Thursday, April 28, 2011

સૂફીસંત સલમાન ફારસી : ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંત સલમાન ફારસી હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના સમકાલીન સંત હતા. અત્યંત અમીર અને ઉચ્ચ ખાનદાનના નબીરા સલમાન ફારસી લખે છે,

હું ઈરાન દેશનો વતની હતો. ઇસ્ફહાન પ્રાંતમાં જૈન નામના નાનકડા ગામમાં મારો જન્મ થયો. અમે પારસી ધર્મ પાળતા હતા. અમારા ઘરમાં ચોવીસ કલાક અગ્નિ પ્રગટેલો રહેતો.અમે અગ્નિને ખુદા માનતા.

ઉચ્ચ શિક્ષણ મેળવી સલમાન મદાઈના ગવર્નર બન્યા. આમ છતાં સાદગી અને સ્વાવલંબન તેમના જીવન વ્યવહારમાં પ્રથમથી જ વણાયેલા હતા. ગવર્નર સલમાન ફારસી એક દિવસ બજારમાં જઈ રહ્યા હતા. તેમનો અત્યંત સાદો પોષક જોઈ એક વ્યક્તિએ તેમને મજુર માની લીધા.અને ઘાસનો ભારો ઉપાડવા કહ્યું. સલમાન ફારસી ચુપચાપ ઘાસનો ભારો ઉપાડી તે વ્યક્તિને ત્યાં મૂકી આવ્યા. અને મજુરીના દિરહમ લઇ લીધા. અને રાજ્યની તિજોરીમાં જમા કરવી દીધા. જયારે પેલા માણસને ખબર પડી ,તે દોડી આવ્યો. કરગરીને માફી માગવા લાગ્યો. પણ સલમાન ફારસી એટલું જ કહ્યું,

હું તો રાજ્યનો નોકર છું. મારા માટે રાજ્યનું દરેક કામ મહત્વનું છે.

ગવર્નર બન્યા છતાં તેમનું મન ખુદાની તલાશમાં ભટક્યા કરતુ. એક દિવસ ખુદાની તલાશમા તેમણે ગવર્નર પદ છોડ્યું. ઘરબાર છોડ્યા. અને દેશ વિદેશમાં રઝળપાટ શરુ કરી. સિરિયા અને રોમ ગયા. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો. અનેક પાદરીઓ સાથે ખુદા અંગે ચર્ચા વિચારણા કરી. પણ તેમને સંતોષ થયો નહિ. અંતે ખુદાની તલાશનો તેમનો સીલસીલો કૂબામાં આવી અટક્યો. મહંમદ સાહેબ જયારે મક્કાથી મદીના આવ્યા ત્યારે માર્ગમાં થોડો સમય કુબા નામના સ્થળે રોકાયા હતા. તેની જાણ સલમાન ફારસીને થતા તેઓ કુબા પહોંચી ગયા. એ ઘટનાને વ્યક્ત કરતા સલમાન પોતાની આત્મકથામાં લખે છે,

હું સલામ કરી તેમની પાસે બેસી ગયો. મેં આપની ખિદમતમા મારી જાતને પેશ કરતા કહ્યું, હુઝુર, મેં સાંભળ્યું છે કે આપ મક્કાથી પધારેલા છો. આપના વિચારોએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. આપ મારી ખિદમતનો સ્વીકાર કરો એવી ગુજારીશ છે.

અને આમ મહંમદ સાહેબ(સ.અ.વ)ના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વિચારોથી પ્રભાવિત થઈ સલમાન ફારસીએ ઇસ્લામનો અંગીકાર કર્યો. એ સમયે તેઓ એક યહૂદીના ગુલામ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.)ને તેની જાણ થઈ. આપે ફરમાવ્યું,

સલમાન, તમારા માલિકની ગુલામીમાંથી મુક્ત થઈ જાવ

સલમાન ફારસીએ પોતાના યહુદી માલિક સાથે એ અંગે વાત કરી. માલિકે કહ્યું,

મને ૪૦ ઉકીયાહ (૧ ઉકીયાહ બરાબર ત્રણ તોલા)સોનું અને ૩૦૦ ખજૂરના છોડવા આપ તો તને મુક્ત કરું

સલમાન ફારસી પાસે તો ઇસ્લામની દોલત સિવાય કશું ન હતું. એટલે તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ)ને વાત કરી. મહંમદ સાહેબ(સ.અ.વ)એ સોના અને ખજૂરના છોડવા માટે સહાબીઓને અપીલ કરી,

કોઈ આ ગરીબ મુસ્લિમને મદદ કરો

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની અપીલ સંભાળતા જ એક સહાબીએ સોનાની વ્યવસ્થા કરી આપી. અને જોત જોતામાં ૩૦૦ છોડવા પણ ભેગા થઈ ગયા. પછી મહંમદ સાહેબ (સ.અ.વ.)કહ્યું,

સલમાન, જાવ ખાડો કરો. હું પોતે આ છોડવા રોપીશ

મહંમદ સાહેબ (સ.અ.વ)એ રોપેલા ખજૂરના એ છોડવામાંથી આજે પણ બે છોડવા ખજૂરના મોટા વૃક્ષો બની ઉભા છે. તેના પર અંત્યંત મીઠી અને ભરપુર ખજુર થાય છે.મદીનાથી આશરે બે કિલોમીટર અંતરે આવેલ એ વાડી આજે સાઉદી સરકાર હસ્તક છે.

મહંમદ સાહેબ(સ.અ.વ)ને સલમાન ફારસીના જ્ઞાન અને ઈબાદત પ્રત્યે ખુબ માન હતું. એકવાર કેટલાક સહાબીઓ સલમાન ફારસી અંગે વિવાદ કરી રહ્યા હતા.

સલમાન કોનો પુત્ર છે. તે કયા ખાનદાનનો છે?

મહંમદ સાહેબ(સ.અ.વ)ને તેની જાણ થતા જ આપ બોલી ઉઠ્યા,

સલમાન અમારા અહલે બૌતમાંથી છે.

પણ જયારે સલમાન ફારસીને કોઈ પૂછતું કે તમે કોના પુત્ર છો ?

ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વગર તેઓ બોલી ઉઠ્યા,

હું તો ઇસ્લામનો પુત્ર છું

સલમાન ફારસી એક દિવસ તેમના મિત્ર હઝરત અબુ દરદાને મળવા તેમના ઘરે ગયા. તેમના પત્નીએ વિખરાયેલા વાળ અને મેલા અસ્તવ્યસ્ત કાપડમાં તેમને આવકાર્ય. એ જોઈ સલમાન ફારસીએ પૂછ્યું,

ભાભી સાહેબા, આપ આવી હાલતમાં કેમ રહો છો ?

ભાઈસાહબ, તમારા ભાઈને ઇબદાતમાંથી ફુરસત જ નથી મળતી. પછી કોના માટે સજીધજીને રહું?

અને સલમાન ફારસી બધો મામલો સમજી ગયા. અને તે રાત્રી અબુ દરદાની ત્યાજ રોકાઈ ગયા.આખા દિવસનો રોઝો છોડીને અબુ દરદા તો આખી રાત ઇબાદતમાં લગી ગયા. સલમાન આ બધું ચુપચાપ જોઈ રહ્યા. સવારે ફઝરની નમાઝ પછી સલમાન ફારસીએ અબુ દરદાને કહ્યું,

તમારા પર માત્ર અલ્લાહનો જ હક્ક નથી. તમારી પત્ની, બાળકો, મહેમાનો અને સગાવહાલાઓનો પણ અધિકાર છે. તમે તો અલ્લાહનો હક્ક અદા કરવામાં બીજાના હક્કો ભૂલી ગયા છો.

અને સલમાન ફારસી ચાલ્યા ગયા.તેમના આ કથનની જાણ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)ને થઇ ત્યારે આપ બોલી ઉઠ્યા,

સલમાન સાચ્ચે જ જ્ઞાની છે

Monday, April 18, 2011

ઇસ્લામ અને મેનેજમેન્ટ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામ સાથેનો મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનનો સબંધ સ્થાપિત કરતા અનેક શોધપત્રો લખાયા છે, અને લખતા રહેશે. કારણ કે ઇસ્લામના પાયાના ગ્રંથ કુરાન-એ-શરીફનો ઊંડાણથી અભ્યાસ કરતા માલુમ પડે છે કે તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી. તેમાં ધર્મ સાથે સામાજિક, રાજકીય, આર્થિક અને વ્યવસાયિક નિયમો પણ આલેખવામાં આવ્યા છે. જેમ કે સામજિક દ્રષ્ટિએ નિકાહ,તલાક, સ્ત્રી-પુરુષના સ્થાન અને સ્ત્રી-પુરુષ વચ્ચે વારસાની વહેચણી અંગેના નિયમો કુરાન-એ-શરીફમાં સવિસ્તર આપવામાં આવે છે. એ જ રીતે વ્યવસાયને લગતા નિયમો જેવાકે તોલમાપ,માલની ગુણવત્તા,વેપાર અને વ્યાજ અંગેના નિયમો પણ તેમાં જોવા મળે છે. શિક્ષણ, તાલીમ,વ્યક્તિત્વ વિકાસ, શાસકધર્મ અંગેનું માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવ્યું છે. જીવન વ્યવહાર અર્થાત કેમ જમવું , કેવા વસ્ત્રો પહેરવા, કોઈને મળવા તેના ઘરે કયા સમયે જવું અને ઘરમાં પ્રવેશતા પૂર્વે દરવાજે દસ્તક દેવા જેવા માનવીય આદેશો કુરાને શરીફમાં મોજુદ છે. ટૂંકમાં કુરાન-એ-શરીફએ માત્ર ધર્મગ્રંથ ન રહેતા મૂલ્યનિષ્ઠ જીવન તરફ નિર્દેશ કરતો માનવીય ગ્રંથ વિશેષ છે. અને એટલે જ મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનના તજજ્ઞો તેમાં મેનેજમેન્ટના આદર્શ સિદ્ધાંતો જોવે છે. જો કે એ માટે સૌ પ્રથમ ઇસ્લામને ધર્મ કરતા એક વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરવો જરૂરી છે. અલબત તેનો ઉકેલ પણ કુરાન-એ-શરીફની એક આયાતમાં આપવામાં આવ્યો છે. કુરાન-એ-શરીફમાં વારંવાર રબ્બીલ આલમીન અર્થાત સમગ્ર માનવ જાતના ખુદા કહેવામાં આવ્યું છે. રબ્બીલ મુસ્લિમ અર્થાતમાત્ર મુસ્લિમોના ખુદાજેવા સંકુચિત શબ્દનો પ્રયોગ કયાંય કરવામાં આવ્યો નથી. એ બાબત જ ઇસ્લામને સમગ્ર માનવજાત સાથે જોડે છે. અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરે છે. અલબત ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા માત્ર આ દલીલ મેનેજમેન્ટના નિષ્ણાતો માટે પુરતી નથી. મેનેજમેન્ટના પારિભાષિક શબ્દોમાં સંસ્થા-સંગઠનને ઓર્ગેનાઈઝેશન કહેલ છે. અને તેની અનેક તજજ્ઞોએ જુદી જુદી વ્યાખ્યાઓ પણ આપી છે. સૌ પ્રથમ એવી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. અને પછી ઇસ્લામને એ વ્યાખ્યામાં એક સંસ્થા-સંગઠન તરીકે મૂકી શકાય કે નહિ તે તપાસીએ. મેનેજમેન્ટના વિદ્વાન સ્ટોનર અને ફ્રીમેન ઓર્ગેનાઈઝેશન-સંસ્થાની વ્યાખ્યા આપતા લખે છે,

બે કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ સંગઠિત થઈ બંધારણીય માર્ગે નિશ્ચિત ઉદેશની પ્રાપ્તિ અર્થે પ્રયાસ કરે તેને સંસ્થા કહેવામા આવે છે.

અન્ય એ વિદ્વાન રીચાર્ડ ડ્રાફ્ટ સંસ્થાની વ્યાખ્યા આપતા કહે છે,

એક એવો માનવા સમૂહ જે સર્વ સામાન્ય ઉદેશની પ્રપ્તિ માટે સંગઠિત થઈ કાર્ય કરે છે

એ જ રીતે મોરહેડ અને ગીફીન લખે છે,

એવો માનવા સમૂહ જે એવા પ્રશ્નનો સંગઠિત થઇ જવાબ આપે છે જેમાં પૂછવામાં આવે છે આપણે શું કાર્ય કરીએ છીએ ?

આજે વિશ્વની ૧.૫. બિલિયન પ્રજા ઇસ્લામને અનુસરે છે. તેના જીવન આદર્શોને પામવા પ્રયાસ કરે છે. ઇસ્લામના નિયમો અને આચાર સંહિતાનો અમલ કરે છે. ઇસ્લામના મઝહબી આર્થાત ધાર્મિક નિયમો સાથે તેના વ્યવસાયિક અને આર્થિક, સામાજિક બંધારણ મુજબ પોતાનો જીવન વ્યવહાર કરે છે. જેમ કે આજે વિશ્વના અનેક દેશોમાં ઇસ્લામી બેંકો કાર્યરત છે. જેમાં વ્યાજ લેવામાં કે આપવામાં આવતું નથી. આ ઉપરાંત સમાજના આર્થિક વિકાસને પામવા સમાન સમાજ રચનાનો આદર્શ પણ ઇસ્લામની દેન છે. ઇસ્લામમાં ઊંચ-નીચ, અમીર-ગરીબ જેવા ભેદો નથી. એટલે તેને નિવારવા ઝકાત- ખેરાતના સિધ્ધાંતનો ફરજીયાત અમલ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આવી તમામ બાબતો ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા પુરતી છે. અને એટલે જ ઇસ્લામ માટે મોટેભાગે મઝહબ કરતા દીન શબ્દ વપરાય છે. દીન એટલે માત્ર ધર્મ કે પંથ નહિ, પણ વિશ્વાસ, ઈમાન કે શ્રધ્ધા. આમ વિશ્વનો એક મોટો માનવા સમૂહ ઇસ્લામના સંસ્થાગત નિયમો-આચાર સંહિતાને સંગઠિત થઇ અનુસરે છે. અને તે દ્વારા એક નિશ્ચિત જીવન ઉદેશને પામવાનો પ્રયાસ કરે છે.

ઇસ્લામની સંસ્થાગત દરજ્જાની પ્રાપ્તિ સાથે જ તેના મેનેજમેન્ટ અંગેના અભિગમનો આરંભ થાય છે.તત્કાલીન મેનેજમેન્ટની સર્વ સામાન્ય વ્યાખ્યા આપતા કહી શકાય કે,

Manage your men tactfully that is Management”

અર્થાત માનવ શક્તિનો યુક્તિ પૂર્વક ઉપયોગ કરવાનું કાર્ય એટલે મેનેજમેન્ટએક અન્ય વ્યાખ્યામા પણ માનવ શક્તિના ઉપયોગ તરફ ઈશારો કરતા કહેવામાં આવ્યું છે.

Management means Getting things done, through others”

અર્થાત અન્ય પાસેથી કાર્ય લેવાની કળા એટલે મેનેજમેન્ટ

કુરાને શરીફની અલ ઝકહરાફ સુરમાં કહ્યું છે,

અમે કેટલાકને અન્ય કરતા વધારે બુદ્ધિમત્તા આપી છે. જેથી તેઓ અન્ય પાસેથી કાર્ય લઇ શકે

આજથી સાડા ચૌદ સો વર્ષ પૂર્વે મેનેજમેન્ટની આધુનિક વ્યાખ્યાઓ સાથે સુસંગત વ્યાખ્યા કુરાન-એ શરીફમા આપવામાં આવી છે. એ બાબત દર્શાવે છે કે કુરાન-એ-શરીફની આયાતોમાં મેનેજમેન્ટના આધુનિક સિદ્ધાંતો છુપાયેલા પડ્યા છે. જેમાં પ્લાનીગ, લીડરશીપ, માનવા સંસાધન વિકાસ,સમય આયોજન (ટાઈમ મેનેજમેન્ટ) ઉત્પાદન, જ્ઞાન અને ડહાપણ (નોલેજ અને વિઝડમ),ભાગીદારી,જવાબદારી, ભરતી અને તાલીમ, વ્યક્તિત્વ વિકાસ જેવા મેનેજમેન્ટના અનેક પાસાઓ પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અલબત તેના માટે કુરાને શરીફ અને હદીસોનું ઊંડાણ પૂર્વક સંશોધન જરૂર છે.

Wednesday, April 13, 2011

મરીઝની ગઝલોમાં સૂફી વિચાર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગુજરાતના ગાલીબ મરીઝની ગઝલોનો રસસ્વાદ કરાવતું જનાબ ગુલામ અબ્બાસ નાશાદનું પુસ્તક અવિસ્મરણીય મરીઝ હાલમાં જ મારા વાંચવામાં આવ્યું. મરીઝની ચૂંટેલી ગઝલોનો રસપ્રદ સ્વાદ કરાવનાર ગુલામ અબ્બાસ નાશાદ એક અચ્છા શાયર અને વિવેચક છે. તેમણે મરીઝની ગઝલોનો સરળ અને અસરકારક શૈલીમાં વાચકોને રસસ્વાદ કરાવ્યો છે. પણ તેના વાંચન દરમિયાન મારું ધ્યાન મરીઝની ગઝલોમાં ડોકયા કરતી સૂફી વિચારોધારા તરફ ગયું. ઈશ્ક-એ-અકીકીને વાચા આપતી મરીઝની ગઝલોના શેરોમાં સૂફી વિચારના પાયાના સિધાંતો ખુબસુરત રીતે અભિવ્યક્ત થયા છે.

જિંદગી જીવવાની ફિલસુફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી

સબ્ર કે સંતોષનો મહિમા સૂફીવાદના પાયામાં છે. ખુદાએ જે કઈ માનવીને આપ્યું છે તે નેમત છે.તે ખુદાની અમુલ્ય ભેટ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. એમા જ જીવનની સાચી ખુશી રહેલી છે. દરેક નાનામાં નાની ખુશીને અંતિમ ખુશી સમજી મનભરીને માણી લેવાનો ઉપદેશ અનેક સૂફીસંતોએ આપ્યો છે. કારણ કે સામાન સો બરસકા પલકી ખબર નહિઉક્તિને સૂફીસંતોએ જીવનમાં સાકાર કરી છે. મરીઝ એ જ વાતને પોતાના ઉપરોક્ત શેરમાં સરળ ભાષામાં કહે છે. બીજા શેરમાં મરીઝ કહે છે,

આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું

તારા દિલની આછી લાગણી સમજી લીધી

અર્થાત જિંદગીમા મળતી નાની મોટી દરેક ખુશીનું મુલ્ય સરખું છે. એટલે દરેક ખુશીને પેટ ભરીને માણી લેવાની તારી લાગણી આટલા વર્ષો પછી મને સમજાય છે. ગમએ માનવીની અંગત બાબત છે. પણ ખુશીએ વહેચવાની,બાંટવાની અનુભૂતિ છે. સૂફીસંતોએ ખુદાએ બક્ષેલ ખુશીને આમ સમાજમાં પ્રસરાવી છે. પણ ઈબાદતના દુઃખ અને કષ્ટોને કયારેય સમાજમાં અભિવ્યક્ત નથી કર્યા. અને છતાં ખુદાને ખુશ કરવા તેઓ સૂફી સંગીત અને ગીતોને મગ્ન બની માણે છે. આમ સમાજને પણ તેનો સ્વાદ ચખાડે છે. મરીઝ એ વાતને પોતાની ગઝલમાં રજુ કરતા લખે છે,

બસ એટલી સમાજ મને પરવરદિગાર દે

સુખ જ્યાં મળે ત્યા બધાના વિચાર દે

ઈશ્ક-પ્રેમ એ સૂફી વિચારના મૂળમાં છે. માનવી માનવી વચ્ચેનો પ્રેમ સૂફી વિચારની પ્રથમ શરત છે. જે માનવી માનવીને પ્રેમ નથી કરી શકતો, તે ખુદાને શું પ્રેમ કરશે ? પ્રેમ જેટલો આપશો એનાથી બમણો મળશે.પણ પ્રેમ સાથે જીવનનું દર્દ પણ સમાયેલું છે. સૂફીઓ એ દર્દની દવા શોધતા રહ્યા છે. મરીઝ બીજા શેરમાં કહે છે,

માની લીધી પ્રેમની કોઈ દવા નથી

જીવનમાં દર્દની તો કોઈ સારવાર દે

સૂફીસંતોને ખુદા પ્રત્યે અદમ્ય દીવાનગી હોઈ છે. ખુદાની ઈબાદતમા અમાપ કષ્ટો હસતાં હસતાં સહેવાની સૂફીસંતોની તડપ તીવ્ર હોય છે. એ વિચારને શબ્દોમાં સાકાર કરતા મરીઝ લખે છે.

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે

જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે

દીવાનગીના વિચારને વધુ આગળ લઇ જતા મરીઝ લખે છે,

હતા દીવાનગી ઉપર સમજદારીના પરદા

તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તો

જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ,

મરણની બાદ પણ બાકી રહી હસ્ત રેખાઓ

ખુદાને મળવાના રસ્તાઓ દરેક માનવી શોધતો હોઈ છે. પણ દરેકને ખુદા મળતા નથી. સૂફીઓ માટે ખુદાને પામવાનું મુખ્ય કારણે છે મુક્તિ. મુક્તિ એટલે મિલનનો અપાર આનંદ. પણ સામાન્ય માનવી માટે ખુદાને પામવાનો અર્થ છે દોઝક(નર્ક)માંથી મુક્તિ અને જન્નત(સ્વર્ગ)ની પ્રાપ્તિ. મરીઝ અહિયા એવાત સ્પષ્ટ કરે છે કે મુત્યુ એ અંત નથી. મૃત્યુ પછી પણ આપણી કર્મની હસ્તરેખાઓ આપણી સાથે જ ચાલે છે. એટલે હે, માનવી જીવનમાં સદ્કાર્યોથી તારી હસ્ત રેખાઓને મુત્યુ પછીના અંતિમ ન્યાયના દિવસ માટે તૈયાર કર. સૂફીસંતો પણ તેમના ઉપદેશો અને જીવન દ્વારા આજ બાબત તરફ ધ્યાન દોરતા રહ્યા છે.

ગાંધીજીએ સત્ય એ જ ઈશ્વરકહ્યું હતું. જ્યાં સત્ય છે , મુલ્ય છે , નીતિમત્તા છે ત્યાં જ ઈશ્વર છે. મઝહબ છે. તેને પામવાની ક્રિયા એટલે ઈબાદત-ભક્તિ. અને ઈબાદત માટેનું સ્થાન એટલે મસ્જિત (મંદિર).મસ્જીતને ખુદાનું ઘર પણ કહેવામાં આવે છે. અને એટલે જ મસ્જીતની તામીર(બાંધકામ) અને તાજીમ (દેખરેખ)મા તકેદારી અનિવાર્ય છે. ઇસ્લામમાં મસ્જિત એ માનવીની અંતિમ યાત્રાનો આરંભ પણ છે. કોઈ પણ મુસ્લિમને દફનાવતા પહેલા તેની જનાજાની નમાઝ મસ્જિતમા થાય છે. મરીઝ આ વાત બરાબર જાણે છે. અને એટલે જ તે લખે છે,

રાખો મસ્જિતને સાફ કે એક દિન

મુજ જનાજાની ત્યાં નમાઝ હશે

અહિ માત્ર મસ્જિતની ભૌતિક સ્વછતાનો નિર્દેશ નથી. મરીઝ મસ્જિતની આધ્યત્મિક સ્વચ્છતાની પણ વાત કરે છે. મસ્જિત એ ખુદાનું ઘર હોઈને , અંતિમ યાત્રાનું છેલ્લો મકામ હોઈને તેમાં દુનિયાદારીની પ્રવૃતિઓને બિલકુલ સ્થાન નથી. માત્ર અધ્યાત્મિક સ્વછતા અને શાંતિ ત્યાં અનિવાર્ય છે.

મરીઝની આવી સુંદર રચનો સાથે મારી અનાયસે પણ મુલાકાત કરાવનાર જનાબ ગુલામ અબ્બાસ નાશાદનો આકાશ ભરીને આભાર.