Sunday, June 14, 2009

ધર્મ પ્રચાર : ડૉ.મહેબૂબ દેસાઈ

ધર્મસંદેશ યાને તબ્લીગ

ડો. મહેબુબ દેસાઈ

ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોને લોકોમાં વહેતા કરી તેનો અમલ કરવા વિનંતી કરવી એટલે તબ્લીગ
દરેક ધર્મના સંતો-ઓલિયાઓ કે અનુયાયીઓએ પોતાના ધર્મના પ્રચાર-પ્રસારમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એક રીતે જોઈએ તો કોઈ પણ ધર્મનો પ્રચાર માનવ મૂલ્યોનો જ પ્રચાર છે, કારણ કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવી છે. અન્ય ધર્મો જેમ જ ઇસ્લામના સંતો-ઓલિયાઓએ પણ ઇસ્લામ ધર્મનો પ્રચાર કર્યો છે. ઇસ્લામમાં ધર્મસંદેશ પહોંચાડવાની ક્રિયાને ‘તબ્લીગ’ કહે છે. ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોને લોકોમાં વહેતા કરી તેનો અમલ કરવા વિનંતી કરવી એટલે તબ્લીગ.

એ અર્થમાં જોઈએ તો તબ્લીગ કે ધર્મસંદેશ લોકોમાં પહોંચાડવાનું કાર્ય હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબે સૌપ્રથમ કર્યું હતું. મક્કાની ગલીઓમાં ઇસ્લામનો સંદેશો પહોંચાડવા લોકોનાં અપમાનો, તિરસ્કારોને સહન કરતા મહંમદ સાહેબ (સ.અ.વ.)ને આપણે કેમ ભૂલી શકીએ?
મહંમદ સાહેબનો ધર્મસંદેશ એવી પ્રજા માટે હતો કે જેમાં ઇસ્લામની સમજનો બિલકુલ અભાવ હતો. આમ છતાં કુરાને શરીફના આદેશ મુજબ અત્યંત નમ્રપણે મહંમદ સાહેબ (સ.અ.વ)એ ધર્મસંદેશ લોકોને આપ્યો હતો. ધર્મસંદેશ આપવા અંગે કુરાને શરીફમાં અનેક આયતો-શ્લોકો છે. એક આયત-શ્લોકમાં કહેવામાં આવ્યું છે,

‘લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળ, સહન કર અને જયારે તેમનાથી છૂટો પડ ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ.’

ધર્મસંદેશ પહોંચાડવામાં કયારેય જબરજસ્તી ન કરવાની વાતનો તો કુરાને શરીફમાં અવારનવાર ઉલ્લેખ છે જ. પણ ધર્મસંદેશ આપનાર માટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે,

‘તારું અથવા કોઈ પણ પયગમ્બરનું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાથી વધારે કંઈ જ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. કારણ કે તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.’

આથી પણ આગળ વધુ સ્પષ્ટતા કરતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,

‘જે લોકો પાસે બીજાં ધર્મ પુસ્તકો છે તેમની સાથે ચર્ચા ન કરો અને કરો તો બહુ જ મધુર શબ્દોમાં કરો. પછી કોઈ હઠ કરે અને ન માને તો ભલે ન માને. તેમને કહો કે ખુદાએ (ઇશ્વર) જે પુસ્તક અમને આપ્યું છે, તેને અમે માનીએ છીએ અને જે પુસ્તક તમને આપ્યું છે તેને અમે માન આપીએ છીએ. અમારો અને તમારો ખુદા(ઇશ્વર) એક જ છે અને તે જ એક ખુદા આગળ આપણે માથું નમાવીએ છીએ.’

મદીના પહોંરયા પછી હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ) મદીના બહારના કબીલાઓમાં ધર્મસંદેશ પહોંચાડવા સમજુ અને સહનશીલ માણસોને મોકલતા ત્યારે તેમને ખાસ સૂચના આપતા,
‘લોકો સાથે નમ્રતાથી વર્તવું, કોઈ સાથે સખતાઈ ન વાપરવી, તેમનાં દિલ રાજી રાખવાં, તેમનું અપમાન ન કરવું. તેઓ સવાલ પૂછે કે સ્વર્ગની ચાવી કઈ છે? તો જવાબ દેજો ‘ઇશ્વર-ખુદા એક છે’ એ સત્ય અને ભલાઈમાં વિશ્વાસ રાખો અને ભલાં કાર્યોકરવાં એ જ જન્નત-સ્વર્ગની ચાવી છે.’
કુરાને શરીફના ત્રીસ ત્રીસ પારા એટલે કે પ્રકરણોમાં અને હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના સમગ્ર જીવનમાં કયાંય લોકોમાં ધર્મસંદેશ પહોંચાડવા બળજબરી, હઠાગ્રહ, ભય, લાલચ, જુઠ્ઠાણું, દંભ, દેખાડો કે અતિશયોકિતનો એક પણ શ્લોક-આયત કે દૃષ્ટાંત જોવા મળતા નથી. એટલે જ અરબસ્તાનના અંધકાર યુગમાં પણ મહંમદ સાહેબ (સ.અ.વ) ઇસ્લામનો સંદેશો સફળ રીતે લોકો સુધી પહોંચાડી શકયા અને અજ્ઞાનતાના અંધકારમાંથી અરબસ્તાનના વાસીઓને જ્ઞાનના પ્રકાશમાં આણી શકયા.

No comments:

Post a Comment