Sunday, June 14, 2009

Jihad By Prof. Mehboob Desai

જિહાદ અને અહિંસા


ડો. મહેબૂબ દેસાઈ


પોતાની અમાનવીય હિંસાને ન્યાયપૂર્ણ સિદ્ધ કરવા આતંકવાદીઓ દ્વારા વપરાતો શબ્દ એટલે જિહાદ કે જેહાદ. આતંકવાદીઓ કોઈ ધર્મના અનુયાયીઓ નથી. કોઈ ધર્મ આતંકવાદીઓનો ધર્મ નથી. પોતાના સંકુચિત વિચારોને ધર્મના નામે હિંસા દ્વારા વ્યકત કરવાની ચેષ્ટા કરનાર દરેક માનવી આતંકવાદી છે.

‘જેહાદ’ જેવા આઘ્યાત્મિક શબ્દનો સાચો અર્થ સમાજમાં પ્રચલિત નથી. જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ, અને આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ અંગે ફરમાવ્યું છે, ‘તમારી નફસ(આત્મા) સામે જેહાદ કરો.’ મોહ, માયા, ઇરછા, આકાંક્ષાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ એટલે જેહાદ. કુરાને શરીફમાં આ અંગે સ્પષ્ટ કહ્યું છે.’

જેહાદ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે. પરંતુ આખા ગ્રંથમાં કયાંય એ શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે.

ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા, અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ પઢીને, રોજા(ઉપવાસ) રાખીને, બીજાઓને દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને સદ્ઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કòત્યો માટેનો સંનિષ્ઠ યત્ન એટલે જેહાદ.

આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે, ‘સબ્ર સાથે જેહાદ કરો.’ જે મુસ્લિમોએ પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાના ઘરબાર છોડીને ઇથિયોપિયાના ખિ્રસ્તી બાદશાહનું શરણ લીધું હતું, તેમના એ કાર્યને પણ જેહાદ કહેવામાં આવે છે.

ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ (સ.બ.વ.)ના અનેક કિસ્સાઓ સંવાદો ‘જિહાદ કે જેહાદનો આ જ અર્થ વ્યકત કરે છે. કુરાને શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતા ખુદાએ કહ્યું છે, ‘જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા છતાં સરચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જેહાદ ચાલુ રાખો.’

હજરત આઈશા (રહિ.) એ એક વાર મહંમદ સાહેબ (સ.બ.વ.)ને પૂછ્યું, ‘યા રસુલિલ્લાહ, તમે જેહાદને સૌથી શ્રેષ્ઠ અમલ ગણો છો, તો શું અમારે તે ન કરવી?’

મહંમદ સાહેબ (સ.બ.વ.) એ ફરમાવ્યું, ‘સર્વશ્રેષ્ઠ જેહાદ ‘હજજે મબરૂર’ છે.’ અર્થાત્ હજ દ્વારા ગુનાહોની મુકિત સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.

મહંમદ સાહેબને એક વાર કોઈકે પૂછ્યું, ‘ સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) કોણ?’ આપે ફરમાવ્યું, ‘એ મુસ્લિમ જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.’

સહાબીએ વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, ‘એટલે શું?’

મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ફરમાવ્યું, ‘અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે કે જે માણસ દિવસના રોજા રાખે છે અને રાત્રે ખુદાની ઇબાદતમાં લીન રહે છે.’

એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘સૌથા મોટી જેહાદ કઈ?’

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, ‘સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે?’

ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને ‘જેહાદ-એ-અકબરી’ તરીકે ઓળખાવેલ છે.

આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામકરી નહીં.

કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે. પણ જયાં જયાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને ‘કેતાલ’ શબ્દ વપરાયો છે.અરબી શબ્દ ‘કેતાલ’નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ.

જેહાદ શબ્દનો આવો આઘ્યાત્મિક અર્થ જયારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઇસ્લામ સાથે જોડવાની પ્રથા અવશ્ય બંધ થશે.

No comments:

Post a Comment