Tuesday, June 23, 2009

ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ . ડો. મહેબૂબ દેસાઈ

ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ: વાજિદ

ડો. મહેબૂબ દેસાઈ

સૂફીસંતોના જીવન પરિવર્તનના કિસ્સાઓ અનેરા છે. જાણીતા સૂફીસંત વાજિદના જીવનમાં હરણની મુકત છલાંગે પરિવર્તન આણ્યું હતું. એક વાર યુવા વાજિદ જંગલમાં શિકાર કરવા ગયા. પઠાણકુળમાં જન્મેલ વાજિદને શિકારનો જબરો શોખ હતો. જંગલમાં શિકારની શોધ કરતા કરતા તે જંગલમાં ઘણા દૂર નીકળી ગયા ત્યારે જ તેમની નજર મુકતમને વિહાર કરતા એક હરણ પર પડી. કમાન પર તીર ચડાવી તેમણે નિશાન બાંઘ્યું પણ કમાનમાંથી તીર છૂટે એ પહેલાં જ પેલું હરણ ભાવિના એંધાણ પારખી જઇ છલાંગ મારી ભાગ્યું અને વાજિદ મુકતમને ભાગતા એ હરણને અવાચક બની જૉઇ રહ્યા. બસ એ જ પળે તેમણે તીર-કમાન તોડી નાખ્યાં અને હરણ જેવી મુકિતનો આનંદ પ્રાપ્ત કરવા નીકળી પડયા.

મુકિતનો અહેસાસ હરણની છલાંગમાંથી વાજિદને થયો પણ તેની પ્રાપ્તિ હજુ બાકી હતી. એ પ્રાપ્તિ માટે તેમણે અનેક સંતો સાથે સત્સંગ કર્યો. પણ કોઇનાથી તેઓ પ્રભાવિત ન થયા. એક દિવસ એ શોધ દાદુ દયાળની ઝૂંપડીમાં આવી અટકી. એ દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. દાદુ દયાળ કુટીરમાં ઘ્યાન મગ્ન હતા. પ્રથમ નજરે જ વાજિદ દાદુના પગમાં પડી ગયા અને સવિનય કહ્યું,

‘મને શિષ્ય બનાવશો તો જ કદમ છોડીશ.’

ઘ્યાનમગ્ન દાદુ દયાળે ચરણસ્પર્શ થતા આંખો ખોલી અને ચરણોમાં પડેલા વાજિદ પર નજર કરી અને ફરમાવ્યું,

‘અહંકાર ત્યાગીને પગોમાં પડનાર યુવાન, ઠ, જાગ અને મુકિતની શોધમાં લાગી જા.’

એ જ દિવસથી ગુરુ દાદુ દયાળના શિષ્ય વાજિદે ધર્મના વાડાઓ ત્યજી ખુદા-ઇશ્વરની શોધ આરંભી. જન્મે પાકા પઠાણ મુસ્લિમ હોવા છતાં વાજિદ ઇબાદતમાં સર્વધર્મ સમભાવને સાકાર કર્યો છે. તેમની રચનાઓમાં તે વારંવાર જૉવા મળે છે. વાજિદની એ વિશિષ્ટતાને પોતાના શબ્દોમાં સાકાર કરતા રાધોદાસે લખ્યું છે,

‘છાંડિકે પઠાણ કુલ રામનામ કિન્હો પાઠ, ભજન પ્રતાપ સું વાજિદ વાણી જિત્યો હૈ.’

પઠાણકુળ જેવા વાડાઓ ત્યાગી રામનામનો જાપ કરનાર વાજિદ જિંદગીથી મુકિત પામ્યો છે.’ વાજિદની રચનાઓમાં શબ્દોની સાદગી અને વિચારોની ઉરચતા જૉવા મળે છે. તાજી વર્ષા પછી માટીમાંથી ઉત્પન્ન થતી સુગંધ જેવી મીઠાશ વાજિદની રચનાઓની વિશિષ્ટતા છે. તેમાં છંદનો હિસાબ નથી. અલંકારોનો દેખાડો નથી. જયારે સૌંદર્ય પૂર્ણ હોય ત્યારે શòંગાર કે આભૂષણની જરૂર નથી હોતી, એમ જ વાજિદની રચનાઓમાં સૌંદર્ય નિતરે છે.

‘ખેર સરીખી ઔર ન દુજી વસત હૈ, મેલ્હે વાસણ માંહિ કહાં મુહં કસત હૈ.

તૂ જિન જાને જાય રહેગા ઠામ રે, માયા દે વાજિદ ધની કે કામ રે.’

અર્થાત્ ખેરાત (દાન)જેવી કોઇ ઉત્તમ વસ્તુ નથી. ખેરાત આપતા સમયે વાસણનું મોં બંધ ન રાખ. તું જે ધનને પકડી રાખીશ તે તારી પાસે રહેવાનું નથી એટલે ધનનો ઉપયોગ ધનીખુદાના માર્ગે કરતો રહે.

‘મંગલ આવત દેખ મુદું ગોય રે, જધપિ હઁ બહુ દામ કામ નહીં લોય રે,

ભૂખે ભોજન દિયો ન નાગા કાપરા, બિન દિયા વાજિબ પાવે કહાઁ વાપરા?’

તારી પાસે ખુદા-ઇશ્વરે આપેલું ઘણું છે, છતાં ફકીરને જૉઇને તું મોં ફેરવી લે છે. ભૂખ્યાને ભોજન અને નગ્નને કપડાં નથી આપતો. તું ફકીરોને- ગરીબોને આપીશ નહીં તો ખુદા પાસેથી પામીશ કેવી રીતે? વાજિદ આ જ વિચારને આગળ ધપાવતા લખે છે,

‘ભૂખો દુર્બલ દેખી નાહિં મુંહ મોડિએ, જૉ હરી સારી દેય તો આવી તોડિએ,

દે આધી કી આધ અરધ કી કોર રે, અન્ય સરીખા પુણ્ય નાહિં કોઇ ઔર રે.’

ભૂખ્યાં-દુર્બળને જૉઇને કયારેય મોં ન ફેરવીશ. ઇશ્વરે તને એક રોટી આપી છે તો તેમાંથી અડધી તેને આપ, જૉ તને અડધી આપી છે તો અડધીની અડધી તું તેને આપ. અન્નદાન જેવું પુણ્ય દુનિયામાં એક પણ નથી. અહંકારને ઓગાળી નાખવાનો મહિમા અનેરો છે. વાજિદ તેને પોતાની વાણીમાં રજૂ કરતા કહે છે,

‘ટેઢી પગડી બાંધ ઝરોખા ઝાંકતે, તાતા તુરગ પિલાણ ચહુંટે હાંકતો,

લારે ચઢતી ફોજ નગારા બાજતે, વાજિદ, યે નર ગયે વિલાય સિંહ જવું ગાજતે.’

અહંકારથી વાંકી પાઘડી બાંધી તેજતરાર ઘોડા પર જે લોકો ચારેબાજુ ટહેલે છે. તેમની આગળ પાછળ ફોજ છે. એવા સિંહની ગર્જના કરતા અનેક લોકો કાળની ગર્તતામાં કયારનાય ભસ્મ થઇ ગયા છે. સંત વાજિદની આવી રચનાઓ જીવનનાં રહસ્યોને વ્યકત કરે છે.અલબત્ત વાજિદના જન્મ-વફાતની તવારીખ મળતી નથી પણ એ તવારીખ કરતાં તેમના વિચારોની અસરકારકતાએ આજે પણ તેમને જીવંત રાખ્યા છે અને રાખશે.

No comments:

Post a Comment