Friday, July 17, 2009

ખુદાનું ઘર : ડો. મહેબૂબ દેસાઈ

મસ્જિદ શબ્દ સિજદ અર્થાત્ સિજદા પરથી આવ્યો છે. ઇબાદત (ભકિત) કે બંદગીની નિયતથી ખુદા-ઈશ્વર પાસે પેશાની(મસ્તક) ટેકવવું એટલે સિજદો કરવો. ઇસ્લામમાં સિજદો માત્ર ખુદાને જ કરવાનો આદેશ છે. સિજદો કરવાનું ઇસ્લામિક સ્થળ એટલે મસ્જિદ. મસ્જિદ ખુદા-ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાનું ઉત્તમ અને પવિત્ર સ્થળ છે. આવું સ્થળ ઇંટો કે પથ્થરોનું ન પણ હોય. ઝાઝું સુશોભિત ન પણ હોય છતાં તેને નમાજ પઢવા માટે મસ્જિદ તરીકે સ્વીકારેલું હોય. જયાં નિયમિત પાંચ વકતની અઝાન નમાજ થતી હોય, તેવા કોઇ પણ પવિત્ર-પાક સ્થળને મસ્જિદ કહી શકાય. એક વાર કોઇ કે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ને પૂછ્યું, ‘દુનિયામાં સર્વોત્તમ સ્થળ કયું?’ આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘દુનિયામાં સર્વોત્તમ સ્થળ ખુદાની નજરમાં મસ્જિદ છે. ખુદાના ઘર મસ્જિદ માટે ઇસ્લામમાં કેટલાક આદેશો આપવામાં આવ્યા છે. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે.

‘જે વ્યકિતએ બદબૂદાર ડુંગળી-લસણ કે એવી કોઇ વસ્તુ આરોગી હોય, તે વ્યકિત મસ્જિદ પાસે ન આવે. કેમ કે તે વસ્તુની બદબૂ ઇન્સાનોને તકલીફ આપે છે. તે વસ્તુ ફરિશ્તાઓને પણ તકલીફ આપે છે. મસ્જિદમાં તમાકુ કે વ્યસનવાળી કોઇ પણ દુર્ગંધ મારતી વસ્તુ ખાઇને દાખલ થવું ગુનો છે. એ જ રીતે ખોવાયેલી વસ્તુ મસ્જિદમાં શોધવી નહીં. મસ્જિદમાં દુન્યવી વાતો કે ચર્ચા કરવી નહીં. મહંમદ સાહેબ (સ.અ.વ.) એ આ અંગે ફરમાવ્યું છે, ‘મસ્જિદમાં દુન્યવી વાતો મુસ્લિમની નેકીને એવી રીતે ખાય છે, જેમ આગ સૂકા લાકડાંને બાળી નાખે છે.’ મસ્જિદ ખુદાનું ઘર છે. તેની તામીર (નિર્માણ) કરવી એ ખુદાની નજરમાં મહામૂલ્યનું કાર્ય છે. હજરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, ‘જેણે અલ્લાહ માટે મસ્જિદ બનાવી, અલ્લાહ તેના માટે જન્નત (સ્વર્ગ) માં ઘર બનાવશે.’

મસ્જિદ બાંધવી કે તેના પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ પણ કાર્યમાં સહભાગી બનવું એ અઢળક પુણ્યનું કાર્ય છે. મસ્જિદના નિર્માણ પછી તેની જાળવણી કરવી, તેનું સમારકામ કરવું કે કરાવવું તે પણ સ્વર્ગના દરવાજામાં પ્રવેશવા જેટલું સવાબ(પુણ્ય) કાર્ય છે. જૉ કે આ બધી બાબતો મસ્જિદને ભૌતિક રીતે આબાદ કરે છે. પણ મસ્જિદની સાચી આબાદી રૂહાનિયત- આઘ્યાત્મિક છે. મસ્જિદ એ ખુદાનું ઘર છે. ખુદા સાથે વાત કરવાનુુંં સ્થળ છે. એટલે પાંચ વકતની નમાજ સમયે મોમિનો મોટી સંખ્યામાં મસ્જિદમાં હાજર થાય, ખુદામાં લીન થઇ, એકાગ્ર ચિત્તે નમાજ પઢે. નમાજ પછી સૌ ખુદા પાસે હાથ ચા કરી દુવા કરે. દીની બાબતોની ચર્ચામાં હાજરી આપે. જિક્ર કરે. નિયમિત તિલાવતે કુરાનથી મસ્જિદમાં આઘ્યાત્મિક વાતાવરણ પ્રસરાવે. અલ્લાહની યાદમાં તસ્બીહ (માળા) કરે. ગુનાઓની માફી માગે. ખુદાને વારંવાર સિજદો કરે. ત્યારે જ સાચા અર્થમાં મસ્જિદ આબાદ થઇ ગણાશે. જૉ કે મસ્જિદની આબાદીમાં ભૌતિક અને આઘ્યાત્મિક બંને બાબતો અનિવાર્ય છે. બંને બાબતો એક સિક્કાની બે બાજુઓ જેવી છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘ખુદાની મસ્જિદને એ જ લોકો આબાદ કરે છે, જેમને ખુદા અને કયામતના અંતિમ દિવસ પર ઇમાન(વિશ્વાસ) છે.’ ઇસ્લામની પ્રથમ મસ્જિદનું સર્જન હજરત મહંમદે (સ.અ.વ.) કર્યું હતું, તેનું નામ ‘મસ્જિદે કુબા’ છે. હજયાત્રાએ જનારા હાજીઓ તેની અવશ્ય મુલાકાત લે અને ત્યાં નમાજ અદા કરે.

મહંમદ સાહેબ(સ.અ.વ.) મક્કાથી હિજરત કરી મદીના આવી રહ્યા હતા ત્યારે મદીના પહોંચતા પહેલાં ‘કુબા’ નામના સ્થળે ૧૪ દિવસ રોકાયા હતા. મહંમદ સાહેબ(સ.અ.વ.) જેમના મહેમાન બન્યા હતા, તે હજરત કુલસુમ પાસે એક પડતર જમીન હતી. ત્યાં ખજૂરો સૂકવવામાં આવતી હતી. એ જમીન પર હજરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ના મુબારક હાથોથી મસ્જિદનો પાયો નખાયો હતો. મસ્જિદની બાંધણીમાં ખુદ મહંમદ સાહેબ(સ.અ.વ.) બીજા અનુયાયીઓ સાથે ખભેથી ખભો મિલાવી કાર્ય કરતા. વજનદાર પથ્થરો ઉપાડતી વખતે મહંમદ સાહેબ(સ.અ.વ.) કમરેથી વળી જતા. ત્યારે અનુયાયીઓ આપને વિનંતી કરતા.

‘યા રસૂલલ્લાહ, આપ પથ્થર ઉપાડવાનું રહેવા દો. અમે તે ઉપાડી લઇશું.’ મહંમદ સાહેબ(સ.અ.વ.) સહાબીઓની વિનંતીને થોડી વાર સ્વીકારતા અને પાછા પથ્થર ઉપાડવા લાગી જતા. આમ મહંમદ સાહેબ (સ.અ.વ.)ની મહેનત અને પસીનાથી બનેલી ‘મસ્જિદ-એ-કુબા’ આજે પણ મદીનામાં હયાત છે. કુરાને શરીફમાં ‘મસ્જિદ-એ-કુબા’ અંગે કહ્યું છે, ‘બેશક જે મસ્જિદનો પાયો પ્રથમ દિવસથી જ પરહેજગારી પર નાખવામાં આવ્યો છે, તે ખરેખર એ લાયક છે કે આપ તેમાં નમાજ માટે ભા રહો. આ મસ્જિદમાં એવા નેક પુરુષો નમાજ અદા કરે છે જે પાક સાફ રહેવાનું પસંદ કરે છે, અને અલ્લાહ પણ એવા જ પાક સાફ મુસ્લિમોને પસંદ કરે છે.’ હજરત અબ્દુલ બિન ઉમર ફરમાવે છે, ‘મહંમદ સાહેબ, મુનવ્વરાથી દર શનિવારે કુબાની મસ્જિદની જિયારત માટે કયારેક સવારી પર તો કયારેક પગવાળા આવી અને મસ્જિદમાં બે રકાત નમાજ અચૂક પઢતા.’ અને એટલે જ મસ્જિદ-એ-કુબામાં બે રકાત નમાજ પઢવાનો સવાબ (પુણ્ય) એક ઉમરાહ જેટલો છે. હજ માટે જતા હાજીઓ મદીનામાં રહે ત્યાં સુધી દરરોજ અથવા શનિવારે મસ્જિદે કુબામાં અવશ્ય નમાજ પઢે.

No comments:

Post a Comment