Saturday, February 27, 2010

" ગુજરાતની અસ્મિતા: મારી નજરે" :સંપાદક: ઉત્તમ પરમાર

(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૫મુ રજતરજતજયંતી જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન ટ્રસ્ટ, ના યજમાન પદે કીમમાં મળ્યું હતો. એ નિમિત્તે કીમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી " ગુજરાતની અસ્મિતા: મારી નજરે" (સંપાદક: ઉત્તમ પરમાર) નામક ગ્રન્થ પ્રસિદ્ધ થયો હતો. ગુજરાતના અનેક મહાનુભાવોએ તેમાં પોતાની દ્રષ્ટિએ ગુજરાતની અસ્મિતાને આલેખવાનો પ્રયાસ કર્યો હતો. એ ગ્રન્થનું અવલોકન
ગુજરાતના જાણીતા ઇતિહાસકાર ડો.મકરંદ મહેતાએ નિરીક્ષકના ૧-૨-૨૦૧૦ના અંકમાં કર્યું હતું. એ અવલોકનમાં ડો. મહેબૂબ દેસાઈના લેખ "દૂધ અને સાકરની અસ્મિતા" અંગે ડો. મકરંદ મહેતાએ આપેલ અભિપ્રાય)



" બંદૂકવાલા અને દાઉદભાઈની જેમ મહેબૂબ દેસાઈએ કોમી એખલાસની ભાવના વ્યક્ત કરી છે. તેમણે ઈતિહાસ અને સાંપ્રત પ્રવાહોને સાંકળીને "અસ્મિતા"નું વર્ણન અને વિશ્લેષણ આબેહુબ રીતે કર્યું છે. તેમણે ૧૯૩૯ના ભાવનગરના રાજ્ય પ્રજા પરિષદ સમયે સરદાર પટેલની ભૂમિકાનું આલેખન કરતા કહ્યું છે કે પરિષદના પ્રમુખ સરદાર હતા. સરદાર પર અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો અને સૌરાષ્ટ્રમાં કદી પણ બન્યું ન હતું તેમ ભાવનગર કોમી અશાંતિનો ભોગ બન્યું.મહેબૂબે લખ્યું છે,

" ત્યારે મિયાં અને મહાદેવની જોડી બહાઉદ્દીન શેખ અને પૃથ્વીસિંહ આઝાદે ભાવનગરમાં કોમી એકતાનું અદભૂત વાતાવરણ સર્જ્યું હતું."

તે સમયના પૃથ્વીસિંહ આઝાદના શબ્દોને મહેબૂબ દેસાઈ નીચે મુજબ ઠાલવ્યા છે,
“મંદિર અને મસ્જિત બંને ઉપર હુમલો થવાનો ભય હતો. મેં નગરજનોને વિશ્વાશથી કહ્યું કે બંને સ્થાનો સુરક્ષિત રહેશે. અમારી મિયાં - મહાદેવની જોડીએ શહેરમાં શાંતિ- અમન માટે જાહેરાત કરી કે બહાઉદ્દીન મંદીરની સુરક્ષા કરશે અને તેમની શહીદી પછી જ કોઈ પણ મુસ્લિમ મંદિરને નુકસાન કરી શકશે. અને મહાદેવ (પૃથ્વીસિંહ) મસ્જિતની સુરક્ષા કરશે અને તેમની શહાદત પછી જ કોઈ પણ હિંદુ મસ્જિતને નુકસાન કરી શકશે"
મહેબૂબે કોમી એકતાના બીજા એવા હ્રદયસ્પર્શી દ્રષ્ટાંતો આપ્યા છે કે તે શાળા- કોલેજોના વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકમાં ઉમેરવાની આજે જરૂર છે. તેમણે બંદૂકવાલા અને દાઉદભાઈની જેમ નવી આશાનું સિચન કર્યું છે. તેમના શબ્દોમાં,
" ગુજરાતની આવી અસ્મિતા ૨૦૦૨ વખતે ગેરહાજર હતી. છતાં વાદળમાં છુપાઈ ગયેલા સૂર્ય જેમ તેનો પ્રકાશ ક્યાંક ક્યાંક દ્રષ્ટિગોચર થતો હતો. કારણકે કોઈ પણ મજહબ હિંસાને પ્રાધન્ય નથી આપતો. ઇસ્લામ અને વૈદિક ધર્મની અસ્મિતા પણ એ જ સૂચવે છે... ગુજરાતની આવી અસ્મિતા ઇતિહાસના પાનાઓમાં દટાયેલી પડી છે. એ દટાયેલી અસ્મિતા ધબકારા ઈચ્છે છે. અસ્મિતાનો આ સંચાર તેમાં ધબકારા અર્પશે તો અસ્મિતાની સ્મૃતિવંદના સાચા અર્થમાં સાકાર થશે."

પ્રોફે. (ડો.) મકરંદ મહેતા

No comments:

Post a Comment