Monday, August 30, 2010

પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ : ડો.મહેબૂબ દેસાઈ

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં સાબેરા બોલી ઉઠી,
“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?”
કુરાને શરીફમાં કહ્યું છે,
“મેં(ખુદાએ) દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે”
અને એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવાનો ચીલો મારા ઘરમાં વર્ષોથી છે. પરિણામે આવા નિમંત્રણો અમને મળતા રહે છે. કુરાને શરીફનું પઠન ચાલુ હોઈ એ ક્ષણે તો મેં કઈ જવાબ ન આપ્યો. પણ કુરાને શરીફનું પઠન પૂર્ણ કરી વાતનો તંતુ સાંધતા મેં કહ્યું, “સારું જઈશું” ત્યારે ભાવનગરના આંગણે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજીના ફરી એકવાર દીદારનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. આ પુર્વે પ્રમુખ સ્વામીજી ભાવનગર પધાર્યા ત્યારે મારા મિત્ર ડો. જગદીપ કાકડિયા મને તેમના દીદાર માટે લઈ ગયા હતા. અને ત્યારે મારા તાજા પુસ્તક “ગુજરાતમાં પ્રવાસન”ને તેમણે આશીર્વાદ આપ્યા હતા. એટલે આ વખતે પણ તેમના દીદારની ઈચ્છા તો હતી જ. પણ તેની સંભાવના નહીવત હતી.

અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોચ્યા. મંદિર પરિસરની ભવ્યતા અને શિસ્ત મનમોહક હતા. કારપાર્કિંગ માટે સ્વયં સેવકની નમ્રતા અને સહાય કરવાની તત્પરતા મને સ્પર્શી ગઈ. મંદિરના પરિસરના મેદાનમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઉભા હતા. અમને જોઈ તેમના ચહેરાપર આનંદ છવાઈ ગયો. જાણે અમે તેમના મહેમાન હોઈએ તેટલા મીઠા ભાવથી તેમણે અમને આવકાર્ય. અને પછી તે અમને એક મોટા હોલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હોલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જયારે ભાઈઓના વિભાગમાં હું અને હિતેશભાઈ બેઠા. હોલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતુ. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખ સ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. થોડીવાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો. પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મીનીટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું,
“વધારે સમય પલાઠીવાળી મારાથી બેસતું નથી. એટલે હું હોલના પગથીયા પર બેઠો છું”
તેમણે મને સસ્મિત સંમતિ આપી. અને હું હોલ બહાર આવ્યો. હોલ બહારના મેદાનની સ્વછતા અને શિસ્ત ગઝબના હતાં. સ્વયમ સેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વછતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદિનાની મસ્જીદએ નબવીમા જોયા હતા. હોલના પગથીયા પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર શ્રી બહ્મભટ્ટ પર પડી. “જય સ્વામિનારાયણ” સાથે અમે એક બીજાનું અભિવાદન કર્યું.
“મહેબૂબભાઈ, તમે અહીંયા કયાંથી ?” એવા આશ્ચર્ય ભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું,
“રમઝાન માસમાં કોઈ પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને”
અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતમાંને વાતમાં મેં કહ્યું,
“પ્રમુખ સ્વામીના દીદાર (દર્શન)ની ઈચ્છા છે”
“એમ”
પછી થોડું વિચારીને તેઓ બોલ્યા,”સામે પેલા પડદા દેખાય છે ને ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો”

ભજન કાર્યક્રમ પૂર્ણ થતા મેં એ દિશામાં કદમો માંડ્યા. ત્યાં શ્રી.બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઉભા હતાં. મને પાસ આપતા કહ્યું, “ આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયમ સેવકો આપને દોરશે” અને હું તેમને અહોભાવની નજર તાકી રહ્યો. અને એ પછી મેં ખંડ તરફ પગ માંડ્યા. અંદર પ્રવેશતા જ પ્રથમ મારું મેડીકલ ચેકિંગ થયું. એ પછી મને એક ફોર્મ ભરવા આપવામાં આવ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુ નાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તેક્દારી પછી ધબકતા હદયે મેં ખંડમા પ્રવેશ કર્યો. ૯૦ વર્ષના પ્રમુખ સ્વામીજી સંપૂણ આધુનિક વ્હીલચેર પર બેઠા હતા. વ્હીલચેર પર સરકતા સરકતા જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું ,
“મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમઝાન માસમાં આપના જેવા મહાઆત્માના દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું”
મારા પરિચયથી પ્રમુખ સ્વામીના ચહેરા પર સ્મિથ પથરાય ગયું. મારા ખભાને સ્પર્શ કરતા અત્યંત ધીમા સ્વરે તેઓ કંઇક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાય નહિ. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ માની હું ચાલવા માંડ્યો. એટલે તેમણે તેમનો હાથ ઉંચો કરી મને પાછો બોલ્યો. અને સંભળાય તેવા સ્વરે બોલ્યા,
“ખુબ સુખી થાવ. સમૃદ્ધ થાવ. અને સમાજ માટે ખુબ કાર્ય કરો”

આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટે ભાગે તેઓ ટેવાયા ન હતા. કારણ કે પ્રમુખ સ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવી ક્યારેય કઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખ સ્વામીએ એક મહાઆત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્ન ચિત્તે બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય મહાઆત્માના અનાયાસે પ્રાપ્ત થયેલ ભરપુર આશીર્વાદથી છલકાઈ ગયું હતુ.

Tuesday, August 24, 2010

રમઝાનની પાબંદીની પ્રતિજ્ઞાનો દિન : ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે. ખીરએ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ,સેવ અને સુકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશ આપે છે.ઈદની નમાઝ સમાનતાનો સંદેશ આપે છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ મન સ્વચ્છ કરી પુનઃ પ્રેમ,મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. પણ આ ઇદનો બહુ જાણીતો ઉદેશ છે. ઇદનો એક ગર્ભિત ઉદેશ પણ સમજવા જેવો છે.

અમદાવાદના મારા મિત્રો અહેમદ, મુનાફ,પરવેઝ અબ્દુલ રહેમાન, રહીમ સાથે અંતિમ રોઝાના તરાબીયાહ(રમઝાન માસમાં પઢવાની રાત્રીની નમાઝ)પછી જયારે થોડીવાર માટે મસ્જિત બહાર અમે બધા ઉભા હોઈએ છીએ ત્યારે અહેમદ અચૂક બોલી ઉઠે છે,
“બસ દો દિન બાદ શૈતાન છૂટ જાયેંગે”
તેના આ વિધાનની ગંભીરતા સમજ્યા વગર અમે બધા હસી પડીએ છીએ. પણ તેના આ વિધાન પાછળનો ભાવ સમજવા જેવો છે. શૈતાન એટલે એવું પ્રેરક બળ જે માનવીને ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અને મોટે ભાગે તે સફળ પણ થાય છે. પણ રમઝાન માસમાં અલ્લાહ એવા શૈતાનોને બાંધી દે છે. જેથી દરેક મુસ્લિમ રમઝાન માસમાં સમ્યક આહાર, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર અને સમ્યક દ્રષ્ટિને ફરજિયાત અનુસરે છે. એક માસની આવી સંયમિત જિંદગીને કારણે દરેક મુસ્લિમના જીવનમાં પ્રવેશેલ ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનને ક્ષીણ કરવા રમઝાન માસ પછી શૈતાન પુનઃ સક્રિય બને છે.શૈતાનની એ સક્રિયતાને સમગ્ર વર્ષ દરમિયાન નાથવાની પ્રતિજ્ઞા ઈદની ખુશીના મૂળમા છે. ખુદાએ સમગ્ર રમઝાન માસમાં બક્ષેલ ઇબાદતની રસ્સીને મજબુતીથી સમગ્ર વર્ષ દરમિયાન પકડી રાખનાર જ ઈદની ખુશીનો સાચો હક્કદાર છે. અન્યથા આખું વર્ષ ગુનાહો કર્યે જાવ અને રમઝાન માસમાં તેની માફી માંગી ઇદના દિવસથી ગુનાહોનું નવું ખાતું ખોલાવો, રમઝાન માસ કે ઇદનો એ સાચો ઉદેશ નથી. અને એટલે જ ઈદની ખુશી સાથે દરેક મુસ્લિમે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈબાદત અને મુલ્ય નિષ્ઠ જીવનને મજબુતીથી વળગી રહેશે. માનવી પામર છે. મનથી નિર્બળ છે. માન-મરતબો, ધન-સંપતિ, સામજિક-આર્થિક વ્યવહારમાં કયારેક તે પોતાના ઈમાનને ભૂલી જાય છે. એવા સમયે ઇદના દિવસે ખુદાની સાક્ષીમાં લીધેલી પ્રતિજ્ઞા તેને સત્યના માર્ગે ચાલવા પ્રેરશે. અને એવી એકાદી પળે પણ એ પોતાના ઈમાનને જાળવી લેશે તો ઇદના દિવસે લીધેલ એ પ્રતિજ્ઞા સાર્થક ગણાશે.

દરેક મુસ્લિમ રમઝાન માસ દરમિયાન ઈબાદત (ભક્તિ) પછી ખુદા પાસે દુઆ માંગે છે. દુવા એટલે ખુદાની રહેમત (કૃપા) માટે વિનંતી. રમઝાન માસની આપણી દુઓં ઇબાદતની એકાગ્રતા પછી માંગવામાં આવે છે. જેથી તેની અસરકારતા વધુ હોઈ છે. અને એટલેજ માનવામાં આવે છે કે રમઝાન માસમાં કરેલી દુવાઓં કબુલ થાય છે. જો આવી જ અસરકારક ઈબાદત આખું વર્ષ કરવામાં આવે. અને એ પછી સમગ્ર વર્ષ દરમિયાન દુવાઓં માંગવામાં આવે, તો ખુદાનો એક પણ બંદો જીવનના સંઘર્ષમા કયારેય પાછો નહિ પડે. પણ એ માટે જરુરુ છે રમઝાન માસ જેવી જ એકાગ્રચિત્ત ઈબાદત અને દુઆ. ઈદની ખુશી સાથે નિયમિત ખુદાની એકાગ્ર ચિત્તે ઇબાદત અને દુવાની પ્રતિજ્ઞા પણ અત્યંત જરૂરી છે.

રમઝાન માસની ઈબાદત મન હદયને શુદ્ધ કરે છે. જયારે રોઝા (ઉપવાસ) શરીરની શુદ્ધિનો માર્ગ છે. સમ્યક આહાર શરીરને નવજીવન અર્પે છે. નવી તાજગી બક્ષે છે. પણ રોઝાની સમાપ્તિ પછી પુનઃ આપણે આપણા શરીરને ખાદ્ય પ્રદાર્થોનું ગોદમ બનાવી દઈએ છીએ. પરિણામે શરીર વ્યાધિઓનું કેન્દ્ર બને છે. એ દ્રષ્ટિએ રમઝાન માસ અધ્યાત્મિક અને ભૌતિક જીવનની પાઠશાળા છે. એ મુજબ આખું વર્ષ જીવવાથી શારીરક કે માનસિક વ્યાધિઓ શરીરને સ્પર્શતી નથી. ઇદના દિવસે આનંદથી ભરપેટ જમો. પણ તેમાં અતિરેક ન કરો. સમગ્ર વર્ષ આહારમાં નિયમિતતા અને સંયમ રાખવાનું શિક્ષણ રમઝાન ની આગવી દેન છે. અને એટલે જ તે આખું વર્ષ પાળવાની પ્રતિજ્ઞા એટલે ઈદ.

આવું સંયમિત જીવન ઇસ્લામના બંદાની સાચી ઓળખ છે. માત્ર દાઢી રાખવી અને પરમાટી (બીન શાકાહારી ભોજન) સેવનએ મુસ્લિમની સાચી ઓળખ નથી. પણ રમઝાન માસ જેવું જ શુદ્ધ મુલ્યનિષ્ટ અને ઇબાદતથી ભરપુર જીવન જ સાચા મુસ્લિમની સામાજિક પહેચાન છે. એ જયારે આખી કોમમાં પ્રસરશે ત્યારે મુસ્લિમ અને ઇસ્લામ પ્રત્યેની અનેક ગેરસમજો આપો આપ દૂર થઈ જશે. અને ત્યારે દરેક મુસ્લિમ સમાજ માટે એક આદર્શ બની જશે. એ દિવસ દૂર નથી .પણ એ માટે રમઝાન માસ જેવી અને જેટલી જ ઈબાદતમા એકાગ્રતા અનિવાર્ય છે. ખુદા એ તરફ દરેક મોમીનને સક્રિય બનાવે એ જ ઇદના ખુત્બના અંતે મારી દિલી દુઆ છે. : આમીન. અને....એ સાથે દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હદયના ઊંડાણથી ઈદ મુબારક.

Monday, August 16, 2010

તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા : ઝકાત : ડૉ.મહેબૂબ દેસાઈ

રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે પ્રકારના દાનનો ઉલ્લેખ છે. ઝકાત અને ખેરાત. ઝકાતએ ફરજિયાત દાન છે. આપણે વેપાર,નોકરી કે વ્યવસાયમા જે આવક મેળવીએ છીએ તેના બદલામાં સરકારને ફરજિયાત કર ચૂકવીએ છીએ. એ જ રીતે ઇસ્લામે પણ ફરજિયાત ઝકાત આપવાનો આદેશ આપ્યો છે.સરકાર દ્વારા વસુલ થતો કર રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બને છે. જયારે મુસ્લિમ બિરાદરો દ્વારા આપવામાં આવતી ફરજિયાત ઝકાત પણ સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. દરેક મુસ્લિમ પોતાની જંગમ કે સ્થાવર મિલકત અને પોતાની કુલ આવકના અઢી ટકા રકમ ખુદાના નામે ઝકાત તરીકે ફરજિયાત આપે છે. ઝકાતની રકમ ગરીબ,અનાથ સગા સબંધીઓ કે પડોશીઓની આર્થિક અવદશાને દૂર કરવામાં ઉપયોગી બને છે. બીજું દાન છે ખેરાત. ખેરાતએ સ્વેચ્છિક દાન છે.
આ બને પ્રકારના દાનો માટે કુરાને શરીફમાં ઠેરઠેર જે વિધાનો આપ્યા છે તે જાણવા અને માણવા જેવા છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શું ખર્ચીએ ?”
“કહો, જે કઈ તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”
“અને એમના માલમા માંગનાર અને વંચિત રહેનારાઓનો હક્ક છે”
“જે લોકો અલ્લાહએ આપેલા ધનમાં કંજુસાઈ કરે છે, તેઓ એ સમજી લે કે આ કામ તેમના માટે સારું નથી”
“જે લોકો પોતાનું ધન ખુદાના માર્ગમાં વાપરે છે. તેમનું ઉદાહરણ એક દાણા જેવું છે. જેમાથી સાત ડુંડી ઉગે છે. અને એ દરેક ડુંડીમાં સો સો દાણા હોય છે”
“અલ્લાહના નામે પોતાનું ધન સગાઓ, અનાથો, મોહતાજો, મુસાફરો,મદદ માટે હાથ લંબાવનાર સૌ માટે ખર્ચ કરો”
લોકો પૂછે છે,
“અમે અલ્લાહના માર્ગે શું ખરચીએ ?”
એમને કહી દો,
“જે તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગે જરૂરતમંદોને આપો”
દાન આપવાની ક્રિયા પણ ઇસ્લામમાં મહત્વની છે. હિંદુ શાસ્ત્રોમા કહ્યું છે “દાન એવી રીતે કરો કે તમારા જમણાં હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ ન થાય”
ઇસ્લામ પણ છુપા દાનને વિશેષ મહત્વ આપેલ છે. કારણ કે આવું દાન ગરીબ છતાં ખુદ્દાર માનવીના સન્માનની હિફાઝત કરે છે. અને એટલે જ કુરાને શરીફમાં કહ્યું છે,
“જો તમે દાન જાહેરમાં આપો તો તે સારું છે. પરંતુ જો તમે દાન છુપાવીને આપો તો એ તમારા માટે વધુ સારું છે. તમારા ઘણાં ગુનાહ આ વર્તન વડે ધોવાઈ જાય છે”

“વિશેષ રૂપે મદદના હક્કદાર એ જરૂરતમંદો છે જેઓ અલ્લાહના માર્ગમાં એવા ધેરાઈ ગયા છે કે પોતાના રોજગાર માટે ધરતીપર કોઈ દોડધામ કારી સકતા નથી. એમનું સ્વમાન જોઈ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે તેમના ચહેરા પરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો. પરંતુ તેઓ એવા લોકો નથી છે જે લોકોની પાછળ પડી જઈ કઈ માંગે છે. આવા લોકો માટે જે કઈ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છુપું રહેશે નહિ”

ઇસ્લામનો બીજો મહત્વનો દાનનો સિધ્ધાંત પણ સમગ્ર માનવજાતે અપનાવવા જેવો છે. મોટે ભાગે આપણા ઘરે કે ધંધાના સ્થળે આવનાર ભિખારી, ફકીર કે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર મોટે ભાગે તુચ્છ હોય છે. ઇસ્લામમાં ઘર આંગણે આવનાર કોઈ પણ જરૂરતમંદ સાથેનો વ્યવહાર સંપૂર્ણ માનવીય રાખવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“કોઈ યતીમ (અનાથ)ને અન્યાય ન કરશો. અને કોઈ માંગનાર જરૂરતમંદને ધુતકારશો નહિ. અને જે નેમતો તમને તમારા પાલનહારે આપી છે તેનો શુક્ર(આભાર)અદા કરતા રહો”
કુરાને શરીફના આ આદેશનું પાલન મહંમદ સાહેબે જીવનભર કર્યું હતું. જયારે કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસે આવતો ત્યારે આપ જે કઈ હાથવગું હોઈ તે તેને આપી દેતા. કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસેથી કયારેય ખાલી હાથે પાછો ફર્યો ન હતો. આ અંગે હઝરત જાબીર ફરમાવે છે,
“મહંમદ સાહેબ પાસે આવતા જરૂરતમંદને કયારેય મહંમદ સાહેબ ઇન્કાર કરતા નહિ. કયારેક એવું બનતું કે જરૂરતમંદને આપવા તેમની પાસે કઈ ન હોઈ, એવા સંજોગોમાં જરૂરતમંદને બીજે દિવસે આવવા કહેતા. અને તેના માટે દુઆ માંગતા”

ટૂંકમાં આપના આંગણે આવનાર જરૂરતમંદને તેની મજબુરી જ આપને ત્યાં દોરી લાવે છે. આજે એ મજબુર છે, કાલે આપ પણ એ સ્થિતિમાં હોઈ શકો. માટે મજબૂર માનવીની મજબુરીને કયારેય ધીકારશો નહિ. ઇસ્લામના આવા માનવીય સિધ્ધાંતોએ જ ઇસ્લામને માનવધર્મનો દરજ્જો આપ્યો છે. રમઝાન માસમાં આવા માનવીય વ્યવહારો જ પુણ્યની બારીશ કરવા પૂરતા બની રહે છે.

Friday, August 13, 2010

પ્રોફે.બી.એલ.શર્મા, અને પ્રોફે.મહેબૂબ દેસાઈ



પ્રોફે.બી.એલ.શર્મા(કુલપતિશ્રી ,ભાવનગર વિશ્વ વિદ્યાલય)ને ગાંધીજીનો વિદ્યાર્થી અવસ્થનો ફોટો અર્પતા ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક પ્રોફે.મહેબૂબ દેસાઈ

Wednesday, August 4, 2010

ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)



ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)ના અંતે ગાંધીજીનો બાલ્ય અવસ્થાનો ફોટો
મા.શ્રી પ્રસન્નવદન મહેતાને અર્પતા ભાવનગર વિશ્વ વિદ્યાલયના કુલપતિ શ્રી પ્રોફે. બી.એલ. શર્મા.

Tuesday, August 3, 2010

અસ્વસ્થ ઇન્સાનોની સ્વસ્થ કૃતિ : ડૉ.મહેબૂબ દેસાઈ

એક સવારે મોબાઈલની રિંગ વાગી મેં મોબાઈલ ઉપાડ્યો.
“હેલ્લો’
સામે છેડેથી એક યુવતીનો મધુર અવાજ રણક્યો,
“આપ દેસાઈ સાહેબ બોલો છો?”
“જી”
“અસ્લ્લામુઅલ્યકુમ”
“વાલેકુમ અસ્સલામ”
“મારું નામ જેના છે. આપની સાથે પાંચેક મીનીટ વાત કરી શકું ?”
“ચોક્કસ”
અને તે દિવસે જેનાએ લગભગ પાંચેક મીનીટ સુધી મારી દિવ્ય ભાસ્કરની “રાહે રોશન” કોલમના ભરપેટ વખાણ કર્યા. પછી તો એ ઘટનાને હું ભૂલી ગયો. એકાદ બે માસ પછી મને એક પુસ્તક મળ્યું. બ્લેક મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું,
“૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ” અર્થાત “અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો”
પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો હું જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ “ડૉ. જેના આનંદ એલ.” વાંચ્યું ત્યારે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર “ઈશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું . અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કર્યું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ હું પામી ગયો. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવાના આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે “ અલ બારી”. જેનો અર્થ થાય છે “ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ “અલ માનીઅ:” અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં “અલ માનીઅ:” લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે “અલ વદૂદ:” જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા “અલ વદૂદ:” શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે.

સાબરમતી ગાંધી આશ્રમમા અલ્લાહના ૯૯ નામોના આવા અર્થસભર ચિત્રોના પ્રદર્શનને અમદાવાદના સુજ્ઞ શહેરીજનોએ હાથો હાથ વધવી લીધું હતું. પત્રકાર વૃશિકા ભાવસાર લખે છે,

“પંચતત્વ,નવરસ ઉપરાંત માનવ સહજ અપેક્ષા ભાવોને પ્રાકૃતિક નિર્જીવ પાત્રો અને બીજી પરિકલ્પનામાંથી અંકિત કર્યા છે, એમા અદભૂત કલા સુઝ અને કોઠા સુઝ પ્રગટ થાય છે.”

સદવિચાર પરિવારના વડીલ શ્રી હરીભાઈ પંચાલ લખે છે,

“ગાંધી નિર્વાણના દિને સાબરમતી આશ્રમમાં કોમી એકતાની પ્રેરણા આપનારું ૯૯ ચિત્રોનું પ્રદર્શન એક અઠવાડિયું સુધી ગોઠવાયું હતુ, જેનો બહોળો લાભ શહેરીજનોએ લીધો હતો.”

નયા માર્ગના તંત્રી અને વિચારક શ્રી ઇન્દુકુમાર જાની લખે છે,

“ ચિત્ર પ્રદર્શન: ઈશ્વર અલ્લાહ તેરે નામ
બહેન જેનાને લાખ લાખ સલામ”

ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે “ગાંધીઝ લીડરશીપ” નામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,
“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા –પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.”
પ્રદર્શન અને પુસ્તકમા એરેબીક લેખનનું કાર્ય સુંદર રીતે અદા કરનાર રાહુલ ઝાલા સારા ચિત્રકાર છે. મેં તેમને ફોન પર પૂછ્યું,
“આવું રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા તમને કયાંથી મળી?”
એક પળ ફોનમાં મૌન છવાઈ ગયું. મેં ફોન ચાલુ છે કે નહિ તે તપાસવા “હેલ્લો” કહ્યું.
ત્યારે રાહુલ ઝાલાનો અવાજ સંભળાયો ,
“સર, મેં તો આમાં કશું કર્યું જ નથી. મને તો જેના બહેને જે કહ્યું તે મેં કરી આપ્યું”
મને રાહુલની નમ્રતા ગમી ગઈ. પણ પ્રશ્નના અર્કને વળગી રહેતા મેં કહ્યું,
“છતાં એક હિંદુ તરીકે અલ્લાહના ૯૯ નામો એરેબીકમાં લખવા તમે કેમ પ્રેરાયા?”
“સર, ઈશ્વર કે અલ્લાહ સૌ નામો પાછળ એક જ શક્તિ છે. અને એટલે મારા માટે ઈશ્વરના દરેક નામ સરખા છે.” હું રાહુલની વાત સંભાળી રહ્યો. પણ ત્યારે મારા હદયના ધબકારા કહી રહ્યા હતા કે આ બંને મહાનુભાવોએ પોતાની તંદુરસ્ત મનોદશા દ્વારા સમાજને આપેલ આટલો મોટો સંદેશ કેટલી સરળતાથી આત્મસાત કર્યો છે.
પણ આ સમગ્ર ઘટનાનો અંતિમ આઘાત સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવો છે. આ ચિત્રોનું સર્જન કરનાર ૩૫ -૪૦ વર્ષની વયના ડૉ.જેના બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. છતાં તેમના ચહેરા પર હમેશ હાસ્ય પથરાયેલું હોઈ છે. ગોરો વાન,ગોળ ચહેરો અને ઘાટીલી કાયાના માલિક જેનાબહેન એ દિવસોમાં ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા, તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા માનસિક રોગી છે. ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોના સર્જનનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. અને આમ છતાં આ બન્ને ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ ચિત્રો આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજરચનાના સાચા ઘડવૈયાઓ છે.