કદાચ હજુ મેં કેળવી ન હતી.
મારા લેખન કાર્યને હવે દસેક વર્ષ થવા આવ્યા હતા. પણ સર્જનાત્મક લેખન અંગેનો મારો અનુભવ અલ્પ હતો. એવામાં ગુજરાતમાં એક નવું દૈનિક ગુજરાત ટુડે શરુ થયું.તેના તંત્રી શ્રી અઝીઝ ટંકારવીએ મને એક કોલમ લખવા આપી."નોખી માટીના નોખા માનવી" એ કોલમમાં જીવનના માર્ગ પર મળેલા વિશિષ્ટ જીવંત પાત્રો વિશે મેં લખવાનું શરુ કર્યું. ત્યારે મને અનેકવાર કલમ ન ચાલવાના કપરા અનુભવો થયા. કલાકો સુધી કલમ પકડીને બેસી રહું, છતાં તેમાંથી એક પણ શબ્દ ન અવતરે, એક પણ વિચાર કલમબદ્ધ ન થાય. જ્યારે કયારેક તેનાથી બિલકુલ વિપરીત પણ બનતું. કશું જ આયોજન ન હોય અને હું અનાયસે જ એકાદ ક્લાક્મા મારા આસપાસના પાત્રને કલમ દ્વારા હુબહુ સાકાર કરી દેતો. આવી ઘટનાઓ એ મને લેખન કલા એ ઈશ્વર-ખુદાની દેન છે એમ માનવા પ્રેરયો. એ કોલમ"નોખી માટીના નોખા માનવી" બેએક વર્ષ ચાલી. પછી તે જ નામે તેનું પુસ્તક પણ થયું. પણ એ અનુભવે મને લેખક તરીકે ધડવામા મહત્વનો ભાગ ભજવ્યો.
આજે લેખન કાર્યના ત્રીસેક વર્ષના અનુભવના અંતે મેં અનુભવ્યું છે કે લેખનમાં માહોલ, મૂડ અને સામગ્રી અવશ્ય મહત્વના છે. જેમ કે મારા પરમ મિત્ર કવિશ્રી વિનોદ જોશી અને હું એક જ વિશ્વ વિદ્યાલયમાં કાર્ય કરતા હોય અવારનવાર મળવાનું, નિરાંતે વાતો કરવાનું બને છે. એકવાર મેં અમસ્તા જ તેમણે પૂછ્યું,
"કેવા કાગળ અને કેવી કલમ દ્વારા તમને લખવાનું ગમે ?"
જરા આછું સ્મિત કરતા તેઓ બોલ્યા,
"ઉત્તમ કાગળ અને ઉમદા પેન હોઈ તો જ લખવાનું ગમે"
જો કે તેમની એ વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી. પણ એ વાત મક્કમ પણે સ્વીકારું છું કે માહોલ, મૂડ અને ઉત્તમ સામગ્રી હોઈ તો પણ કયારેક કલમ નથી ચાલતી. મારા જીવનમાં તેના અનેક દ્રષ્ટાંતો પડ્યા છે. એટલે ઉત્તમ માહોલ,મૂડ અને સામગ્રી સાથે અત્યંત જરૂરી છે પ્રેરણા, બળ કે અંદરનો ધક્કો. એવી અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે જ્યારે મેં મારી કારની પાછળની સીટ પર, રેલવેના ડબ્બામાં કે એરની ફલાઈટમા એક જ બેઠકે મારો લેખ પૂર્ણ કર્યો હોય.એવા સમયે ત્યા ન તો કોઈ ઉત્તમ સગવડતા હોય છે, ન માહોલ. છતાં અંદરનો ધક્કો, પ્રેરણા કે બળ જ સર્જન માટે કારણભૂત બને છે. અને એટલે જ આજે ત્રીસેક વર્ષોના લેખન અનુભવ પછી પણ કયારેક મારી કલમ અટકી જાય છે. શબ્દો જડતા નથી. શૂન્ય અવકાશથી મન ભરાય જાય છે ત્યારે મારા ગીરનાર સ્કુટરની પાછળની સીટ પરથી મા.ઉમાશંકરભાઈ જોશીએ ઉચ્ચારેલ શબ્દો મારા કાનોમાં પડધો બની અથડાવા લાગે છે
"મહેબૂબભાઈ, લેખન એ કલા છે. એ ઈશ્વરદત છે. ઈશ્વર લખાવે છે ત્યારે જ હું લખું છું"
------------
* શ્રી કૌશિક મહેતા(તંત્રી,ફૂલછાબ)ના પુસ્તક માટે તા.૮ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ શિમલામાં લખાયેલ લેખ

Sunday, October 2, 2011

દારા શિકોહ રચિત મજ્મ ઉલ બહરૈન : ડો. મહેબૂબ દેસાઈ

છેલ્લા બે સપ્તાહથી સિમલાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીમા છું. જેમ સિમલા કુદરતી સોંદર્યનું સ્વર્ગ છે, બરાબર એમ જ ત્યાની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. અહીની વિશાળ અને સમૃદ્ધ લાઇબ્રેરી જોવા, જાણવા અને માણવા જેવી છે. વાઇસરોય હાઉસના વિશાળ અને ભવ્ય મકાનમાં આવેલા તેના ગ્રંથાલયમાંથી મને સૂફી સંત દારા શિકોહે લખેલ મહાન ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" અર્થાત "સમુદ્ર સંગમહ"નો જગન્નાથ પાઠકે સંસ્કૃત અને હિંન્દીમાં કરેલો અનુવાદ મળી આવ્યો. મૂળ આ ગ્રંથ દારા શિકોહે ફારસીમાં લગભગ ઈ.સ. ૧૬૫૦ થી ૧૬૫૬ દરમિયાન લખ્યો હતો. ઇસ્લામ અને હિંદુ ધર્મના મૂળભૂત તત્વજ્ઞાનનું આટલું તુલનાત્મક અધ્યયન અને સંસોધન આ પહેલા કોઈએ કર્યું નથી. આ ગ્રંથ અંગે ડૉ. કાનૂનગો લખે છે,
"દારા શિકોહ દ્વારા ઇસ્લામ અને હિંદુ ધર્મના અધ્યયનનું આ મીઠું ફળ છે. દારા શિકોહ જેવો શાહજાદો વિશુદ્ધ શાસ્ત્રીય શૈલીમાં બંને ધર્મોની સુંદર છણાવટ કરે છે. ગ્રંથનો આરંભ ઈશ્વર-ખુદાની સ્તુતિથી થાય છે. એ પછી મહંમદ સાહેબ (સ.અ.વ.) અને તેમના પરિવાર માટે કલ્યાણ અને શાંતિની પ્રાર્થના કરવામા આવેલ છે. એ પછી દારા શિકોહ કહે છે,
' હિંદુ અને ઇસ્લામ ધર્મના સંતો મૌલવીઓના સતત સંપર્ક અને ગોષ્ઠીના અંતે હું એટલું જાણી શક્યો છું કે બંને ધર્મમાં માત્ર એક શબ્દનો જ ભેદ (એખ્લાફેલબ્ઝી) છે."
અર્થાત હિંદુ ધર્મ જેને ઈશ્વર કહે છે ઇસ્લામ તેને ખુદા કહે છે. એ સિવાય બંનેના તત્વજ્ઞાનમા કોઈ જ ભેદ નથી.
મોગલ શાસક અકબર પછી દારા શિકોહ એ જ હિંદુ મુસ્લિમ વચ્ચે ધાર્મિક એકતા સ્થાપિત કરવા સધન પ્રયાસો કર્યા હતા. પણ તેની વિચારધારા અકબરથી ભિન્ન હતી. અકબરે દીનેઈલાહી ધર્મની સ્થાપના દ્વારા કોમી એખલાસ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. જ્યારે દારા શીકોહનું માનવું હતી કે ,
"કોઈ પણ નવીન ધર્મનો વિકાસ કરવો નિરર્થક છે. કારણ કે તે હિંદુ અને મુસ્લિમ બંને માટે અસ્પષ્ટ અને અસ્વીકાર્ય બનશે. પણ બંનેના તુલનાત્મક અધ્યયન દ્વારા અવશ્ય પ્રેમ અને એખલાસ સ્થાપી
શકાશે"
અને એ જ હેતુને સાકાર કરતો ગ્રંથ "મજ્મ ઉલ બહરૈન" તેણે લખ્યો. સૂફીઓના કદારીયા સીલસીલાના અનુયાયી દારા શિકોહના આ ગ્રંથમાં સૃષ્ટિવાદના એ મૂળભૂત સિધ્ધાંતોનું સંકલન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ અને ઇસ્લામ ધર્મમાં સમાનતા દ્રષ્ટિ ગોચર થાય છે. તેણે તેની ભૂમિકામાં લખું છે,
"બંને જાતિઓના ચુનીંદા લોકો માટે તેણે આ પુસ્તક લખ્યું છે. જેઓ ધર્મને આત્માની શુદ્ધિનું માધ્યમ માને છે"
ગ્રંથના આરંભમાં આપવામાં આવેલી રૂબાઈ દારા શિકોહની આધ્યાત્મિક ઊંચાઈને અભિવ્યક્ત કરે છે.
"એ જ પડોશી, સહયાત્રી અને સાથી બધું જ છે. ભીખારીઓની ગોદડી અને રાજાના ભવ્ય પરિધાનમાં પણ એ જ છે. ઊંચ અને રહસ્યમય વિચારોના ગર્ભમાં પણ એ જ છે અને ઈશ્વરના શપથ અને ખુદાની સૌગંદમા પણ એ જ છે."

આ ગ્રંથમાં કુલ ૨૧ તાત્વિક બાબતો વિશે દારા શિકોહે વિસ્તૃત ચર્ચા કરેલ છે.જેમાં ૧. તત્વોની વ્યાખ્યા ૨. ઇન્દ્રિયોનું નિરૂપણ ૩. ધ્યાનનું નિરૂપણ ૪. પરમેશ્વરના ગુણગાન ૫. રૂહ-આત્માનું નિરૂપણ
૬. પ્રાનાદીની નિરૂપણ ૭. એકાત્મવાદનું નિરૂપણ ૮. રહમતની વ્યાખ્યા ૯. નૂરનું નિરૂપણ ૧૦. ખુદા કે ઈશ્વરના દર્શનનું નિરૂપણ ૧૧. ઈશ્વરના નામોનું નિરૂપણ ૧૨. સીધ્ધ્ત્વ અને ઋષિત્વનું નિરૂપણ
૧૩. બ્રહ્માંડનું નિરૂપણ ૧૪. દિશાઓનું નિરૂપણ ૧૫. આકાશોનું નિરૂપણ ૧૬. પૃથ્વીનું નિરૂપણ
૧૭. પૃથ્વીઓના વિભાગોનું નિરૂપણ ૧૮. જન્નત દોજખનું નિરૂપણ.

રૂહ-આત્માના પ્રકરણમાં દારા શિકોહ લખે છે,
"રૂહ બે પ્રકારની છે. ભારતીય ચિંતકો તેને આત્મા અને પરમાત્મા કહે છે. ઇસ્લામમાં રૂહ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની હોય છે. જે રીતે જળ અને તેના તરંગો વચ્ચે અનંત સબંધ છે. તેવી જ રીતે શરીર અને આત્મા વચ્ચે અનંત સબંધ છે."
એકાત્મવાદનું નિરૂપણ કરતા દારા શિકોહ મૌલાના જલાલ્લુદ્દીન રૂમીનું અવતરણ ટાંકતા લખે છે,
"જો તમે તેને પામવા ઇચ્છો , તો એક ક્ષણ માટે પણ તેને ન શોધો.
જો તેને જાણવા ઈચ્છો તો તેના વિશે બિલકુલ ન વિચારો,
જો તમે તેને એકાંતમાં મળવા ઈચ્છો તો અને તાદ્રશ્ય તેને જોવા ઈચ્છો છો,
તો,તમે તેના રહસ્યોથી દૂર થઈ જાવ છો.
પણ જ્યારે તમે તેના ગુપ્ત અને પ્રગટ રૂપના વિચારમાંથી બહાર આવી જાવ છો,
ત્યારે નિશ્ચિત રીતે પગો પ્રસરાવી તેના આશ્રિત થઈને પરમ આનંદિત સુઈ જાવ,
બસ, તે તમને આપો આપ આવીને મળશે"
આવા જ્ઞાની સૂફી વિચારક દારા શિકોહની તેના નાના ભાઈ ઔરંગઝેબે સત્તાની પ્રાપ્તિ માટે હત્યા કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ પ્રકરણ છે. જો કે
ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામના માનવીય અભિગમને સમજવામાં નિષ્ફળ ગઈ હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરીશ’ નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. સૂફીવાદ અને ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ આજે પણ મહાન વિચારક અને સૂફીસંત દારા શિકોહની હત્યા માટે ઇતિહાસમાં બદનામ છે અને રહેશે.