Sunday, January 23, 2011

ઈદ-એ-મિલાદ : હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ)નો જન્મદિવસ : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૬ ફેબ્રુઆરીએ ઇસ્લામના અનુયાયીઓ મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનો જન્મદિવસ ઉજવશે. એ નિમિતે આ માસ આપણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જીવન કવનનાં વિવિધ પાસોની વાત કરીશું.ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(સ.અ.વ.)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ.સ.૫૭૧.

મહંમદ સાહેબ(સ.અ.વ.)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.
આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી. હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને જન્મ આપી, દૂધપાન કરાવી માતા આમેના તો ધન્ય બની ગયા.પણ એ ધન્યતાને પામનાર એક બાંદી સુબીયાહ પણ હતા.જન્મ પછી આપને સાત દિવસ સુધી માતા આમેનાએ દૂધપાન કરાવ્યું. એ પછીના સાત દિવસ આપને બાંદી સુબીયાહએ દૂધપાન કરાવ્યું હતું. એ ઘટના માનવતાના મસીહા મહંમદ સાહેબ (સ.અ.વ.)જીવન ભર ભૂલ્યા ન હતા.હઝરત ખદીજા સાથે આપના નિકાહ થયા પછી પણ આપના જીવનમાં સુબીયાહનું સ્થાન માનભર્યું અને “મા”ની બરાબરીનું જ રહ્યું હતું. જયારે જયારે સુબીયાહ આપને મળવા આવતા ત્યારે ત્યારે આપ ખુદ ઉભા થઈ તેમનું સ્વાગત કરતા. હિજરત પછી પણ આપ હંમેશા સુબીયાહને આદરપૂર્વક ભેટ સોગાતો મોકલતા રહેતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર મળતા આપ ગમગીન થઈ ગયા હતા. સુબીયાહના અવસાન પછી પણ તેમના કુટુંબની તમામ જવાબદારીઓ મુહંમદ(સ.અ.વ.)સાહેબે અદા કરી હતી.

પોતાને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર એક સામન્ય બાંદી સુબીયાહ જેમ જ પોતાની દૂધ બહેન
શૈમાસને પણ હઝરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)જીવનભર ભૂલ્યા ન હતા. બચપણમાં મહંમદસાહેબ (સ.અ.વ.) હઝરત હલીમાને ત્યાં રહેતા હતા. હઝરત હલીમાની પુત્રી શૈમાસ રોજ મહંમદ સાહેબ(સ.અ.વ.)ને ગોદમાં ઉપાડી ફરતા, રમાડતા. એક દિવસ શૈમાસ મહંમદ સાહેબને ગોદમાં ઉપાડી રમાડતા હતા.અને અચાનક બાળક મહંમદે શૈમાંસના ખભા પર બચકું ભરી લીધું. શૈમાસના ખભામાંથી લોહી નીકળ્યું.અસહ્ય વેદનાને કારણે શૈમાસની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ.પણ તેણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની આ ચેષ્ઠા સામે જરા પણ રોષ ન કર્યો. મહંમદ સાહેબે ભરેલા બચકાનું નિશાન શૈમાસના ખભા પર કાયમ માટે અંકિત થઈ ગયું. લગભગ પંચાવન વર્ષ પછી ગઝવ-એ-હુનૈનની લડાઈમા એક દિવસ કેટલાક સિપાઈઓ એક વૃદ્ધાને પકડીને લાવ્યા. ત્યારે એ સ્ત્રીએ કહ્યું,
“મારે તમારા નબીને મળવું છે.”
ઘણી આનાકાની પછી સિપાઈઓ મહંમદ સાહેબ પાસે એ સ્ત્રીને લઈ ગયા. ૬૦ વર્ષની એ વૃદ્ધાને જોઈ મહંમદ સાહેબ (સ.અ.વ.)બોલ્યા,
“તમારે મારું શું કામ છે?”
“મને ન ઓળખી ? હું તમારી દૂધબહેન શૈમાસ છું.”
અને મહંમદ સાહેબ (સ.અ.વ.)પોતાના સ્થાન પરથી એકદમ ઉભા થઈ ગયા. આત્મીય સ્વરે આપ પૂછ્યું,
“તમેં શૈમાસ છો ?”
“હા, હું શૈમાસ છું.”
એમ કહી પેલી વૃદ્ધ સ્ત્રીએ ખભા પરનું કપડું ખસેડી પેલું નિશાન બતાવ્યું. એ નિશાન જોઈ મહંમદ સાહેબને પંચાવન વર્ષ પહેલાનો એ પ્રસંગ યાદ આવી ગયો.અને મહંમદ સાહેબના કદમો શૈમાસ તરફ ઝડપથી ઉપડ્યા.શૈમાસ પાસે આવી પોતાના ખભા પરની કાળી કામળી જમીન પર પાથરી આપે ફરમાવ્યું,
“બહેન શૈમાસ, તમે તો વર્ષો પછી મને મળ્યા. આવો આ કામળી પર બેસો અને ફરી એકવાર મને રમાડતા મારા બહેન બની જાવ”
આ દ્રશ્ય જોઈ રહેલા સિપાયોની આંખો પણ ભાઈ-બહેનનું મિલન જોઈ આનંદના આંસુઓથી ઉભરાઈ આવી. પછી તો ભાઈ-બહેને કલાકો સુધી બચપનની વાતો વાગોળી. અંતે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“બહેન, મારી સાથે મદીના ચાલો. ત્યાં જ રહેજો. તમે બચપનમાં મારી ખુબ સંભાળ રાખી છે. હવે હું તમારી સંભાળ રાખીશ”
પણ શૈમાસે પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી. મહંમદ સાહેબે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. અને અશ્રુભીની આંખે પોતાની દૂધ બહેનને વિદાય આપી.

માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે.

હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ના શરીક-એ-હયાત : હઝરત ખદીજા : ડૉ.મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)ના શરીક-એ-હયાત : હઝરત ખદીજા
ડૉ.મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ(સ.અ.વ.) સાહેબનું ૬૧ વર્ષનું (ઈ.સ.૫૭૧ થી ૬૩૨) જીવન ઇસ્લામના અનુયાયીઓ માટે જ નહિ,પણ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક છે. ૨૫ વર્ષની વયે પોતાનાથી ૧૫ વર્ષ મોટા ૪૦ વર્ષના વિધવા હઝરત ખદીજા સાથે નિકાહ કરનાર મહંમદ સાહેબને ભરયુવાનીમાં મક્કાવાસીઓએ “અલ અમીન” નો ખિતાબ આપ્યો હતો. અલ અમીન એટલે અમાનત રાખનાર, શ્રદ્ધેય, વિશ્વાસપાત્ર, ઈમાનદાર,સત્યનિષ્ઠ. કારણ કે વેપારમાં તેમના જેટલો વિશ્વાસ પાત્ર વ્યક્તિ એ સમયે મક્કમાં બીજો કોઈ ન હતો.
હઝરત ખદીજા સાથેના તેમના નિકાહ પણ ઇસ્લામિક ઇતિહાસમાં એ અભૂતપૂર્વ ઘટના છે. વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા.એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિય મોકલવાની તેમની ઈચ્છા હતી. મહંમદ સાહેબના કાકા અબુતાલીબને આ સમાચાર મળ્યા. તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ.)ને વાત કરી.મુહંમદ સાહેબે હઝરત ખાદીજાનો માલ લઈ સિરીયા જવાની ઈચ્છા દર્શાવી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. મધ્યમ કદ,મજબુત કસાયેલું સુડોળ શરીર,નૂરાની ચહેરો,પહોળી અને પ્રભાવશાળી પેશાની,ચમકદાર મોટી આંખો, અંધારી રાત જેવા કાળા જુલ્ફો,સુંદર ભરાવદાર દાઢી,ઉંચી ગરદન,અને આજાના બાહુ જેવા મજબુત હાથો ધરાવતા મુહંમદસાહેબ તીવ્ર બુદ્ધિમતાના માલિક હતા. સીરીયાથી પાછા ફરી મહંમદ સાહેબ (સ.અ.વ.)એ હઝરત ખાદીજાને કરેલ વેપારનો બમણો નફો આપ્યો.આટલો નફો હઝરત ખાદીજાને ક્યારેય મળ્યો ન હતો.મહંમદ સાહેબ(સ.અ.વ.) ની ઈમાનદારી,કાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા.તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય.તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ(સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
“મહંમદ સાહેબ, આપ શાદી કેમ કરતા નથી ?”
“હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
“હા, પણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
“તું કોની વાત કરે છે?”
“મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
“ખદીજા મારી સાથે શાદી કરશે ?”
“એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
અને આમ હઝરત ખદીજાની મનોકામના પૂર્ણ થઈ. ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયા, ત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો. છતાં તેમનું લગ્ન જીવન અત્યંત સુખી અને સમગ્ર માનવજાત માટે આદર્શ રૂપ બની રહ્યું હતું. ૨૫ વર્ષના તેમના લગ્નજીવનમાં તેમને ૬ સંતાનો થયા હતા. જેમાં બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી.
નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી)હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગ્યો હતો. છતાં તેમની આ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો. અને તેમને સાથ આપ્યો. જે સમયે ઇસ્લામનો અંગીકાર કરવા કોઈ તૈયાર ન હતું, ત્યારે હઝરત ખદીજાએ સૌ પ્રથમ ઇસ્લામનો અંગીકાર કર્યો. ઇસ્લામના પ્રચાર પ્રસારને કારણે આખુ મક્કા શહેર મહંમદ સાહેબ(સ.અ.વ.)નું દુશ્મન બની ગયું હતું. મુહંમદ સાહેબ(સ.અ.વ.)ને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. એવા સમયે એક માત્ર પત્ની ખદીજા તેમને સાંત્વન અને હિંમત આપતા અને કહેતા,
“યા રસુલીલ્લાહ, ધીરજ ધરો. હિંમત રાખો. આપની જાનને કોઈ ખતરો નથી.ખુદા આપને કયારેય રુસ્વા નહિ કરે. ભલા એવો કોઈ નબી આવ્યો છે જેને લોકોએ દુ:ખ ન આપ્યું હોઈ?”
૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું.મહંમદ સાહેબ (સ.અ.વ.)પત્નીના અવસાનથી ઘણા દુઃખી થયા. તેમની આંખો આંસુઓથી ઉભરાઈ આવી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
“આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે થાવ છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી.જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.
હઝરત ખદીજાના અવસાન પછી મહંમદ સાહેબ (સ.અ.વ.)૧૩ વર્ષ જીવ્યા.આ તેર વર્ષમાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં રાજકીય,ધાર્મિક અને સામાજિક સંગઠન યથાવત રાખવા તેમને ૧૦ નિકાહ કરવા પડ્યા હતા. પણ આ તમામ પત્નીઓને હઝરત ખદીજા જેવો દરજ્જો કે માન મહંમદ સાહેબ(સ.અ.વ.) કયારેય આપી શકયા ન હતા.ઇસ્લામના પ્રચારક તરીકે આજે વિશ્વમાં મહંમદ સાહેબ(સ.અ.વ.)ને મળેલ ઈજ્જત પાછળ હઝરત ખદીજાનો પ્રેમ, હિંમત અને નૈતિક મનોબળ પડ્યા છે એ કેટલા મુસ્લિમો જાણે છે?

Wednesday, January 19, 2011

શાહ કાયમુદ્દીન ચિસ્તીના શિષ્યો : ડૉ.મહેબૂબ દેસાઈ

કાયમુદ્દીન ચિસ્તીના નવ સંસ્કરણ પામેલ અનુવાદિત ગુજરાતી ગ્રંથ “નૂરે રોશન “ અંગે પૂ. મોરારિબાપુ લખે છે,
“નૂરે રોશન” સમયના અભાવે બહુ જોઈ શક્યો નથી. પરંતુ ગ્રંથમાં “તોહીદ” બ્રહ્મજ્ઞાનનું ઉર્દૂમાં વિવેચન થયું છે. એમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને જે રીતે દુર્લભ વસ્તુને સુલભ કરવાનો ફકીરી પ્રયાસ થયો છે, એથી આનંદ થયા એ સહજ છે.”
ગુજરાતમાં સૂફી વિચારના પ્રચારમાં અગ્ર એવા શાહ કાયમુદ્દીન ચિસ્તીના જીવન-કવનમાંથી પ્રેરણા લઇ, તેમના અનેક શિષ્યોએ તેમના પછી પણ ગુજરાતમાં સૂફી વિચારને જીવંત રાખ્યો હતો.કાયમુદ્દીન ચિસ્તીના શિષ્યોએ “હું” ને ઓગાળી ખુદામય થવાની સૂફી પદ્ધતિને પોતાના જીવન અને રચનાઓમાં સાકાર કરી છે.

“ દહીં સો આપસ ગુજર ગયા,
તબ વો મસ્કા હો રહા
દહીં ગયા સો છાછ હુઈ આપ,
તબ મસ્કા હો રાહ સાફ
જો કોઈ આપસ યુ હો જાયે
સોઈ મીતા સુરીજન પાઈ”

કયામુદ્દીનની આ વિચારધારાને તેમના શિષ્ય ભરુચ જીલ્લાના પરીયેજ ગામના વતની , નિરક્ષર અભરામ બાવાએ પોતાની રચનાઓમાં સુંદર રીતે સાકાર કરી છે. ઈશ્ક-એ-ઈલાહીમાં સંપૂર્ણપણે રંગાયેલા અભરામ બાવા પોતાની રચાનોમાં પોતાને સ્ત્રી સ્વરૂપે વ્યક્ત કરે છે. ખુદાને પોતાના આશિક તરીકે સ્વીકારી અભરામ બાવા લખે છે,

“હું તો ચિસ્તી ઘરણાની ચેલી,
મેં લાજ શરમ સર્વે મેલી,
મને લોક કહે છે ઘેલી,
મને ઈસ્ક ઇલાહી લાગ્યો છે,
મારા મનનો ધોકો ભાંગ્યો છે,
પેલો અભરામ નિદ્રાથી જાગ્યો છે.”

એ જ રીતે વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રહેવાસી,પાટીદાર જ્ઞાતિના રતનબાઈ પણ કાયમુદ્દીન ચિસ્તીના પરમ શિષ્યા હતા. તેમણે પણ “ખુદ”ને ઓગાળી ખુદામય થવાના પોતાના પ્રયાસોને વ્યક્ત કરતા લખ્યું છે,

“ પ્યાલો મેં તો પીધો કાયમુદ્દીન પીરનો રે જી,
પીતા હું તો થઇ ગઈ ગુલતાન,
લહેર મને આવે રે અંતરથી ઉછેળી રે જી
ટળ્યા મારા દેહી તણા અભિમાન ”

રતન બાઈના પિતરાઈ જીવન મસ્તાન પણ પાછીયાપુરા ગામના પાટીદાર હતા. તેમણે પણ કાયમુદ્દીન પીરનો પ્યાલો પીધો હતો. તેમની રચાનોમાં પણ સૂફી વિચારની મહેક જોવા મળે છે. તેમની રચનાઓમાં ગુજરાતી-હિન્દી મિશ્રિત ભાષાનો સુંદર પ્રયોગ થયો છે.

“લોકો એમ કહે છે રે, પીર તો મુસલમાન છે,
અમે છીએ હિન્દી રે , આભારી તો જુદી સાન છે,
હિંદુ મુસલમાન બંને એ તો, છે ખોળિયાની વાત,
આત્મા અંદર બિરાજી રહ્યો છે, તેની કહો કોણ જાત
સઉમા એ તો સરખો રે, સમજો તમે એ જ ગ્યાન છે

ઈશ્વર તો છે સઉ નો સરખો , એને નથી કોઈ ભેદ
રોકી શકે એને નહી કોઈ, જોઈ લો ચારે વેદ
ખોળિયાને ભુલાવે રે, ઉભું થયું એવું ભાન છે
સજનો કસાઈ, સુપચ ભંગી રોહિદાસ ચમાર
એવા લોકો મોટા ગણાય, એ ભક્તિનો સાર”

ભરુચ જીલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના રહેવાસી સુલેમાન ભગતે ઇ.સ. ૧૭૫૫-૫૬મા તેમના ગુરુ કાયમુદ્દીન ચિસ્તીના ગ્રંથ “નૂરે રોશન”નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. તેમણે પણ ગુરુની શાનમા અનેક રચનાઓ લખી હતી. એક અન્ય શિષ્ય ઉમર બાવાએ અભરામ બાવા પાસેથી દીક્ષા લીધી હતી. અભરામ બાવાના શિષ્ય નબી મિયાં ભરૂચના કાઝી ખાનદાનના સૈયદ હતા.

“ગુરુ અભરામે મહેર કરી ,
તેના દાસ નબી ગુણ ગાય,
પાણીનો સંગ રે
લુણ જોને ગયું ગળી”
જેવી તેમની રચનાઓમા સૂફી વિચારણા મૂળ જોવા મળે છે. અભરામ બાવાના અન્ય એક શિષ્ય પુંજા બાવા હતા. તેઓ ખંભાતના મૂળ રહેવાસી હતા. જાતીએ ખારવા-ખલાસી હતા. તેમનો અનુયાયી વર્ગ ખંભાત, વડોદરા, અમદાવાદ, ભરુચ, સુરત, અને મુંબઈમા વસતા ખલાસી, ગોલા, કણબી, કાછીયા,સોની,અને પારસીઓ હતા. તેમની રચનો પણ ઘણી લોકભોગ્ય બની હતી.

“હું રંગારી રંગ ચઢયો,
કુંદનમાં હીરો જાડીયો
જેમ સાગરમાં નીર ભર્યો
અનુભવી વરને વર્યો”

શેખ કાયમુદ્દીન ચિસ્તીની આ શિષ્ય પરંપરા એ ગુજરાતના તળ પ્રદેશોમાં સૂફી વિચારને લોકોના આચાર વિચારમાં સ્થાન આપ્યું હતું. આજે પણ શેખ કાયમુદ્દીન અને તેમના શિષ્યોની રચનાઓ તેમના અનુયાયીઓના મુખે અભિવ્યક્ત થતી રાહે છે.

Saturday, January 15, 2011

કાયમુદ્દીન ચિશ્તી : સમરસતાના પ્રતિક : ડો. મહેબૂબ દેસાઈ

સૂફી વિચારધારાના ચિશ્તીયા સિલસિલાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિશ્તી
(વફાત ઈ.સ.૯૯૬) હતા. ગુજરાતમાં પણ એ સીલસીલાના અનેક સંતો થઈ ગયા છે. જેમાં શાહ કાયમુદ્દીન ચીશ્તી(ઈ.સ.૧૬૯૦-૧૭૬૮)નું નામ અગ્ર છે.તેમના પિતા બદરુદ્દીન પણ ખુદાના પરમ આશિક હતા. અનેકવાર ખુદાની ઇબાદતમાં લીન થઈ જતા.કડીમાં જન્મેલ કાયમુદ્દીનના જન્મ સમયની એક ઘટના જાણવા જેવી છે. તે દિવસે પણ પિતા બદરુદ્દીન ખુદાની ઇબાદતમાં લીન બેઠા હતા અને દાઈએ આવી કહ્યું,
“આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે”
ખુદાની ઇબાદતમાં મસ્ત એવા પિતાએ બંધ આંખો સાથે જ કહ્યું,
”બાળકને મારી પાસે લાવો”
દાઈ તાજા જ્ન્મેલા પુત્રને લઇ બદરુદ્દીન પાસે આવી. બદરુદ્દીન તાજા જન્મેલા એ બાળકને હાથમાં લઇ કહ્યું,
“આ બાળક દિને ઇસ્લામ કાયમ કરશે. પોતાના પિતાનું નામ કાયમ રાખશે.પોતે ધર્મ (સુલુક)ના માર્ગ પર કાયમ રહેશે. જેથી તેનું નામ કાયમુદ્દીન રાખવું’
એમ કહી પાસેના ઠંડા પાણીના હોજમાં એ બાળકને છ વાર ડુબાડીને બહાર કાઢ્યું. દાયણ આ જોઈ હેબતાઈ ગઈ. મનોમન તેણે માની લીધું કે આ બાળક હવે નહિ જીવે. પણ બદરુદ્દીન તો બાળકને છ વાર પાણીમાં ડુબાડીને સ્મિત કરતા બોલ્યા,
“છ ડુબકીમાં મારા પુત્રના છ તબકા (દરજ્જા) રોશન થઈ ગયા છે. પણ સાતમો દરજ્જો તેણે ખુદ ખુદાની ઈબાદત કરીને ખોલવો પડશે”
પિતાની આવી ઈબાદત અને જ્ઞાન કાયમુદ્દીનને વારસમાં મળ્યા હતા. અને એટલે જ આઠમાં વર્ષે તો બાળક કયામુદ્દીનને આખું કુરાન-એ-શરીફ મોઢે હતું. ઉમર સાથે તેમનું જ્ઞાન અને પ્રભાવ વધતો ગયો. ગુજરાતી, ફારસી,અરબી,અને સંસ્કૃત પરનો તેમનો પ્રભાવ અદભૂત હતો. ગુજરાતના ખૂણે ખૂણે ફરી તેમણે સૂફી વિચારધારાના સમભાવના આદર્શેને પ્રસરાવવા ખાસ્સી જહેમત લીધી હતી.અને જયારે તેઓ પીરની ગાદી પર બિરાજ્યા ત્યારે તો તેમની સેવા અને હિંદુ મુસ્લિમ સમભાવની વિચારધાર સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ હતી. જીવનમાં માત્ર બે કિતાબો “નૂરે રોશન” અને “દિલે રોશન” લખનાર કાયમુદ્દીન સાહેબની હાલ એક જ કિતાબ “નૂરે રોશન” ઉપલબ્ધ છે. જેનું પ્રકાશન હાલમાં જ થયું છે. નૂરે રોશન એ સાચા અર્થમાં નૂર અર્થાત પ્રકાશનું પ્રતિક છે. તેમાં હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાનો અદભૂત સમન્વય જોવા મળે છે. ભાષાની આવી સમન્વયકારી મીઠાશ બહુ ઓછા સંતોની કલમમા જોવા મળે છે.
જો કે ભાષાની મીઠાસ જ “નૂરે રોશન”ની વિશિષ્ટતા નથી. પણ હિંદુ મુસ્લિમ ધર્મ અને પ્રજાના સમન્વયકારી વ્યવહાર અને વર્તનની અભિવ્યક્તિ પણ તેના પાયામાં છે. મોટાભાગના સંતોનું સાહિત્ય તેમના ભક્તો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન હોઈ છે. જયારે નૂરે રોશન ગ્રન્થ કાયમુદ્દીને સાહેબે ઈ.સ.૧૬૯૯-૧૭૦૦ દરમિયાન ખુદ લખેલ ગ્રન્થ છે. જેનો ગુજરાતી, ઉર્દૂ અને હિન્દીમાં અનુવાદ શ્રી ભગત સુલેમાન મહંમદે ઈ.સ. ૧૭૫૫-૫માં કર્યો હતો. એ ગ્રંથનું ૨૦૦૯માં તેમના અનુયાયીઓ દ્વારા ગુજરાતીમાં પ્રકાશન થયું છે. તેની રચનાઓની મૌલિકતા અને અભિવ્યક્તિ સાચ્ચે જ માણવા જેવા છે.

“કાયમુદ્દીન , કલજુગમેં પંથ પેદા હોગે જાન,
સોહી ખલકકો નરક કર અધિકારી કરેંગે માન.

કાયમુદ્દીન, સોના લેકર પિત્તલ દેવેંગે જાન,
ઉસ વાસ્તે અસલ કે મહા પુરુષ કહે ગયે હૈ શબ્દ પીછાણ.

કાયમુદ્દીન,બીજ પંથી નુરી વરત બતાવે જાન ,
અસલ કે શબ્દ વજન કર, સત્ ગુરુ પિછાન.

કાયમુદ્દીન,શબ્દ માફક મિલે તો સત્ ગુરુ જાન,
નહિ તો વો પંથ યું જાનકે પાખંડી હે માન.

કાયમુદ્દીન,બેદ સાખી, દો એક હે જાન
સાખી ખુલી હે, બેદપડદા હે માન”

અર્થાત, કાયમુદ્દીન,આ કળયુગમાં અનેક પંથો ઉત્પન થશે, જે લોકોને નરકના અધિકારી કરશે. સોનું લઇ પીતળ આપશે. અને તેથી જ સાચા મહાપુરુષો કહી ગયા છે કે શબ્દ (જ્ઞાન)નો રસ્તો પકડજે, દા.ત. બીજા પંથઓ વીર્યમાંથી જ શક્તિ આવી છે તેમ માને છે અને તે પ્રમાણે અમલ કરે છ. એવા પાખંડીઓ આ દુનિયામાં ઘણા જોવા મળશે. માટે આગળના સત ગુરુઓ શબ્દ (જ્ઞાન)આપીને ખુદાઈ રસ્તા દેખાડતા હતા તેમ જે ગુરુઓ દેખાડે તેમને જ સાચા ગુરુ સમજજે.
સૂફી પરંપરામાં ગુરુનો મહિમા વિશેષ છે.તેણે સાકાર કરતા કાયમુદ્દીન લખે છે,

“કયામુદ્દીન ખલક ક્યાં કરે,પકડા અંધે કા હાથ,
પીર આપ ભૂલે પડે,ચેલા કયું પાવે બાટ”

આવી તોહીદ અને કોમી એખલાસને સાકાર કરતી અનેક વિષય પરની સાખીઓનો સંગ્રહ “નૂરે રોશન” આપનાર કયામુદ્દીન ચિશ્તીએ ગુજરાતને ચિશ્તી પરંપરાના અનેક શિષ્યો આપ્યા છે. જેમાં અભરામબાવા, રતનબાઈ (ઈ.સ.૧૭૦૦),જીવન મસ્તાન (ઈ.સ.૧૭૦૦), સુલેમાન ભગત,(ઈ.સ.૧૬૯૯),ઉમર બાવા,નબી મિયા, પુંજાબાવા વગેરેનો સમાવેશ થાય છે. આજે પણ કોમી સદભાવની જ્યોત પ્રગટાવતી તેમની મઝાર અને લોકોને રાહ ચીંધી રહી છે.

Monday, January 3, 2011

“ઝમઝમના જળમાં રોટલો બનાવીને જમીશ” : પૂ. મોરારીબાપુ : ડો. મહેબૂબ દેસાઈ




પૂ.મોરારીબાપુને ઝમઝમનું જળ આપતા ડો.મહેબૂબ દેસાઈ

"ઝમઝમના જળમાં રોટલો બનાવી જમીશ" પૂ. મોરારીબાપુ

હજયાત્રા અંગેની લેખમાળા તો પૂર્ણ થઈ ગઈ છે. પણ હજયાત્રા પછી તે અંગે આવેલા પ્રતિભાવો આપણી ધર્મની સામાન્ય વિભાવનામા આમુલ પરિવર્તન આણે તેવા છે. જે સાચ્ચે જ માણવા જેવા છે. હજયાત્રા કરીને આવેલ હાજી ૪૦ દિવસ સુધી ખુદા-ઈશ્વરને જે કઈ પાર્થના કે ઈચ્છા કરે તે કબુલ થાય છે. હજયાત્રા પછી યુનિવર્સીટીના એક કાર્યક્રમ અંગે મેં પૂ. મોરારીબાપુને એક પત્ર પાઠવ્યો. જેમાં લખ્યું હતું,
“હજયાત્રાએથી પરત આવ્યા પછી પ્રથમ પત્ર આપને પાઠવી રહ્યો છું. હજયાત્રાની પ્રસાદી ઝમઝમનું જળ અને ખજુર આપને રૂબરૂ આપવા આવવાની ઈચ્છા છે.”
પત્ર બાપુને મળ્યો કે તુરત બાપુનો ફોન આવ્યો,
“મહેબૂબભાઈ, હજયાત્રાએથી આવી ગયા તે જાણ્યું. ઈશ્વર આપની હજ કબુલ ફરમાવે”
આ વાતને લગભગ દસેક દિવસ થઈ ગયા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના એક કાર્યક્રમ માટે મારે બાપુને રૂબરૂ મળવા જવાનું નક્કી થયું. અને બાપુને રૂબરૂમાં ઝમઝમનું જળ અને આજવા ખજુર આપવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની.
તા. ૩ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે હું જયારે તલગાજરડા(મહુવા)મા આવેલ બાપુના ચિત્રકૂટ આશ્રમમાં પહોંચ્યો, ત્યારે બાપુ એક સૌ જેટલા ભક્તોથી ઘેરાયેલા હતા. આટલી મોટી બેઠકમાં બાપુને કેમ મળવું, તેની મીઠી મુંઝવણ હું અનુભવી રહ્યો હતો. અંતે હિંમત કરી મારી પાસે ઉભેલા એક સ્વયંમ સેવકને મેં મારી ઓળખાણ આપી અને મારા આગમનનો ઉદેશ કહ્યો. એ ભાઈએ મને કહ્યું,
“તમેં બાપુ ને મળી લો. બપોરે ૧૨ થી ૧ બાપુ બધાને મળે છે” પણ આટલા બધા ભક્તોની વચ્ચે બાપુને મળતા મારા પગો સંકોચ અનુભવી રહ્યા હતાં. છતાં હિમત કરી મેં કદમો માંડ્યા. બાપુ હિંચકા પર બેઠા હતા.જયારે ભક્તજનો નીચે બેઠા હતાં. મેં હિંચકા તરફ ચાલવા માંડ્યું. એ સમયે બાપુનું ધ્યાન ભક્તો સાથેના વાર્તાલાપમાં હતુ. એટલે હિંચકા પાસે જઈ મેં મારો પરિચય આપતા કહ્યું,
“મારું નામ મહેબૂબ દેસાઈ છે. આપને મળવા ભાવનગરથી આવ્યો છું.”
નામ સાંભળી બાપુએ મારા તરફ જોયું. અને તેમના ચેહરા પર સ્મિત ફરી વળ્યું. મારા પર એક નજર નાખી તેઓ બોલ્યા,
“આવો આવો,મહેબૂબભાઈ , અરે કોઈ જરા ખુરસી લાવશો”
બાપુના આવા આદેશથી હું થોડો વધારે મૂંઝાયો. આટલા બધા ભક્તો ભોય પર બેઠા હોઈ અને હું બાપુ સામે ખુરશી પર બેસું તે કેવું લાગે ? પણ બાપુ સામે કઈ જ દલીલ કરવાની મારી માનસિક સ્થિતિ ન હતી. એટલે ખુરશી આવતા મેં તેમાં ચુપચાપ સ્થાન લીધું. અને મારા થેલામાંથી ઝમઝમના જળની બોટલ અને ખજૂરનું બોક્સ કાઢી બાપુને આપતા કહ્યું,
“આપને મક્કાની આ બે પ્રસાદી રૂબરૂ આપવાની ઘણી ઈચ્છા હતી”
બાપુએ પ્રથમ આજવા ખજૂરનું બોક્સ મારા હાથમાંથી લીધું. અને હિચકા પર પોતાની બાજુમાં મુક્યું. પછી મેં ઝમઝમની બોટલ તેમના હાથમાં મુક્તા કહ્યું,
“ઝમઝમનું જળ ઇસ્લામમાં અત્યંત પવિત્ર ગણાય છે. સો તેનું આચમન કરે છે. આપ પણ તેનું આચમન કરી શકો છો”
મારી વાત સાંભળી ચહેરા પર સ્મિત પાથરી બાપુ બોલ્યા,
“તમે જ મને તેનું આચમન કરવો ને ” અને બાપુએ તેમના હાથની હથેળી મારી સામે ધરી.મેં બોટલ ખોલી બાપુના હાથમાં ઝમઝમનું પાણી રેડ્યું. અને ગંગા જળ જેટલા જ શ્રધ્ધા ભાવથી બાપુએ ઝમઝમનું આચમન કર્યું. ત્યારે સો ભક્તો બાપુની આ ચેષ્ઠાને જોઈ રહ્યા હતા. ઝમઝમના આચમન પછી ભક્તજનોને સંબોધતા બાપુ બોલ્યા,
“મહેબૂબભાઈ સાથે આજે મારી પણ હજ થઈ ગઈ” અને ત્યારે ભક્તજનોએ બાપુના એ વિધાનને તાળીઓથી વધાવી લીધું.પણ બાપુ આટલેથી ન અટક્યા.તેમણે મારી સામે જોઈ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતા કહ્યું,
“મહેબૂબભાઈ, આ બોટલમાં વધેલા ઝમઝમના જળમાં રોટલો બનાવીને હું જમીશ”
અને ત્યારે તો ભક્તોની તાળીયો વધુ ગુંજી ઉઠી. પણ એ તરફ હવે મારું બિલકુલ ધ્યાન ન હતુ. એ સમયે મારી આંખોમા બાપુની અન્ય ધર્મ પ્રત્યેની શ્રધ્ધા જોઈ ભીનાશ પ્રસરી ગઈ હતી. કદાચ બાપુ મારી એ સ્થિતિને પામી ગયા હશે. અને એટલે જ વાતને વાળતા બોલાય,
“મહેબૂબભાઈ ,પ્રસાદ તૈયારે છે. જમીને જજો” મારી આંખોની ભીનાશને છુપાવતા મેં કયું.
“બાપુ, પવિત્ર મક્કા શહેરમાં જમું કે આપના આશ્રમમા જમું , બંને મારા માટે સરખું જ છે”
અને મારી આંખની ભીનાશ મારા ચહેરા પર વહેવા લાગે એ પહેલા મેં બાપુને નમસ્કાર કરી ભોજન શાળા તરફ કદમો માંડ્યા.