Tuesday, April 27, 2010

શ્રી નારાયણભાઈ દેસાઈ સાથે ડો..મહેબૂબ દેસાઈ



શ્રી નારાયણ દેસાઈની ભાવનગરમાં યોજાયેલ "ગાંધી યુવા કથા" (૨૪ થી ૨૮ એપ્રિલ ૨૦૧૦ ) દરમિયાન ૨૬ એપ્રિલના રોજ શ્રી નારાયણભાઈ દેસાઈ સાથે ભાવનગર વિશ્વ વિદ્યાલયના કુલપતિ શ્રી બી.એલ.શર્મા અને ડો.મહેબૂબ દેસાઈ


શ્રી નારાયણ દેસાઈની ભાવનગરમાં યોજાયેલ "ગાંધી યુવા કથા" (૨૪ થી ૨૮ એપ્રિલ ૨૦૧૦ ) દરમિયાન ૨૬ એપ્રિલના રોજ

"રાષ્ટ્રીય ગાંધી યુવા શીબીર"મા વ્યાખ્યાન આપતા ડો..મહેબૂબ દેસાઈ



શ્રી નારાયણ દેસાઈની " ગાંધી યુવા કથા " નું ભાવનગરમાં ૨૪ થી ૨૮ એપ્રિલ ૨૦૧૦ દરમિયાન આયોજન થયું હતું. એ અનુસંધાને એજ દિવસોમાં યોજાયેલ "રાષ્ટ્રીય ગાંધી યુવા શીબીર" મા ૨૪ -૦૪-૨૦૧૦ ના રોજ દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી ભવનમાં "ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા' વિષય પર વ્યાખ્યાન આપતા ડો.મહેબૂબ દેસાઈ

Thursday, April 22, 2010

સૂફીમત : અદભૂત ગ્રન્થ : ડો.મહેબૂબ દેસાઈ

મારા મિત્ર ડો. મુગટલાલ બાવીસીએ મને ફારસી ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન સદગત ડો. છોટુભાઈ નાયક(૧૯૧૩-૧૯૭૬)નું પુસ્તક “સૂફીમત” ભેટમાં મોકલ્યું. ”સૂફીમત” મૂળ ફારસી ગ્રંથોનો અભ્યાસ કરી ડો.ચીનુભાઈ નાયકે લખેલ મૂલ્યવાન પુસ્તક છે. આ અંગે જાણીતા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલ લખે છે,
“સૂફીમતના સિદ્ધાંતો અને સૂફી શાયરીઓનો સમ્યક પરિચય આપતો આ એક માત્ર મૌલિક ગ્રન્થ છે. આ ગ્રન્થમાં લેખકે સૂફીઓમા વપરાતા એ વિષયને લગતા પારિભાષિક શબ્દોના વ્યવસ્થિત અર્થ આપ્યા છે. ગ્રથમાં સૂફીમતની પ્રગતીનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે.”
આ પુસ્તક સૂફીવાદને વિગતે જાણવા માંગતા સૌએ વાંચવા જેવું છે. ૧૯૫૯માં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તકની બીજી આવૃત્તિ ૨૦૦૯મા ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ દ્વારા પ્રકાશિત થઈ છે. સૂફી વિચારને મૂળભૂત સિદ્ધાંતો દ્વારા વાચા આપતા આ પુસ્તકમા તસ્વ્વુફ ,ઈશ્ક, તૌબા,સબ્ર, કલ્બ, રૂહ, તવક્કુલ , રીઝા ,વહી, ઇલ્હામ, ફના, જેવા શબ્દોની સુંદર અને સરળ સમજ આપવામાં આવી છે. ઇસ્લામના પાંચ સિદ્ધાંતિ તોહીદ, સૌમ, સલાત , ઝકાત અને હજ અંગેની સાચી સમજ પણ તેમાં આપવામાં આવી છે. ઇસ્લામના આ પાંચ સિદ્ધાંતો પાછળનો આધ્યત્મિક અભિગમ આ ગ્રન્થની જણસ છે.તેની સાક્ષી પુરતો હજના આધ્યાત્મિક ઉદેશને વ્યક્ત કરતો એક પ્રસંગ જાણવા જેવો છે.
એક માણસ હજયાત્રા કરીને પાછો ફર્યો અને સૂફી સંત હઝરત જુનૈદ પાસે આવ્યો. ઘણા ઉત્સાહમાં પોતાના હજયાત્રાના સ્મરણો કહેવા લાગ્યો. ત્યારે હઝરત જુનૈદ અને તે મુસ્લિમ વચ્ચે જે પ્રશ્નોતરી થઈ તે હજ યાત્રાએ જતા દરેક મુસ્લિમેં જાણવા અને સમજાવ જેવી છે.
જુનૈદ : તમે જે ધડીએ હજ માટે તમારા ઘરથી નીકળીયા ત્યારે તમે તમારા પાપોની ક્ષમા યાચના કરી હતી? ”
હાજી : ના
જુનૈદ : જ્યાં જ્યાં તમે રાતવાસો કર્યો ત્યાં ત્યાં તમે અલ્લાહના માર્ગે જ ચાલવાનો પાકો નિર્ધાર કર્યો
હતો ?”
હાજી: ના.
જુનૈદ : તમે અહેરામ બાંધ્યો ત્યારે તમે ઈન્સાની ઈચ્છાઓને કપડાની જેમ ઉતારી નાખી હતી ?
હાજી : ના
જુનૈદ : તમે કાબાનો તવાફ (પરિક્રમા ) કર્યો ત્યારે ખુદાનું પરમ સોંદર્ય એ પવિત્ર સ્થાનમાં દિલોજાન થી મહેસુસ કર્યું હતું ?
હાજી : ના
જુનૈદ : તમેં સફા અને મરવા નામક બે ટેકરીઓ વચ્ચે પ્રદક્ષિણા કરી ત્યારે દિલની સફાઈ કરી હતી ?
હાજી : ના
જુનૈદ : તમેં અરફાતમા અલ્લાહના ધ્યાનમાં ઉભા હતા ત્યારે દિલોજાનથી ખુદાની ઈબાદત કરી હતી ?
હાજી : ના
જુનૈદ : જયારે તમે મુઝ્દલીફા પહોચ્યા ત્યારે તમારી નફાસની મુરદોનો ત્યાગ કર્યો હતો ?
હાજી : ના
જુનૈદ : તમે મીના આવ્યા ત્યારે તમારી તમામ વાસનાઓ છૂટી ગઈ હતી ?
હાજી : ના
જુનૈદ : તમે કુરબાની આપી ત્યારે તમે તમારી નફસાની ઇચ્છાઓની પણ કુરબાની આપી હતી ?
હાજી : ના
જુનૈદ : તમે જમારત ઉપર કાંકરી મારી ત્યારે જે વાસનામય વિચારો તમારામાં હતાં તે તમે એ કાંકરી સાથે ફેકી દીધા હતાં ?
હાજી ; ના
જુનૈદ : ત્યારે તો તમારી હજ થઈ જ નથી. ઇસ્લામમાં આવી હજનું કોઈ જ મહત્વ નથી.
પોતાની જિંદગીની કમાણી ખર્ચીને અને પૈસાની છતને કારણે અનેકવાર હજયાત્રા એ જતા હાજીઓ, સૌ માટે ઉપરોક્ત દ્રષ્ટાંતમા ઘણું સમજવા જેવું છે.
“સૂફીમત” પુસ્તકના કુલ ૧૫ પ્રકરણોમાં સૂફીમતનો સંક્ષિપ્ત ઇતિહાસ,સૂફી સાહિત્યના ખાસ અંગો,ફારસી સાહિત્યમાં સૂફીમત , સૂફી સીલસિલાઓ, સૂફીમતના વિકાસમાં અન્યનો ફાળો અને ભારતમાં સૂફીમત જેવા સંસોધનાત્મક પ્રકરણો સૂફીમતના અભ્યાસુઓ માટે રસપ્રદ શૈલીમાં લખાયેલા છે.આવા ગ્રંથનું ૫૩ વર્ષ પછી પુનઃ પ્રકાશન કરવા બદલ ગુજરાત વિદ્યાસભાને આકાશ ભરીને અભિનંદન.

Saturday, April 17, 2010

અમીર ખુસરો : ડો.મહેબૂબ દેસાઈ

સૂફીસંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના જીવન પ્રસંગો જાણીતા છે. પણ તેમના અને તેમના પ્યારા શિષ્ય અમીર ખુસરો વચ્ચેના પ્રસંગો જાણવા અને માણવા જેવા છે. ઈ.સ. ૧૨૫૩મા જન્મેલ અમીર ખુસરોને તેમના પિતાએ આઠ વર્ષની ઉંમરે નિઝામુદ્દીન ઓલિયાને સોંપી દીધા હતા. અને ત્યારે બાળક અમીરને નીઝામુદ્દીને શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. એ પછી ચાલીસ વર્ષની ઉંમરે અમીર ખુસરોએ પુનઃ એજ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. ત્યારે તેનું કારણ તેમના અન્ય શિષ્ય જાણવા ઉત્સુક થયા. નિઝામુદ્દીને શિષ્યની ઉત્સુકતાને ઠરતાં કહ્યું હતું,

“કયામતને દિવસે અલ્લાહ મને પુછશે , ‘ બેટા, નીઝામીદ્દીન દુનિયામાંથી તું મારા માટે શું લાવ્યો છે? ત્યારે હું કહીશ “ મારો અતિ પ્યારો શિષ્ય અમીર ખુશરો લાવ્યો છું, જે હર પળ દુવા કરે છેકે ”હે અલ્લાહ, આ તુર્કના ઉત્કટ પ્રેમને ધ્યાનમાં લઈ મને માફી બક્ષજે “

ગુરુ શિષ્યના આવા અમરપ્રેમના અનેક પ્રસંગો સૂફી સાહિત્યમાં દટાયેલા પડ્યા છે.અમીર ખુસરો દિલ્હીના બાદશાહના માનીતા અધિકારી હતાં.બાદશાહ તેમને તેમની ગુપ્ત વાતો પણ કરતા. એકવાર બાદશાહે અમીર ખુશરોને પોતાની આંતિરક ઈચ્છા જાહેર કરતા કહ્યું,
“નિઝામુદ્દીન ઓલિયા મને મળવા આવતા નથી કે મને મળવાનો સમય પણ આપતા નથી. એટલે હું તેમને વેશપલટો કરીને મળવા જઈશ.”
અમીર ખુસરોએ આ ગુપ્ત વાત એ જ દિવસે સાંજે નીઝામુદ્દીન ઓલિયાને જઈને કહી દીધી. શિષ્યની વાત સાંભળી ગુરુ બોલ્યા,
“ તે તારા બાદશાહની આવી ખાનગી વાત મને શામાટે કરી?”
અમીર ખુસરોએ જવાબ વાળ્યો,” ગુરુથી કશુજ છુપાવવું પાપ છે, ગુનાહ છે”
આ વાતની જાણ જ્યારે બાદશાહને થઈ, ત્યારે તે અમીર ખુસરો પર ગુસ્સે થતા તેઓ બોલ્યા,
“ખુસરો , તમને ખબર છે, બાદશાહની ગુપ્ત વાત જાહેર કરવાની સજા મોત છે.”
“નામદાર, મને જીન્દગી કરતા મારું ઈમાન વધારે વહાલું છે.આપ ખુશીથી મારો શિરચ્છેદ કરો, પણ ગુરુ ભક્તિથી મને ચલિત નહિ કરી સકો.”

એકવાર હઝરત નિઝામુદ્દીન પાસે એક ફકીર આવ્યો અને કઈક આપવની જીદ પકડીને બેઠો. પ્રથમ તો નિઝામુદ્દીન સાહેબે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પણ તે હગીઝ ન માન્યો. અંતે કંટાળીને નિઝામુદ્દીન સાહેબે તેને પોતાના પગરખા આપી દીધા. અને પેલો ફકીર ખુશ થઈ ચાલ્યો ગયો. એ ફકીર એક દિવસ અનાયાસે અમીર ખુસરોને મળી ગયો. અને ગર્વભેર તેણે ખુસરોને કહ્યું,
“મારી પાસે તો નિઝામુદ્દીન ઓલિયાના પગરખા છે. તેમણે મને ભેટ આપ્યા છે.”
અમીર ખુસરોએ એ પગરખા પર નજર કરી. ગુરુના પગરખાં તેઓ તુરત ઓળખી ગયા.તેમણે એ ફકીરને કહ્યું,
“ આ પગરખાં તું મને આપી દે. તેના બદલામાં તું જે માંગીશ તે તને હું આપીશ”
ફકીરે તકનો લાભ લેતા કહ્યું,
” મને પાંચ લાખ ચાંદીના સિક્કા આપો તો આ પગરખાં તમને આપું”
અમીર ખુસરોએ તાત્કાલિક પાંચ લાખ ચાંદીના સિક્કા તે ફકીરને આપી ગુરુના પગરખાં લઈ લીધા. પગરખાં લઈ તેઓ સિધ્ધાં નિઝામુદ્દીન ઓલિયા પાસે આવ્યા. અને ચુપચાપ ગુરુના ચરણોમાં બેસી પગરખાં પહેરાવવા લાગ્યા. એ જોઈ ગુરુ બોલી ઉઠ્યા,
”બેટા, મારા મામુલી પગરખાં માટે આટલા ચાંદીના સીક્ક્સ તે શા માટે ખર્ચ્યા ?”
પગરખાં પહેરાવતા પહેરાવતા અમીર ખુસોર એટલું જ બોલ્યા ,
“ પગરખાંના બદલે મારું જીવન માંગ્યું હોત તો તે પણ આપી હું ધન્ય થઈ જાત”

એકવાર અમીર ખુસરો બાદશાહ સાથે બંગાળના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમને પોતાના ગુરુ નીઝામુદ્દીન સાહેબના અવસાનના સમાચાર મળ્યા. તેથી તેમણે બાદશાહ પાસે તુરત દિલ્હી જવાની રજા માંગી.બાદશાહે તેમને રજા ન આપી. એક પળનો પણ વિચાર કર્યા વગર તેમણે બાદશાહને સંભળાવી દીધું,
“ હું આ જ પળથી આપની નોકરીમાંથી મુક્ત થાઉં છું.”
અને બાદશાહની ઉંચા પગારની વગદાર નોકરી ત્યાગી તેઓ દિલ્હી પહોંચી ગયા. પણ ત્યારે તો ગુરુને દફનાવી દેવામાં આવ્યા હતાં.એટલે ગુરુની કબર પાસે તેઓ ખુબ રડ્યા. રડતા રડતા તેઓ મૂર્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ કાર્ય તેમણે પોતાની સમગ્ર મિલકત ગુરુના નામે ગરીબોને વહેચી દેવાનું કર્યું .અને કાળા વસ્ત્રો ધારણ કરી ગુરુની મઝારની ખિદમતમા લાગી ગયા. ગુરુની મઝાર પર આખી ઝીન્દગી તે એક જ સાખી ગાતા રહ્યા,

“ ગોરી સોએ સેજ પર, મુખ પર ડાલે ખેસ
ચલ ખુસરો ઘર અપને , સાંજ ભઈ ચહું દેશ”

અર્થાત ગુરુના અવસાનથી જીવનની સંધ્યા થઈ ગઈ છે. જીવન અંધકારમય થઈ ગયું છે. બસ હવેતો ઉપરવાળાના ઘરે જવાનો સમય પાકી ગયો છે.
આ જ સાખી રટતાં રટતા તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યાગયા અને ગુરુ- શિષ્યની અદભૂત પરંપરા એક મિશાલ તરીકે આપણા સૌ માટે મુકતા ગયા.

Tuesday, April 13, 2010

હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) : દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી : ડો,મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) : દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી

ડો,મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સુફી હતાં. દુનિયાના સૂફીઓના તેઓ આદર્શ હતાં.તેમના જીવનકવનમાંથી જ સમગ્ર દુનિયાના સૂફીઓએ સુફી વિચારધારાનો અર્ક મેળવ્યો છે. સાદગી, ત્યાગ, ઈબાદત, મૃદુતા,નમ્રતા, નિરાભિમાન અને ખુદાનો ખોફ તેમના જીવન આદર્શ હતાં. મદીનામાં મસ્જિત-એ-નબવીના સર્જન પછી સૌ પ્રથમ સૂફાખંડનું સર્જન કરવાની સલાહ ખુદ મહંમદ સાહેબે જ આપી હતી.ત્યારે એક સહાબીએ પૂછ્યું હતું,
“સૂફાખંડ શા માટે બનાવવો છે?’
મહંમદ સાહેબે તેનો જવાબ વાળતા ફરમાવ્યું હતું,
“ મસ્જિત-એ-નબવીમાં ખુદાના બંદાઓ ખુદાની ઈબાદત કરશે અને સૂફાખંડમાં તેઓ ખુદાની પ્રાપ્તિના માર્ગોની ચર્ચા કરશે.”
સુફી વિચારધારાનો તે પ્રારંભ હતો.પણ માત્ર સૂફાખંડના સર્જનથી સુફી વિચારધારા પ્રસરી નથી.સુફી વિચારના મૂળમાં મહંમદ સાહેબની સાદગી,ત્યાગ,બલિદાન,ઈબાદત અને સરળતા પડ્યા છે. અરબસ્તાનના વિશાળ સામ્રાજ્ય પર એક હથ્થુ શાશન કરવા છતાં મહંમદ સાહેબ નારિયેળીના પાંદડાની છતના ઝુંપડામાં રહેતા.ભવ્ય પલંગ પર નિંદ્રાધીન થવાને બદલે વાણના ખાટલામાં પાથરણા વગર સુતા.પોતાના ઘરમાં રોજ ભોજન બનાવવા જેટલી સમૃદ્ધિ ન હતી. છતાં ઘર આંગણે આવતા ફકીર કે મહેમાનને પોતે ભૂખ્યા રહી પ્રેમથી ભોજન પીરસતા અને પેટ ભરીને જમાડતા.તન પર આભૂષણો કે રેશમી વસ્ત્રો તો ઘણી દુરની વાત છે, પણ માત્ર શરીર પર એકાદ સુતરાવ કપડું ધારણ કરતા.પગમાં અત્યંત સાધારણ પગરખા પહેરતા.અરબસ્તાનના આવા બાદશાહનો કોઈ મહેલ કે દરબાર ન હતાં કે ન કોઈ દરબારીઓ હતાં.પોતાના સહાબીઓ (અનુયાયીઓ) કે સાથીઓ સાથેનો તેમનો વ્યવહાર અત્યંત સરલ અને સમાન હતો.
મુસાફરીમાં એકવાર સાથીઓ સાથે મહંમદ સાહેબ પગપાળા જઈ રહ્યા હતાં.ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો.રાંધવા માટે સૌએ કામની વહેચણી કરી લીધી.પયગંબર સાહેબ (સ.અ.વ.)એ બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું,
“આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઈશું.”
મહંમદ સાહેબે ફરમાવ્યું,
“ પણ હું મારી જાતને તમારા કરતા ઊંચી રાખવા નથી માંગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતા ઉંચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા”
મહંમદ સાહેબન ખુદાના અત્યંત પ્યારા નબી હતાં. છતાં પોતાના વખાણ કે પ્રશંશા તેમને કયારેય પસંદ ન હતાં.એકવાર મહંમદ સાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જોઈને ઘરની બાળાઓ હઝરત મહંમદ સાહેબની આસપાસ ગોઠવાઈ ગઈ. અને બદ્રના શહીદોની પ્રશંશા કરતા ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી અને ગાયું,
“ફીના નબીય્યુંન યાસઅલમુ માફીગદી”
અર્થાત “આમારી વચ્ચે એક નબી છે, જે કાલની વાત જાણે છે”
મહંમદ સાહેબે અત્યંત નમ્રતાથી ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું,
“જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો”
મહંમદ સાહેબે ચાહ્યું હોત તો તેમની આસપાસ ધનદોલતના ભંડાર લાગી જાત.પણ મહંમદ સાહેબે કયારેય
ધનદોલતનો મોહ રાખ્યો ન હતો. તેમની જરૂરિયાતો જ એટલી મર્યાદિત હતી કે તેમને જીવન જીવવા માટે તેની ક્યારેય જરૂર પડી ન હતી.
એક રાત્રે તેમની ઝૂંપડીમાં તેઓ સુતા હતા.પણ તેમને ઊંઘ ન આવી. બેચેની જેવું લાગવા માંડયું. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું,
“આપણી છત નીચે પૈસા કે સોનું-ચાંદી નથીને ?”
હઝરત આયશા થોડીવાર વિચારી રહ્યા.પછી બોલ્યા,
“અબ્બા (હઝરત અબુબકર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે, તે પડ્યા છે.”
મહંમદ સાહેબ તુરત બોલી ઉઠ્યા,
“અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચી દે. તને ખબર નથી પ્રેષિતોની છત નીચે ધન ન હોઈ”

મહંમદ સાહેબના આવા જીવન મૂલ્યો એ જ સુફી સંતોને સુફી જીવનની સાચી રાહ બતાવી હતી. અને એટલે જ દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સૂફીનું સ્થાન આજે પણ મહંમદ સાહેબ શોભાવી રહ્યા છે. અને તા કયામત શોભાવતા રહેશે – આમીન.

Saturday, April 3, 2010

ઈબ્ન હિશામની કૃત " સીરતુંન - નબી : એક અદભૂત ગ્રંથ

ઈબ્ન હિશામની કૃત " સીરતુંન - નબી : એક અદભૂત ગ્રંથ

ડો.મહેબૂબ દેસાઈ



હઝરત મુહંમદ પયગમ્બર(સ.અ.વ.)નું પ્રથમ ચરિત્ર લખનાર ઈબ્ન હિશામની અંગેનો લેખ વાંચી એક વાચકે મને પત્ર લખ્યો અને મુહંમદ સાહેબનું એ ચરિત્ર વાંચવા ભલામણ કરી. અલબત એ ગ્રન્થનું વર્ષો પૂર્વે મેં આચમન કર્યું હતું . છતાં મને એ વાચકનું સુચન ગમી ગયું.એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ મને મારા વિદ્વાન મિત્ર જનાબ હસનભાઈ ભડ્વોદરીએ સપ્રમ મોકલ્યો હતો. વાચકની ભલામણે મને પુનઃ તેના પાના ફેરવવા મજબુર કર્યો અને તેમાંથી મને આ અનમોલ પ્રસંગ સાંપડ્યો.

મુહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે અનેક બાદશાહોને પત્રો પાઠવ્યા હતા. એવો જ એક પત્ર તેમણે હઝરત અબ્દુલ્લાહ સાથે ઈરાનના બાદશાહ ખસરું પરવેઝને લખ્યો હતો.જેમા સૌ પ્રથમ "બિસ્મિલ્લાહ અર રેહેમાન નીર્રહીમ" અર્થાત "શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત દયાવાન અને કૃપાળુ છે" અને પછી "અલ્લાહના રસુલ તરફથી બાદશાહ ખુસરુ પરવેઝને ઇસ્લામમાં આવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.પત્ર સાંભળી ઈરાનનો બાદશાહ
અત્યંત ક્રોધિત થયો. તેણે મુહંમદ સાહેબના પત્રના ટુકડા કરી નાખ્યા અને કહ્યું,
" આ પત્રમાં સૌ પ્રથમ ખુદાનું નામ છે. પછી મુહંમદનું નામ છે. અને છેલ્લે મારું નામ છે. આવો બદતમીઝી ભર્યો પત્ર લખનારને મારી સમક્ષ હાજર કરો"
ઈરાનના બાદશાહનો હુકમ છૂટ્યો એટલે તેના બે સિપાયો અને એક ગવર્નર મુહંમદ સાહેબને પકડવા મદીના શહેર આવી ચડ્યા.મુહંમદ સાહેબ પાસે પહોંચી તેમણે પોતાના બાદશાનો હુકમ સંભળાવ્યો,
"ઈરાનના શહેનશાહએ આપને તેના દરબારમાં હાજર થવા હુકમ કર્યો છે. આપ રાજીખુશીથી અમારી સાથે આવશો તો ઠીક છે, અન્યથા આપને કેદ કરી અમારે લઇ જવા પડશે"
મુહંમદ સાહેબ આ સાંભળી મલકાય અને એકદમ શાંત સ્વરમાં ફરમાવ્યું,

" આપ અમારા મહેમાન છો. આજે મહેમાન ખાનામાં આરામ ફરમાવો. કાલે આ અંગે નિરાંતે વાત કરીશું."

ગવર્નર અને બન્ને સિપાયોને નવાઈ લાગી. જેમને કેદ કરવા આવ્યા છીએ એ તો આપણને મહેમાન ગણે છે ! નવાઈના એ ભાવ સાથે ત્રણે મહેમાનખાને પહોંચ્યા. અને ત્યાં રાતવાસો કર્યો. બીજા દિવસે સવારે ત્રણે પાછા મુહંમદ સાહેબ પાસે આવી ચડ્યા અને પોતાના બાદશાહનો હુકમ સંભળાવ્યો. એ સાંભળી મુહંમદ સાહેબે ફરમાવ્યું,

" તમે તમારા દેશ પાછા જાવ. મારા ખુદાએ તમારા બાદશાહની બાદશાહત ખત્મ કરી નાખી છે. તેના જ પુત્રે તેની હત્યા કરી છે. અને તેનો પુત્ર ગાદી પર બેસી ગયો છે"

સમાચાર સાંભળી ત્રણે દંગ થઈ ગયા. શું બોલવું તે ભૂલી ગયા. મુહંમદ સાહેબ એક પળ તેમને જોઈ રહ્યા. પછી ફરમાવ્યું,
"તમારા નવા બાદશાહને મારો એટલો જ સંદેશો આપ જો કે આપ ઇસ્લામની દોલત સ્વીકારશો એવી આમારી વિનંતી છે.યમનના જેટલા પ્રદેશ પર તમારી હકુમત છે,તે તમારી જ રહેશે. અમારે દેશ નથી જોયતા. અમારે તો ઇસ્લામના નૂરથી તમારા દેશને રોશન કરવો છે"

આ સાંભળી ત્રણે શરમિંદા થયા. શરમથી તેમના મસ્તક ઝુકી ગયા.મુહંમદ સાહેબે એ ત્રણેને બાઈજજત પોતાના વતન પાછા ફરવા વ્યવસ્થા કરી આપી.
ઇસ્લામના પ્રચારમાં મુહંમદ સાહેબે આચરેલ આવી માનવતા અને ખુદાએ તેમને આપેલ સાથ ઇસ્લામના પ્રચારની સાચી તરાહ વ્યક્ત કરે છે.ઈબ્ન હિશામની કૃત "સીરતુંન નબી" આવા અનેક પ્રસંગોથી ભરપુર છે. એ અસલ ગ્રંથનો અનુવાદ જનાબ અહમદ મુહંમદ હથુરાનીએ કર્યો છે. જયારે તેનું પ્રકાશન મુહંમદ યુસુફ સીદાત ચાસવાલાએ કર્યું છે. એ બને મહાનુભાવોને ખુદા તેનો ઉત્તમ અજર બક્ષે એજ દુવા- આમીન.