Wednesday, June 23, 2010

હઝરત હસન બસરી : ડૉ. મહેબૂબ દેસાઈ

૮૯ વર્ષનું આયુષ્ય(જન્મ હિજરી ૧૧૦) ભોગવી ખુદાની રહેમતમાં પહોંચી જનાર ખ્વાજા હસન બસરી ઇસ્લામ અને સૂફી વિદ્વાનોમાં મોખરેનું સ્થાન ધરાવે છે. ઈરાકના બસરા શહેરમાં જન્મેલા હસન બસરીનો ખાનદાની વ્યવસાય હીરા-મોતીનો વેપાર હતો. આપના અમ્મા હઝરત મોહંમદ સાહેબના પત્ની સલમાના દાસી હતા. એટલે તેમનો ઉછેર મંહમદ સાહેબના યુગમાં અને તેની નજરો સામે થયો હતો. કયારેક હસન બસરીના અમ્મા કામમાં હોઈ ત્યારે હઝરત સલમા (ર.અ.) તેમને રમાડતા અને તેમનું દૂધ પણ પીવડાવતા.
દારા શિકોહ કૃત ગ્રંથ “સફીનતુલ અવલીયા”મા હઝરત હસન બસરીની વિગતે જીવન વૃતાંત આપવામાં આવ્યું છે. બચપણમાં હસન બસરી અત્યંત ખુબસુરત હતા. હઝરત ફારુખ-એ-આઝમ તેમને જોઈનેજ બોલી ઉઠ્યા હતા,
“આ બાળકનું નામ હસન રાખજો કારણકે તે અત્યંત ખુબસુરત છે.”
હઝરત હસન બસરી યુવાન થતા જ ખાનદાની વ્યવસાયમાં જોડાઈ ગયા. એકવાર તેઓ હીરા મોતીના વેપાર અર્થે રૂમ (રુમાનિયા) દેશમાં ગયા.એ દિવસે ત્યાના વઝીર બહાર જવાની ઉતાવળમાં હતા. એટલે તેમણે યુવા હસનને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક જંગલમાં પહોંચીય. જંગલમાં સોનાના તાર, ખીલાઓ અને હીરા મોતીથી સુશોભિત એક તંબુની આસપાસ સીપાયો ખુલ્લી તલવારે પ્રદક્ષિણા કરતા હતા. એમની પાછળ વૃદ્ધ આલિમો (જ્ઞાનીઓ) હતાં. અને તેની પાછળ સુંદર યુવતીઓ હતી.સૌ ગમગીન હતા. આ દ્રશ્ય જોઈ હસન બસરીને નવાઈ લાગી. તેમણે વઝીરને તેનું રહસ્ય પૂછ્યું. વઝીર એક પળ વિચારી અત્યંત ગમગીન સ્વરે બોલ્યા,
“આ તંબુમાં રૂમ દેશનો અત્યંત સુંદર શાહજાદો ચીર નિંદ્રામાં સુતો છે. સામાન્ય માંદગીમાં જ તેની વફાત થઈ ગઈ હતી. રૂમ દેશના શુરવીર સીપાયો તંબુની પ્રદક્ષિણા કરતા કરતા કહી રહ્યા છે કે અમારી તલવાર પણ અમારા શાહ્જદાને બચાવી નથી શકી. વૃદ્ધ આલિમો પણ પ્રદક્ષિણા કરતા કહી રહ્યા છે, અમારું જ્ઞાન અને દુઆ પણ તમને બચાવી શક્યા નથી. આ સુંદર કન્યાઓ પણ કહી રહી છે કે અમારું હુસ્ન પણ અમારા શહજાદાને બચાવી નથી શક્યું.”
વઝીરનું આ કથન હસન બસરીના હદયમાં ઉતરી ગયું. ખુદાની બેહિસાબ તાકાતનો તેમને અહેસાસ થયો. અને હીરા-મોતીનો વેપાર છોડી તેઓ ખુદાની ઇબાદતમાં લાગી ગયા. હઝરત હસન બસરીએ તેમના ગુરુ તરીકે મોહંમદ સાહેબના પ્રિય પાત્ર અને તેમના જમાઈ હઝરત અલીએ પસંદ કર્યા હતા. તોહફા નામક કિતાબમાં આ અંગે લખ્યું છે,
“હઝરત હસન બસરી, હઝરત અલીથી “બયત” (મુરીદ-શિષ્ય) થયા હતા. જેને કારણે તેમનું જીવન મહેકી ઉઠ્યું હતું”
હસન બસરી એમના યુગના શ્રષ્ઠ વિદ્વાન હતા. એ યુગના એક સૂફીને કોઈકે પૂછ્યું,
“હસન બસીર આપણા શ્રેષ્ટ વિદ્વાન શા માટે છે ?”

એ સૂફી એક પળનો પણ વિલંબ કર્યા વગર બોલી ઉઠ્યા,
“ હસનના ઈલમની દરેક માનવીને જરૂર છે, પણ હસનને તો અલ્લાહ સિવાય કોઈની જરૂર નથી. અને એટલેજ તે શ્રેષ્ટ છે.”
એકવાર હસન બસરી વ્યાખ્યાન કરી રહ્યા હતા. એક શ્રોતાએ તેમને અટકાવીને પૂછ્યું,
“ઇસ્લામ એટલે શું ?”
હસન બસરી બોલ્યા,
“મુસ્લામાની દર કિતાબ વ મુસલમાન દર ગોર” અર્થાત ઇસ્લામ માત્ર કિતાબમાં છે, અને સાચા મુસ્લિમો માટી નીચે કબરમાં છે”
એક સભામાં આપે કહ્યું, “ પરહેજગારી ઇસ્લામના મૂળમાં છે” સભામાંથી એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો,”પરહેજગાર કેવી રીતે થવાય ?”
આપે ફરમાવ્યું, “ લોભ , લાલચનો ત્યાગ પરહેજગાર બનવાનો સાચો માર્ગ છે”

હઝરત હસન બસરીએ એકવાર હઝરત સઈદ બિન ઝમીરને કહ્યું,
“ કોઈ પણ સંજોગોમા ક્યારેય ત્રણ કામ કરશો નહિ.
૧. કોઈ પણ બાદશાહ તમારા પર ગમે તેટલી મહેરબાની કરે, તેનો સંગ કરશો નહિ.
૨. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં બેસસો નહિ,પછી ભલે તે રાબીયા બસરી કેમ ન હોઈ.
૩. ક્યારેય રંગ રાગમાં પડશો નહિ.
હઝરત હસન બસરીના બોધ વચનો પણ માણવા જેવા છે. થોડાક વચનોનો આસ્વાદ માણીએ

“ થોડોક તકવા અને પરહેજગારી હઝાર વર્ષના નમાઝ અને રોઝા બરાબર છે.”
“ નેક કાર્યો અને પરહેજગારી એ તમામ કર્મોથી શ્રેષ્ઠ છે.”
“માનવીમાં સહેજ પણ સ્વાર્થ અને ક્રોધ ન હોઈ તો તે મરેફ્ત (બ્રહમજ્ઞાની) છે.”
“જેની વાણી કડવી તેની વાત લડાકુ”
“માનવીની બુરી સંગત તેને નેક લોકોથી દૂર રાખે છે”

૫ મુસ્લિમ માસ રજબ હિજરી ૧૧૦ના રોજ આપણી વફાત થઈ

No comments:

Post a Comment