Sunday, December 26, 2010

બુખારી શરીફના સર્જક હઝરત ઈમામ બુખારી : ડો.મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં કુરાન-એ-શરીફ પાયાનો આધારભૂત ગ્રંથ છે. એ પછી ઇસ્લામમાં જે દ્વિતીય કક્ષાના ગ્રંથો છે તેમાં બુખારી શરીફને મોટાભાગના મુસ્લિમો અત્યંત માન અને આદર આપે છે. બુખારી શરીફ હદીસ છે. હદીસ એટલે એવું ઇસ્લામી સાહિત્ય જેનું સર્જન હઝરત મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ (અનુયાયીઓ)ના કથન દ્વારા થયું છે. મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના સહાબીઓ(અનુયાયીઓ) એ જોયેલ, જાણેલ અને અનુભવેલ મુહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવન પ્રસંગો, કથનો, ખાસિયતો, નિયમો અને ઉપદેશોનો સંગ્રહ એટલે હદીસ. આવી હદીસો જીવનભર એકત્રિત કરી ગ્રંથસ્ત કરનાર હઝરત ઈમામ બુખારીનું નામ ઇસ્લામી ઇતિહાસમાં ઘાટા અક્ષરોમાં નોંધાયેલ છે. ૧૯ જુલાઈ ઈ.સ. ૮૧૦, હિજરી સન ૧૯૪ના શવ્વાલ માસની ત્રીજી તારીખે જુમ્મા(શુક્રવાર)ની નમાઝ બાદ બુખારા (ઉઝેબેકીસ્તાન-રશિયા)માં જન્મેલ હઝરત ઈમામ બુખારીનું મૂળ નામ તો મુહંમદ ઇબ્ન ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ ઇબ્ન મુગીરા જુઅફી બુખારી (ઈ.સ. ૮૧૦-૮૭૦)હતુ.પણ તઓ ઇસ્લામી ઇતિહાસમાં ઈમામ બુખારી તરીકે જાણીતા છે.તેમના પિતા ઈસ્માઈલ ઇબ્ન ઈબ્રાહીમ પણ હદીસના મોટા વિદ્વાન હતા. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર હઝરત ઈમામ બુખારીનું જીવનચરિત્ર ઇસ્લામી ઇતિહાસકાર અલ ધહાવીએ વિસ્તૃત રીતે આલેખ્યું છે.

માત્ર દસ વર્ષની ઉંમરે(હિજરી ૨૦૫) હઝરત ઈમામ બુખારીએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જીવનકવનની વિગતો તેમના સહાબીઓ પાસેથી એકત્રિત કરવાનો આરંભ કર્યો હતો.નાનપણથી તેમની યાદ શક્તિ અંત્યંત તીવ્ર હતી.અબ્દુલા ઇબ્ન મુબારકના મહંમદ સાહેબ પરના મોટાભાગના સંશોધનો તેમને મોઢે હતાં. આ અંગે તેમના સહપાઠી હશીબ ઇબ્ન ઈસ્માઈલ કહે છે,
“ઈમામ બુખારી બસરાના ઉસ્તાદો પાસે શિક્ષણ લેવા અમારી સાથે જ આવતા. વર્ગમાં અમે બધા હદીસો નોંધતા. જયારે ઈમામ બુખારી મોઢે યાદ રાખતા. એક દિવસ અમે તેમને કહ્યું કે તમે લખતા કેમ નથી ? તેમણે જવાબમાં અમને પોતે મોઢે કરેલી પંદર હજાર હદીસો એવી સંભળાવી કે જે અમારી પાસે લખેલી ન હતી”

૧૫ વર્ષની વયે(હિજરી ૨૦૧૦) તો તેમની માતા અને ભાઈ સાથે તેમણે મક્કા અને મહંમદ સાહેબ (સ.અ.વ.)ના મુબારક કદમો જ્યાં જ્યાં પડ્યા હતાં તે તમામ સ્થાનોની મુલાકાત લીધી હતી. એક હજાર જેટલા સહાબીઓની મુલાકાત લઈ સાત લાખ જેટલી હદીસો ભેગી કરી હતી. આ અંગે હઝરત ઈમામ બુખારી લખે છે,
“૧૬ વર્ષની ઉંમરે મેં અનેક સહબીઓના મંતવ્યો અને અનુભવોનું લેખન મારા ગુરુ ઉબ્ન અલ્લાહ ઇબ્ન મુસાના માર્ગદર્શન તળે આરંભ્યું હતુ. અને એ જ સમયે મેં ગારે હીરા અંગે પણ એક ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો”

જીદગીના ૧૬ વર્ષની એકધારી રઝળપાટમા તેમણે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સિરીયા, ઈરાક,અને પર્સિયાની મુલાકાત લીધી. અને હદીસોનો બહોળો સંગ્રહ ભેગો કયો. પછી પોતાના વતન પાછા ફર્યા હતા. તેમણે ભેગી કરેલ હદીસોમા કેટલીક સહીહ (આધારભૂત-સત્ય)હતી, તો કેટલીક “ગલત” હતી. કેટલીક “કવી” હતી તો કેટલીક “ઝઈફ”પણ હતી. એટલે તેનું સંપાદન કરવું જરૂરી હતુ. ઈમામ બુખારીએ પોતે એકત્રિત કરેલ સાત લાખ હદીસોનું અંત્યંત તકેદારીથી સંપાદન કર્યું. પણ તેના પ્રકાશનો વિચાર હજુ તેમના મનમાં આવ્યો ન હતો. એક દિવસ તેઓ તેમના મિત્ર ઈસહાક ઇબ્ન રાહવૈહ સાથે બેઠા હતા અને એક મિત્રએ તેમને કહ્યું,
“તમે સહીહ હદીસની એક નાનકડી કિતાબ કેમ નથી લખતા ?”
આ વાત તેમના દિલમાં ઘર કરી ગઈ. અને તેમણે તમામ હદીસોને “સહીહ હદીસો”ના નામે કિતાબના સ્વરૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. જો કે નાનકડી કિતાબ લખવાના વિચાર સાથે આરંભાયેલ આ યાત્રા હઝરત ઈમામ બુખારીને પૂર્ણ કરતા ૧૬ વર્ષ લાગ્યા. ઈમામ બુખારીએ એકત્રિત કરેલ સાત લાખ હદીસોમાંથી પસંદગીની સહીહ (આધારભૂત-સત્ય)હદીસો જ ગ્રંથમા મુકવામાં આવી. અને એટલે જ ઈમામ બુખારીના હદીસોના આ સંગ્રહને “સહીહ હદીસો” પણ કહે છે. સહીહ હદીસ અથવા બુખારી શરીફ ૯૭ ગ્રંથોમા ફેલાયેલ છે. જેમા કુલ ૩૪૫૦ પ્રકરણો છે અને ૭૨૭૫ હદીસો આપવામાં આવી છે. ઇસ્લામના નાના મોટા અનેક વિષય અંગેના મહંમદ સાહેબના વિચારો, આચારો અને ઉપદેશો તેમાં આલેખવામાં આવ્યા છે. જેમ કે ઇલ્મ , ઈમાન, વઝું, હૈઝ, તયમ્મુમ, નમાઝ, અઝાન, જુમ્મા, સલાતુલ ખોંફ (ભયની નમાઝ), ઇદૈન, ઇસિત્સફા, કુસૂફ (સૂર્યગ્રહણ), તહજજુદ જેવા અનેક જાણીતા અજાણ્યા વિષયો પર હઝરત મુહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની આજ્ઞાઓ આ સંગ્રહની સંગ્રહાયેલી છે. દુનિયાની અનેક ભાષાઓમાં આ ગ્રંથોનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં પણ તે ઉપલબ્ધ છે.

બુખારી શરીફ સિવાય પણ હઝરત ઈમામ બુખારીએ કિતાબ-અલ-જામી, કિતાબ-અલ-તવારીખ-અલ-કબીર, જેવા વીસેક ઇસ્લામિક ગ્રંથો લખ્યા છે. જેમાના આજે કેટલાક જ ઉપલબ્ધ છે. જીવનના છેલ્લા વર્ષો (ઈ.સ.૮૬૪-હિજરી ૨૫૦)મા ઈમામ બુખારી સાહેબ નીશાપુર(નિસ્બતપુર)માં સ્થાહી થયા હતા.પણ રાજકીય કારણોસર અંતિમ દિવસો તેમણે સમરકંદ પાસેના ખરતંક ગામમાં પસાર કર્યા . ૬૨ વર્ષ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી ૩૧ ઓગસ્ટ ૮૭૦, હિજરી સન ૨૫૬ની ઈદ-ઉલ-ફિત્રની રાત્રે તેમનું અવસાન થયું. તેમની મઝાર ખરતંક ગામના પાદરે આજે પણ હયાત છે. પણ એથી વિશેષ તેમના “સહીહ હદીસો” ના ૯૭ ગ્રંથો તેમને હંમેશા જીવંત રાખવા પૂરતા છે.

Sunday, December 12, 2010

“પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે” : ફરીદ- ડો.મહેબૂબ દેસાઈ

સૂફીસંત હઝરત ફરીદે અનેક વર્ષો જંગલના ઝાડપાન ખાઈ ખુદાની ઈબાદત કરી.પછી તેઓ પોતાના ઘરે આવ્યા.વર્ષો પછી પુત્રને જોઈ ફરીદની માં અત્યંત ખુશ થયા. પુત્રનું માથું ખોળામાં મૂકી તેમના વાળમાં પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. ત્યારે ફરીદ બોલી ઉઠ્યા,
“મા, માથામાં હાથ ન ફેરવ. મારા વાળ ખેંચાય છે. મને પીડા થાય છે”
ત્યારે ફરીદના મા બોલી ઉઠ્યા,
“બેટા,તે વર્ષો જંગલના ઝાડપાન તોડીને ખાધા ત્યારે એ વૃક્ષોને પીડા નહિ થઈ હોઈ ?” અને ફરીદને જ્ઞાન લાધ્યું,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

હઝરત ફરીદનું આ વિધાન મને હજયાત્રાના એક પ્રસંગે યાદ આવી ગયું. એ પ્રસંગ હતો મીનાથી શૈતાનને કાંકરી મારી મક્કા જવાનો. અમે બપોરના ભોજન પછી શૈતાનને કાંકરી મારવા નીકળ્યા. ત્યારે પ્રવાસના આયોજક યુસુફભાઈએ અમને સલાહ આપતા કહ્યું,
“અત્યારે ન જાવ તો સારું. ત્રણ વાગ્યે નીકળજો. ત્યારે ભીડ ઓછી હશે” પણ અમે તેમની સલાહ ન માની. અને બપોરે એક વાગ્યે નીકળી પડ્યા. એ સમયે સમગ્ર મીનાના હાજીઓ શૈતાનને કાંકરી મારવા ઉમટ્યા હતાં. પરિણામે અમે પ્રથમ શૈતાનને માંડમાંડ કાંકરી મારી શક્યા. અંતે થાકીને અમે બંન્ને માનવ ભીડમાંથી બહાર આવ્યા. અને દૂર એક પીલર પાસે બેસી ગયા. અમારી પાસે જ એ તુર્કી સ્ત્રી તેની યુવાન પુત્રીના માથે હાથ ફેરવતી બેઠી હતી. બન્નેના ચહેરા પર આંસુ હતા. માનવભીડની યાતનાઓથી કંટાળી તેઓ પણ કાંકરી માર્યા વગર રડમસ ચહેરે બેઠા હતાં. મેં સાબેરાને કહ્યું,
“તું અહિયા જ બેસ હું આવું છું”
શૈતાનને કાંકરી મારવા પાંચ માળ સુધી હાજીઓ જઈ શકે છે. જેથી હાજીઓને ભીડનો ત્રાસ સહેવો ન પડે. પણ મોટા ભાગના હાજીઓ આ સગવડનો લાભ માનવ ભીડના પ્રવાહમાં લેવાનું ચુકી જાય છે. એટલે મેં ઉપરના માળેથી શૈતાનને કાંકરી મારવા લીફ્ટની શોધ આરંભી. લીફ્ટ પાસે જ હતી. હું અને સાબેરા લીફ્ટમાં ત્રીજે માળ પહોંચી ગયા. અને શૈતાનને આરામથી બરાબર કચકચાવીને કાંકરી મારી. પછી અમે મક્કા તરફ પ્રયાણ કર્યું. મીનાથી મક્કાનું અંતર લગભગ દસેક કિલોમીટર છે. અહીંથી મોટે ભાગે કોઈ વાહન મળતું નથી. એટલે હાજીઓને પગપાળા જ મક્કા જવું પડે છે. મેં અને સાબેરાએ પણ સૌની સાથે ચાલવા માંડ્યું. એકાદ કિલોમીટરનું અંતર કાપ્યું હશે અને વરસાદનો આરંભ થયો. મને એમ કે ઝાંટા આવી બંધ થઈ જશે. પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા વરસાદ વધતો ગયો. અને પછી તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એક દુકાનના દરવાજા પાસે અમે વરસાદ બંધ થવાની રાહમાં ઉભા રહી ગયા. લગભગ ત્રીસેક મિનિટના ધોધમાર વરસાદ પછી અમે પુનઃ ઝડપથી મક્કા તરફ ચાલવા માંડ્યું. કારણ કે મક્કા પહોંચી અમારે કાબા શરીફનો તવાફ (પરિક્રમા) કરવાનો હતો. અહીંથી જ મારી ઇબાદતની કસોટી આરંભાઈ. હાજીઓ મોટે ભાગે હજ દરમિયાન સ્લીપર જ પહેરતા હોઈ છે. મારા પગમાં પણ સાદા સ્લીપર હતા. વરસાદને કારણે તે લપસવા લાગ્યા. એક કિલોમીટરના પગપાળા પ્રવાસમાં દસવાર હું લપસ્યો. એ વખતે સાબેરાએ મજાક કરતા કહ્યું પણ ખરું,

“તમે શૈતાનને કચકચાવીને કાંકરી મારી છે એટલે શૈતાન તમારી પાછળ પડી ગયો છે”

પણ સાબેરા સાથે ચાલતી હોઈ તેના ટેકાને કારણે હું દરેક વખતે પડતા પડતા બચી ગયો. એકવાર અમે બન્ને આગળ પાછળ થઈ ગયા. અને પુનઃ મારા સ્લીપર લપસ્યા. હું ફૂટપાથ પર પછડાયો. શરીરનું વજન ડાબા હાથની હથેળી પર આવતા હાથનો અંગુઠો મચકોડાયો. સાબેરા દોડી આવી.મારી આસપાસ ચાલતા હાજીઓ પણ દોડી આવ્યા. બધાએ મને ઉભો કર્યો. મેં મારી જાતને તપાસી. કઈ વધારે તો વાગ્યું નથી ને. અને પછી મેં મારા પગ અને તેમાં પહેરેલા સ્લીપર પર એક નજર કરી. આ એ જ પગો છે જેણે હંમેશા ઉત્તમ બુટ-મોજા, સેન્ડલ અને ચંપલ જ પહેર્યા છે. પણ આજે સામાન્ય સ્લીપર તેને ફાવતા નથી. પરિણામે મને વારવાર પછાડવા પ્રયાસ કરે છે. આ વિચાર એક પળ મારા મનમાં આવ્યો અને બીજી જ પળે મેં પગમાના સ્લીપર કાઢી નાખ્યા. તેને રોડ ઉપર જ મૂકીને મેં ખુલ્લા પગે ચાલવા માંડ્યું. રોડ પર અને એ પણ વરસાદના ભરાયેલા પાણીમાં પગરખા વગર ચાલવાનો એ મારો પ્રથમ અનુભવ હતો. ખુલ્લા પગે મને ચાલતો જોઈ સાબેરાથી ન રહેવાયું. તે બોલી,
“બીજા સારા ચંપલ લઈ લો ને. ખુલ્લા પગમાં પથ્થર કે કાચ વાગી જશે તો તમે વધારે હેરાન થશો”
પણ મેં તેની વાત ન માની અને કહ્યું,
“આ પગોને સારા સારા બુટ-મોજા,ચંપલ અને સેન્ડલની આદત પડી ગઈ છે. પણ આજે તેણે ઇબાદતની કસોટીમાંથી પસાર થવું પડશે. પગરખા વગર જ તેણે મને મક્કા પહોંચાડવો પડશે”
અને મન મક્કમ કરી મેં ચાલવા માંડ્યું. મારા પગો પણ જાણે મારા નિર્ધારથી વાકેફ થઈ ગયા હોઈ તેમ મારો સાથ આપવા લાગ્યા. ઉઘાડા પગે પાંચેક કિલોમીટરનું અંતર કાપી હું હેમખેમ મક્કા પહોંચ્યો. ત્યારે મારા મનમાં જંગ જીત્યા જેટલો આનંદ હતો. અને જયારે મેં કાબા શરીફના દીદાર કર્યા ત્યારે મારા મનમાં સુફી સંત હઝરત ફરીદના શબ્દો ઉપસી આવ્યા,

“અન્યને કષ્ઠ આપ્યા વગર પોતે કષ્ઠ વેઠી કરેલી ઈબાદત સાચી ઈબાદત છે.”

અને મારો ચહેરો ખુશીની રેખાઓથી ભરાઈ ગયો.

Friday, December 10, 2010

ખુદા તને અગણિત હજ કરાવે : એક સફળ દુવા - ડો.મહેબૂબ દેસાઈ

મક્કા-મદીનાના નિવાસીઓ ભલે હાજીઓને પ્રવાસીઓ સમજવા લાગ્યા. પણ હજયાત્રા દરમિયાન એક હાજી બીજા હાજીને આજે પણ મદદ કરવા ઉત્સુક રહે છે. પછી તે ગમે તે દેશનો કેમ ન હોઈ. કારણ કે હાજીને મદદ કરવાનો સવાબ (પુણ્ય) અનેક હજજો સમાન છે. તેનું એક સત્ય દ્રષ્ટાંત માણવા જેવું છે. આજથી લગભગ પચ્ચીસેક વર્ષ પૂર્વે ભરુચ જિલ્લાના એક નાનકડા ગામના વતની ૭૦ વર્ષના દાઉદભાઈ, તેમની પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ હજ પઢવા ગયા. સાત ચોપડી પાસ દાઉદભાઈ હજના પાંચ દિવસો માટે ખુશી ખુશી મીના પહોંચ્યા. મીનામાં એક સરખા તંબુઓને કારણે ભલભલા ભણેલા હાજીઓ ભુલા પડી જાય છે. એ ભુલા પડતા ભણેલા હાજીઓમાં આ વર્ષે મારો પણ સમાવેશ થયો હતો. માટે જ મોટા ભાગના હાજીઓ તંબુનો નંબર અને તેનું કાર્ડ અવશ્ય સાથે રાખે છે. પણ દાઉદભાઈને એમ કે મારે ક્યાં આઘે જવું છે. એમ વિચારી તેઓ પોતાના તંબુમાંથી પાણીની બોટલ લેવા રોડ પર આવ્યા. બોટલ તો તેમને મળી ગઈ. પણ એક સરખા તંબુઓની હારમાળામાં એવા અટવાયા કે પોતાનો તંબુ ભૂલી ગયા. અને એવા તો ભુલા પડ્યા કે ત્રણ દિવસ મીનામાં અને સાતેક દિવસ મક્કામાં “હું ક્યાં છું, હું કોણ છું” એમ માનસિક રીતે અસ્વસ્થ અવસ્થામાં સૌને પૂછતાં રહ્યા. તેમની વૃદ્ધ પત્ની અને ભત્રીજો તેમને શોધી શોધીને થાકી ગયા. પત્નીની આંખો રડી રડીને સોજી ગઈ. આમ છતાં હજની ક્રિયાઓ તો પૂરી કરવાની જ હતી. એટલે જેમ તેમ કરી મીના,અરફાત અને મુદલફામા હજની ક્રિયાઓ પૂર્ણ કરી પત્ની હાજરા અને ભત્રીજો ઇકબાલ મક્કા પાછા આવ્યા.

એક દિવસ મક્કામા કાબા શરીફના ૮૦ નંબરના દરવાજા પાસે એક વૃદ્ધ આવતા જતા સૌ હાજીઓને પૂછી રહ્યો હતો, “હું કોણ છું, હું ક્યાં છું ?” વધી ગયેલી દાઢી, મોમાંથી ટપકતી લાળ અને ફાટેલા કપડા. માનસિક અસંતુલનને કારણે કુદરતી હાજતો કપડામાં જ કરી હોઈ તેમનું આખું શરીર દુર્ગંધ મારતું હતુ. ભરૂચના જ એક હાજી બશીરભાઈની નજર એ વૃદ્ધ પર પડી. તેમનામાંનો ઇન્સાન જાગ્યો અને બશરીભાઈ એ વૃદ્ધને સમજાવીને પોતાના ઉતારે લઈ ગયા. દસેક દિવસથી ગંદકીમાં સબડતા એ વૃધ્ધને પોતાના હાથે નવડાવી, સ્વચ્છ કપડા પહેરાવ્યા. ભોજન કરાવ્યું. પણ માનસિક અસ્વસ્થાને કારણે એ વૃદ્ધ હજુ પણ કુદરતી હાજત કપડામાં જ કરી જતા. બશીરભાઈ વારંવાર તેમને નવડાવે અને પાક કરે. એકાદ બે દિવસ બશીરભાઈએ તેમની બરાબર સેવા કરી. એટલે પેલા વૃદ્ધ થોડા સ્વસ્થ થયા. ત્રીજા દિવસે બશરીભાઈ એ વૃદ્ધને લઈને કાબા શરીફના ૭૯ના દરવાજામાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એક છોકરાની બુમ તેમના કાને પડી,
“આ તો મારા કાકા દાઉદભાઈ છે”

અવાજની દિશામાં બશીરભાઈએ નજર કરી. બશીરભાઈને જોઈ પેલો છોકરો તેમની પાસે દોડી આવ્યો અને બોલી ઉઠ્યો,
“આ મારા કાકા છે. તેમને છેલ્લા દસ દિવસથી અમે શોધીએ છીએ”
બશીરભાઈએ એ છોકરા પાસેથી દાઉદભાઈ વિશે બધી માહિતી મેળવી લીધી. પણ તેઓ દાઉદભાઈને સોંપવા તૈયાર ન થયા. તેમણે એ છોકરાને કહ્યું,
“તું મને તારા ઉતારે લઈ જા. ત્યાં તારા કાકી તારા કાકાને ઓળખી લે તો જ હું તેમને સોંપીશ”
અને છોકરો બશીરભાઈને તેના ઉતારે લઈ ગયો. દાઉદભાઈની વૃદ્ધ પત્ની હાજરાબહેન હજુ નમાઝ પઢીને ઉઠ્યા જ હતાં. અને પોતાના રૂમના દરવાજા પર એક અજાણ્યા માનવી સાથે પોતાના પતિને ઉભેલા જોઈ તેમના મોઢામાંથી આછી ચીસ નીકળી ગઈ. દોડીને દાઉદભાઈને તેઓ બાઝી પડ્યા અને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. બશીરભાઈએ તેમને શાંત પાડતા કહ્યું,
“અમ્મા, ખુદાના વાસ્તે શાંત થઈ જાવ. ખુદાએ તમને તમારા ખાવિંદ(પતી) પાછા આપ્યા છે. એટલે ખુદાનો શુક્ર અદા કરો અને બે રકાત શુક્રનાની નમાઝ પઢો”
પણ અમ્માના ધ્રુસ્કાઓ અને આંખના આંસુઓ અવિરત ચાલુ રહ્યા. તેમના ભત્રીજા ઇકબાલે તેમને પાણી આપ્યું. દાઉદભાઈ પણ પત્નીનું રુદન જોઈ રડી પડ્યા અને રડતા રડતા બોલ્યા,
“હાજરા, તારા વગર તો હું ગાંડો થઈ ગયો હતો. પણ ખુદાને મારા પર દયા આવી ગઈ.અને બશીરભાઈ જેવો ફરિશ્તો મારી મદદ માટે મોકલી આપ્યો”
દાઉદભાઈના શબ્દો સાંભળી પત્ની હાજરાબહેન થોડા સ્વસ્થ થયા.પતિને પોતાની પાસે બેસાડતા તેમણે બશીરભાઈ તરફ નજર કરી અને કહ્યું,
“તમે મારા ખાવિંદને મારા સુધી પહોચાડી મને નવું જીવન આપ્યું છે” પછી કાબા શરીફ તરફ દુવા માટે બન્ને હાથ ઉંચા કરી હાજરાબહેન બોલ્યા,
“યા અલ્લાહ, તારા આ બંદાને એટલીવાર હજ કરાવજે કે તે ગણી ગણીને થાકી જાય- આમીન”

આજે દાઉદભાઈ અને તેમના પત્ની હાજરાબહેન આ દુનિયામાં નથી રહ્યા. પણ તેમની દુવા જેમના જીવનમાં સાકાર થઈ છે તે બશીરભાઈ ૬૫ વર્ષની વયે પણ તંદુરસ્ત છે. અને દર વર્ષે હજયાત્રાએ આવે છે. પચ્ચીસેક વર્ષ પૂર્વેની આ ઘટના અત્યંત નમ્ર સ્વરે આંસુ ભરી આંખે કહેનાર પાંચ વખતના નમાઝી બશીરભાઈએ આ ઘટના પછી સત્તર હજ અને એકસોથી પણ વધારે ઉમરાહ કર્યા છે.

Wednesday, December 8, 2010

એઝાઝ-કૌસર : ઇસ્લામી સંસ્કારોની સુગંધ - ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રા એ ઈબાદત તો છે જ . પણ સાથે સાથે વિવિધ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય પણ છે. ઇસ્લામને માનનાર વિવિધ દેશોની પ્રજાની સાંસ્કૃતિક ઓળખ પણ હજયાત્રાની ફલશ્રુતિ છે. ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાને સાકાર કરતા અનેક વડીલો અને વૃધ્ધો મક્કા-મદીનાની સરઝમી પર મને જોવા મળ્યા છે. તેમના વ્યવહાર વર્તનમાં અલબત ઇસ્લામિક વિવેક અને સભ્યતા હતા. પણ નિર્દોષ-નિસ્વાર્થ પ્રેમસભર ઇસ્લામિક સંસ્કારો મને ગુજરાતના એક યુવા યુગલમાં જોવા મળ્યા. સૌ પ્રથમ મુંબઈના આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર અમારી આંખો ચાર થઈ. સાઉદી અરબિયાના હજ ટર્મિનલ પર અમે દુવા-સલામ કરી. મારી જ હોટેલ અલ ફિરદોસમાં તેમનો ઉતારો હતો. એટલે અમે અવારનવાર ડાયનિંગ હોલમાં મળતા.પરિણામે અમારી વચ્ચેના સંવાદો વિસ્તરતા ગયા. પરિચય વધતો ગયો. અને નિકટતા કેળવાતી ગઈ.
એ યુગલનું નામ એઝાઝ અને કૌસર.

એઝાઝ એક બિઝનેસ મેન છે. પ્લાસ્ટિકના દાણા અને તેમાંથી વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી ચલાવે છે. ત્રેવીસેક વર્ષનો એઝાઝ અત્યંત ખુબસુરત ગભરુ જવાન છે. ગોરોવાન, સફેદ ફ્રેમના નંબર ગ્લાસ અને હોઠો પર હંમેશા સ્મિત સાથે મળતો એઝાઝ પુણે યુનિવર્સીટીનો ઇલેક્ટ્રોનિક ઇજનેર છે. અત્યંત શ્રીમંત પરિવારનો નબીરો હોવા છતાં બિલકુલ નિરાભિમાની છે. ડાઉન ટુ અર્થ છે. ઇસ્લામિક સંસ્કારો અને સભ્યતા તેના સરળ વ્યક્તિત્વને વધુ ઉજાગર કરે છે. જયારે પણ અમે મળતા ત્યારે “ અસ્સ્લામુઅલ્યકુમ અંકલ ”કહી હાથને ચૂમી અચૂક સ્મિત કરતો. તેના નિકાહ છ માસ પુર્વેજ થયા છે. બંને પતિ-પત્ની શાદી પછી હજ કરવા આવ્યા છે. તેની પત્ની કૌસર પણ દુબળી પાતળી નમણી ખુબસુરત દીકરી છે. એમ.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌસરને અમે હજયાત્રા દરમિયાન મોટે ભાગે ખુલ્લા ચહેરા સાથે કાળા બુરખામા જ જોઈ. એટલે એકવાર મારી પત્ની સાબેરાએ પૂછ્યું,
“કૌસર બેટા, તું હંમેશા બુરખો પહેરે છે ?”
ચહેરા પર મીઠું સ્મિત પાથરતા કૌસર બોલી, “ના આંટી, હું નોર્મલી બુરખો નથી પહેરતી. પણ અહિયા હજના આરકાન(ક્રિયા)મા હાથ-પગ ખુલ્લા ન રખાય માટે જ બુરખો પહેરું છું” તેની ઇસ્લામિક તેહજીબ અમને ગમી ગઈ. એક દિવસ નાસ્તાના ટેબલ ઉપર અમે મળી ગયા. એઝાઝે ઉભા થઈ અમને આવકાર્ય. અને નાસ્તાને ન્યાય આપતા કહ્યું,
“અંકલ અમે મોટો ઉમરાહ કરવા જવાનું વિચારીએ છીએ. તમારે આવવું હોઈ તો આપણે ચારે સાથે જઈએ?” મેં સાબેરા સામે જોયું અને કહ્યું, “વિચાર સારો છે.”
અને મક્કાથી લગભગ ૩૧ કિલોમીટર દૂર આવેલ મસ્જિત-એ-જઅરાના જવા આવવાની ટેક્સીની એઝાઝે વ્યવસ્થા કરી. એ એક ઐતિહાસિક મસ્જિત છે. અહીંયા હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.) પોતાના સહાબીઓ સાથે આવ્યા ત્યારે બિલકુલ પાણી ન હતુ. કહેવાય છે કે આપે વઝું કરવા થોડું પાણી લીધું અને કુલ્લી (કોગળો) કરી. પરિણામે અહિયા પાણીનો કુવો બની ગયો. આજે પણ એ કુવો પાણીથી ભરેલો છે. તેના પાણીમાં લોખંડનું તત્વ વધારે છે. અહીંથી પણ અહેરામ બાંધી ઉમરાહ કરવામાં આવે છે. જેને મોટો ઉમરાહનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમે પણ ત્યાંથી જ અહેરામ બાંધી મોટો ઉમરાહ કર્યો. ઉમરાહ પછી જયારે મેં ટેક્સીનો આવન જાવાન ખર્ચ આપવાનો એઝાઝને પ્રયાસ કર્યો ત્યારે એઝાઝ અત્યંત નમ્રતાથી બોલ્યો,
“અંકલ , તમે તો અમારા વડીલ છો તમારી પાસેથી પૈસા ન લેવાય”
અને તે સાથે જ કૌસર પણ બોલી ઉઠી, “ અંકલ, આપે અમને થોડી ખિદમત કરવાની તક આપી એ જ અમારા માટે મોટી દુઆ છે”
હજના દિવસો નજીક આવતા અમારે હોટેલ બદલવાનો સમય આવ્યો. હોટેલ ફિરદોસમા એ અમારી છેલ્લી રાત હતી. માટે હું કાબા શરીફમા તવાફ(પરિક્રમા) માટે ગયો હતો. રૂમ પર સાબેરા એકલી હતી. ત્યારે એઝાઝ મારી રૂમ પર આવ્યો. અને ત્રણ અંગ્રજી ઇસ્લામિક ગ્રંથો સાબેરાને આપતો ગયો. અત્યંત મૂલ્યવાન એ ત્રણ પુસ્તકોમાં “વ્હેન મૂન સ્પ્લીટ” (મુહંમદ સાહેબનું આધારભૂત જીવનચરિત્ર), “સિવિલાયઝેસન ઓફ ટ્રુથ” અને “સિક્રેટ ઓફ લીડરશીપ એન્ડ ઇન્ફ્લુયન્સ”(ઇસ્લામિક ઇતિહાસના સંદર્ભમાં). આ ત્રણે ગ્રંથોના પ્રથમ પૃષ્ઠ પર લખ્યું હતુ,
“ પ્રિય મહેબૂબ અંકલ, આપની દુવા(પ્રાર્થના)માં અમને પણ યાદ કરશો. - એઝાઝ-કૌસર”
એઝાઝ અને કૌસરની આવી ઉમદા ભેટે મને ગળગળો કરી મુક્યો. રાતના અગિયાર વાગ્યા હતા. છતાં તેમના પ્રેમના પ્રતિભાવ અર્થે મેં એઝાઝ અને કૌસરની રૂમે જવાનું નક્કી કર્યું. એક પળ ગુમાવ્યા વગર હું તેમની રૂમે પહોંચ્યો. થોડા સંકોચ સાથે મેં તેમના રૂમનો દરવાજો ખખડવ્યો. એઝાઝે દરવાજો ખોલ્યો. મને જોઈને બંને બાળકો આનંદિત થઈ ગયા.
“આવો આવો અંકલ, આપ અમારી રૂમે આવ્યા એ જ અમારા માટે આનંદની વાત છે”
મેં કહ્યું, “ તમારા બંનેનો પ્રેમ મને અડધી રાત્રે અહીંયા ખેંચી લાવ્યો. આટલા કિંમતી ગ્રંથો તમે મને ભેટ આપ્યા અને હું તમારો આભાર માનવા પણ ન આવું તો ન ગુણો ગણાઉ”
એ સાંભળી એઝાઝ બોલી ઉઠ્યો,
“અંકલ, આપ જેવા વડીલને કઈક આપતા અમને કેટલી ખુશી થઈ તેનો અંદાઝ આપને ન હોય. બસ આપતો અમારા માટે દુવા (પ્રાર્થના) કરો”
થોડીવાર બંને બાળકો સાથે વાતો કરી તેમની વિદાય લઈ હું રૂમની બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય ઇસ્લામી સંસ્કારો અને સભ્યતાની મિશાલ સમા એઝાઝ-કૌસરના પ્રેમથી ભીંજાય ગયું હતુ.

Tuesday, December 7, 2010

સરદાર પટેલ : સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક ? : ડૉ. મહેબૂબ દેસાઈ

૩૧ જુલાઈ ૧૯૨૧મા મળેલ પાંચમી ગુજરાત રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું,

“હિંદુ-મુસ્લિમની એકતા એ હજુ કુમળું વૃક્ષ છે. એને કેટલાય વખત સુધી અતિશય સંભાળથી પોષવું પડશે. હજુ આપણા મન જોઈએ તેટલા સ્વચ્છ નથી. દરેક બાબતમાં એક બીજાનો અવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે. તે નથી જતી. એ એકતાને તોડી પાડવાના પ્રપંચો અને પ્રયત્નો થશે. એ એકતાને કાયમ માટે મજબુત બનાવવાનો રૂડો અવસર હિન્દુઓના હાથમાં આવી પડેલો છે. હિન્દુઓનો ધર્મ છે કે મુસ્લિમ ધર્મનું રક્ષણ કરવામા તેમને અત્યારે આપણે પૂરી મદદ કરવી અને મુસલમાન કોમની ખાનદાની ઉપર વિશ્વાસ રાખવો”

સરદાર પટેલના ૮૯ વર્ષ પૂર્વેના આ શબ્દો બે બાબતો સ્પષ્ટ કરે છે. પ્રથમ,સરદાર પટેલની ભારતીય મુસ્લિમો પ્રત્યેની નીતિ. બીજું, આ શબ્દોમાં રહેલી આજના સંદર્ભની યથાર્થતા. સરદાર પટેલને મુસ્લિમ વિરોધી ચિતરનાર સમાજવાદીઓ અને કોમવાદીઓએ સરદારના કોમી એકતાના આ પાસાને ઉજાગર થવા દીધો જ નથી. પરિણામે ભારતીય ઇતિહાસના પાનાઓ પર સરદારના તટસ્થ મુસ્લિમ અભિગમને ઝાઝું સ્થાન નથી મળ્યું. અલબત્ત, એ સત્યને નકારી ન શકાય કે સરદારની ઇસ્લામ ધર્મ અંગેની સમજ અત્યંત માર્યાદિત હતી. ઇસ્લામના સિદ્ધાંતોને સમજવા તેમણે ન તો કોઈ પુસ્તક વાંચ્યું હતું , ન એ માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો હતો. ઇસ્લામ અંગે તેમણે જે કઈ થોડું ઘણું જાણ્યું હતું તે તેમના મુસ્લિમ સાથીઓ સાથેના સંપર્કને કારણે જ. પરતું તેનો અર્થ કદાપી એવો ન થાય કે તેમને ઇસ્લામ ધર્મ અને મુસ્લિમો પ્રત્યે અરુચિ હતી. આ વાતનું સમર્થન કરતા રાજમોહન ગાંધી લખે છે,

“ખુદ સરદારે પોતે પણ મુસ્લિમ સમાજમાં બહુ ઓછું કામ કર્યું હતું. બાકરોલમાં મુસ્લિમ નોકર, કરમસદનો ભાડુત, સાબરમતી આશ્રમના કુરેશી (ગુલામરસુલ કુરેશી),દા. અન્સારી
(ડૉ. એસ.એન.અન્સારી),અબ્બાસ સાહેબ, ગફારખાન અને મૌલાના આઝાદ જેવા કેટલાક મુસ્લિમો જ તેમના સંપર્કમાં હતા.”
જો કે સરદાર પટેલની મુસ્લિમો પ્રત્યેની વિચારધારાને સ્પષ્ટ અને તટસ્થ કરવામાં ગાંધીજી સાથેનો ૧૬ માસનો યરવડા જેલનો નિવાસ અત્યંત કારણભૂત બન્યો હતો. જેલમાં નિરાંતના સમયે બંને નેતાઓ વચ્ચે થયેલા કેટલાક સંવાદો તેની સાક્ષી પૂરે છે.

એકવાર સરદાર પટેલે ગાંધીજીને કહ્યું,
“પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે.તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેમ રહી શકાય ?”
ગાંધીજીએ સરદારની આ ગેરસમજને દૂર કરતા કહ્યું,
“ના, ના. ગુજરાત સિવાય બીજે ક્યાય હિન્દુઓ શાકાહારી હોતા નથી. પંજાબ, સિંધ , ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમા હિન્દુઓ માસ ખાય છે.”
એકવાર સરદારે ટકોર કરતા ગાંધીજીને કહ્યું,
“ એવો કોઈ મુસ્લિમ છે, જે તમારી વાત સાંભળે છે”
ગાંધીજીએ અત્યંત સ્વસ્થ સ્વરે કહ્યું,
“ભલે કોઈ ન હોઈ . તેથી કશો ફેર પડતો નથી. આપણે આશા રાખીએ કે એ લોકો (મુસ્લિમો)પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવ સ્વભાવ પર વિશ્વાસ મુકવો.”

ગાંધીજી અને સરદાર પટેલની આવી ગુફ્તગુ એ સરદારના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સ્પષ્ટ કરવામાં નોંધપાત્ર ભાગ ભજ્વ્યો હતો. પરિણામે સરદાર પટેલની ભારતના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યેની દ્રષ્ટિ તટસ્થ અને સંયમિત બની હતી. ૧૯૩૭ના ડીસેમ્બરમાં મહંમદઅલી જિન્નાએ કોંગ્રસની હિંદુ તરફી નીતિને વ્યક્ત કરતા જાહેરમા કહ્યું,
“કોંગ્રસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે”
અને ત્યારે સરદાર પટેલે (૨૫.૧૨.૧૯૩૭ના રોજ) રાજપીપળાની જાહેર સભામા તેનો ઉત્તર
વાળ્યો હતો,

“રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ માત્ર પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા નથી શોધતી. પણ પાંત્રીસ કરોડની આઝાદી માટે લડે છે. જેમાં હિંદુ, મુસ્લિમ,પારસી, ખ્રિસ્તી તમામનો સમાવેશ થાય છે.”

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મુસ્લિમ નેતાઓ સાથેના સરદારના સબંધો પણ પ્રેમાળ અને પ્રોત્સાહક રહ્યા હતા. ધંધુકા જેવા નાનકડા ગામના યુવાન ગુલામ રસુલ કુરેશીને રાષ્ટ્રીય ફલક પર આણવામાં સરદારનો ફાળો નાનો સુનો ન હતો. એકવાર રચનાત્મક કાર્યો માટે માંગેલા રુ.૨૦૦૦ની વ્યવસ્થા કરી આપતા સરદાર પટેલે (૬.૨.૧૯૪૨ના રોજ હજીરાથી) ગુલામરસુલ કુરેશીને લખ્યું હતું,

“મુસલમાનોમા તમારે કામ કરવાનું રહ્યું. એટલે એ વિશેની જરૂરિયાત અને મુશ્કેલીઓ તમે જ સમજી શકો. એમાં મારે ખાસ કઈ કહેવાનું ન હોઈ. તમેં માંગો છો તે પ્રમાણે સગવડ કરી દેવી એટલું જ હું કરી શકું. બાકી કામની જવાબદારી તો તમારી જ રહે. તમે ૨૦૦૦નો અંદાજ બતાવ્યો છે.તેટલી રકમ આવતા વર્ષ માટે તમારે જેમ જેમ જોઈએ તેમ તેમ ઉપાડવા માટે માવળંકરદાદાને ત્યાં સગવડ કરી છે. ત્યાંથી તમારી જરૂરિયાત પ્રમાણે ઉપાડજો”

ઈ.સ.૧૯૩૮મા સુભાષબાબુ એ કોંગ્રસના પ્રમુખ તરીકે બીજીવાર ચાલુ રહેવાની જાહેરાત કરી. ત્યારે તેનો વિરોધ કરી તેના સ્થાને મૌલાના આઝાદના નામને આગળ કરનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે તે માટે સંમત ન હતા. ગાંધીજીને તેમણે કોંગ્રેસ પ્રમુખ થવાની ના પાડી. ત્યારે મૌલાનાને મનાવવાનું કપરું કાર્ય સરદાર પટેલે ઉપાડી લીધું હતું. આ અંગે રાજેન્દ્રબાબુને લખેલા એક પત્રમાં સરદાર પટેલ લખે છે,

“જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાનાને સમજાવી શક્ય છીએ....ઘણો વખત અચકાયા પછી તેમણે વાત કબુલ રાખી છે.”

ઈ.સ.૧૯૩૯મા પુનઃ કોંગ્રેસના પ્રમુખપદનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે મહાદેવભાઈ દેસાઈની ઈચ્છા સરદાર પટેલને કોંગ્રસના પ્રમુખ બનાવવાની હતી. પરંતુ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી સરદાર પટેલે પુનઃ મૌલાના આઝાદનું નામ આગળ કર્યું. અને આમ ૧૯.૩.૧૯૪૦ના કોંગ્રસ અધિવેશનના પ્રમુખ મૌલાના આઝાદ બન્યા.
ભાવનગર રાજ્ય પરિષદના પાંચમાં અધિવેશનમાં ભાગ લેવા ૧૪ મેં ૧૯૩૯ના રોજ સરદાર પટેલ ભાવનગર આવ્યા હતા. ત્યારે તેમની હત્યાનું કાવતરું રાજ્યના દીવાન દ્વારા ઘડાયું હતું. એ માટે ભાવનગરના ખારગેટ વિસ્તામાં આવેલ નગીના મસ્જીતનો કાવતરાખોરોએ ઉપયોગ કર્યો. સરદાર પટેલનું સરઘસ નગીના મસ્જિત પાસેથી પસાર થયું ત્યારે મસ્જીતમાંથી હથિયાર સાથે સરઘસ પર હુમલો થયો. સરદાર અલબત્ત બચી ગયા. આ ઘટનાને અંગ્રેજ રેસીડેન્ટ ગિબ્સન અને ભાવનગરના દીવાન અનંતરાય પટ્ટણીએ મુસ્લિમોના હુમલા તરીકે ખપાવવા ઘણી કોશિશ કરી. પણ સરદાર પટેલે ૧૬.૫.૧૯૩૯ના રોજ ભાવનગર પ્રજા પરિષદના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યની ગુંડાગીરીને ખુલ્લી પાડતા કહ્યું હતું,

“અંદર અંદરના કજિયા કંકાસ સમાવીને આવા તોફાની તત્વોને અલગ કરી દબાવી દેવા કશું ન કરીએ તો આપણા આખા સમાજ પર તે ચડી બેસે. આ કાળ એવો છે કે ગુંડાઓ નાના નાના રાજ્યો પર ચડી બેસે છે. આજે બધે વાયુ મંડળમાં ગુંડાગીરી જોર પકડી રહી છે. આ ક્ષણિક ક્રોધમાં આવી કરેલું કામ નથી. આની પાછળ તો બુદ્ધિ પૂર્વકની ગોઠવણી છે. હું કાયરતાનો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો હું સાથ કરવા કદી તૈયાર ન થાઉં. આપણે જ્વાળામુખીના શિખર પર બેઠા છીએ. આજે કેવળ રાજ સત્તા ઉપર ભરોસો રાખીને બેસવું એ આંખ મીચીને ચાલવા જેવું અને ખાડામાં પડવા જેવું છે.”

છેક ૧૮૫૭થી આરંભાએલી હિંદુ-મુસ્લિમોને લડાવી “ભાગલા પાડો અને શાસન કરો”ની અંગ્રેજોની કૂટનીતિથી સરદાર પટેલ બખૂબી વાકેફ હતા. અને એટલે જ અંગ્રેજોની અલગ કોમી મતદાર મંડળોની નીતિને ખુલ્લી પાડતા ૧૦.૩.૧૯૪૦ની નવસારીની દુધિયા તળાવની જાહેરસભામાં તેમણે કહ્યું હતું,

“અલ્લાહાબાદમાં હિંદુ,મુસ્લિમ,શીખ, ખ્રિસ્તી બધા એક થયા અને ફેસલો કર્યો કે આપણે કોમી મતદાર મંડળો ન જોઈએ. અને મુસલમાનો જે માંગે તે આપવું. પણ તુરત અંગ્રેજોએ મુસ્લિમોને તાર કર્યો કે તમે તેમાં ભળશો નહિ. અમે તમને વધારે આપીશું. અમે તો દાખલા સાથે સિદ્ધ કરીએ છીએ કે અંગ્રેજો જ લડાવે છે. એ તો કહે છે કે તમે બે લડો ત્યાં સુધી લઘુમતી કોમનું રક્ષણ કરવાનું ઈશ્વરે અમને સુપ્રત કરેલું છે.”

ભારતના ભાગલા સમયે પણ ગૃહમંત્રી તરીકેની સરદારની ભૂમિકા અત્યંત સંતુલિત હતી. પતિયાણામા રાજપુર અને લુધિયાણા વચ્ચે, તેમજ રાજપુર અને ભટિંડા વચ્ચે મુસ્લિમોની સામુહિક હત્યા,કતલ અને લુંટફાટના બનાવોની વણઝાર સર્જાય હતી.તેની જાણ સરદાર પટેલને થતા તેમણે પતિયાણાના મહારાજાને ૨૬.૮.૧૯૪૭ના રોજ તે અટકાવવાની સુચના આપતા લખ્યું હતુ,

“પરિસ્થિતિ તદન કાબુ બહાર થઈ ગઈ છે.મહેરબાની કરીને કંઇક કરો અને તે તુરત અટકાવો. લઘુમતીઓના રક્ષણ માટે અને તેમનામાં વિશ્વાસ પેદા કરવા તમામ સક્રિય પગલા ભરશો તો આભારી થઇશ.”

એજ રીતે રામપુરના નવાબે તેમની પ્રજાનું અશાંત દિલ્હીમાથી રામપુર સ્થળાંતર કરવા સરદારને વિનંતી કરી, ત્યારે પણ સરદારે દિલ્હીના કલુષિત વાતાવરણને ધ્યાનમાં રાખી રામપુરના હજારેક જેટલા મુસ્લિમ નિવાસીઓને સ્પેશિઅલ ટ્રેનમા રામપુર મોકલવાની વ્યવસ્થા કરી હતી. ભોપાલના નવાબની માંદગીથી પીડાતી દીકરીને અશાંત દિલ્હીમાં શોધીને તેની સારસંભાળ કરવાની તકેદારી પણ સરદાર કરવાનું ચુક્યા ન હતા.મુસ્લિમ હિજરતીઓ સહીસલામત રીતે પાકિસ્તાન પહોચી જાય તેની દરકાર પણ ગૃહમંત્રીએ રાખી હતી. શ્રી.વી.પી.મેનને અમૃતસરમાંથી પસાર થતી હિજરતી મુસ્લિમોની ટ્રેનો પર શીખોના હુમલાઓ અંગે સરદારની ભૂમિકાની પ્રસંસા કરી છે. ત્યારે અમૃતસરમાં વિશાળ સભાને સરદારે સંબોધી હતી. અને પાકિસ્તાન જતા મુસ્લિમો આપણા જ ભાઈઓ છે. તેમની હિંસા એ આપણા જ ભાઈઓની હત્યા છે. એમ એક કલાક લાગણીસભર ભાષણ કરી અમૃતસરના શીખોને શાંત પાડ્યા હતા. અને હિજરતી મુસ્લિમોને સહી સલામત પાકિસ્તાન જવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. સ્વતંત્ર ભારતના સશક્ત મધ્યમાં તરીકે રેડીઓમાં ઉર્દૂ ભાષાને સ્થાન આપવામા પણ સરદારનો ફાળો અગ્ર હતો. ૧૪.૧૨.૧૯૪૯ન રોજ માહિતી પ્રધાન આર.આર.દિવાકરને સરદાર પટેલે લખે છે,

“પણ આપણે રેડિઓને પ્રચારનું, મુસ્લિમો અને નિરાશ્રીતોમાંથી ઘણાં ખરા લોકોને ધર્મનિરપેક્ષ રાજય અને સંસ્કૃતિના આદર્શ માટે પ્રોત્સાહન આપવાનું કામિયાબ સાધન બનાવવા ઇચ્છતા હોઈએ તો હાલ તુરત તો દિલ્હીના કાર્યક્રમમા પણ કેટલોક હિસ્સો ઉર્દુને આપવો પડશે”

આજે દિલ્હી રેડિઓ સ્ટેશન પરથી પ્રસારિત થતા ઉર્દૂ કાર્યક્રમો સરદાર પટેલની દેન છે, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.

આમ ભારતના રાષ્ટ્રીય મુસ્લિમો અને ઇસ્લામી સંસ્કૃતિ પ્રત્યેની સરદારની નીતિની નોંધ લેતા અનેક દ્રષ્ટાંતો ભારતના ઇતિહાસમા દટાયેલા પડ્યા છે. આ દ્રષ્ટાંતો જ સરદારને મુસ્લિમ વિરોધી કહેતા જૂથ માટે જવાબ રૂપ છે. ઇતિહાસનું વિશ્લેષણ ઘટનાઓના મૂલ્યાંકન અને તેના નિષ્કર્ષમાંથી થાય છે. એ દ્રષ્ટિએ આ તમામ ઘટનાઓ ઉપર સરદારને મુસ્લિમ વિરોધી કહેતું જૂથ થોડી તવજ્જો આપશે તો સરદારનું ભારતીય મુસ્લિમો પ્રત્યેનું વલણ અવશ્ય પામી શકશે. પણ એ મૂલ્યાંકન વેળાએ એટલી બાબત અચૂક યાદ રાખવી જોઈએ કે સરદારને બે મોઢા રાખી ભારતમાં વિચરતા મુસ્લિમો પ્રત્યે સખત નફરત હતી. તેઓ કહેતા,

“ભારતના મુસ્લિમોને મારે એક જ સવાલ પૂછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી ? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી ?... હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ પણ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોઈ તે જઈ શકે છે, અને સુખચેનથી રહી શકે છે”

પણ આ સાથો સાથ રાષ્ટ્રીય મુસ્લિમો પ્રત્યે સરદારને અંત્યંત આદર હતો. સ્વાતંત્ર સંગ્રામના તેમના મુસ્લિમ સાથીઓ અને નાનામા નાના રાષ્ટ્રવાદી મુસ્લિમ માટે તેઓ સમાન અને તટસ્થ વ્યવહાર કરવાને પોતાનો ધર્મ માનતા. અને તેમાં ક્યારેય ચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા. તેઓ હંમેશા કહેતા,

“રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈ પણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે”

આવા સરદારને આપણે સાંપ્રદાયિક કે બિનસાંપ્રદાયિક કહીશું તે વાચકો, વિચારકો અને રાજકારણીઓ પર છોડી દઈએ – અસ્તુ.

Wednesday, November 24, 2010

મક્કાથી મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી પત્ર : ડો.મહેબૂબ દેસાઈ

મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી,

સાદર નમસ્કાર.

છેલ્લા એક માસની મક્કા-મદીના (સાઉદી અરેબિયા)ની હજયાત્રા દરમિયાન વિશ્વના મુસ્લિમોના સંપર્કમાં આવવાનું થયું છે. પ્રારંભમાં મદીનામાં આઠ દિવસ રોકાયો હતો. ત્યારે નિયમિત મસ્જિત-એ-નબવીમા ચાલીસ નમાઝો અદા કરવા જતો. પરિણામે વિશ્વના અનેક મુસ્લિમો સાથે સંપર્કમા આવવાનું બન્યું. બે નમાઝોની વચ્ચેના સમયમાં અનેક દેશોના મુસ્લિમો સાથે વિવિધ વિષયો પર ચર્ચા થતી. જેમાં ગુજરાતના વતની તરીકેની મારી ઓળખ પામ્યા પછી સૌ કોઈ આપને નામ સહીત યાદ કરવાનું ચુકતા ન હતા. અને એટલે જ કોઈ પણ દેશનો મુસ્લિમ ગુજરાતનું નામ સાંભળી આપને “મોદીવાલા ગુજરાત” કહીને અચૂક યાદ કરે છે. અને એ સાથે જ ગુજરાતના મુસ્લિમોની તત્કાલીન સ્થિતિ અને આપનું ગુજરાતના મુસ્લિમો પ્રત્યેનું તાજું વલણ જાણવા સૌ ઉત્સુકતા વ્યક્ત કરે છે.

સૌ પ્રથમ તો વિશ્વના મુસ્લિમો ૨૦૦૨ના સંદર્ભમાં ગુજરાતના મુસ્લિમો પ્રત્યે ઘણી કરુણાની દ્રષ્ટિથી જુવે છે. ૨૦૦૨ની ઘટના અને તેના કારણે ગુજરાતના મુસ્લિમોને વેઠવી પડેલી યાતનાઓના અનેક કિસ્સાઓ વિશ્વભરના મુસ્લિમો અંત્યંત દુઃખ સાથે વાગોળે છે. અલબત્ત તેમાં કયાંક કયાંક અતિશયોક્તિ હોઈ છે. પણ એ સત્યને નકારી ન શકાય કે ૨૦૦૨ની ઘટનાએ ગુજરાતના મુસ્લિમોને વિશ્વભરના મુસ્લિમોની સહાનુભુતીનું મુખ્ય કેન્દ્ર બનાવી દીધેલ છે. પરિણામે આજે ગુજરાતની નાનામાં નાની ઘટના પર વિશ્વના મુસ્લિમોની નજર મંડાયેલી રહે છે. જેમ કે ગુજરાતની હાલની ચુંટણીઓ પર પણ વિશ્વના મુસ્લિમો મીટ માંડી બેઠા હતા. અને જયારે ટીવી પરનું આપનું વિધાન એક મદીનાવાસીએ તેની દુકાનમા થતી ચર્ચામાં જાહેરમાં દોહરાવતા કહ્યું કે મોદીને ખુલકર કહા કી ભાજપ કે વિજયમેં મુસ્લિમોકા હિસ્સા ભી હૈ.” ત્યારે સૌ મુસ્લિમો જંગ જીત્ય હોઈ તેટલા રાજી થયા હતા. જો કે આપના આ વિધાનથી હું માહિતગાર ન હતો. એટલે મેં તેના ઉત્તરમાં એટલુ જ કહ્યું “ યે તો મુઝે પતા નહિ, પર ઇતના ઝરૂર કહુંગા કી ઇસ બાર ભાજપને મુસ્લિમો કો ભી ટિકટ દિયા થા”
“લેકિન હમને તો ટીવી પર ઉન્હેં યહી કહેતે સુના હૈ કી હમારી જીત મેં મુસલમાનો કા ભી હિસ્સા હૈ”
હું તેમના આ વિધાનને સાંભળી રહ્યો.

મલેશિયા, ઇન્ડોનેશિયા,બાંગ્લાદેશ, તુર્કસ્તાન, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન જેવા મુસ્લિમ રાષ્ટ્રોના હાજીઓ અવારનવાર મક્કાની બઝારમાં મળી જતા. અને ત્યારે પોતાના દેશના મુસ્લિમો સાથે ભારત અને ખાસ કરીને ગુજરાતના મુસ્લિમોની તુલના થતી. એવા સમયે ભારત અને ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ બહેતર હોવાનું સૌ સહર્ષ સ્વીકારતા. મક્કામા કાબા શરીફની સામે નમાઝ માટે બેઠો હતો ત્યારે એક શિક્ષીત અફઘાનિસ્તાની સાથે ચર્ચા થઈ. તેણે તેની ભાંગી તૂટી હિન્દી-ઉર્દૂમાં કહ્યું “જો હુવા સૌ હુવા પર ફિરભી ગુજરાત કે મુસ્લિમ આજ ફિર ખડે હો ગયે હૈ. ઇસકા મતલબ હૈ સરકાર કા રવૈયા જરૂર બદલા હૈ વરના ઇતને બડે હાદશે કે બાદ ખડા હોના યકીનન મુશ્કેલ થા” હું તેની વાતને સાંભળી રહ્યો. મેં તેની વાતને જરા વધારે બેહેલાવવા કયું, “પર આજ ભી ગુજરાત મેં જ્યાદાતર મુસ્લિમો પર સરકાર ભરોસા નહિ કર રહી” એ અફઘાનિસ્તાની મારી વાત સાંભળી બોલી ઉઠ્યો, “ વો વક્ત ભી ઇન્શાહાલ્લાહ જરૂર આયગા. એક પૂરી કોમ કો જયાદા દેર તક અલગ રખ કર કોઈ સિયાસત નહી કર સકતા”

મદીના અને મક્કામાં બે દેશના મુસ્લિમોથી સૌ દુર રહેવાનું પસંદ કરે છે. એક પાકિસ્તાની અને બીજા નાયજેરીયા, ઈજીપ્ત, કંબોડિયા , યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના ઉંચા લાંબા હબશીઓ. પાકિસ્તાનના મુસ્લિમો મોટે ભાગે અશિક્ષિત અને વ્યવહારમાં તોછડા હોય છે. જયારે હબશીઓ વ્યવહારમાં ઝનુની હોઈ છે. મક્કામાં તવાફ (કાબા શરીફની પ્રદક્ષિણા) દરમિયાન બધાને ધક્કા મારી આગળ નીકળવાની તેમની નીતિને કારણે સૌ તેમનાથી દૂર ચાલવાનું પસંદ કરે છે. જો કે તેમાં પણ કોઈ શિક્ષીત અને સંસ્કારી હબશી અલગ તરી આવે છે. એવા જ એક શિક્ષીત હબશી એકવાર મક્કાની મસ્જિતમા મારી બાજુમાં આવી બેઠા. મેં તેમને આવકાર્ય અને સલામ કરી. તેમણે પણ સસ્મિત મને સલામનો જવાબ આપી પૂછ્યું, “આર યુ ફ્રોમ ?”
“ઇન્ડિયા”
“ગુડ કન્ટરી”
“વીચ સ્ટેટ ?”
“ગુજરાત”
‘ઓહ, મોડી (મોદી) !”
“યસ’ મેં એ તકનો લાભ લેતા પૂછ્યું “વોટ ડુ યુ થીંક અબાઉટ મોદી ?”
“હી ડીઝર્વ વન ચાન્સ ટુ જસ્ટીફાય મુસ્લિમસ”
મેં સસ્મિત કયું, “રાઈટ સર” અને નમાઝ માટેની અઝાન થઈ એટલે અમારી વાત ત્યાં જ અટકી ગઈ.
આવી નાની નાની ઘટનાઓ ગુજરાતને વિઘટનથી વિકાસના માર્ગે વાળનાર આપ જેવા મુખ્યમંત્રી તરફ એક જ અપેક્ષા વ્યક્ત કરે છે. વિશ્વનો સમગ્ર મુસ્લિમ સમુદાય ગુજરાતના વિકાસમાં ગુજરાતના મુસ્લિમોને પણ માન અને સ્થાન મળે તેમ ઈચ્છે છે. આપ એ આશાને ભળીભૂત કરશો એજ મક્કામા કાબા શરીફ સામે મારી એક માત્ર દુવા છે-આમીન.

મહેબૂબ દેસાઈ
લખ્યા તારીખ ૩૦-૧૦-૨૦૧૦

Monday, October 4, 2010

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણના એમ.એસ.ડબલ્યું.ના વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપતા ડો. મહેબૂબ દેસાઈ





વિશ્વગ્રામ અને હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણના સંયુકત ઉપક્રમે એમ.એસ.ડબલ્યું.ના વિદ્યાર્થીઓ માટે “યુવા સેવક શિબિર” નું આયોજન સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ,સમોડા(ગણવાડા,તા.સિધ્ધપુર,જિ.પાટણ)મુકામે ૨,૩, ઓકટોબર ૨૦૧૦ના રોજ થયું હતું. શિબિરના પ્રથમ દિવસે ૨ ઓક્ટોબર(૧૦ કલાકે) “મહંમદ સાહેબનું સેવક્ત્વ અને સાદગી” વિષયક વ્યાખ્યાન આપતા ડો. મેહબૂબ દેસાઈ

Thursday, September 23, 2010

હજયાત્રા : બંદાની નિયત અને ખુદાની મરજી : ડો. મહેબૂબ દેસાઈ

હજયાત્રા : બંદાની નિયત અને ખુદાની મરજી

ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામમાં નમાઝ, જકાત(દાન), રોઝા (ઉપવાસ) અને હજ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. પણ તેમાં હજ અંગે થોડી છૂટ આપવામાં આવી છે. હજયાત્રા એ ફરજિયાત છે. પણ એવા મુસ્લિમો માટે કે જેઓ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર છે. ગરીબ મુસ્લિમ હજયાત્રાએ ન જાય તો કોઈ ગુનોહ નથી. જો કે હજયાત્રા માટે નાણા કે અન્ય કોઈ બાબત કયારેય અડચણ રૂપ બન્યા નથી. દરેક મુસ્લિમ માટે હજયાત્રા જીવન સ્વપ્ન હોય છે. અને એટલે જ બંદાની નિયત (ઈરાદો) અને ખુદાની મરજી હોઈ તો કોઈ પણ મુસ્લિમ હજયાત્રાએ આસાનીથી જઈ શકે છે. ધનના ઢગલાઓ હોઈ, પ્રતિષ્ઠાના પર્વતો હોઈ અને ખુદાની નજીક હોવાની વજનદાર દલીલો હોઈ છતાં નિયત (ઈરાદો) ન હોઈ તો એવી વ્યક્તિ હજયાત્રાએ કયારેય જઈ શકતી નથી. એટલે કે ખુદાએ જેના નસીબમાં હજયાત્રા લખી હશે, તે જ ખુદાના ઘરના દીદાર કરી શકે છે. મેં એવા અનેક મુસ્લિમો જોયા છે જેમને ખુદાએ બધું જ આપ્યું છે, છતાં તેઓ હજયાત્રાએ જઈ શક્યા નથી. અને એવા અનેક મુસ્લિમો હયાત છે જેમની પાસે કશું જ નથી છતાં તેઓ એક કરતા વધારે વાર હજયાત્રાએ જઈ આવ્યા છે. ટૂંકમાં હજયાત્રા માટે માત્ર જરૂરી છે, બંદાની નિયત અને ખુદાની મરજી.

મારા કિસ્સામાં પણ એવું જ કઈક બન્યું છે. સો પ્રથમવાર હજયાત્રાએ જવાનો મેં વિચાર કર્યો ત્યારે મારી બેંકમાં માત્ર ૭૦૦ રૂપિયા હતા. એ ઈ.સ. ૨૦૦૦નું વર્ષ હતુ. એક સવારે ચાની ચુસ્કી લેતા લેતા મેં પત્ની સાબેરાને કહ્યું,
“આપણે બન્ને હજયાત્રાએ જઈએ એવી ઈચ્છા આજે અનાયાસે જ મનમાં ઉપસી આવી છે”
મારી વાત સાંભળી સાબેરા એટલું જ બોલી,
“ઈચ્છા તો મારી પણ છે. પણ હજયાત્રાએ જવાના નાણા કયા છે ?”
એ દિવસે મગરીબ (સંધ્યા)ની નમાઝ બાદ મેં ખુદાને દુઆ કરી,
“યા અલ્લાહ અમારી હજ પઢવાની મુરાદ પૂર્ણ કરજો”
અને એ પછીના દિવસોમાં પૈસાની એવી તો વર્ષા થઈ કે અમેં અમારા મોટા બહેન સાથે હજયાત્રાએ જવા સક્ષમ થઈ ગયા. મારી પી.એફ.ની લોન, મારા નવા પગારનું એરિયસ, મારા પ્રકાશકનો આર્થિક સહકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના નીકળતા નાણા એમ કરતા કરતા હજ યાત્રાના નાણા ભેગા થઈ ગયા.અને અમે ૨૦૦૦ની સાલમાં હજયાત્રાએ જઈ આવ્યા.
એ ઘટનાને નવ વર્ષ વીતી ગયા. ૨૦૦૯ની સાલમાં પણ એવું જ કઈક બન્યું. એક દિવસે ફઝર(સવાર)ની નમાઝ પઢી મસ્જિત બહાર આવ્યો અને મોલાના એહમદ સાહેબ મળી ગયા.
“મહેબૂબભાઈ, ઇસ સાલ હજ મેં જાને કી નિયત કર લો. અલ્લાહ કામિયાબ કરેંગે”
અને તેના જવાબમાં મેં એટલું જ કહ્યું,
“ઇન્શાહઅલ્લાહ(અલ્લાહ કામિયાબ કરે)”
આ ઘટનાના ત્રણેક માસ પછી એક દિવસ ગુજરાત રાજય હજ કમિટિનો ફોન આવ્યો,
“સી.એમ. કાર્યાલય તરફથી ખાદીમ તરીકે આપના નામની પસંદગી થઈ છે.આપ તુરત અત્રે આવી જાવ”
અને તે વર્ષે મેં ખાદીમ તરીકે હજયાત્રાએ જવાની તમામ સરકારી વિધિઓ પૂર્ણ કરી. પણ ખુદાને તે મંજુર ન હતુ. એટલે કેન્દ્ર સરકારે અમારા નામો મોડા પહોંચ્યા હોઈ નામંજુર કર્યા. અને તે વર્ષે ગુજરાત સરકાર તરફથી એક પણ ખાદીમ હજયાત્રાએ ન ગયો
ઈ.સ. ૨૦૧૦ની સાલમાં પણ પુનઃ ખાદીમ તરીકે મારું નામ પસંદ થયું. તેની વિધિ ચાલતી હતી, એ દરમિયાન જ મારા વડીલ મા.ગફુરભાઈ બીલખીયાનો એક દિવસ ફોન આવ્યો,
“આપ બંનેને હું હજયાત્રાએ મોકલું છું. એટલે તૈયારીમાં રહેશો”
વાપીના શ્રીમંત અને મારા સ્વજન એંસી વર્ષના ગફૂરભાઈને અમે સૌ બાપુજી કહીએ છીએ.
મેં નવાઈ પામતા પૂછ્યું,
“પણ બાપુજી આપને આ વિચાર આવ્યો કેવી રીતે ? “
અત્યંત સાદગીના ઉપાસક અને પાંચ વખતના નમાઝી ગફુરભાઈ બોલ્યા,
“મહેબૂબભાઈ, આવા વિચારો આવતા નથી, ખુદા આવા વિચારો હદયમાં વાવે છે”

તેમના આ વિધાને મારી માન્યતાને વધુ દ્રઢ કરી. હજયાત્રા માટે નાણા કે અન્ય કોઈ બાબત કરતા સૌથી અગત્યની બાબત બંદાની નિયત અને ખુદાની ઈચ્છા છે. સાચા દિલથી જે મુસ્લિમ હજયાત્રાએ જવાની નિયત કરે છે, ખુદા અવશ્ય તેને હજયાત્રાએ મોકલે છે. મારા જીવનના ઉપરોક્ત બંને કીસ્સોઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. એ મુજબ અમે ૧૪ ઓક્ટોબરના રોજ હજયાત્રાએ જવા નીકળીશું. મારા હિંદુ-મુસ્લિમ સૌ વાંચક મિત્રો અને વડીલોને નમ્ર ગુજારીશ છે કે અમારા માટે ખુદા- ઈશ્વરને દુવા(પ્રાર્થના) કરશો કે ખુદા-ઈશ્વર અમારી હજ કબુલ ફરમાવે અને અમે ગુજરાતની સાત કરોડ હિંદુ-મુસ્લિમ પ્રજા માટે ખુદાની બારગાહમા અત્યંત કરગરીને દુઆ કરીશું,
“યા અલ્લાહ, ગુજરાતની હિંદુ-મુસ્લિમ પ્રજાને મહોબ્બત અને એખલાસથી તરબતર કરી દે – આમીન”

Shahbuddin Rathod & My family on 23-09- 2010 at my Home "Sukun" Bhavnagar











Thursday, September 2, 2010

જિલ્લા જેલમાં વ્યાખ્યાન





ભાવનગર જિલ્લા જેલમાં જન્માષ્ટમી તા. ૨ સપ્ટેમ્બરના સવારે ૧૦ કલાકે યોજાયેલ કાર્યક્રમમાં વ્યાખ્યાન આપી રહેલા ડો. મહેબૂબ દેસાઈ

Monday, August 30, 2010

પ્રમુખ સ્વામીના દીદારનો દિવસ : ડો.મહેબૂબ દેસાઈ

રમઝાન માસનો ૧૯મો રોઝો હતો. વહેલી પરોઢે મેં તહેજ્જુદની નમાઝ અદા કરી.પછી મેં અને મારી પત્ની સાબેરાએ સહેરી( રોઝા પૂર્વેનું ભોજન) કરી. એ પછી ફજરની નમાઝ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં સાબેરા બોલી ઉઠી,
“આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામમાં આવવા નિમત્રણ આપેલ છે. થોડીવાર માટે આપણે જઈ આવીશું ?”
કુરાને શરીફમાં કહ્યું છે,
“મેં(ખુદાએ) દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે”
અને એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવાનો ચીલો મારા ઘરમાં વર્ષોથી છે. પરિણામે આવા નિમંત્રણો અમને મળતા રહે છે. કુરાને શરીફનું પઠન ચાલુ હોઈ એ ક્ષણે તો મેં કઈ જવાબ ન આપ્યો. પણ કુરાને શરીફનું પઠન પૂર્ણ કરી વાતનો તંતુ સાંધતા મેં કહ્યું, “સારું જઈશું” ત્યારે ભાવનગરના આંગણે પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીજીના ફરી એકવાર દીદારનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. આ પુર્વે પ્રમુખ સ્વામીજી ભાવનગર પધાર્યા ત્યારે મારા મિત્ર ડો. જગદીપ કાકડિયા મને તેમના દીદાર માટે લઈ ગયા હતા. અને ત્યારે મારા તાજા પુસ્તક “ગુજરાતમાં પ્રવાસન”ને તેમણે આશીર્વાદ આપ્યા હતા. એટલે આ વખતે પણ તેમના દીદારની ઈચ્છા તો હતી જ. પણ તેની સંભાવના નહીવત હતી.

અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોચ્યા. મંદિર પરિસરની ભવ્યતા અને શિસ્ત મનમોહક હતા. કારપાર્કિંગ માટે સ્વયં સેવકની નમ્રતા અને સહાય કરવાની તત્પરતા મને સ્પર્શી ગઈ. મંદિરના પરિસરના મેદાનમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઉભા હતા. અમને જોઈ તેમના ચહેરાપર આનંદ છવાઈ ગયો. જાણે અમે તેમના મહેમાન હોઈએ તેટલા મીઠા ભાવથી તેમણે અમને આવકાર્ય. અને પછી તે અમને એક મોટા હોલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હોલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જયારે ભાઈઓના વિભાગમાં હું અને હિતેશભાઈ બેઠા. હોલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતુ. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખ સ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. થોડીવાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો. પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મીનીટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું,
“વધારે સમય પલાઠીવાળી મારાથી બેસતું નથી. એટલે હું હોલના પગથીયા પર બેઠો છું”
તેમણે મને સસ્મિત સંમતિ આપી. અને હું હોલ બહાર આવ્યો. હોલ બહારના મેદાનની સ્વછતા અને શિસ્ત ગઝબના હતાં. સ્વયમ સેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વછતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદિનાની મસ્જીદએ નબવીમા જોયા હતા. હોલના પગથીયા પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર શ્રી બહ્મભટ્ટ પર પડી. “જય સ્વામિનારાયણ” સાથે અમે એક બીજાનું અભિવાદન કર્યું.
“મહેબૂબભાઈ, તમે અહીંયા કયાંથી ?” એવા આશ્ચર્ય ભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું,
“રમઝાન માસમાં કોઈ પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને”
અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતમાંને વાતમાં મેં કહ્યું,
“પ્રમુખ સ્વામીના દીદાર (દર્શન)ની ઈચ્છા છે”
“એમ”
પછી થોડું વિચારીને તેઓ બોલ્યા,”સામે પેલા પડદા દેખાય છે ને ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો”

ભજન કાર્યક્રમ પૂર્ણ થતા મેં એ દિશામાં કદમો માંડ્યા. ત્યાં શ્રી.બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઉભા હતાં. મને પાસ આપતા કહ્યું, “ આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયમ સેવકો આપને દોરશે” અને હું તેમને અહોભાવની નજર તાકી રહ્યો. અને એ પછી મેં ખંડ તરફ પગ માંડ્યા. અંદર પ્રવેશતા જ પ્રથમ મારું મેડીકલ ચેકિંગ થયું. એ પછી મને એક ફોર્મ ભરવા આપવામાં આવ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુ નાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તેક્દારી પછી ધબકતા હદયે મેં ખંડમા પ્રવેશ કર્યો. ૯૦ વર્ષના પ્રમુખ સ્વામીજી સંપૂણ આધુનિક વ્હીલચેર પર બેઠા હતા. વ્હીલચેર પર સરકતા સરકતા જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું ,
“મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમઝાન માસમાં આપના જેવા મહાઆત્માના દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું”
મારા પરિચયથી પ્રમુખ સ્વામીના ચહેરા પર સ્મિથ પથરાય ગયું. મારા ખભાને સ્પર્શ કરતા અત્યંત ધીમા સ્વરે તેઓ કંઇક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાય નહિ. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ માની હું ચાલવા માંડ્યો. એટલે તેમણે તેમનો હાથ ઉંચો કરી મને પાછો બોલ્યો. અને સંભળાય તેવા સ્વરે બોલ્યા,
“ખુબ સુખી થાવ. સમૃદ્ધ થાવ. અને સમાજ માટે ખુબ કાર્ય કરો”

આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્ય ચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટે ભાગે તેઓ ટેવાયા ન હતા. કારણ કે પ્રમુખ સ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવી ક્યારેય કઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખ સ્વામીએ એક મહાઆત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્ન ચિત્તે બહાર આવ્યો. પણ ત્યારે મારું હદય મહાઆત્માના અનાયાસે પ્રાપ્ત થયેલ ભરપુર આશીર્વાદથી છલકાઈ ગયું હતુ.

Tuesday, August 24, 2010

રમઝાનની પાબંદીની પ્રતિજ્ઞાનો દિન : ઈદ : ડો. મહેબૂબ દેસાઈ

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી. અને ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશીની શુભેચ્છા.ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે. ખીરએ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ,સેવ અને સુકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશ આપે છે.ઈદની નમાઝ સમાનતાનો સંદેશ આપે છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ મન સ્વચ્છ કરી પુનઃ પ્રેમ,મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. પણ આ ઇદનો બહુ જાણીતો ઉદેશ છે. ઇદનો એક ગર્ભિત ઉદેશ પણ સમજવા જેવો છે.

અમદાવાદના મારા મિત્રો અહેમદ, મુનાફ,પરવેઝ અબ્દુલ રહેમાન, રહીમ સાથે અંતિમ રોઝાના તરાબીયાહ(રમઝાન માસમાં પઢવાની રાત્રીની નમાઝ)પછી જયારે થોડીવાર માટે મસ્જિત બહાર અમે બધા ઉભા હોઈએ છીએ ત્યારે અહેમદ અચૂક બોલી ઉઠે છે,
“બસ દો દિન બાદ શૈતાન છૂટ જાયેંગે”
તેના આ વિધાનની ગંભીરતા સમજ્યા વગર અમે બધા હસી પડીએ છીએ. પણ તેના આ વિધાન પાછળનો ભાવ સમજવા જેવો છે. શૈતાન એટલે એવું પ્રેરક બળ જે માનવીને ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનથી દૂર રાખવા પ્રયાસ કરે છે. અને મોટે ભાગે તે સફળ પણ થાય છે. પણ રમઝાન માસમાં અલ્લાહ એવા શૈતાનોને બાંધી દે છે. જેથી દરેક મુસ્લિમ રમઝાન માસમાં સમ્યક આહાર, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર અને સમ્યક દ્રષ્ટિને ફરજિયાત અનુસરે છે. એક માસની આવી સંયમિત જિંદગીને કારણે દરેક મુસ્લિમના જીવનમાં પ્રવેશેલ ઈબાદત અને મુલ્યનિષ્ઠ જીવનને ક્ષીણ કરવા રમઝાન માસ પછી શૈતાન પુનઃ સક્રિય બને છે.શૈતાનની એ સક્રિયતાને સમગ્ર વર્ષ દરમિયાન નાથવાની પ્રતિજ્ઞા ઈદની ખુશીના મૂળમા છે. ખુદાએ સમગ્ર રમઝાન માસમાં બક્ષેલ ઇબાદતની રસ્સીને મજબુતીથી સમગ્ર વર્ષ દરમિયાન પકડી રાખનાર જ ઈદની ખુશીનો સાચો હક્કદાર છે. અન્યથા આખું વર્ષ ગુનાહો કર્યે જાવ અને રમઝાન માસમાં તેની માફી માંગી ઇદના દિવસથી ગુનાહોનું નવું ખાતું ખોલાવો, રમઝાન માસ કે ઇદનો એ સાચો ઉદેશ નથી. અને એટલે જ ઈદની ખુશી સાથે દરેક મુસ્લિમે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈબાદત અને મુલ્ય નિષ્ઠ જીવનને મજબુતીથી વળગી રહેશે. માનવી પામર છે. મનથી નિર્બળ છે. માન-મરતબો, ધન-સંપતિ, સામજિક-આર્થિક વ્યવહારમાં કયારેક તે પોતાના ઈમાનને ભૂલી જાય છે. એવા સમયે ઇદના દિવસે ખુદાની સાક્ષીમાં લીધેલી પ્રતિજ્ઞા તેને સત્યના માર્ગે ચાલવા પ્રેરશે. અને એવી એકાદી પળે પણ એ પોતાના ઈમાનને જાળવી લેશે તો ઇદના દિવસે લીધેલ એ પ્રતિજ્ઞા સાર્થક ગણાશે.

દરેક મુસ્લિમ રમઝાન માસ દરમિયાન ઈબાદત (ભક્તિ) પછી ખુદા પાસે દુઆ માંગે છે. દુવા એટલે ખુદાની રહેમત (કૃપા) માટે વિનંતી. રમઝાન માસની આપણી દુઓં ઇબાદતની એકાગ્રતા પછી માંગવામાં આવે છે. જેથી તેની અસરકારતા વધુ હોઈ છે. અને એટલેજ માનવામાં આવે છે કે રમઝાન માસમાં કરેલી દુવાઓં કબુલ થાય છે. જો આવી જ અસરકારક ઈબાદત આખું વર્ષ કરવામાં આવે. અને એ પછી સમગ્ર વર્ષ દરમિયાન દુવાઓં માંગવામાં આવે, તો ખુદાનો એક પણ બંદો જીવનના સંઘર્ષમા કયારેય પાછો નહિ પડે. પણ એ માટે જરુરુ છે રમઝાન માસ જેવી જ એકાગ્રચિત્ત ઈબાદત અને દુઆ. ઈદની ખુશી સાથે નિયમિત ખુદાની એકાગ્ર ચિત્તે ઇબાદત અને દુવાની પ્રતિજ્ઞા પણ અત્યંત જરૂરી છે.

રમઝાન માસની ઈબાદત મન હદયને શુદ્ધ કરે છે. જયારે રોઝા (ઉપવાસ) શરીરની શુદ્ધિનો માર્ગ છે. સમ્યક આહાર શરીરને નવજીવન અર્પે છે. નવી તાજગી બક્ષે છે. પણ રોઝાની સમાપ્તિ પછી પુનઃ આપણે આપણા શરીરને ખાદ્ય પ્રદાર્થોનું ગોદમ બનાવી દઈએ છીએ. પરિણામે શરીર વ્યાધિઓનું કેન્દ્ર બને છે. એ દ્રષ્ટિએ રમઝાન માસ અધ્યાત્મિક અને ભૌતિક જીવનની પાઠશાળા છે. એ મુજબ આખું વર્ષ જીવવાથી શારીરક કે માનસિક વ્યાધિઓ શરીરને સ્પર્શતી નથી. ઇદના દિવસે આનંદથી ભરપેટ જમો. પણ તેમાં અતિરેક ન કરો. સમગ્ર વર્ષ આહારમાં નિયમિતતા અને સંયમ રાખવાનું શિક્ષણ રમઝાન ની આગવી દેન છે. અને એટલે જ તે આખું વર્ષ પાળવાની પ્રતિજ્ઞા એટલે ઈદ.

આવું સંયમિત જીવન ઇસ્લામના બંદાની સાચી ઓળખ છે. માત્ર દાઢી રાખવી અને પરમાટી (બીન શાકાહારી ભોજન) સેવનએ મુસ્લિમની સાચી ઓળખ નથી. પણ રમઝાન માસ જેવું જ શુદ્ધ મુલ્યનિષ્ટ અને ઇબાદતથી ભરપુર જીવન જ સાચા મુસ્લિમની સામાજિક પહેચાન છે. એ જયારે આખી કોમમાં પ્રસરશે ત્યારે મુસ્લિમ અને ઇસ્લામ પ્રત્યેની અનેક ગેરસમજો આપો આપ દૂર થઈ જશે. અને ત્યારે દરેક મુસ્લિમ સમાજ માટે એક આદર્શ બની જશે. એ દિવસ દૂર નથી .પણ એ માટે રમઝાન માસ જેવી અને જેટલી જ ઈબાદતમા એકાગ્રતા અનિવાર્ય છે. ખુદા એ તરફ દરેક મોમીનને સક્રિય બનાવે એ જ ઇદના ખુત્બના અંતે મારી દિલી દુઆ છે. : આમીન. અને....એ સાથે દરેક હિંદુ મુસ્લિમ વાચકોને હદયના ઊંડાણથી ઈદ મુબારક.

Monday, August 16, 2010

તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા : ઝકાત : ડૉ.મહેબૂબ દેસાઈ

રમઝાન માસમાં મુસ્લિમો દાન-પુણ્ય ખુલ્લા હાથે અને દિલ ખોલીને કરે છે. ઇસ્લામમાં પણ દાનને ફરજિયાત ગણવામાં આવેલ છે. ઇસ્લામમાં બે પ્રકારના દાનનો ઉલ્લેખ છે. ઝકાત અને ખેરાત. ઝકાતએ ફરજિયાત દાન છે. આપણે વેપાર,નોકરી કે વ્યવસાયમા જે આવક મેળવીએ છીએ તેના બદલામાં સરકારને ફરજિયાત કર ચૂકવીએ છીએ. એ જ રીતે ઇસ્લામે પણ ફરજિયાત ઝકાત આપવાનો આદેશ આપ્યો છે.સરકાર દ્વારા વસુલ થતો કર રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગી બને છે. જયારે મુસ્લિમ બિરાદરો દ્વારા આપવામાં આવતી ફરજિયાત ઝકાત પણ સમાજના વિકાસમાં ઉપયોગી બને છે. દરેક મુસ્લિમ પોતાની જંગમ કે સ્થાવર મિલકત અને પોતાની કુલ આવકના અઢી ટકા રકમ ખુદાના નામે ઝકાત તરીકે ફરજિયાત આપે છે. ઝકાતની રકમ ગરીબ,અનાથ સગા સબંધીઓ કે પડોશીઓની આર્થિક અવદશાને દૂર કરવામાં ઉપયોગી બને છે. બીજું દાન છે ખેરાત. ખેરાતએ સ્વેચ્છિક દાન છે.
આ બને પ્રકારના દાનો માટે કુરાને શરીફમાં ઠેરઠેર જે વિધાનો આપ્યા છે તે જાણવા અને માણવા જેવા છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ પૂછે છે અમે અલ્લાહની રાહમાં શું ખર્ચીએ ?”
“કહો, જે કઈ તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગમાં ખર્ચો”
“અને એમના માલમા માંગનાર અને વંચિત રહેનારાઓનો હક્ક છે”
“જે લોકો અલ્લાહએ આપેલા ધનમાં કંજુસાઈ કરે છે, તેઓ એ સમજી લે કે આ કામ તેમના માટે સારું નથી”
“જે લોકો પોતાનું ધન ખુદાના માર્ગમાં વાપરે છે. તેમનું ઉદાહરણ એક દાણા જેવું છે. જેમાથી સાત ડુંડી ઉગે છે. અને એ દરેક ડુંડીમાં સો સો દાણા હોય છે”
“અલ્લાહના નામે પોતાનું ધન સગાઓ, અનાથો, મોહતાજો, મુસાફરો,મદદ માટે હાથ લંબાવનાર સૌ માટે ખર્ચ કરો”
લોકો પૂછે છે,
“અમે અલ્લાહના માર્ગે શું ખરચીએ ?”
એમને કહી દો,
“જે તમારી જરૂરિયાતથી વધારે છે તે અલ્લાહના માર્ગે જરૂરતમંદોને આપો”
દાન આપવાની ક્રિયા પણ ઇસ્લામમાં મહત્વની છે. હિંદુ શાસ્ત્રોમા કહ્યું છે “દાન એવી રીતે કરો કે તમારા જમણાં હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ ન થાય”
ઇસ્લામ પણ છુપા દાનને વિશેષ મહત્વ આપેલ છે. કારણ કે આવું દાન ગરીબ છતાં ખુદ્દાર માનવીના સન્માનની હિફાઝત કરે છે. અને એટલે જ કુરાને શરીફમાં કહ્યું છે,
“જો તમે દાન જાહેરમાં આપો તો તે સારું છે. પરંતુ જો તમે દાન છુપાવીને આપો તો એ તમારા માટે વધુ સારું છે. તમારા ઘણાં ગુનાહ આ વર્તન વડે ધોવાઈ જાય છે”

“વિશેષ રૂપે મદદના હક્કદાર એ જરૂરતમંદો છે જેઓ અલ્લાહના માર્ગમાં એવા ધેરાઈ ગયા છે કે પોતાના રોજગાર માટે ધરતીપર કોઈ દોડધામ કારી સકતા નથી. એમનું સ્વમાન જોઈ અજાણી વ્યક્તિ કલ્પના કરે છે કે તેઓ સુખી છે. તમે તેમના ચહેરા પરથી તેમની આંતરિક સ્થિતિ ઓળખી શકો છો. પરંતુ તેઓ એવા લોકો નથી છે જે લોકોની પાછળ પડી જઈ કઈ માંગે છે. આવા લોકો માટે જે કઈ માલ ખર્ચ કરશો તે અલ્લાહથી છુપું રહેશે નહિ”

ઇસ્લામનો બીજો મહત્વનો દાનનો સિધ્ધાંત પણ સમગ્ર માનવજાતે અપનાવવા જેવો છે. મોટે ભાગે આપણા ઘરે કે ધંધાના સ્થળે આવનાર ભિખારી, ફકીર કે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર મોટે ભાગે તુચ્છ હોય છે. ઇસ્લામમાં ઘર આંગણે આવનાર કોઈ પણ જરૂરતમંદ સાથેનો વ્યવહાર સંપૂર્ણ માનવીય રાખવાનો આદેશ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“કોઈ યતીમ (અનાથ)ને અન્યાય ન કરશો. અને કોઈ માંગનાર જરૂરતમંદને ધુતકારશો નહિ. અને જે નેમતો તમને તમારા પાલનહારે આપી છે તેનો શુક્ર(આભાર)અદા કરતા રહો”
કુરાને શરીફના આ આદેશનું પાલન મહંમદ સાહેબે જીવનભર કર્યું હતું. જયારે કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસે આવતો ત્યારે આપ જે કઈ હાથવગું હોઈ તે તેને આપી દેતા. કોઈ જરૂરતમંદ મહંમદ સાહેબ પાસેથી કયારેય ખાલી હાથે પાછો ફર્યો ન હતો. આ અંગે હઝરત જાબીર ફરમાવે છે,
“મહંમદ સાહેબ પાસે આવતા જરૂરતમંદને કયારેય મહંમદ સાહેબ ઇન્કાર કરતા નહિ. કયારેક એવું બનતું કે જરૂરતમંદને આપવા તેમની પાસે કઈ ન હોઈ, એવા સંજોગોમાં જરૂરતમંદને બીજે દિવસે આવવા કહેતા. અને તેના માટે દુઆ માંગતા”

ટૂંકમાં આપના આંગણે આવનાર જરૂરતમંદને તેની મજબુરી જ આપને ત્યાં દોરી લાવે છે. આજે એ મજબુર છે, કાલે આપ પણ એ સ્થિતિમાં હોઈ શકો. માટે મજબૂર માનવીની મજબુરીને કયારેય ધીકારશો નહિ. ઇસ્લામના આવા માનવીય સિધ્ધાંતોએ જ ઇસ્લામને માનવધર્મનો દરજ્જો આપ્યો છે. રમઝાન માસમાં આવા માનવીય વ્યવહારો જ પુણ્યની બારીશ કરવા પૂરતા બની રહે છે.

Friday, August 13, 2010

પ્રોફે.બી.એલ.શર્મા, અને પ્રોફે.મહેબૂબ દેસાઈ



પ્રોફે.બી.એલ.શર્મા(કુલપતિશ્રી ,ભાવનગર વિશ્વ વિદ્યાલય)ને ગાંધીજીનો વિદ્યાર્થી અવસ્થનો ફોટો અર્પતા ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક પ્રોફે.મહેબૂબ દેસાઈ

Wednesday, August 4, 2010

ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)



ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક (૪-૦૮-૨૦૧૦)ના અંતે ગાંધીજીનો બાલ્ય અવસ્થાનો ફોટો
મા.શ્રી પ્રસન્નવદન મહેતાને અર્પતા ભાવનગર વિશ્વ વિદ્યાલયના કુલપતિ શ્રી પ્રોફે. બી.એલ. શર્મા.

Tuesday, August 3, 2010

અસ્વસ્થ ઇન્સાનોની સ્વસ્થ કૃતિ : ડૉ.મહેબૂબ દેસાઈ

એક સવારે મોબાઈલની રિંગ વાગી મેં મોબાઈલ ઉપાડ્યો.
“હેલ્લો’
સામે છેડેથી એક યુવતીનો મધુર અવાજ રણક્યો,
“આપ દેસાઈ સાહેબ બોલો છો?”
“જી”
“અસ્લ્લામુઅલ્યકુમ”
“વાલેકુમ અસ્સલામ”
“મારું નામ જેના છે. આપની સાથે પાંચેક મીનીટ વાત કરી શકું ?”
“ચોક્કસ”
અને તે દિવસે જેનાએ લગભગ પાંચેક મીનીટ સુધી મારી દિવ્ય ભાસ્કરની “રાહે રોશન” કોલમના ભરપેટ વખાણ કર્યા. પછી તો એ ઘટનાને હું ભૂલી ગયો. એકાદ બે માસ પછી મને એક પુસ્તક મળ્યું. બ્લેક મુખપુષ્ઠ પર કોઈ પણ પ્રકારની ડીઝાઈન વગર સફેદ અક્ષરોમાં અંગ્રજીમા લખ્યું હતું,
“૯૯ પેન્ટીન્ગસ ઓફ ૯૯ મોસ્ટ બ્યુટીફુલ નેમ ઓફ અલ્લાહ” અર્થાત “અલ્લાહના અત્યંત સુંદર નવ્વાણું નામોના ૯૯ ચિત્રો”
પુસ્તકના પૃષ્ઠો ઉથલાવતો ગયો તેમ તેમ મારા આશ્ચર્યની સીમા વિસ્તરતી ગઈ. સૌ પ્રથમ તો હું જેનાને મુસ્લિમ યુવતી માનતો હતો. પણ જયારે પુસ્તકના મુખપૃષ્ઠ પર તેનું સંપૂર્ણ નામ “ડૉ. જેના આનંદ એલ.” વાંચ્યું ત્યારે પુસ્તકમાં મને વધુ રસ પડ્યો. ડૉ. જેનાના નામ નીચે જ એરેબીક શબ્દોનું આલેખન કરનાર વ્યક્તિનું નામ લખ્યું હતું રાહુલ દિલીપસિંહજી ઝાલા. મારું આશ્ચર્ય બેવડાયુ. બંને હિંદુધર્મીઓએ અલ્લાહના નવ્વાણું નામોને ચિત્રો અને તેના અર્થો દ્વારા શણગારવામાં પોતાની જિંદગીનો અમુલ્ય સમય ખર્ચ્યો હતો.એ પામીને મેં પુનઃ સુખદ આઘાત અનુભવ્યો. પુસ્તકના મુખ્યપૃષ્ઠ પર “ઈશ્વર અલ્લાહ તેરે નામ” વિષયક સાબરમતીના ગાંધી આશ્રમમાં થયેલ ચિત્ર પ્રદર્શનનો સંગ્રહ વાંચીને મારી આંખો વધુ પહોળી થઈ. અલ્લાહના ૯૯ નામોના સુંદર ચિત્રો સાથે હિન્દી, અરેબિક, અંગ્રેજી અને ગુજરાતીમાં અલ્લાહના નામો અને તેના સરળ અર્થો વાળા ૯૯ ચિત્રોનું પ્રદર્શન સૌ પ્રથમ ગાંધી આશ્રમમાં આ બંને હિંદુ ધર્મીઓએ ગાંધી નિર્વાણ દિને કર્યું . અને એ પછી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કર્યું. એ જાણી મારા સુખદ આઘાતની પરંપરા વિસ્તરી. પ્રદર્શન માટેના અલ્લાહના ૯૯ નામોનું ચિત્રણ કરતા પૂર્વે ડૉ. જેના અને રાહુલ ઝાલાએ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો હતો. એ ચિત્રોનું નિરીક્ષણ કરતા પ્રથમ દ્રષ્ટિ એ જ હું પામી ગયો. અલ્લાહના નામો અને તેના અર્થને વ્યક્ત કરતા ચિત્રોમાં કયાંય માનવ,પશુ-પક્ષીની કૃતિ જોવા મળતી નથી. માત્ર કુદરતી સોંદર્ય અને સ્થૂળ પ્રતીકો દ્વારા અલ્લાહના ૯૯ નામોને અદભૂત રીતે ચિત્રો દ્વારા સાકાર કરવાના આવ્યા છે. જેમ કે અલ્લાહના ૯૯ નામોમાંનું ૧૩મુ નામ છે “ અલ બારી”. જેનો અર્થ થાય છે “ચૈતન્ય તત્વ”. ડૉ. જેનાએ અલ્લાહના ચૈતન્ય સ્વરૂપને વ્યક્ત કરવા હદયના કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી)નું ચિત્ર મૂકી પોતાની અધ્યાત્મિક કલ્પના શક્તિનો શ્રેષ્ઠ પરિચય આપ્યો છે. માનવ હદયની ધડકનો અને તેની ગતિ ખુદાના ચૈતન્ય સ્વરૂપનું ઉત્તમ ઉદાહરણ છે. એજ રીતે અલ્લાહના ૯૦માં નામ “અલ માનીઅ:” અર્થાત નુકસાન કે હાનીથી દૂર રાખનાર, રોકનારને ચિત્રાત્મક શૈલીમાં રજૂ કરવા ડૉ.જેનાએ હેલ્મેટનું રંગીન ચિત્ર મૂકયુ છે. હેલ્મેટ આધુનિક યુગમા સુરક્ષાનું ઉમદા પ્રતિક છે. તેના ઉપર એરેબીકમાં સુંદર અક્ષરોમાં “અલ માનીઅ:” લખ્યું છે. અલ્લાહનું ૪૮મુ નામ છે “અલ વદૂદ:” જેનો અર્થ થાય છે પ્રેમ કરનાર,પ્રેમ કરવા લાયક. એરેબીકમાં લખાયેલા “અલ વદૂદ:” શબ્દ નીચે ડૉ.જેનાએ ધબકતું માનવ હદય લાલ રંગમાં મૂકયું છે. જે પ્રેમ કરનાર અને કરવા લાયક દરેક માનવી અને ખુદાનું પ્રતિક છે. અલ્લાહના નામોના આવા ૯૯ ચિત્રાત્મક પ્રતીકો સમગ્ર પુસ્તકની અમુલ્ય જણસ છે.

સાબરમતી ગાંધી આશ્રમમા અલ્લાહના ૯૯ નામોના આવા અર્થસભર ચિત્રોના પ્રદર્શનને અમદાવાદના સુજ્ઞ શહેરીજનોએ હાથો હાથ વધવી લીધું હતું. પત્રકાર વૃશિકા ભાવસાર લખે છે,

“પંચતત્વ,નવરસ ઉપરાંત માનવ સહજ અપેક્ષા ભાવોને પ્રાકૃતિક નિર્જીવ પાત્રો અને બીજી પરિકલ્પનામાંથી અંકિત કર્યા છે, એમા અદભૂત કલા સુઝ અને કોઠા સુઝ પ્રગટ થાય છે.”

સદવિચાર પરિવારના વડીલ શ્રી હરીભાઈ પંચાલ લખે છે,

“ગાંધી નિર્વાણના દિને સાબરમતી આશ્રમમાં કોમી એકતાની પ્રેરણા આપનારું ૯૯ ચિત્રોનું પ્રદર્શન એક અઠવાડિયું સુધી ગોઠવાયું હતુ, જેનો બહોળો લાભ શહેરીજનોએ લીધો હતો.”

નયા માર્ગના તંત્રી અને વિચારક શ્રી ઇન્દુકુમાર જાની લખે છે,

“ ચિત્ર પ્રદર્શન: ઈશ્વર અલ્લાહ તેરે નામ
બહેન જેનાને લાખ લાખ સલામ”

ડૉ. જેના મેનેજમેન્ટ શાખાના ડોક્ટર છે. શિક્ષણ અને ટેક્ષટાઈલનો ડીપ્લોમાં ધરાવે છે. પણ શુદ્ધ ગાંધી વિચારોથી તરબતર છે.ગાંધીજી પર તેમણે “ગાંધીઝ લીડરશીપ” નામક પુસ્તક લખ્યું છે. એક હિંદુ હોવા છતાં અલ્લાહના ૯૯ નામો અંગે પ્રદર્શન અને પુસ્તક કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ડૉ. જેના કહે છે,
“સૌ પ્રથમ હું મહાત્મા ગાંધીજીના જીવનથી અત્યંત પ્રભાવિત છું. અને બીજું, મને ગર્વ છે કે મારો ઉછેર મારા માતા –પિતાએ ધર્મનિરપેક્ષ વાતાવરણમાં કર્યો છે. મારી માતા નીલા આનંદ રાવે મારી સશક્ત અને કમજોર બન્ને જીવન સ્થિતમાં સકારાત્મક અને નવસર્જિત કાર્યો પ્રત્યે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આજ જીવન શૈલીને કારણે મેં સૌ પ્રથમ ગાંધી વિચાર અને એ પછી સર્વ ધર્મોનો અભ્યાસ કર્યો છે. સર્વધર્મના અભ્યાસે મને અહેસાસ કરાવ્યો છે કે દરેક ધર્મ આદરને પાત્ર છે. દરેક ધર્મનું મૂળ બીજ શાંતિ અને પ્રેમ છે. અને એટલે જ આ ચિત્રો દ્વારા મેં ઇસ્લામના શાંતિ અને પ્રેમના સંદેશને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે.”
પ્રદર્શન અને પુસ્તકમા એરેબીક લેખનનું કાર્ય સુંદર રીતે અદા કરનાર રાહુલ ઝાલા સારા ચિત્રકાર છે. મેં તેમને ફોન પર પૂછ્યું,
“આવું રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા તમને કયાંથી મળી?”
એક પળ ફોનમાં મૌન છવાઈ ગયું. મેં ફોન ચાલુ છે કે નહિ તે તપાસવા “હેલ્લો” કહ્યું.
ત્યારે રાહુલ ઝાલાનો અવાજ સંભળાયો ,
“સર, મેં તો આમાં કશું કર્યું જ નથી. મને તો જેના બહેને જે કહ્યું તે મેં કરી આપ્યું”
મને રાહુલની નમ્રતા ગમી ગઈ. પણ પ્રશ્નના અર્કને વળગી રહેતા મેં કહ્યું,
“છતાં એક હિંદુ તરીકે અલ્લાહના ૯૯ નામો એરેબીકમાં લખવા તમે કેમ પ્રેરાયા?”
“સર, ઈશ્વર કે અલ્લાહ સૌ નામો પાછળ એક જ શક્તિ છે. અને એટલે મારા માટે ઈશ્વરના દરેક નામ સરખા છે.” હું રાહુલની વાત સંભાળી રહ્યો. પણ ત્યારે મારા હદયના ધબકારા કહી રહ્યા હતા કે આ બંને મહાનુભાવોએ પોતાની તંદુરસ્ત મનોદશા દ્વારા સમાજને આપેલ આટલો મોટો સંદેશ કેટલી સરળતાથી આત્મસાત કર્યો છે.
પણ આ સમગ્ર ઘટનાનો અંતિમ આઘાત સાચ્ચે જ રુંવાડા ઉભા કરી દે તેવો છે. આ ચિત્રોનું સર્જન કરનાર ૩૫ -૪૦ વર્ષની વયના ડૉ.જેના બ્રેન અને સ્પાઈનલ કોર્ડના ગંભીર રોગથી પીડાય છે. છતાં તેમના ચહેરા પર હમેશ હાસ્ય પથરાયેલું હોઈ છે. ગોરો વાન,ગોળ ચહેરો અને ઘાટીલી કાયાના માલિક જેનાબહેન એ દિવસોમાં ઝાઝું ચાલી સકતા ન હતા. ઉભા રહી શકતા ન હતા, તેમના હાથના આંગળાઓ બ્રશ પકડી શકવા અસમર્થ હતા. એવા સમયે જેનાબહેને અલ્લાહના ૯૯ નામોના ચિત્રોનું સર્જન કર્યું, એ ઘટના જ કોઈ પણ ધબકતા માનવીને સ્તબ્ધ કરી મુકે તેવી છે. અલ્લાહના ૯૯ નામોને એરેબીક ભાષામાં ચિતરનાર રાહુલ ઝાલા એક ગભરુ જવાન છે. ઊંચા-લાંબા, શ્યામવર્ણા અને વેધક આંખોવાળા રાહુલ ઝાલા માનસિક રોગી છે. ચિતભ્રમ અને સ્મૃતિ દોષથી પીડાય છે. ચિત્રોના સર્જન ટાણે પરોઢીએ ત્રણ વાગ્યે બ્રહ્મમુહરતમાં ડૉ. જેનાબહેનના ઘરે આવી જવું અને એરેબીક અક્ષરોના સર્જનનું કાર્ય આરંભવું એ કોઈ સામાન્ય માનવીના લક્ષણો નથી. અને આમ છતાં આ બન્ને ક્ષતિગ્રસ્થ માનવીઓએ સર્જેલ ચિત્રો આજના અસંતુલિત યુગમાં સીમાચિહ્ન રૂપ છે. અને એટલેજ મનના ઊંડાણમાંથી વારંવાર ઉદગારો સરી પડે છે, આવા અસ્વસ્થ માનવીઓ જ સ્વસ્થ સમાજરચનાના સાચા ઘડવૈયાઓ છે.

Tuesday, July 27, 2010

ફિર વોહી મુબારક રમઝાન આયા હૈ, દુવાઓ ઔર સવાબોકી બારીશ લાયા હૈ : ડો. મહેબૂબ દેસાઈ

જે માસની ઇસ્લામનો દરેક અનુયાયી આતુરતાથી રાહ જોવે છે, તે મુબારક રમઝાન માસ દર વર્ષની જેમ પુનઃ સવાબ લુંટાવવા આવી ચડ્યો છે. આ જ માસમા કુરાન-એ-શરીફનું અવતરણ થયું છે. આ જ માસમાં ખુદા પોતાના કરોડો બંદાઓને બેહિસાબ સવાબ-પુણ્યની નવાજે છે. આ જ માસમાં કરેલી ઈબાદત અને જકાત-ખેરાતનો અનેક ગણો બદલો ખુદા તેના બંદાને આપે છે. પણ તે માટે ખુદાની બે શરતોનું પાલન દરેક મુસ્લિમે કરવું પડે છે. એક, સમગ્ર માસ દરમિયાન દરેક મુસ્લિમ ખુદાની ઈબાદતમા લીન રહે. અને બે, બુરા મત દેખો, બુરા મત સૂનો. બુરા મત કહો અને બૂરા મત સોચોના મૂલ્યોને ઈમાનદારીથી વળગી રહે. રોઝા અર્થાત ઉપવાસ- સોમમા આ બાબતોનું પાલન અનિવાર્ય છે. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું એટલે રોઝો નહિ. એમ તો ગરીબ માનવી ઘણીવાર ભૂખ્યા-તરસ્યા રહે છે. પણ તેમને રોઝનો સવાબ (પુણ્ય) પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમની ભૂખ્યા- તરસ્યા રહેવાની એ ક્રિયામા ઈબાદત નથી, મજબૂરી છે. રમઝાન શબ્દમાં પણ ગુનાહોને ઈબાદત અને સદ્કાર્યો દ્વારા બાળવાનો ભાવ રહેલો છે. “રમઝ” અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે બાળવું.

ઇસ્લામના મહાન ગ્રન્થ કુરાન-એ-શરીફમાં કહ્યું છે,

“ “હે મુસ્લિમો, તમારા ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા છે””

અર્થાત નાના મોટા દરેક તંદુરસ્ત મુસ્લિમ માટે રોઝા ફરજીયાત છે. જો કે ઇસ્લામ માનવ ધર્મ છે. જેના નિયમોમાં કયાંય જડતા કે અમાનવીયતા નથી. એટલે જ કુરાન-એ-શરીફમા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે,
“ “રમઝાન માસમાં કોઈ બીમાર હોઈ કે મુસાફરીમાં હોઈ તો તે અન્ય દિવસોમાં જયારે તે તંદુરસ્ત હોઈ ત્યારે રોઝા રાખી પોતાના રોઝા પૂર્ણ કરી શકે છે””

એટલે કે ઇસ્લામે કોઈ મુસ્લિમને રોઝાથી મુક્તિ નથી આપી.રોઝા, ઉપવાસ કે સોમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. ગાંધીજીએ પણ ઇસ્લામના આ સિધ્ધાંતનો સ્વીકાર કર્યો છે. જયારે ગાંધીજીને કોઈ ભૂલ કે પાપ કર્યાનો અહેસાસ થતો ત્યારે તે પ્રાયશ્ચિત માટે ઉપવાસ કરતા. પણ આપણે તો ત્રણસો પાંસઠ દિવસોના ગુનાહોને ધોવા-પ્રાયશ્ચિત કરવા ખુદાની ઇબાદત સાથે માત્ર ત્રીસ દિવસના રોઝા કે ઉપવાસ કરવામાં પણ આળસ કરીએ છીએ.અને એટલે જ આપણા રોઝા ખુદા કબુલ કરે છે કે નહી તેની આપણને ખુદને ખબર નથી હોતી. અને એટલે જ રમઝાન માસના આરંભે દરેક મુસ્લિમે ત્રીસ દિવસ ઈબાદત અને રોઝાના સમન્વય સાથે સનિષ્ઠ રીતે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જકાત-ખેરાત (દાન) કરી વધારેમાં વધારે સવાબ પુણ્ય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

રમઝાન માસની પવિત્રતાને કારણે જ મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. તેનું પાલન કરવામાં સાચો મુસલમાન કયારેય અચકાતો નથી. જકાતમાં મનચોરી એ ગુનાહ છે.

રોઝાની ક્રિયા પણ પવિત્રતાનું પતિક છે. રોઝો રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોઝાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જ જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં. નમાજ દ્વારા સતત ખુદાની ઇબાદતમાં રત રહેવું. પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોઝો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોઝોએ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોઝો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોઝાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે. તેને ઇફતાર કહે છે. રોઝો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ઇસ્લામે ભાર મુક્યો છે. ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોઝો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.

મારા અનેક હિંદુ સ્વજનો પણ રોઝા રાખે છે. અમદાવાદના જીગનેશભાઈ મોદી, રણુંના મહંત મા. રાજેન્દ્રગીર મહારાજ અને ભાવનગરના હર્ષદભાઈ ત્રિવેદી રમઝાન માસનો ૨૭મો રોઝો હમેશા રાખે છે. અને તે માટેનું જરૂરી માર્ગદર્શન મેળવવા મારો સંપર્ક કરે છે.આપણા જાણીતા લેખક અને મારા વડીલ મિત્ર શ્રી ગુણવંત શાહને રોઝા અંગે તેમનો પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે બોલ્યા,

“ “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોઝો”

ચાલો,આપણે સૌ આખો રમઝાન માસ આલાહના સાનિધ્યમાં રહેવાનો સંનિષ્ટ પ્રયાસ કરીએ. આપણા સૌના એ પ્રયાસને અલ્લાહ સફળ બનાવે એ જ દુઆ – આમીન .

Wednesday, July 21, 2010

વિશ્વનું મહાન ઇસ્લામિક વિશ્વ વિદ્યાલય દારુલ ઉલુમ દેવબંદ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામી વિશ્વમાં દારુલ ઉલુમ દેવબંદનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. તેણે ભારતના જ નહિ,પરંતુ સમગ્ર વિશ્વના મુસ્લિમોને પોતાની શૈક્ષણિક સિધ્ધિઓથી પ્રભાવિત કર્યા છે. ૧૪૪ વર્ષની લાંબી વિકાસ યાત્રા પછી આજે દારુલ ઉલુમ દેવબંદ માત્ર ઇસ્લામિક વિશ્વ વિદ્યાલય નથી રહ્યું, પણ એક વિચારધારા બની ગયું છે. જેણે સમાજના અંધવિશ્વાસ, કુરિવાજો અને આડંબરો સામે ઇસ્લામના મૂળભૂત સ્વરૂપને વ્યક્ત કરી, સમાજ સુધારણાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અને એટલે જ આ વિચારધારામાં માનનાર મુસ્લિમોને દેવબંદી કહેવામાં આવે છે. દેવબંદ ઉત્તર પ્રદેશનું એક નાનકડુ નગર છે. જેની વસ્તી માત્ર એકાદ લાખ જેટલી છે. પરંતુ દારુલ ઉલુમ વિશ્વ વિદ્યાલયને કારણે આજે તે ઉત્તર પ્રદેશનું વિશ્વ વિખ્યાત નગર બની ગયું છે. દારુલ ઉલુમ દેવબંદ વિશ્વ વિદ્યાલયને કારણે આજે દેવબંદ નગર ભારતીય અને ઇસ્લામી શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વયનું ઉમદા પ્રતિક બની ગયું છે. વિશ્વમાં અરબી ઇસ્લામી શિક્ષણનું તે મુખ્ય કેન્દ્ર છે. તેમાં માત્ર ઇસ્લામી શિક્ષણ અને સંશોધનનું જ કાર્ય થતું નથી,પણ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ઊચ્ચ આદર્શોનું જતન પણ થાય છે.

૩૦ મેં ૧૮૬૬ન રોજ હાજી આબિદ હુસેન અને મોલાના કાસીમ નાનોતવી એ આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. એ સમયે ભારતના ઇતિહાસનો કપરો કાળ હતો. ૧૮૫૭નો પ્રથમ મુક્તિ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. અંગ્રજોનો ભારતીય પ્રજા ઉપરનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ના એ કપરા કાળમાં માત્ર દેવબંદ જેવા નાનકડા નગરમાં જ ૪૦ લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા.જયારે કેટલાકને જેલમાં નાખવામાં આવ્યા હતા.તો કેટલાક શહીદ થયા હતા. આમ છતાં અંગ્રેજોનો રોષ હજુ શમ્યો ન હતો. ૧૮૫૭ પછી ભારતીય અને ઇસ્લામી શિક્ષણ સંસ્થાઓ નામશેષ રહી ગઈ હતી. તેના અસ્તિત્વને ટકાવી રાખવાનું કાર્ય શિક્ષણવિદો માટે કપરું બન્યું હતું. આવા સમયમાં દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના થઈ. જેણે ભારતીય અને ઇસ્લામી શિક્ષણને જીવંત રાખવામા મહત્વનું કાર્ય કર્યું.

જો કે આરંભના દિવસો દારુલ ઉલુમ માટે કપરા હતા. અંગ્રેજોની શિક્ષણ પ્રથાનો મુખ્ય ઉદેશ કારકુનો પેદા કરવાનો હતો. ભારતીય કે ઇસ્લામી સભ્યતા કે શિક્ષણના જતન અને વિકાસમાં તેમને કોઈ રસ ન હતો. પરિણામે આવી શિક્ષણ સંસ્થાઓ પ્રત્યે અંગ્રેજોની નીતિ અત્યંત ક્રૂર હતી.તેની સ્થાપના કે વિકાસમા બને તેટલા અવરોધો નાખવા અંગ્રેજો તત્પર રહેતા. એવા યુગમાં દેવબંદની એક નાનકડી મસ્જિતમા દારુલ ઉલુંમનો મદ્રેસો શરુ થયો. દેવબંદની જુમ્મા મસ્જીતમાં પણ તે થોડો સમય ચાલ્યો.

ઈ.સ. ૧૮૭૯મા દારુલ ઉલુમની પ્રથમ ઈમારત બની. એ પછી જરૂરિયાત મુજબ દારુલ ઉલુમની શૈક્ષણિક ઈમારતો બનતી ગઈ. મદ્રેસાનો ભવ્ય દરવાજો અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ બાદશાહ ઝહિર શાહના અનુદાનથી બનાવવામાં આવ્યો. જેથી તેનું નામ “બાબુલ ઝહિર” રાખવામાં આવ્યું. મદ્રેસાના પ્રથમ વર્ષમાં માત્ર ૧૬ વિદ્યાર્થીઓ એ પ્રવેશ લીધો હતો. એક સદીના અવિરત વિકાસ પછી આજે એ નાનકડો મદ્રેસો વિશાલ વિશ્વ વિદ્યાલય બની ગયો છે. જેમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઇસ્લામિક શિક્ષણ અને સંસ્કારોનું ભાથું લઈને વિશ્વમા પ્રવેશે છે.

આજદીન સુધી લગભગ ૯૫ હાજાર જેટલા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિદ્વાનો અર્પનાર દારુલ ઉલુમેં ભારતની આઝાદીની લડતમાં પણ પોતાનું આગવું પ્રદાન નોંધાવ્યુ છે. જેમાં અગ્ર છે દારુલ ઉલુમ દેવબંદના પ્રથમ સ્નાતક “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦). ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં જન્મેલ અને સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા. અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું હતું. મહમુદ હસન દારુલ-ઉલુમ-દેવબંદ” ના પ્રથમ વિદ્યાર્થી અને પ્રથમ સ્નાતક (ઈ.સ.૧૮૭૩) હતા. એ પછી ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા તેઓ શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. આ બને પણ દેવબંદ દારુલ ઉલુમના જ વિદ્યાર્થીઓ હતા. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારી તુર્કી ગયા હતા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા.


જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે પત્ર વ્યવહાર થયો હતો, તે રેશમી રૂમાલ પર થયો હતો, એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાય છે. જો કે આ સશસ્ત્ર ક્રાંતિની જાણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે આખી યોજના નિષ્ફળ ગઈ હતી.

આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ભારતના ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. ૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.

દારુલ ઉલુમ દેવબંદના આવ અનેક જાંબાઝ સીપાયોએ હિન્દોસ્તાનના મુક્તિ યજ્ઞમાં પોતાના બલિદાનો આપ્યા છે. એ બાબત જ નિર્દેશ કરે છે કે દારુલ ઉલુમ દેવબંદે શિક્ષણ સાથે ચારિત્ર ધડતરનું ઉમદા કાર્ય પણ કર્યું છે. અને એટલે જ અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અભ્યાસ અર્થે અહિયા વિદ્યાર્થીઓ આવે છે. દારુલ ઉલુંમમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ૫૦ વધુ વિષય ભણાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કુરાન અને તનું વ્યાકરણ,હદીસ, ઇસ્લામી કાનૂન, તેનું વ્યાકરણ અને તેની રચનાઓ, સાહિત્ય,તર્કશાસ્ત્ર , દર્શનશાસ્ત્ર ,ગણિતશાસ્ત્ર , ચિકિત્સાશાસ્ત્ર. ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ,સામાન્ય જ્ઞાન , નાગરિકશાસ્ત્ર , અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, રહસ્યવાદ, છંદશાસ્ત્ર,અલંકારશાસ્ત્ર, અંગ્રજી ,હિન્દી અને કોમ્પ્યુટર જેવા વિષયોનો અભ્યાસ અહિયા થયા છે.

દારુલ ઉલુમના કુલપતિને સરપરાસ્ત અને ઉપ કુલપતિને મોહતમીમ કહેવામાં આવે છે. જયારે વિભાગીય અધ્યક્ષને મદરીસ અને ધાર્મિક મસલા અને સમસ્યાના અધ્યક્ષને મુફ્તી કહેવામાં આવે છે.આ પદો પર ઉચ્ચ શિક્ષણવિદો જેવા કે મોલાના મોહમદ કાસમ નનોતવી , હાજી મોહમદ આબિદ હુસેન, મોલાના રસીદ અહમદ ગંગોહી, મોલાના મોહમદ યાકુબ, મોલાના અશરફ અલી થાનવી, “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન કાર્ય કરી ચુક્યા છે.

દારુલ ઉલુંમમાં ઇસ્લામી અધ્યયનનો અગિયાર વર્ષનો અભ્યાસક્રમ છે.જે નિઝામી પાઠ્યક્રમ પર આધરિત છે. અગિયાર વર્ષમાં નવ વર્ષ નિર્ધારિત પુસ્તકોનું અધ્યયન અને બે વર્ષ ભાષા,સાહિત્ય અને ધર્મ અંગેનો અભ્યાસ કરવાનો હોય છે. આલીમની પદવી સાત વર્ષે અને ફાજિલની પદવી નવ વર્ષે આપવામાં આવે છે. જયારે કામિલની પદવી અગિયાર વર્ષના સઘન અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. આ તમામ પદવીઓ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયોમાં માન્ય છે. આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય “અલ અજહર(કાહિરા), સાઉદી અરબ અને મદીના વિશ્વ વિદ્યાલયમા આ પદવીઓ બહુમૂલ્ય ગણાય છે. ભારતમાં અલીગઢ વિશ્વ વિદ્યાલય અને જામિયા મિલિય વિશ્વ વિદ્યાલયમા પણ આ પદવીઓ સ્વીકાર્ય છે.

દારુલ ઉલુમ દેવબંદની સ્થાપના કાળથી જ તેના સ્થાપકોએ એક નિયમ સ્વીકાર્યો છે.સરકારી અનુદાન કે શરતી દાન સ્વીકારવું નહિ. પરિણામે આજ દિન સુધી શૈક્ષણિક મૂલ્યો અને સંસ્થાના ઉદેશોનું સ્વતંત્ર પણે જતન કરવામાં કોઈ સમસ્યા ઉત્પન થઈ નથી. આવા આવાસી વિશ્વ વિદ્યાલયમા પ્રવેશ માટે વિદ્યાર્થીએ ટેસ્ટ આપવી પડે છે. એ પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તો તેને પ્રવેશ મળે છે. સંસ્થામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીને અભ્યાસ ફી, આવાસ- નિવાસ ખર્ચ કે પુસ્તકોનો ખર્ચ આપવાનો રહેતો નથી. ટૂંકમાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી દારુલ ઉલુમની રહે છે.

આવી ૧૪૪ વર્ષ જૂની અને ઇસ્લામિક શિક્ષણમાં નવો ચીલોચાતરનાર દારુલ ઉલુમ દેવબંદને સો સો સલામ.

Sunday, July 18, 2010

“શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન : ડૉ. મહેબૂબ દેસાઈ

ઓગસ્ટ માસ ભારતની આઝાદીની લડત માટે જાણીતો છે. ૧૫ ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિન છે. ૮ ઓગસ્ટના રોજ ગાંધીજીએ આઝાદીની અંતિમ લડત “હિન્દ છોડો”નો આરંભ કર્યો હતો. ભારતની આઝાદીમાં હિદુ મુસ્લિમ બંને પ્રજાએ પોતાના બલીદાનોથી આઝાદીના યજ્ઞને પ્રજ્વલિત રાખ્યો હતો. એવા જ એક મુસ્લિમ સેનાની હતા “શૈખુલ હિન્દ” મોલાના મહમુદ હસન ઈ.સ. ૧૯૨૦મા જામિયા મિલિયા યુનિવર્સીટીનો પાયો નાખનાર અને ભારતની આઝાદીની લડતના સક્રિય સેનાની મોલાના મહમુદ હસન (૧૮૫૧-૧૯૨૦)નો જન્મ ૧૮૫૭ના મુક્તિ સંગ્રામના છ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૮૫૧મા બરેલીમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં શૈખુલ હિન્દના નામે જાણીતા થયેલા મહમુદ હસનના પિતા ઝુલ્ફીકાર અલી પણ અરેબીકના ઉચ્ચ વિદ્વાન હતા અને બરેલીના શિક્ષણ વિભાગમાં અધ્યાપક હતા.મહમુદ હસનનું બચપણ બરેલીની ગલીઓમાં પસાર થયું. ઇ.સ. ૧૮૬૬માં હાજી મોહંમદ આબિદ હુસેને ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના દેવબંદ ગામે ”દારુલ-ઉલુમ-દેવબંદ” નામક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાનો આરંભ કર્યો. મહમુદ હસન તેના પ્રથમ વિદ્યાર્થી બન્યા.ઈ.સ. ૧૮૭૩મા તેઓ સંસ્થાના પ્રથમ સ્નાતક બન્યા. અને ઈ.સ. ૧૮૭૪મા એ જ સંસ્થામા શિક્ષક તરીકે જોડાયા. ઈ.સ. ૧૮૯૦મા દારુલ-ઉલ-દેવબંદના આચાર્ય તરીકે તેઓ નિયુક્ત થયા અને જીવનપર્યંત સંસ્થાની સેવા કરતા રહ્યા.

આજે દારુલ-ઉલ-દેવબંદ ઇસ્લામિક શિક્ષણ આપતી એશિયાની બીજા ક્રમની વિશાળ શિક્ષણ સંસ્થા છે.તેના વિકાસમાં મોલાના મહમુદ હસનનો ફાળો નાનોસુનો નથી. જીવનના ૪૦ વર્ષો દારુલ-ઉલ-દેવબંદ પાછળ ખર્ચનાર મહમુદ હસને શૈક્ષણિક અને વહીવટી દ્રષ્ટિએ દારુલ-ઉલ-દેવબંદને નામાંકિત આંતરરાષ્ટ્રીય ઇસ્લામી શિક્ષણ સંસ્થા બનાવી છે. અફઘાનિસ્તાન,મધ્ય એશિયા, તુર્કી, કજાન, દગિસ્તાન,ચીન, બર્મા , મલેશિયા, ઇન્ડોનેશિયા,શ્રીલંકા , નેપાળ, ઈરાક, કુવેત, હિજાબ , યમન ,અને દક્ષિણ-પૂર્વીય આફ્રિકી દેશોમાંથી અનેક છાત્રો દારુલ-ઉલ-દેવબંદમાં ઇસ્લામિક શિક્ષણ લેવા આવે છે. શૈક્ષણિક સક્રિયતા ઉપરાંત મોલાના મહમુદ હસન ભારતના રાજકારણમા પણ સક્રિય હતા. અંગેજો સામેની લડતમાં ભારતીય અને મુસ્લિમ પ્રજાને જાગૃત કરવમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.

વીસમી સદીનો બીજો દસકો ભારતના રાજકારણ માટે અત્યંત મહત્વનો હતો. ભારતમાં ગાંધીજીનું આગમન થયું.પણ ગાંધીજીના અહીંસાના વિચારો પ્રત્યે પ્રજામાં હજુ વિશ્વાસ કેળવાયો ન હતો. એવા સમયે મહમુદ હસને અંગ્રજો સામે સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી કાઢી. અને તે માટેના સ્વયમસેવકોને તાલીમ આપવા ભારતમાં જુદા જુદા સ્થળોએ તાલીમ શાળાઓ યોજી. તેમના આ કાર્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધી અને મોલાના મોહમદ મનસુર અન્સારી મોખરે હતા. એ સમયે મોલાના મહમુદ હસન દ્રઢ પણે માનતા હતા કે અં આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિ જ એક માત્ર માર્ગ છે. અને એટલે જ તેમણે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની તાલીમ શાળાઓ સાથે તેમણે વિદેશમાંથી પણ આ ક્રાંતિ માટે સહાય મેળવવા ઈ.સ. ૧૯૧૫ના મધ્યમાં મોલાના ઉબાદુલ્લાહ સિંધીને કાબુલ અને મોલાના મોહમદ મનસુર અન્સારીને તુર્કી મોકલ્યા. મોલાના મોહંમદ મનસુર અન્સારી હિજાબમાં તુર્કના ગવર્નર ગાલીબ પાશાને મળ્યા. ગાલીબ પાશાએ અંગ્રેજો સામેની લડતમાં ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પરિણામે મોલાના મહમુદ હસન તુર્કમા ગાલીબ પાશાને મળ્યા. જયારે તુર્કીથી પાછા ફરતા મોલાના મોહમદ મનસુર અન્સારી બગદાદ અને બલુચિસ્તાન થઈ ભારત આવ્યા. આમ સશસ્ત્ર ક્રાંતિ માટેનો તખ્તો ગોઠવાયો. આ ક્રાંતિ માટે જે કરારો થયા, તે રેશમી રૂમાલ પર થયા હતા. એટલે ઇતિહાસમાં તે “રેશમી રૂમાલની ચળવળ”ના નામે ઓળખાઈ. ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. એ નાતે ૧૮૫૭ જેમ જ આ સશસ્ત્ર ક્રાંતિની યોજનાની જાણ પણ અંગ્રેજ સરકારને થઈ ગઈ. પરિણામે લડતની આખી યોજના નિષ્ફળ ગઈ.

આ ઉપરાંત મોલાના મહમુદ હસને ખિલાફત ચળવળ માટે આપેલો રાષ્ટ્ર વ્યાપી ફતવો પણ ઇતિહાસમાં જાણીતો છે. ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ કરવા તેઓ મક્કાના ગવર્નરને મળ્યા હતા. મક્કાના ગવર્નરે ભારતના મુસ્લિમોને ખિલાફત ચળવળમાં સામેલ થવા કેટલાક અગત્યના દસ્તાવેજો મોલાના મહેમુદ હસનને આપ્યા હતા. એ દસ્તાવેજોના આધારે જ મહેમુદ હસને પેલો ઐતિહાસિક ફતવો બહાર પડ્યો હતો. જેના કારણે મોલાના મહમુદ હસનની મક્કામાંથી ૧૯ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને મક્કાથી કેરો થઈ માલ્ટા દરિયાઈ જહાંજમા લઈ જવામાં આવ્યા. ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ તેઓ માલ્ટા પહોચ્યા. ત્યાં તેમના પર દેશદ્રોહી ચળવળ ચલાવવા બદલ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ત્રણ વર્ષ અને ચાર માસની સખ્ત કેદની સજા કરવામાં આવી. સજા ભોગવી ૮ જુન ૧૯૨૦ના રોજ તેઓ મુંબઈ આવ્યા. ત્યારે ભારતના વાતાવરણમાં અસહકાર આંદોલન પ્રસરેલું હતું. મહમુદ હસને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું. એ સાથે તેમણે મુસ્લિમ સમાજમાં જાગૃતિનું ઉમદા કાર્ય પણ ઉપાડી લીધું. ઉલેમાઓની એક વિશાળ જાહેસભામાં તેમણે સાડા ત્રણ વર્ષના જેલમાં કરેલ મનોમંથનનો નિચોડ આપતા કહ્યું હતું,

“હું માલ્ટાની જેલમાં જીવનના બે મોટા પાઠો શીખ્યો છું.”
સૌ એક ધ્યાને ૮૦ વર્ષના વયોવૃદ્ધ નેતાનો નિચોડ જાણવા ઉત્સુક હતા. એક પળ અટકી તેઓ બોલ્યા,
“એક, કુરાનના અભ્યાસ, ચિંતન અને સમજની મુસ્લિમ સમાજમાં તાતી જરૂર છે. અને બીજું, મુસ્લિમ સમાજમાં એકતા અને સંગઠનની જરૂર છે”

૧૯૨૦ના ઓકટોબર માસમાં તેમણે જામિયા મિલિય ઇસ્લામિયા યુનિવર્સીટી,અલીગઢનો પાયો નાખ્યો. અને ૩૦ નવેમ્બર ૧૯૨૦ના રોજ તેમનું અવસાન થયું.

(વધુ વિગતો માટે જુવો : Shaikh-ul-Hind Maulana Mahmud Hasan And The Indian Freedom Movement, Author: Rafiya Nisar Publisher: Jamiat Ulama-i-Hind / Manak Publication)

Tuesday, July 13, 2010

હિંદુસભા દ્વારા ગાંધીજીને માનપત્ર : ડૉ. મહેબૂબ દેસાઈ

ગાંધીજીનું ભારતમાં આગમન ૯ જાન્યુઆરી ૧૯૧૫,મુંબઈમા થયું. એ પછી તેમણે ભારતનું પરિભ્રમણ આરંભ્યું હતું. તેના ભાગ રૂપે ૨૮ થી ૩૧ માર્ચ ૧૯૧૫ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તેમનો ઉતારો રાષ્ટ્રીય નેતા સી.આર.દાસને ત્યાં હતો. આ મુલાકાત દરમિયાન ૨૯ માર્ચના રોજ ગાંધીજીને કલકત્તાની હિન્દુસભા દ્વારા માનપત્ર આપી તેમનું સન્માન કરવામ આવ્યું હતું. આ માનપત્રની કેટલીક વિશિષ્ટતાઓ નોંધપાત્ર હતી. સૌ પ્રથમ તો આ માનપત્ર શુદ્ધ હિન્દી ભાષામાં આપવામા આવ્યું હતું. માનપત્રમા સંસ્કૃત શબ્દોનો સુંદર પ્રયોગ થયો છે. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વિજયને વિશિષ્ટ શૈલીમાં બિરદાવવામાં આવ્યો છે. ગાંધીજી સાથે કસ્તુરબાનો પણ માનપત્રમા “સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ” તરીકે ઉલ્લેખ જોવા મળે છે. માનપત્ર પર ૨૬ માર્ચની તારીખ છે. જયારે તેની અર્પણ વિધિ ૨૯ માર્ચના રોજ થઈ છે. માનપત્રનું પ્રિન્ટીંગ ગોવિંદ પ્રેસ કલકત્તામાં થયું છે. જેનો ઉલ્લેખ માનપત્રના અંતે કરવામાં આવ્યો છે. આ માનપત્રની ભાષા અને રજૂઆત જાણવા અને માણવા જેવા છે.
માનપત્રનો આરંભ “ભારત માતા કે કર્મવીર શ્રીયુક્ત ગાન્ધી મહોદય કી સેવામે અભિનંદન પત્ર” જેવા વિશિષ્ટ મથાળાથી થયો છે. એ પછી માનપત્રનો આરંભ કરતા લખવામાં આવ્યું છે,

“શ્રીમાન,
હિન્દુસભા કે લીયે આજકા દિન બડે હી સૌભાગ્ય કા હૈ ઇસે આપકા ઔર આપકી સતી સાધ્વી ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબાઈ કા સ્વાગત કરનેકા ગૌરવ પ્રાપ્ત હુઆ. હિન્દુસભા આજ અપને કો નિશ્ચિત હી પરમ ધન્ય સમઝતી હૈ. ઔર બડે આદર કે સાથ આપકા અભિનંદન કરતી હૈ.આપને ઉસ દૂરદેશ દક્ષિણ આફ્રિકા મેં જાતીય સમ્માન ઔર દેશકા ગૌરવ ચિરકાલ તક સ્થાપિત કરને કે લીયે, સત્યા આગ્રહી લડાઈ મેં પ્રવૃત્ત હોકર જો વિજય પાઈ હૈ, ઉસસે ન કેવલ હિંદુ જાતિકા,પ્રત્યુત સમસ્ત ભારત વર્ષકા મુખ ઉજ્જવળ હુઆ હૈ. આપને સબકો દિખા દિયા હૈ કી અનેક વિઘ્ન બાધાઓ કે ઉપસ્થિત હોને પર ભી મનુષ્ય કો ઘબડાકર અપને કર્તવ્ય પાલન સે વિમુખ નહિ હોના ચાહિયે, યદી સંકલ્પ સચ્ચા હો તો ઉસમેં અવશ્ય હી સફળતા પ્રાપ્ત હોગી. આપકી દ્રઢ પ્રતિજ્ઞા, પરોપકારપરાયણ ઔર સદાચાર સમ્પન સાત્વિક સંતોષી મૂર્તિ કો દેખકર ભારત કે પ્રાચીન મહાપુરષો કા ચિત્ર અંકિત હો જતા હૈ.

શ્રીમાન, ઇસ ઘોર સમય મેં જબકી યહાં પ્રાશ્ચાત્ય વાયુ કે પ્રચંડ ઝકોરોસે પ્રાચીનતા કી મુલ ભક્તિ ડગમગા રહી હૈ, તબ એસે અવસર પર પતિ ભક્તિ કા સર્વોચ્ચ આદર્શ આપકી ધર્મપત્નીને દીખલાને કે લીયે આપકા છાયા કી ભાતી અનુગમન કર સંસાર કો યહ ભલીભાતી દિખલા દિયા હૈ કી ભારતીય લલનાઓ કા પતિ સર્વસ્વ હૈ ઔર પતિ કા સુખ દુઃખ હી ઉનકા સુખદુખ હૈ. આપકા અભિનંદન કરને મેં સભાકો અતુલનીય આનંદ હોતા હૈ.

મહોદય, યહ દિન હિંદુ જાતિ કે લીયે હી નહિ સમસ્ત ભારત વર્ષ કે લીયે બડે ગૌરવ કા હોગા જિસ દિન કી સ્વધર્મ્ય ,સ્વદેશી ઔર જાતીય સમ્માન કી રક્ષા કે લીયે આપકા ઉજ્જવલ આદર્શ સમક્ષ રખ કર લોગ અપને કર્તવ્ય પાલન મેં તત્પર હોંગે. કરુણામય ભગવાન હંમે આપસે આપકે દેશ-વિદેશાર્જિત પ્રભુત જ્ઞાન ઔર સદાચાર કો ગ્રહણ કરને યોગ્ય બનાયે.દેશ કે યુંવાકો કો આપકી ભાંતિ રાજનિષ્ઠ હોકર આપના ધર્મમય જીવન વ્યતીત કરનેકી સુમતિ ઔર સામર્થ્ય પ્રદાન કરે. ઔર આપકો એસી અતુલનીય ઔર મહાશક્તિ પ્રદાન કરે કી જિસસે આપકે દ્વારા જનની જન્મ ભૂમિ સદેવ અભૂતપૂર્વ સેવા હોતી રહે.
હિંદુ સભા કે સદસ્ય”
પંચાણું વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીના સત્કારમાં લખાયેલ આ માનપત્રમા ઉલ્લેખ થયેલ વિચારો આજે પણ એટલા જ સાચા અને માર્ગદર્શક ભાસે છે. આજે ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિ અને સભ્યતાના આક્રમણે આપણી સંસ્કૃતિ પર ધૂળના જાડા પડ પાથરી દીધા છે. ભક્તિ-ઈબાદતની સાચી શક્તિની અવગણના આપણા જીવન વ્યવહારનો ભાગ બની ગયા છે. આપણા કુટુંબ જીવનમાં પ્રસરેલ પશ્ચિમી લક્ષણોએ આપણા સંબંધોમાં આત્મીયતાના સ્થાને માત્ર ઓપચારિકતા આણી છે. એવા સમયે ગાંધીજી પ્રત્યેની કસ્તુરબાની પતી ભક્તિનું ચિત્ર માનપત્રમા ઉપસેલું જોવા મળે છે.વળી, આ માનપત્રમા આપણા યુવાનો માટે પણ એક ઉમદા સંદેશ વ્યક્ત થયો છે. યુવાનોનું સદાચારી , રાજનિષ્ઠા અને ધર્મમય જીવન દેશના વિકાસમાં માટે અત્યંત જરૂરી છે. ગાંધીજીને મળેલા આવા માનપત્રો માત્ર તેમના સન્માન અને ગુણગાનને જ અભિવ્યક્ત કરતા નથી , પણ પ્રવર્તમાન સ્થિતિમાં યુવાનો અને સમાજને માર્ગદર્શન પણ પૂરું પડે છે.

Wednesday, June 30, 2010

ફારસી શાયરીમાં સૂફીવાદ : ડૉ.મહેબૂબ દેસાઈ

ગઝલની ઉત્પતિ ઈરાનમાં થઈ હતી. તેના મૂળમાં કશીદા નામક કાવ્ય પ્રકાર પડ્યા છે.કશીદા એટલે પ્રશંશા કાવ્ય. હઝરત મોહંમદ સાહેબ(સ.અ.વ) કે અન્ય મહાનુભાવોની પ્રશંશામા જે કાવ્ય રચાતા અને જે ગીત સ્વરૂપે ગવાતા, તેને કશીદા કહેવામાં આવે છે. કશીદામાંથી તશબીબ (બાહ્ય વસ્તુનું વર્ણન કરતો એક કાવ્ય પ્રકાર) નામક કાવ્ય પ્રકાર ઉતરી આવ્યો. તશબીબમા સુંદરતાની પ્રશંશા,પ્રેમ અને પ્રિયતમની વાતો થતી. આ તશબીબે ધીમે ધીમે ગઝલ નામક નવા કાવ્ય પ્રકારને જન્મ આપ્યો. આરંભમાં ઈરાનમાં ફારસી ભાષામાં લખાયેલી ગઝલોમાં પ્રેમ અને પ્રિયતમા કેન્દ્રમાં હતા. પણ પછી ધીમે ધીમે ગઝલના વિષય વસ્તુમાં પરિવર્તન આવતું ગયું. સૂફીવિચારના ઉદભવ પછી સૂફી વિચારોના પ્રચાર પ્રસારમાં ગઝલે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

વલસાડના રાહે રોશનના નિયમિત વાચક શ્રી રમેશચંદ્ર ચોખાવાલાએ ઘણીવાર પ્રશ્ન કર્યો છે કે સૂફીઓ ખુદાને કયા સ્વરૂપે પ્રેમ કરે છે ? સ્ત્રી કે પુરુષ ? ફારસી ભાષામાં સ્ત્રી અને પુરુષ બંને માટે એક જ વિશેષણ અને ક્રિયાપદ વપરાય છે. ભાષાની આ વિશિષ્ટતાને કારણે ગઝલ કે શાયરીના વિષય અને તેના આંતર સ્વરુપ ઉપર ઘણી અસર થઈ છે. એમાં પ્રેમપાત્ર પ્રિયતમને એક જ જાતિ ને પુરુષમાં સંબોધવાનંબ હોવાથી ઈરાનના શાયરોએ અલ્લાહને માશુક બનાવ્યો અને તેના પ્રેમરસમાં એકાકાર થઈ ગઝલો લખી.સૂફીવાદના વધતા જતા પ્રચારને કારણે ધીમે ધીમે ગઝલમાં આધ્યાત્મિક અભિગમ કેળવતો ગયો. અને ગઝલો બે પ્રકારમાં વિભાજીત થવા લાગી. ઈશકે મિજાજી (મજાજી) અને ઈશ્કે ઇલાહી. ઈશ્કે મજાજીમા હુસ્ન, શ્રુંગાર, અને પ્રિયતમા પ્રત્યેની કશિશ અર્થાત આકર્ષણ કેન્દ્રમાં હોઈ છે. જેમકે જીગર મુરારાબાદીનો એક શેર છે,

“શર્મા ગયે, લજ્જા ગયે, દામન છુડા ગયે,
એ ઈશ્કે મહેરબાં, વો યહાં તક તો આ ગયે”

જયારે ઈશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્રને માત્ર ખુદાનો પ્રેમ હોઈ છે. અને એટલે જ સૂફી ગઝલોમાં તસવ્વુફ(બ્રહ્મવાદ)નું હુસ્ન અને તેની ખુબસુરતી જોવા મળે છે. તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઈશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટને ધારદાર રીતે વ્યક્ત કરતો હોઈ છે. ઇખ્ત્યાર ઈમામ સીદ્દીકીનો એક શેર છે,

“વો નહિ મિલતા મુઝે ઇસકા ગિલા અપની જગહ,
ઉસકે મેરે દરમિયા કા ફાસલા અપની જગહ”

હકીમ સનાઈ, ફરીદુદ્દીન અત્તાર, મોલાના જલાલ્લુદ્દીન રૂમી, શેખ સાદી, અમીર ખુશરો, ખ્વાજા હાફીઝ, મુલ્લા નુરુદ્દીન જામી જેવા ફારસી શાયરોએ ગઝલોમાં ઈશ્કે ઈલાહીને બખૂબી રજૂ કરેલ છે. અને સૂફીવાદના રહસ્યોને સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.

એ જ રીતે મસ્નવી નામક કાવ્ય પ્રકારમાં પણ સૂફી વિચારને ખાસું પ્રધાન્ય મળ્યું છે. આ કાવ્ય પ્રકારના પિતા રુદકી (મુ. ઈ.સ. ૯૪૧) હતા. મનુષ્યની તમામ જાતની માનવીય ભાવનાઓ, કુદરતી વર્ણન,બનાવોનું કથન વગેરેની રજૂઆત માટે મનસ્વી ખુલ્લા મેદાન સમાન છે. એમા કિસ્સાઓ, કહાનીઓ, વિરકથા, ઇતિહાસ,નીતિબોધ, ફિલસુફી તેમજ સૂફી વિષયોના વિવરણો,અવલોકન અને છણાવટ બખૂબી રજૂ થયા છે. મોલાના રૂમીએ પોતાની મનસ્વીમા કુરાને શરીફનું સરળ વિવરણ કરેલ છે. જે દળદાર છ ભાગોમાં છે. મનસ્વી એ ફારસી ભાષાનો લાંબામાં લાંબો કાવ્ય પ્રકાર છે. જેમ કે ૨ જુન ૧૮૯૬ના રોજ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ડરબનમા આપવામાં આવેલ માનપત્ર મસ્નવી શૈલીમા લખાયું હતું. જે લગભગ એકત્રીસ કડીઓમાં લખાયું હતું. જેની પ્રથમ બે કડીમાં નીચે મુજબ ખુદાની તારીફ કરવામાં આવેલી છે.

"કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાંકા ગફ્ફૂર રહીમ

કિયા જિસને પૈદા જમી આન પર
મેં કુરબા હું ઉસકે નામ પર”

સૂફીવિચારને વાચા આપતી મુલ્લા નુરુદ્દીન અને અમીર ખૂસરોની મનસ્વીઓ જાણીતી છે. મનસ્વી જેવા જ એક અન્ય કાવ્ય પ્રકારે સૂફી વિચારના પ્રચાર પ્રસારમાં મહત્વનું પ્રદાન કરેલ છે. તે છે રૂબાઈ. રૂબાઈ નામના લઘુ કાવ્ય પ્રકારમા નીતિ , ફિલસુફી અને રહસ્યવાદ વગેરેને લગતા વિચારો પ્રદર્શિત થયા છે. રૂબાઈ માત્ર ચાર પંક્તિમાં જ લખાય છે. તેમાં પ્રથમ બે તુક(કડી) સામાન્ય કોટીની હોઈ છે. જયારે છેલ્લી બે તુક ઊચ્ચ કક્ષાની હોય છે. ફારસી કાવ્ય શૈલીમાં રૂબાઈ ટૂંકામાં ટૂંકો કાવ્ય પ્રકાર છે. જો કે તેની ચાર લાઈનોમાં રૂબાઈના પુરા વિષયનો નિચોડ આવી જાય છે. તેમાં સૂફી ભાવોના પ્રદર્શન માટે પ્રતીકોનો શિષ્ટ માર્ગ અપનાવામાં આવ્યો છે. અર્થાત જે સ્થાન પ્રતીકોનું ગઝલમાં છે તેવું જ રૂબાઈમા છે. અબુ સઈદ અબુ ખેર અને ઉમર ખૈયામની રૂબાઈઓ સૂફી વિચારની અભિવ્યક્તિ માટે જાણીતી છે.

Saturday, June 26, 2010

ખુદાનો બંદો ગેબનો દરવેશ : ડૉ. મહેબૂબ દેસાઈ

રૂસ્વા મઝલુમી-માણસ કહી શકાય તેવો સાચ્ચો માણસ. અલ્લાહનો એવો બંદો જેની ઇબાદતમાં ઈમાનદારી અને શાયરીમાં ઈબાદત હતી. અને એટલે જ જયારે અલ્લાહની વાત નીકળતી ત્યારે રુસ્વા મઝલૂમ અચૂક કહેતા,
“અલ્લાહ તો ઈમાન છે , વિશ્વાસ છે. આપના હદયમાં અલ્લાહ માટે મહોબ્બત અને લગાવ છે એ જ ઈમાન છે, એ જ અલ્લાહ છે.” “મારોય એક જમાનો હતો” (સંપાદક-લેખક: રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારી)નામક પુસ્તકમા રુસ્વા મઝલુમીના આવા બિન્દાસ જીવન,કવન અને વિચારોને હૃદય સ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યા છે.


રૂસ્વા મઝલુમી પાજોદના દરબાર શ્રી. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબીનું ઉપનામ છે. રુસ્વા સાહેબની ગઝલોમાં રજૂ થયેલા મજહબી વિચારોમા ભારતની વિવિધતામાં એકતાની મહેક પ્રસરેલી છે. મંદિર અને મસ્જિત વચ્ચેની ભેદ રેખાનું વિલીનીકરણ તેમની રચનાઓમાં વારંવાર ડોકયા કરે છે.

“યે મસ્જિત હૈ , વો બુતખાના
ચાહે યે માનો ,ચાહે વો માનો,
મકસદ તો હૈ દિલકો સમજાના,
ચાહે યે માનો,ચાહે વો માનો”

ખુદા મસ્જિતમાં પણ છે અને બુતખાના(મંદિર)મા પણ છે. બંનેમાથી જેને ચાહો તેને માનો.એમ કહેનાર રુસ્વા સાહેબ મસ્જિતમાં પણ પરાણે જવાનો ઇનકાર કરે છે. ઈબાદતનો દેખાડો રુસ્વને જરા પણ મજુર નથી. અને એટલે જ રુસ્વા સાહેબ લખે છે,

“ખુદા ખાતર મને ખેચી ન જા મસ્જીતમાં એ ઝાહિદ,
કે મને દેખાવ કાજે દેખાવું નથી ગમતું “

ઈબાદતએ દિલી ખ્વાહિશ છે. તેમાં દંભ કે દેખાડાને સ્થાન નથી. ખુદા સાથેની મહોબ્બતનું તે પરિણામ છે.એટલે તેમાં કયાંય ભય કે મજબુરીને પણ અવકાશ નથી.વળી,રુસ્વા સાહેબ માટે ધર્મ,મજહબ એ કોઈ ક્રિયાકાંડ નથી તેઓ ધર્મની વિભાવના સ્પષ્ટ કરતા લખે છે,

“મજહબ એટલે ધર્મ. અને ધર્મ એટલે ઈબાદત,ભક્તિ. મારી નજરમાં મજહબ એટલે ખુદાએ સોંપેલ કાર્ય. તમે કોઈના નોકર છો. તો તેની નોકરી ઈમાનદારીથી કરો એ જ તમારો સાચ્ચો ધર્મ છે.એ જ તમારી સાચ્ચી નમાઝ છે. એ જ તમારી સાચ્ચી ભક્તિ છે.” મજહબની આવી સ્પષ્ટ વિભાવના કરનાર રુસ્વા સાહેબની ગઝલોમાં કયાંક કયાંક સૂફી રંગોના છાંટણા જોવા મળે છે.

“ રંગ છું, રોશની છું, નૂર છું,
માનવીના રૂપમાં મનસુર છું,
પાપ પુણ્યની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબૂર છું”

સૂફી સંતોના બાદશાહ મન્સુરને માનવીના રૂપમા પોતાના વ્યક્તિત્વમાં સાકાર કરવા મથતા રુસ્વા સાહેબની પાપ અને પુણ્ય અંગેની વિચારધારા ભિન્ન છે.માનવી તેની ફિતરત અર્થાત સ્વભાવથી મજબૂર છે.એટલે તે કયારેક પાપ પુણ્યની ફિક્ર કર્યા વગર જિંદગી જીવે છે. અને જિંદગીને ભરપેટ માણી લેવા મથે છે. જિંદગી પ્રત્યેની તેની એ જ્ મહોબ્બત તેને ઈશ્કે મિજાજીમાંથી ઈશ્કે ઇલાહી તરફ દોરી જાય છે. એ જ રીતે સૂફી વિચારધારાના એક મૂળભૂત લક્ષણ સમી ધર્મનિરપેક્ષતા રુસ્વા સાહેબની રચનાઓની જાન છે.

થઇ જાય નિછાવર સ્મિત સઘળાં એવાં હું ક્રંદન લાવ્યો છું,
ફૂલોની ધડકન લાવ્યો છું, ઝાકળનાં સ્પંદન લાવ્યો છું.
નરસિંહની ઝાંખીમાંથી હું મોહનની મઢૂલીમાં ધરવા,
ચેતનના ચંદન લાવ્યો છું, આતમના વંદન લાવ્યો છું.

નરસિંહ અને મોહનને વંદન કરતા રુસ્વા સાહેબની આ ચાર લાઈનોમાં શુદ્ધ ગુજરાતી ભાષાની શાન જોવા મળે છે. આ ચાર લાઈનોમાં એક પણ ફારસી કે ઉર્દૂ શબ્દ શોધ્યો નહિ જડે.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા તલપાપડ હતા. તેમણે રુસ્વા સાહેબને પણ પોતાની સાથે રહેવા વિનંતી કરી હતી. એવા સમયે રુસ્વા સાહેબ વતન-પરસ્તીની મિશાલ બની રહ્યારવિવાર, 27 જૂન 2010. કેટલાક નવાબોનો રોષ વહોરીને પણ ભારતીય સંઘમાં જોડાવા તેમણે દસ્તખત કર્યા હતા. તે સમયની તેમની દ્રઢ મનોદશા આ ગઝલમાં ચિત્રિત થાય છે.


“નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે,
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.
તમે સોગંદનામું શું જુઓ છો, કાર્ય ફરમાવો !
બંધાયો છું ગમે તે કાર્ય કરવા હું વતન માટે”

ગુજરાતી ગઝલના પિતામહ સમા અમૃત ઘાયલ અને રુસ્વા મઝલુમી પરમ મિત્ર હતાં. એ નાતે મિત્ર રુસ્વા મઝલુમીની ફીતરતને અભિવ્યક્ત કરતા અમૃત ઘાયલ લખે છે,

“ભાઈથી હિંદુને અધિક માને
એ મુસલમાન એટલે રુસ્વા

બાંધી બ્રાહ્મણને હિંદુ મુસ્લિમનું
ક્રોસ સંધાન એટલે રુસ્વા

દેવ મંદિરના ધૂપ: મસ્જીતમાં
જલતો લોબાન એટલે રુસ્વા

ખૂદાનો બંદો ગેબનો દરવેશ
ને કદરદાન એટલે રુસ્વા”

આવા શાયર રુસવા મઝલુમીને આપણા સૌના સો સો સલામ.
(લખ્યા તારીખ ૨૭-૦૬-૨૦૧૦ રવિવાર)

Wednesday, June 23, 2010

હઝરત હસન બસરી : ડૉ. મહેબૂબ દેસાઈ

૮૯ વર્ષનું આયુષ્ય(જન્મ હિજરી ૧૧૦) ભોગવી ખુદાની રહેમતમાં પહોંચી જનાર ખ્વાજા હસન બસરી ઇસ્લામ અને સૂફી વિદ્વાનોમાં મોખરેનું સ્થાન ધરાવે છે. ઈરાકના બસરા શહેરમાં જન્મેલા હસન બસરીનો ખાનદાની વ્યવસાય હીરા-મોતીનો વેપાર હતો. આપના અમ્મા હઝરત મોહંમદ સાહેબના પત્ની સલમાના દાસી હતા. એટલે તેમનો ઉછેર મંહમદ સાહેબના યુગમાં અને તેની નજરો સામે થયો હતો. કયારેક હસન બસરીના અમ્મા કામમાં હોઈ ત્યારે હઝરત સલમા (ર.અ.) તેમને રમાડતા અને તેમનું દૂધ પણ પીવડાવતા.
દારા શિકોહ કૃત ગ્રંથ “સફીનતુલ અવલીયા”મા હઝરત હસન બસરીની વિગતે જીવન વૃતાંત આપવામાં આવ્યું છે. બચપણમાં હસન બસરી અત્યંત ખુબસુરત હતા. હઝરત ફારુખ-એ-આઝમ તેમને જોઈનેજ બોલી ઉઠ્યા હતા,
“આ બાળકનું નામ હસન રાખજો કારણકે તે અત્યંત ખુબસુરત છે.”
હઝરત હસન બસરી યુવાન થતા જ ખાનદાની વ્યવસાયમાં જોડાઈ ગયા. એકવાર તેઓ હીરા મોતીના વેપાર અર્થે રૂમ (રુમાનિયા) દેશમાં ગયા.એ દિવસે ત્યાના વઝીર બહાર જવાની ઉતાવળમાં હતા. એટલે તેમણે યુવા હસનને પોતાની સાથે આવવા કહ્યું. બંને એક જંગલમાં પહોંચીય. જંગલમાં સોનાના તાર, ખીલાઓ અને હીરા મોતીથી સુશોભિત એક તંબુની આસપાસ સીપાયો ખુલ્લી તલવારે પ્રદક્ષિણા કરતા હતા. એમની પાછળ વૃદ્ધ આલિમો (જ્ઞાનીઓ) હતાં. અને તેની પાછળ સુંદર યુવતીઓ હતી.સૌ ગમગીન હતા. આ દ્રશ્ય જોઈ હસન બસરીને નવાઈ લાગી. તેમણે વઝીરને તેનું રહસ્ય પૂછ્યું. વઝીર એક પળ વિચારી અત્યંત ગમગીન સ્વરે બોલ્યા,
“આ તંબુમાં રૂમ દેશનો અત્યંત સુંદર શાહજાદો ચીર નિંદ્રામાં સુતો છે. સામાન્ય માંદગીમાં જ તેની વફાત થઈ ગઈ હતી. રૂમ દેશના શુરવીર સીપાયો તંબુની પ્રદક્ષિણા કરતા કરતા કહી રહ્યા છે કે અમારી તલવાર પણ અમારા શાહ્જદાને બચાવી નથી શકી. વૃદ્ધ આલિમો પણ પ્રદક્ષિણા કરતા કહી રહ્યા છે, અમારું જ્ઞાન અને દુઆ પણ તમને બચાવી શક્યા નથી. આ સુંદર કન્યાઓ પણ કહી રહી છે કે અમારું હુસ્ન પણ અમારા શહજાદાને બચાવી નથી શક્યું.”
વઝીરનું આ કથન હસન બસરીના હદયમાં ઉતરી ગયું. ખુદાની બેહિસાબ તાકાતનો તેમને અહેસાસ થયો. અને હીરા-મોતીનો વેપાર છોડી તેઓ ખુદાની ઇબાદતમાં લાગી ગયા. હઝરત હસન બસરીએ તેમના ગુરુ તરીકે મોહંમદ સાહેબના પ્રિય પાત્ર અને તેમના જમાઈ હઝરત અલીએ પસંદ કર્યા હતા. તોહફા નામક કિતાબમાં આ અંગે લખ્યું છે,
“હઝરત હસન બસરી, હઝરત અલીથી “બયત” (મુરીદ-શિષ્ય) થયા હતા. જેને કારણે તેમનું જીવન મહેકી ઉઠ્યું હતું”
હસન બસરી એમના યુગના શ્રષ્ઠ વિદ્વાન હતા. એ યુગના એક સૂફીને કોઈકે પૂછ્યું,
“હસન બસીર આપણા શ્રેષ્ટ વિદ્વાન શા માટે છે ?”

એ સૂફી એક પળનો પણ વિલંબ કર્યા વગર બોલી ઉઠ્યા,
“ હસનના ઈલમની દરેક માનવીને જરૂર છે, પણ હસનને તો અલ્લાહ સિવાય કોઈની જરૂર નથી. અને એટલેજ તે શ્રેષ્ટ છે.”
એકવાર હસન બસરી વ્યાખ્યાન કરી રહ્યા હતા. એક શ્રોતાએ તેમને અટકાવીને પૂછ્યું,
“ઇસ્લામ એટલે શું ?”
હસન બસરી બોલ્યા,
“મુસ્લામાની દર કિતાબ વ મુસલમાન દર ગોર” અર્થાત ઇસ્લામ માત્ર કિતાબમાં છે, અને સાચા મુસ્લિમો માટી નીચે કબરમાં છે”
એક સભામાં આપે કહ્યું, “ પરહેજગારી ઇસ્લામના મૂળમાં છે” સભામાંથી એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો,”પરહેજગાર કેવી રીતે થવાય ?”
આપે ફરમાવ્યું, “ લોભ , લાલચનો ત્યાગ પરહેજગાર બનવાનો સાચો માર્ગ છે”

હઝરત હસન બસરીએ એકવાર હઝરત સઈદ બિન ઝમીરને કહ્યું,
“ કોઈ પણ સંજોગોમા ક્યારેય ત્રણ કામ કરશો નહિ.
૧. કોઈ પણ બાદશાહ તમારા પર ગમે તેટલી મહેરબાની કરે, તેનો સંગ કરશો નહિ.
૨. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં બેસસો નહિ,પછી ભલે તે રાબીયા બસરી કેમ ન હોઈ.
૩. ક્યારેય રંગ રાગમાં પડશો નહિ.
હઝરત હસન બસરીના બોધ વચનો પણ માણવા જેવા છે. થોડાક વચનોનો આસ્વાદ માણીએ

“ થોડોક તકવા અને પરહેજગારી હઝાર વર્ષના નમાઝ અને રોઝા બરાબર છે.”
“ નેક કાર્યો અને પરહેજગારી એ તમામ કર્મોથી શ્રેષ્ઠ છે.”
“માનવીમાં સહેજ પણ સ્વાર્થ અને ક્રોધ ન હોઈ તો તે મરેફ્ત (બ્રહમજ્ઞાની) છે.”
“જેની વાણી કડવી તેની વાત લડાકુ”
“માનવીની બુરી સંગત તેને નેક લોકોથી દૂર રાખે છે”

૫ મુસ્લિમ માસ રજબ હિજરી ૧૧૦ના રોજ આપણી વફાત થઈ

Wednesday, June 16, 2010

રાજકોટ જિલ્લાની મુસ્લિમ પ્રતિભાઓ : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વમાં ભારતની પ્રતિભા વિશિષ્ઠ છે. ભાષા, જાતિ,ધર્મ અને પર્યાવરણની ભિન્નતા હોવા છતાં તે ભારતની આગવી સંસ્કૃતિ અને ઓળખ બની ગયા છે. વિવિધતામાં એકતા એ આપણી પ્રચંડ શક્તિ છે. ભારતનો સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ મુસ્લિમ એકતાનું તે આદર્શ દ્રષ્ટાંત છે. ભારતની આઝાદીની લડત હોઈ કે વિકાસની સંધર્ષ ગાથા હોઈ સૌએ સાથે મળી ભારત માતાની મુક્તિ કાજે કે તેને સજાવવા- સંવારવા માટે બેશુમાર બલિદાનો આપ્યા છે. બહાદુરશાહ ઝફરથી આરંભીને અશ્ફાકુલ્લાહ જેવા અનેક મુસ્લિમોએ પોતાના બલીદાનથી ભારત માતાના મુક્તિ યજ્ઞમાં આહુતિ આપી છે. ભારતની આ પરંપરાથી રાજકોટ પણ અલિપ્ત નથી રહ્યું. આઝાદી પૂર્વે અને પછી સૌરાષ્ટ્રના વિકસિત શહેર અને જીલ્લા તરીકે રાજકોટે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેની પાછળ હિદુ-મુસ્લિમ બને સમુદાયનો સંઘર્ષ પાયામાં પડ્યો છે. આજે એવી કેટલીક મુસ્લિમ પ્રતિભાઓની વાત કરવી છે, જેણે રાજકોટ જીલ્લાની શાન વધારવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું છે.

ઈ.સ. ૧૬૬૭મા રાજુ નામના સિંધીએ વસાવેલ નાનકડી વસાહત ધીમે ધીમે ગામડું બન્યું. જેનું નામ રાજકોટ પડ્યું.ઈ.સ. ૧૭૦૨ સુધી રાજકોટ રાજુ સિંધીના વંશજોના કબજામાં રહ્યું. જાડેજા વંશના પરાક્રમી રાજા વિભાજીના રાજ્યમાં તેનો વિકાસ થયો. ઈ.સ. ૧૭૨૦મા રાજકોટનો મહાલ માંસુમખાનને જાગીરમાં મળ્યો. ઈ.સ. ૧૭૨૨મા માસુમખાને રાજકોટનો કિલ્લો બંધાવ્યો અને રાજકોટને “માસુમાબાદ” નામ આપ્યું.બસ ત્યારેથી રાજકોટ સાથેનો મુસ્લિમોનો નાતો આરંભાયો.જો કે ઈ.સ. ૧૭૮૯મા પાટવીકુંવર શ્રી રણમલજીએ માંસુમખાનને મારી રાજકોટ કબજે કરી લીધું. પણ માસુમખાને બંધાવેલો એ કિલ્લો વર્ષો સુધી માસુમખાનની યાદ અપાવતો રહ્યો.

આમ રાજકોટની ધરા સાથે આરંભાએલ મુસ્લિમ સંબંધો છેક ભારતના સ્વાતંત્ર સંગ્રામમા પણ યથાવત રહ્યા. ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન રાજકોટમાં ચાલેલ જવાબદાર રાજ્યતંત્રની લડત (૧૯૩૯)મા અસગરઅલી યુસુફઅલી ગાંધી(જન્મ ૫-૩-૧૯૨૦)ની સક્રિયતા આજે પણ રાજકોટની જૂની પેઢીની સ્મૃતિમાં ભંડારાયેલી પડી છે.ઈ.સ.૧૯૪૦-૪૧ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં પણ તેઓ સક્રિય હતાં. જુનાગઢની આરઝી હકુમતની લડતમાં પણ એક સિપાઈ તરીકે જોડાયા હતા. એ જ રીતે ઈસ્માઈલભાઈ કાનજીભાઈ હીરાની(જન્મ ૧૯૦૮ આંબરડી)એ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની પ્રજાકીય સુધારણા અને લડતોમાં કેળવેલ સક્રિયતા પણ ઇતિહાસના પાનાઓ પર નોંધયેલી છે.તેઓ આગાખાની ખોજા હતા.સાચા સમાજ સુધારક હતાં.રૂઢીચુસ્ત ધાર્મિક રિવાજોના કટ્ટર વિરોધી હતા.સમાજવાદી વિચારધારાના પ્રખર હિમાયતી હોવા છતાં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો પ્રત્યેની તેમની સક્રિયતા તારીફે કબીલ હતી. આઝાદી સંગ્રામના એ યુગમાં ધોરાજીના ઈસ્માઈલભાઈ જમાલભાઈ બેલીમના

અખબાર “”કાઠીયાવાડે”” પણ પ્રજાકીય લડતનો શંખ વગાડ્યો હતો.ગોંડલ રાજ્યની અમાનવીય શાશન પદ્ધિત સામે બંડ પોકારનાર ઈસ્માઈલભાઈનો અંત કરુણ હતો. રાજ્યની અંધારી જેલમાં છેલ્લા દિવસો અત્યંત યાતનામાં ગુજારનાર ઈસ્માઈલભાઈ આજે તો ઇતિહાસના પડળોમાં વિસરાઈ ગયા છે પણ તેમના બલિદાનને આ પળે યાદ કરી તેની કદર તો અવશ્ય કરીએ.એવા જ અન્ય એક ગાંધીજીના પરમ ભક્ત વાંકાનેરના વતની ઈસ્માઈલભાઈ નાગોરી (૧૯૦૪-૧૯૮૩) હતા. ૧૯૩૦ની લડતમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. ઈ.સ. ૧૯૪૨ની હિન્દ છોડો લડતમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. આપણા જાણીતા ચિંતક અને લેખક મનુભાઈ પંચોલીના ખેતી વિષયક ગુરુ ઈસ્માઈલભાઈએ સૌરાષ્ટ્રમાં ગાંધીજીના રચનાત્મક કાર્યોને તરવડામાં અદભુત સાકાર કર્યા હતો.


જેતપુરના વતની અને મેમણ સમાજના પિતામહ જનાબ સર આદમજી અને ગાંધીજી પરમ મિત્ર હતા. ઇતિહાસમાં બંને વચ્ચેના ઘરોબાની સાક્ષી પુરતી અનેક ઘટનાઓ દટાયેલી પડી છે.૧૦ થી ૧૨ ઓક્ટોબર ૧૯૩૧ દરમિયાન સર આદમજીએ રાજકોટમાં “અખિલ મેમણ ગ્રેટ કોન્ફરન્સ” નું આયોજન કરી સમગ્ર વિશ્વના મેમણોને રાજકોટની ધરતી પર ભેગા કરી રાજકોટનું નામ વિશ્વના નકશામાં ઘાટા અક્ષરોમાં અંકિત કર્યું હતું. ૨૮ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ તેમનું અવસાન થયું. ભારતના ટોચના ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામ બિરલાએ તેમને શ્રધાંજલિ અર્પતા કહ્યું હતું,

“તેઓ ખરા અર્થમાં મહા પુરુષ હતા”

ભારતના પ્રથમ કક્ષાના નેતા અને આઝાદ હિન્દ ફોજના સરદાર સુભાષ ચંદ્ર બોઝના સાથી ધોરાજીના વતની અબ્દુલ હબીબ હાજી યુસુફ મારફાનીને ભલે ઝાઝી ઓળખ સાંપડી ન હોઈ.પણ ઇતિહાસના પાનાઓમાં તેમનું સ્થાન અગ્ર છે અને રહેશે. સુભાષ ચંદ્ર બોઝને રંગુનમાં આર્થિક મદદ પુરી પડનાર અબ્દુલ હબીબનું નામ રાજકોટ વાસીઓ ગર્વથી લઈ શકે તેમ છે. ધોરાજીના વતની સુલેમાન શાહ મુહંમદ લોધીયનું નામ ગુજરાતના પ્રથમ મુસ્લિમ વિશ્વ પ્રવાસી તરીકે જાણીતું છે. ૧૮૮૭ થી ૧૮૯૫ દરમિયાન તેમણે અરબસ્તાન, સિરિય, જેરુસાલેમ, તુર્કી, ઈજીપ્ત, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ, જાવા, સિંગાપોર, ચીન, હોંગકોંગ, જાપાન અને અમેરિકાનો પ્રવાસ કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો.


સ્વાતંત્ર યુગ પછી આઝાદ ભારતના નવ પલ્લવિત વતાવરણમાં પણ રાજકોટ અને જીલ્લાની મુસ્લિમ પ્રતિભાઓએ વિશ્વમાં રાજકોટનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. પાજોદ (જિ જુનાગઢ) દરબાર અને ગુજરાતના ઉત્તમ કોટીના શાયર રુસ્વા મઝલુમી ભલે રાજકોટના વતની ન હોઈ પણ તેમનું નિવાસ રાજકોટ જ રહ્યું છે.એ નાતે રાજકોટના પ્રતિભાશાળી મુસ્લિમોમાં તેમનું નામ અસ્થાને નહિ ગણાય.

“રંગ છું હું ,રોશની છું, નૂર છું ,
માનવીના રૂપમાં મનસુર છું,

પાપ પુણ્યોની સીમાથી દૂર છું,
માફ કર ફિતરતથી હું મજબુર છું”

આ જ રુસ્વા સાહેબ રાજકોટના ગુણગાન ગાતા કહે છે,
“રાજકોટ આને કે બાદ અલ્લાહને મેરી ઇતની મદદ કી હૈ , કી મેરી કલમ ખુબ ચલને લગી હૈ”

આવા રુસ્વા સાહેબ પર કયા રાજકોટવાસીને ગર્વ ન હોઈ?.

સમગ્ર એશિયા ખંડમાં પાવર લીફટીંગમા ચાર સુવર્ણ ચંદ્રકો જીતનાર રાજકોટની વીરાંગના નીર્લોફર ચૌહાણને કદાચ રાજકોટની પ્રજા ઝાઝી નહિ ઓળખતી હોઈ. એ જ રીતે ભારતની પ્રથમ મહિલા, જેણે ૬૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરેશુટ જંપ મારી ઇતિહાસ સર્જ્યો હતો, તે રોશનબહેન ચૌહાણ પણ રાજકોટની ધરતીની દેન છે. શિક્ષણ ક્ષેત્રમાં રાજકોટનું નામ રોશન કરનાર સૌ પ્રથમ મુસ્લિમ પ્રોફેસર અઝીઝ મેમણનો વિગતે પરિચય પણ રાજકોટની પ્રજાને નથી.અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમા ૨૫ વર્ષ રત રહેનાર પ્રોફેસર અઝીઝે અરબીમાં લખેલા ૨૫ પુસ્તકો આજે આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ છે. મિસર અને સીરિયાની યુનિવર્સીટીઓમા તે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ ભણાવાય છે. પડધરીના વતની, નાગપુરના મોટા ઉદ્યોગપતિ અને ઇસ્લામના વિદ્વાન હઝરત મોલાના અબ્દુલ કરીમ પારેખ સાહેબ પણ રાજકોટની શાન છે. ધોરાજીના શિક્ષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સૈયદ અમીનબાપુ અહેમદમિયા બુખારી પણ રાજકોટ જીલ્લાની પ્રતિષ્ઠા છે. જેતપુરના વતની અને ગુજરાત લઘુમતી બોર્ડના અધ્યક્ષ શહેનાઝ બાબીએ પણ ગુજરાતના સામાજિક-રાજકીય ક્ષત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

રાજકોટના પ્રખર વિચારક, કોલમિસ્ટ,પત્રકારત્વના પ્રોફેસર ડો. યાસીન દલાલને કેમ ભુલાય ? સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગના વડા રહી ચુકેલા યાસીનભાઈએ સર્જેલ પત્રકારત્વના ૭૦ પુસ્તકોએ તેમને “લીમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડ” માં સ્થાન અપાવ્યું છે. તેમના પુસ્તકો સમગ્ર ગુજરાતના પત્રકારો માટે આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે. યાસીનભાઈ રાજકોટ અંગે પોતાનો લગાવ વ્યક્ત કરતા કહે છે,

“રાજકોટે મને માન,મરતબો અને ઈજ્જત બક્ષ્યા છે”

રાજકોટના સંધી મુસ્લિમોનું રેડીઓ,દૂરદર્શન અને ફિલ્મોના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ચલચિત્રની જાણીતી અભિનેત્રી મોના ઠેબા રાજકોટની વતની છે. મુખ્ય અભિનેત્રી તરીકેની તેની બે ગુજરાતી ફિલ્મો “દીકરીનો માંડવો” અને મીંઢળ છૂટ્યા માંડવે” જાણીતી છે.તેમના પિતા બાબુભાઈ ઠેબા

અનેક અભિનેતાઓના રહસ્ય સચિવ અને ફિલ્મ નિર્માતા રહી ચુક્યા છે.તેમના માસા ઓસ્માનભાઈ ઠેબા રાજકોટ રેડિઓ કેન્દ્ર અને દૂરદર્શનના આરંભના દિવસોમા તેના હેડ હતા. જયારે મોના ઠેબાના કાકા આસીફ ઠેબા આજે પણ રાજકોટ દૂરદર્શનમા કાર્યક્રમ આયોજક અને પ્રોપર્ટી સહાયક તરીકે સક્રિય છે.તેમણે દૂરદર્શન માટે અનેક લોકપ્રિય કાર્યક્રમોનું આયોજન કરેલ છે.આસીફ ઝેરીયા પણ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા ગાયક છે. રાજકોટના વાતની આસીફભાઈએ હિન્દી ફિલ્મોના ૪૦ જેટલા નામાંકિત ગાયકો સાથે ગીતો ગાયા છે.

આ ઉપરાંત શ્રી અહેમદભાઈ જીન્દાની,શ્રી ઇલીયાસ ખાન,શ્રી ગનીભાઈ કાળા,શ્રી કાદર સલોત (રાજકારણી), શ્રી એ.કે.લાલાણી (એડવોકેટ), શ્રી ઓસ્માન તાબાણી(વેપારી), શ્રી ફારુખ બાવણી (વર્ડ મેમણ ફેડરેશનના મંત્રી), શ્રી અબ્દુલ લતીફ ઈબ્રાહીમભાઈ બાવાની(જેતપુર),ડો.મુમતાઝ શેરસીયા (વાંકાનેર) , શ્રી સુલેમાન સંધાર(ગેબનશાહ પીરના ટ્રસ્ટી) જેવા ઘણા નામો હજુ આમા ઉમેરી શકાય.જેમણે રાજકોટ શહેર અને જીલ્લાની આન અને શાનમાં અભિવૃદ્ધિ કરી છે. પરંતુ લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી અત્રે થોડાક જ નામો મૂકી શકાયા છે. ઉલ્લેખ ન થઈ શકેલ એ સૌ મુસ્લિમ પ્રતિભાઓને નત મસ્તકે સલામ સાથે વિરમીશ.