Monday, June 15, 2009

Control your tongue: Islam by Prof. Mehboob Desai

જબાન સંભાલો : ઇસ્લામનો આદેશ

Dr. Maheboob Desai



ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને આમઆદમી સુધી પહોંચાડતી અનેક નાની નાની પુસ્તિકાઓ ઇસાલે સવાલ અર્થે અર્થાત્ મૂલ્ય માટે ખુદાના બંદાઓ પ્રસિદ્ધ કરતા રહે છે. એવી જ એક નાનકડી પુસ્તિકા ‘જબાન સંભાલો’ જનાબ ઇબ્રાહીમ હાજી અબ્દુલગની મેમણે પ્રસિદ્ધ કરી છે. ઇસ્લામમાં જીભને કાબૂમાં રાખવા પર ભાર મૂકયો છે. જીભ દ્વારા અસત્યનું ઉચ્ચારણ મોટો ગુનો છે. સમાજ કે કોમના એખલાસને ખંડિત કરતાં વિધાનો કરવાથી અલ્લાહ નારાજ છે. આ નાનકડી પુસ્તિકામાં અસત્યનાં ઉચ્ચારણથી દૂર રહેવા જણાવાયું છે. કુરાને શરીફમાં કહ્યું છે,

‘અય ઇમાનવાલો, અભિમાન કરવાથી બચો. અભિમાન ગુનાહ છે. કોઇની એબ (દૂષણો) ન જુઓ, તેની ટીકાટિપ્પણી ન કરો. શું તમે તમારા મૃતક ભાઇનું માસ ખાવાનું પસંદ કરશો? અવશ્ય તમને તેની ઘણા થશે. અલ્લાહથી ડરો. બેશક અલ્લાહ ક્ષમા કરનાર મહેરબાન છે.’

અભિમાન અને ગિલત (ખોટી ટીકાટિપ્પણી)ની ઇસ્લામમાં સખત મનાઇ છે. આ બંને અવગુણો વ્યકિતને તો નુકસાન કરે જ છે પણ કોમ-સમાજમાં એખલાસને પણ ખંડિત કરે છે. અલ્લાહ તઆલાએ આપેલ જબાન (જીભ)નો હંમેશાં સદુપયોગ કરવાનો ઇસ્લામમાં આદેશ છે. એક હદીસમાં લખ્યું છે,

‘અસત્ય એવી ખરાબ વસ્તુ છે જેને દરેક ધર્મર્ે અસ્વીકારેલ છે. ઇસ્લામે તેનાથી બચવાની તાકીદ કરી છે. કુરાને શરીફમાં અનેક જગ્યાએ તેનો સખત વિરોધ કર્યોછે. અસત્ય ઉરચારનાર પર ખુદાની નારાજગી ઊતરે છે.’

એક અન્ય હદીસમાં ફરમાવ્યું છે,‘સત્ય સદ્કાર્ય તરફ વાળે છે. સદ્કાર્યોજન્નત (સ્વર્ગ)નો માર્ગ છે. માનવી સત્ય બોલશે, સત્ય બોલવાની કોશિશ કરશે તો તે અલ્લાહની નજીક પહોંચશે. અસત્યના આચરણ કે ઉચ્ચારણથી બચો. કારણ કે અસત્ય કુકાર્યોતરફ દોરે છે અને કુકાર્યો નર્કનો માર્ગ છે.’

એક વાર મહંમદસાહેબ (સ.અ.વ) તકિયાના ટેકે ચારપાઇ પર બેઠા હતા અને અનુયાયીઓને ફરમાવી રહ્યા હતા, ‘હું તમને એટલું જ કહીશ કે સૌથી મોટો ગુનો મા-બાપની નાફરમાની છે.’

આ વાકય બોલી આપ તકિયાના ટેકાથી ટટ્ટાર બેઠા અને પછી ફરમાવ્યું, ‘પણ એનાથી પણ મોટો ગુનાહ (ગુનાહે કબીરા) અસત્ય બોલવું છે.’

હજરત અબ્દુલ્લાહ સફકી (ર.અ.)એ એક વાર હજરત મહંમદસાહેબ (સ.અ.વ)ને પૂછ્યું, ‘કઇ વસ્તુ વધારે ભયજનક છે, જેનાથી ઇન્સાનને સૌથી વધુ નુકસાન થાય છે.’ હજરત મહંમદસાહેબ (સ.અ.વ)એ પોતાની જીભ પર આંગળી મૂકી એટલું જ કહ્યું, ‘આ.’

No comments:

Post a Comment