Monday, December 26, 2011

પ્રભુથી ડરનારને જગતનો ડર નથી : પ્રભાશંકર પટ્ટણી : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં આવી રહી છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯). ગુજરાત રાજ્ય આ ત્રણે મહાનુભાવોની જન્મ શતાબ્દી ઉજવવા આતુર છે. આમા સર્વ પ્રથમ પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન અને ગાંધીજીના પરમ મિત્ર જ ન હતા, પણ આધ્યત્મિક જ્ઞાનના ઉપાસક અને ઊંડા ચિંતક પણ હતા. એક આદર્શ શાસક તરીકે તેમનું જેટલું પ્રદાન ઇતિહાસમાં નોંધાયું છે, તેટલું જ તેમના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાર્ય કર્યું છે."જોઈએ છીએ" એવા મથાળા નીચે તેઓ હંમેશા લખતા,
"મારે એ મિત્ર જોઈએ છીએ, જે પોતાનો બધો પત્ર વ્યવહાર ખુલ્લા પોસ્ટકાર્ડમા જ હંમેશા લખતો હોઈ, તેણે જ અરજી કરવી"
અને અટેલે જ ખુલ્લા પોસ્ટકાર્ડમાં હંમેશા લખતા ગાંધીજી તેમના પરમ વડીલ મિત્ર હતા. વ્યક્તિની જીંદગી ખુલ્લી કિતાબ જેવી હોવી જોઈએ એવું દ્રઢપણે માનતા પટ્ટણી સાહેબ કહે છે,
"તમારી ટપાલ બીજો કોઈ ઉઘાડી શકે નહિ, એમ તમારો નિયમ હોઈ તો તમે તમારી પોતાનાથી જ બીહતા રહેજો. તમારે કઈ છુપાવવાનું છે,એવો એનો અર્થ છે. પ્રભુ એ છુપું દેખે છે, ને કોઈ દિવસ તે ખુલ્લું કરશે. જે પ્રભુને બતાવતા ડરતો નથી તેથી જ લોક ડરે છે. પ્રભુથી ડરનારને જગતનો ડર નથી"
કુશળ શાસક તરીકે ભાવનગર રાજ્યને દેશી રાજ્યોમાં "મીઠા રાજ્ય" તરીકે સ્થાન અપાવનાર પટ્ટણી સાહેબ વહીવટને નિર્જીવ નહોતા માનતા. વહીવટ આત્મા કે હદયની ભાવના વગર ન થઈ શકે એમ સ્પષ્ટ માનનાર પટ્ટણી સાહેબ કહે છે,
"વહીવટ, કાગળ ઉપર લખી નાખેલા નિયમો પ્રમાણે નહિ પણ વહીવટ ચલાવનાર મનુષ્યની સારી નરસી હદયભાવના ઉપર આધાર રાખે છે"
ભાવનગર સમાચારના દીપોસ્વી અંક : ૧૯૭૦મા જામે જમશેદ પટ્ટણી સાહેબનો એક પ્રસંગ ટાંકતા લખે છે, મુંબઈના માર્ગ પર એકવાર પટ્ટણી સાહેબ તેમના એક મિત્ર સાથે જઈ રહ્યા હતા. પાછળથી એક અવાજ સંભાળ્યો,
"એય દિવાન પટણા, ઉભો રહે"
પટ્ટણી સાહેબે પાછળ ફરી ફરીને જોયુ. સંપૂર્ણ ચીથરેહાલ ભિખારી જેવો દેખાતો એક માણસ ઉભો હતો. તેની પાસે જઈ પટ્ટણી સાહેબે અત્યંત નમ્રભાવે પૂછ્યું,
"શું છે ભાઈ ?" પેલાએ એ જ તોછડી ભાષામાં કહ્યું,
"હું તારા ગામનો છું. પણ મુંબઈમાં અત્યંત દુ:ખી છું. મને કઈક આપ પટણા"
પટ્ટણી સાહેબે પોતાના ખિસ્સામાંથી સો સોની બે નોટો કાઢી એ માનવીના હાથમાં મૂકી. અને કહ્યું,
"ભાઈ અત્યારે મારી પાસે આટલા જ રૂપિયા છે. આટલાથી તારું કામ રોડવી લે જે"
"સારું સારું" એમ કહી પેલા માણસે હાથની મુઠ્ઠીમાં બંને નોટ દબાવી ચાલતી પકડી.
સાથેનો મિત્ર ચકિત થઈ પટ્ટણી સાહેબને જોઈ રહ્યો. અને બોલ્યો,
"પટ્ટણી સાહેબ,આવા તોછડા માણસને આટલા બધા રૂપિયા ન અપાય"
પટ્ટણી સાહેબ બોલ્યા, "મારી પ્રજા મને ગમે તેવી રીતે બોલાવે પણ તેને મદદ કરવાની મારી પવિત્ર ફરજ છે"
આવા શુદ્ધ હદયથી શાસન કરનાર પટ્ટણી સાહેબ ઉમદા કવિ પણ હતા. રાજા અને પ્રજાના સંબધોને વાચા આપતું તેમનું એક કાવ્ય આધ્યત્મિક મૂલ્યોને વળગીને શાસન કરવા ઇચ્છતા સૌ શાસકો માટે આજે પણ માર્ગદર્શક સમાન છે.

"મિત્રો એ શત્રુના જેવા, મનથી ભાસતા હશે;
રાજ્યનો સર્વથા નાશ, ખાસ ત્યારે જ થતો હશે ;

પ્રજાભાવ પ્રજામાંથી, લુપ્ત જયારે થઈ જશે,
બાદશાહતના નામો, નામ માત્ર રહી જશે ;

પ્રજા બાળકની પેઠે, પાળતા ભૂલ જ્યાં થશે,
સમ્રાટને નરેશોના, રાજ્ય શાસન ડગી જશે ;

એ પરસ્પરની ગ્રંથી, જો સાચી સમજાય તો,
પ્રજા સુખી રહે, રાજા સદા નિર્ભય થાય તો"

ઈ.સ. ૧૯૨૫મા ભાવનગરમા કાઠીયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન મળવાનું હતું. એ વખતે પટ્ટણી સાહેબ ભાવનગર રાજ્યના કારભારી હતા. કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન મળે તેની ખાસ તકેદારી રાખવાની સુચન અંગ્રેજ સરકારે રાજ્યના કારભારી પટ્ટણી સાહેબને આપી હતી. પટ્ટણી સાહેબે ગાંધીજીને કાઠીયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભાવનગરમાં ન ભરવા વિનંતી કરી. પણ ગાંધીજી મક્કમ હતા. એટલે બે શરતોને એ અધિવેશન ભરવાની પટ્ટણી સાહેબે મંજૂરી આપી.
૧. અંગેજ સરકાર કે બીજા દેશી રાજ્યો વિરુદ્ધ કોઈ ઠરાવો પસાર ન કરવા
૨. પરિષદનું પ્રમુખ સ્થાન ગાંધીજીએ લેવું.
આ શરતો સાંભળી ગાંધીજી મલકાયા. અને બોલ્યા.
"ધારો કે મારા પ્રમુખપદે પરિષદ ભરાય અને તેમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ પસાર થાય તો તમે શું કરો ?" હોઠો પર સ્મિથ પાથરતા પટ્ટણી સાહેબ બોલ્યા,
"તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવુંને તેમાં આપને પધરાવું, અને હું આપની તહેનાતમાં ઉભો રહું"
આવ કર્મનિષ્ઠ, માનવીય, નમ્ર,પ્રજાની મુશ્કેલીઓને નમ્ર ભાવે દૂર કરનાર પ્રજાસેવક પટ્ટણી સાહેબને તેમની જન્મ શતાબ્દીના આરંભે શત શત સલામ.

Saturday, December 24, 2011

"સદભાવના મારી દ્રષ્ટિએ......" : ડૉ. મહેબૂબ દેસાઈ

હાલમાં જ ડૉ. દક્ષેશ ઠાકર અને ડૉ. મુકુલ ચોકસી સંપાદિત પુસ્તક " સદભાવના મારી દ્રષ્ટિએ......" (નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ) મારા હાથમાં અનાયાસે જ આવી ચડ્યું. જેમાં પ.પુ. મોરારીબાપુથી માંડીને ગુજરાતના નામી ચિંતકો અને લેખકોના સદભાવના અંગેના વિચારો સુંદર રીતે સંકલિત કરવામા આવ્યા છે. પુ. મોરારીબાપુ પોતાના સદભાવનાના વિચારને એક સુંદર ઇસ્લામિક દ્રષ્ટાંત આપી સમજાવતા લખે છે,
"એક ફકીર હતો. મસ્જીતમાં નમાઝ પઢતો. એની એક નક્કી કરેલી જગ્યા. એમાં એના હાથ પગના ખાડા પડી ગયેલા. પણ એ રીઝર્વ જગ્યા...બાબાની,ફકીરીની... એ રોજ પાંચ નમાઝ પઢે. પચાસ વર્ષની છેલ્લી નમાઝ પૂરી થઈ. એવામાં આકાશવાણી થઈ. ખુદાએ કહ્યું, "હે ફકીર, તું પચાસ વર્ષથી નમાઝ પઢે છે. પણ તારી એક પણ નમાઝ સ્વીકારવામાં આવી નથી." નમાઝ પઢતા બધા જ બંદોઓ રડવા લાગ્યા.આ બાબા પચાસ વર્ષથી નિષ્કામ બંદગી કરે છે. ને તેની એક પણ નમાઝ કબુલ ન થઈ ? બધા દુખી થઈ ગયા કે બાબા આ કેવો ન્યાય છે ઉપરવાળાનો ? પણ બધાને આશ્ચર્યએ વાતનું થયું કે એ ફકીર જેના ટેકે રહીને નમાઝ પઢતો,એ થાંભલાને બાથ ભરીને આલિંગન આપી નાચવા લાગ્યો. બધાએ કહ્યું કે, તમારાથી નચાય નહિ. તમારે તો માથું પછાડવું જોઈએ કે પછાસ વર્ષની બંદગી નિષ્ફળ ગઈ.
ફકીરનો જવાબ હતો,
"પચાસ સાલકી બંદગી કબુલ હો , ન હો મારો ગોલી ! લેકિન ખુદા કો પતા તો હૈ કી કોઈ પચાસ સાલસે બંદગી કર રહા હૈ "
ભગવાન મારી કઈ કથા સ્વીકારે ને કઈ ન સ્વીકારે એની સાથે કઈ લેવા દેવા નથી. પણ એને ખબર તો છે કે કોઈ કઈ કરી રહ્યો છે ! "
માનવીની સહજતાને ત્રણ લાઈનમાં વ્યક્ત કરતા પુ, બાપુ આગળ લખે છે.
"દડદડ- દડદડ દડી પડે ભે માણસ છે,
હસતા હસતા રડી પડે ભે માણસ છે,
રમતા રમતા લડી પડે ભે માણસ છે"

આવા આમ ઇન્સાનની અંદર પડેલ સદભાવનાને સાકાર કરવાની આપણા સોની ફરજ છે. એ ફરજ પ્રત્યે સભાનતા કેળવતા જૈન આચાર્ય પુ, રાજરક્ષિત મહારાજા સાહેબની સદભાવનાની વ્યાખ્યા પણ જાણવા જેવી છે. તેમાં સદભાવનાના લક્ષણો વ્યક્ત થાય છે.
" સદભાવના તેને કહેવાય જેમાં હોઈ માત્ર પરાર્થનું સર્જન સ્વાર્થનું વિસર્જન અને સર્વનું કલ્યાણ. જેમાં માણસ પોતાની જાતને ભૂલી જાય અને માત્ર બીજાના પરાર્થમા-કલ્યાણના કાર્યોમાં લાગી જાય, તેને સદભાવના કહેવાય"
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સદભાવનાની પોતાની સમાજને વ્યક્ત કરતા લખે છે,
"ગુજરાત સદભાવનાની શક્તિથી વિકાસની પ્રયોગભૂમિ બની ગયું છે. સદભાવના વિચાર આખા દેશમાં એકતા અને ભાઈચારાથી વિકાસનો પથ બની રહેવાનું છે.સદભાવનાથી સમાજની સંવેદના પ્રગટાવવા માટેનું મારું આ અભિયાન રાજનૈતિક આંદોલન નથી સામજિક અભિયાન છે."
ભગવતી શર્મા લખે છે,
"સદ અને સત એ આપણા મહત્વના શબ્દો છે. બંનેની નકારાત્મક સંજ્ઞાઓ પણ એટલી જ સુપ્રસિદ્ધ છે. સદ અને અસદ તથા સત અને અસતનું સહઅસ્તિત્વ આપણે સ્વીકારેલું છે. કારણકે એ પન જગતનું એક વાસ્તવ છે... મહભારતના અંતે વ્યાસ મુની તારણ કાઢે છે: "એતો ધર્મ સ્તતો જય" અર્થાત જ્યાં ધર્મ ત્યાં વિજય. એનો અર્થ એ કે સદ તત્વને ધર્મને પક્ષે રહેવું જઈએ અથવા એમ કહીએ કે સદ એ જ ધર્મની પ્રમુખ ઓળખ છે" સ્વામી સચિદાનંદ સદભાવનાને પોતાના શબ્દોમાં સાકાર કરતા લખે છે,

"ભારત જેવા દેશમાં જ્યાં ઘણાં ધર્મો , ઘણી જાતિઓ તથા વર્ગો વસી રહ્યા છે, ત્યાં પ્રજા વચ્ચે ધર્મ દ્વેષ કરાવીને જાતી દ્વેષ કરાવીને કે પછી વર્ગ દ્વેષ કરાવીને રાજ કરવું એ પણ આંતકવાદ છે. બધી જાતિઓ પરમાત્માનું જ સંતાન છે, તેની જ નિર્મિત છે એટલે પરસ્પર સદભાવ,પ્રેમ અને ભાઈચારો વધે તેવી સમજ મળવી જોઈએ"
ડૉ ચંદ્રકાન્ત મહેતા સદભાવનાની સમજ આપતા નોંધે છે,
"સદ એટલે સારું, સદાશયવાળું કે શુભતત્વ પ્રેરિત એવો અર્થ ઘટાવતા સદભાવના એ શુભત્વ અને શિવત્વ પ્રેરિત ભાવના છે. એવી ભાવના સ્વયમ વ્રત છે, અનુષ્ઠાન છે,આંતરિક પવિત્ર અભિલાષા છે"

અને છેલ્લે જય વસાવડાએ રજુ કરેલ સદભાવના પ્રેરક એક ઘટનાને વ્યક્ત કરી પુસ્તકની વાત પૂરી કરીશ. ઈશ્વર-અલ્લાહને એક સમાન માનનાર કબીરને દિલ્હીના બાદશાહ સિકંદર લોદીએ તેડું મોકાયું. લોદીને ફરિયાદ મળી હતી કે આ માણસ હિંદુ-મુસ્લિમને એક કરવાના કારસ્તાન કરીને તખ્તને નબળો પાડી રહ્યો છે. લોદીના દરબારમાં કબીર મોડા પહોંચ્યા.બાદશાહે મોડા આવવાનો ખુલાસો પૂછ્યો.
કબીરવાણી, "નામદાર રસ્ત્તામાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું" બાદશાહ , " શું જોયું ?"
કબીરવાણી,
"મેં જોયું કે સોયના નાકા જેટલી જગ્યામાંથી દરિયો, પહાડ, હાથી, ઘોડા, હીરા, મોતી જંગલ .... બધું જ પસાર થઈ ગયું. પણ માણસ અટકી ગયો"
બાદશાહ કહે, " આવું તો કઈ હોઈ ? ગપ્પા મારે છે"
કબીરે જવાબ વાળ્યો,
"આપણી આંખની કીકી જેટલી ટચુકડી છે... એમાં આખી દુનિયા, આકાશ, સમુદ્ર , મહેલો ,નગરો બધું સમાય જાય છે. પણ કમનસીબે એમા એક મુસલમાન એક હિન્દુને નથી સમાવી શકતો અને એક હુંદુ એક મુસલમાનને નથી સમાવી શકતો"

આવું સુંદર પુસ્તક સંપાદિત કરવા બદલ બંને સંપાદકોને અભિનંદન.

Tuesday, December 13, 2011

વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજથી સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ઉજવણી માટે અનેક માર્ગોનું પરામર્શન સમય પૂર્વે જ આરંભી તેની ઉજવણીની ગહનતાનો સ્વીકાર કર્યો છે. આપણા યુવાનોના સંસ્કારોમાં સ્વામી વિવેકાનંદજીના વિચારો-આચારોને આણવાનો આ અવસર સમગ્ર વર્ષ દરમિયાન ક્રિયાશીલ રહેશે. જો કે આપણી શાળા કોલેજોમાં ભણાવતા ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ વિજ્ઞાન અને સમાજકાર્ય જેવા વિષયોમાં આપણે કયારેય વિવેકાનંદજી, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહન રાય, જેવા મહાનુંભાવોના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે અધ્યાત્મિક વિચારો અને આચારોને અભ્યાસક્રમનો ભાગ બનાવ્યા નથી. પરિણામે આજે તેમની જન્મ જયંતિની ઉજવણી નિમિતે તેમના આચાર વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવા આપણે સક્રિય બન્યા છીએ. અલબત એ જરૂરી પણ છે. સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મ જયંતીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઇતિહાસમાં બે દ્રષ્ટિએ ગુજરાતનું મહત્વ નોંધાયેલું છે.
૧. ગુજરાતની સ્વામી વિવેકાનંદજીની દીર્ઘકાલીન મુલાકાત
૨. ગુજરાતની ધરા પર જ શિકાગોની વિશ્વ પરિષદમાં જવાનો વિચાર વિવેકાનંદજીને જન્મ્યો અને વિકસ્યો.
ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વ પ્રસિદ્ધ ધર્મ પરિષદમા જતા પૂર્વે વિવેકાનંદજીએ લગભગ છ માસ ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાતના અમદાવાદ, વઢવાણ, લીમડી, ભાવનગર, શિહોર, જુનાગઢ, ભુજ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને નડિયાદ જેવા સ્થાનોએ વિવેકાનંદજીના પાવન પગલાઓ પડ્યા હતા. અમદાવાદમાં તેઓ નાયબ ન્યાયાધીશ શ્રી લાલશંકર ઉમિયાશંકરને ત્યાં રહ્યા હતા. શહેરની અંદર આવેલ કિર્તીમંદિરો અને ભવ્ય મસ્જિતોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. અમદાવાદના જૈન સાક્ષરો અને ધર્માચાર્યો સાથે તેમણે ગહન આધ્યાત્મિક ચર્ચાઓ કરી હતી.લીમડીમાં તેઓ લીમડીના રાજા ઠાકોર સાહેબ બેહેમીયાચાંદના મહેમાન બન્યા હતા. લીમડીના રોકાણ દરમિયાન તેમણે ઘણાં પંડિતો સાથે સંસ્કૃતમાં ચર્ચા કરી હતી. જુનાગઢ જતા તેમણે ભાવનગર અને શિહોરની મુલાકાત પણ લીધી હતી. જુનાગઢમા તેમણે રાજ્યના દીવાન શ્રી હરિદાસ વિહરીદાસ દેસાઈની મહેમાનગતિ માણી હતી. સ્વામી વિવેકાનંદજીથી તેઓ એટલા પ્રભાવિત થયા કે રોજ બપોર બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને એકત્રિત કરી સ્વામીજી સાથે ધર્મચર્ચા કરતા. આ ધર્મચર્ચા માત્ર હિદુ ધર્મને જ ન સ્પર્શતી પણ ખ્રિસ્તી અને ઇસ્લામને પણ આવરી લેતી. ભુજમાં પણ સ્વામીજી રાજ્યના દીવાનના મહેમાન બન્યા હતા. કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજાને પણ તેઓ મળ્યા હતા.વેરાવળ અને સોમનાથ પાટણની તેમની મુલાકાત પણ અદભૂત હતી. શ્રી કૃષ્ણ ભગવાના દેહોત્સર્ગના સ્થાનની તેમને ખાસ મુલાકાત લીધી હતી. પોરબંદરમાં સુદામા મંદિરના દર્શન કર્યા હતા. એ સમયે પોરબંદરના મહારાજા સગીર હતા. એટલે બધો કારભાર રાજ્યના દીવાન શ્રી શંકર પાંડુરંગજી ચાલવતા હતા. સ્વામીજી દીવાન શંકર પાંડુરંગજીના નિવાસ્થાન ભોજેશ્વર બંગલામાં ઉતર્યા હતા. સ્વામીજી સાથે દીવાન સાહેબ નિયમિત સત્સંગ કરતા. એ સમયે દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલ એક વાત સ્વામીજીના અંતરમાં ઉતરી ગઈ હતી. તેને યાદ કરતા સ્વામીજી લખે છે,

"મને લાગે છે કે આપ આ દેશમાં ખાસ કઈ કરી શકશો નહિ. એના કરતા આપે પશ્ચિમના દેશમાં જવું જોઈએ.ત્યાં લોકો આપના વિચારો અને આપના વ્યક્તિત્વનો વાસ્તવિક પાર પામી શકશે. સનાતન ધર્મનો પ્રચાર કરીને આપ નક્કી પ્રાશ્ચાત્ય સભ્યતાના પ્રવાસ પંથ પર પુષ્કળ પ્રકાશ રેલાવી શકશો"

દીવાન શ્રી શંકર પાંડુરંગજીએ સ્વામીજીને કહેલા આ શબ્દો ભાવીમા ભંડારાયેલી વિવેકાનાદની શીકાગો યાત્રાના સંકેત પડ્યા છે. ગુજરાતની ધરતીમાં તેના મંડાણ થયાની તે સાક્ષી પૂરે છે. વિવિકાનંદજીનું વિશદ ચરિત્ર આલેખનાર સ્વામી ગંભીરાનંદ પણ લખે છે,

"આ દિવસોમાં સ્વામીજી અંતરમાં એક અદભુદ પ્રકારનો ખળભળાટ અનુભવી રહ્યા હતા.તેમને એમ થયા કરતુ કે શ્રી રામ કૃષ્ણએ એકવાર જે વાત કહેલી કે નરેનની અંદર એવી શકતી ભરેલી છે કે જેના જોરે તે જગતને ઉંધુચતુ કરી શકે છે. તે સત્ય થવાના એંધાણ તેમને વર્તાઈ રહ્યા હતા"

આમ ગુજરાતની સ્વામીજીની મુલાકાત દરમિયાન જ શિકાગોની ધર્મસભામાં ભાગ લેવાના બીજ તેમના અંતકરણમા રોપાયા હતા. એ બીજ જુનાગઢ અને પોરબંદરની મુલાકાત પછી અંકુર બની ફૂટ્યા.પોરબંદરની મુલાકાત દરમિયાન જ સ્વામીજીએ બીજા વર્ષે (૧૮૯૩)ભરાનાર વિશ્વ ધર્મ પરિષદમાં જવાના પોતાના વિચારને વ્યક્ત કરતા હરિદાસબાપુને કહ્યું હતું,

"જો કોઈ મારા આવવા જવાનો ખર્ચ આપે તો બધું બરાબર ગોઠવાય જાય અને હું ધર્મ પરિષદમાં જઈ શકું"
આમ ગુજરાતમાં જન્મેલ વિવેકાનંદજીના વિચારને પછી કોઈ માનવ સર્જિત અડચણો સાકાર થતા ન રોકી શકી. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિવેકાનંદજી એ વિશ્વધર્મ પરિષદમા કરેલ સંબોધન “અમેરિકાના ભાઈઓ અને બહેનો” વિશ્વના ઇતિહાસમાં અમર બની ગયું. એ પછી પોતાના વ્યાખ્યાનમાં વિવેકાનંદજીએ હિંદુ ધર્મની સર્વધર્મ સમભાવની નીતિને વ્યક્ત કરતા કહ્યું હતું,

“મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુ અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ સર્વ ધર્મો સત્ય છે, એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ”

વિશ્વને આવા વિચારો આપી ભારત અને હિંદુ ધર્મનો વિશ્વમાં જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદને સો સો સલામ.